Opinion Magazine
Number of visits: 9449033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુમુસ્લિમ ઐકય માટે ઝઝૂમનાર બીબી અમતુસ્સલામ

નીલમ પરીખ|Gandhiana|27 March 2020

ગાંધીજીના આશ્રમનાં ઉત્તમોત્તમ સત્યાગ્રહી સેવકોમાંનાં એક બીબી અમતુસ્સલામ હતાં.

ગાંધીજીએ બતાવેલા તેજસ્વી આદર્શોને અપનાવી ત્યાગપૂર્ણ સેવામય જીવન ગાળવામાં અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ ચલાવવા માટે સારી સારી સંસ્થાઓ ખીલવવામાં, એમના કરતાં ચઢિયાતું માણસ મળવું દુર્લભ. એમનો જન્મ પતિયાળામાં ઈ. સ. 1906માં. મુસ્લિમ જમીનદાર પરિવારની દીકરી. જ્યાં હિન્દુ-શીખ પ્રેમ-દોસ્તી રાખતાં હતાં એવા ખાનદાન કુટુંબમાં થયો હતો. ત્યાં આજે પણ નાનામોટા એ જૂની દોસ્તીને યાદ કરીને ખુશ થાય છે અને પ્રેમનાં આંસુ વહેવડાવે છે. અમતુસ્સલામબહેન પોતે એવા માહોલમાં ઊછર્યાં હતાં કે જ્યાં હિન્દુ-મુસ્લિમ-શીખ એવા કોઈ ભેદભાવ નહોતા, બધાંને માટે પ્રેમભાવ જ હતો.

એમની તેર વર્ષની ઉંમરે પિતા મુહમ્મદ અબ્દુલ મજીદખાં મૃત્યુ પામ્યા હતા. એ એમની જિંદગીનો પહેલો ઊંડો ઘા હતો. પોતે છ ભાઈઓની એકની એક બહેન હતી. કુટુંબમાં ચુસ્ત રીતે પડદો રખાતો હતો. માત્ર હકીકી ભાઈઓ સિવાય કોઈની સામે આવવાની મના હતી. તેથી સ્કૂલમાં જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. માતા અમ્તુલ રહેમાનને લાડકી દીકરીની ચિંતા હોવાથી 13-14 વર્ષની નાની વયે જ લગ્ન કરી નાખવાની ઉતાવળ હતી. પણ મોટા ભાઈ અબ્દુલ રશીદખાંનો સખત વિરોધ હતો. તે કહે, ‘નાની વયે બહેનનાં લગ્ન કરી નાખવામાં હું ગુનો સમજું છું તેથી હું તેમાં હાજરી નહીં આપું.’ બહેન ટી.બી. જેવા રોગથી પીડાતી હતી એટલે ડૉક્ટરની સલાહ હતી કે એ ત્રણ વર્ષ દરમિયાન તાવ વગેરેથી બિલકુલ મુક્ત ન થાય ત્યાં સુધી લગ્ન કરવામાં જીવનું જોખમ હતું. આમ ભાઈઓના પ્રેમે ત્યારે એનાં લગ્ન ન થવા દીધાં!

અત્યાર સુધીમાં તેઓ કુરાનેશરીફ અને સાધારણ ઉર્દૂ વાંચતાંલખતાં શીખી ગયાં હતાં. 1922માં જ્યારે મોટા ભાઈ બૅરિસ્ટરી છોડીને છ માસ માટે જેલ ગયા ત્યારે અમતુસ્સલામબહેનના મનમાં પણ દેશસેવાની ભાવના જાગ્રત થઈ ગઈ હતી. ભાઈની લાઇબ્રેરીમાં ગાંધીજીની આત્મકથા હતી તે વાંચવા લીધી અને તેમાંથી જિંદગીના ભવિષ્ય વિશે એમને પ્રકાશ પડ્યો. ગાંધીજીના આશ્રમમાં જવાની તાલાવેલી જાગી. બુરખો પહેરીને અમ્બાલાની ગલી ગલીમાં ખાદી પ્રચાર કરવો, ખાદી વેચવી, જાહેરસભાઓમાં જવું વગેરે કરવા લાગ્યાં. ભાઈના જેલવાસ દરમિયાન ઘરમાં બધાંના શરીર પર ખાદી જ ખાદી હતી. મા બહુ નાજુક હતી એટલે જાડી ખાદીથી એના શરીર પર છાલાં પડી જતાં. છતાં ભાઈ જેલ બહાર ન આવ્યો ત્યાં સુધી ખાદી ખૂબ જોરશોરથી વપરાતી.

એ જમાનાના હિન્દુમુસ્લિમ એકતાનાં દર્શન ભૂલી શકાય તેવાં નહોતાં. ગાંધીજીના એકવીસ દિવસના અપવાસે અમતુસ્સલામબહેનના દિલ પર ભારે અસર કરી. છાપામાં ગાંધીજીના આંદોલન વિશે વાંચતાં. દાંડીકૂચના આંદોલને તો એમને કૂદી પડવાની ઇચ્છા થઈ. પણ જ્યાં પોતે જ આઝાદ નહોતાં ત્યાં શું કરી શકે? ભાઈઓ એમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન નહોતા કરાવવાના એટલે એમણે તો ભાઈઓને કહી દીધું કે હું તો ગાંધીજીની પાસે અમદાવાદ, સાબરમતી આશ્રમ જવા ઇચ્છું છું. ભાઈઓએ એમની આ વાત હસવામાં ઉડાવી દીધી. પરંતુ અમતુસ્સલામબહેને તો મીરાંબહેનનું નામ છાપામાં વાંચેલું એટલે એને પત્ર લખ્યો. જવાબમાં આશ્રમના વ્યવસ્થાપક શ્રી નારણદાસ ગાંધીએ લખ્યું કે તમે કોણ છો? અહીં આવવાનો ઉદ્દેશ શો છે? વગેરે બેચાર પ્રશ્નો લખીને એમની તંદુરસ્તીનું સર્ટિફિકેટ મગાવેલું. પોતે સત્યનિષ્ઠ હતાં. અનેક રોગોમાં સપડાયેલાં હતાં એટલે ગમે તે ડૉક્ટરનું સર્ટિફિકેટ લેવાને બદલે જે ડૉક્ટરની દવા લેતાં હતાં એ જ ડૉક્ટર બિલિમોરિયાનું સર્ટિફિકેટ માગ્યું જેમાં લખ્યું હતું કે ક્ષય હતો—હવે મટી ગયો છે છતાં આશ્રમી જીવનનો શ્રમ વેઠી શકે એવી તબિયત ન કહેવાય. એમણે એ જ સર્ટિફિકેટ મોકલી આપી આશ્રમમાં રહેવાની પરવાનગી માગી.

દેશસેવા માટે આશ્રમજીવન જીવી લેવું એટલો જ એમનો ઉદ્દેશ નહોતો પણ ગાંધીજીનું ‘એક રૂહાની શક્તિ’નું આકર્ષણ બહુ જબરું હતું. ‘આશ્રમી જીવન જોવા ખાતર મહેમાન તરીકે આવી શકો છો’—એવો જવાબ મળ્યો ત્યારે તેઓ પોતે આશ્રમમાં આવવા માટે ભાઈઓ પાસેથી પૈસા માગવાને બદલે માએ પરાણે પહેરાવેલાં હાથ, કાન અને ગળાનાં ઘરેણાં વેચી અમદાવાદ પહોંચ્યાં. દેહ દૂબળો પણ હૃદયમાં ગાંધીજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. સુકલકડી કાયામાં ઉત્કટ ભાવના અને તેજસ્વી સંકલ્પશક્તિ ભર્યાં હતાં. ત્યારે એમની ઉંમર 22-23 વર્ષની હશે. સાબરમતી નદીને કિનારે રેતીમાં જ્યારે ગાંધીજી ફરતા હોય ત્યારે આશ્રમવાસીઓ એમને મળી લેતા. અમતુસ્સલામબહેન પણ ત્યારે એમને મળ્યાં અને પોતે લખી રાખેલી પોતાની રામકહાણીવાળી ચિઠ્ઠી આપી. કારણ તેઓ ન તો હિન્દી જાણતાં હતાં કે ન તો ગુજરાતી. ગાંધીજીએ એમને અંબાલાલ સારાભાઈને ઘરે મળવાનો સમય આપ્યો.

નાનપણમાં એમને ઘરે મોટા ભાઈના હિન્દુ દોસ્ત સ્વામી ઉમાપ્રસાદજી અમ્બાલેવાલા જતા હતા. તેમની પાસેથી મહાભારત, રામાયણ, ગીતા વગેરેની વાતો વાર્તાના રૂપમાં સાંભળેલી એટલે ત્યારથી એમને હિન્દુ ધર્મ પ્રતિ પણ ઇસ્લામ ધર્મ જેટલું જ માન હતું. વળી એમણે એવું પણ સાંભળેલું કે જ્યાં સુધી સ્ત્રી લગ્ન ન કરે ત્યાં સુધી તેનામાં પવિત્રતા આવતી નથી. એટલે એમણે બાપુને તે વિશે પૂછ્યું તો બાપુ ખડખડાટ હસીને કહે છે : ‘હિન્દુ ધર્મ એવું નથી કહેતો. તમે જો ઇચ્છો તો તમારાં લગ્ન કરાવવામાં હું પણ મદદ કરી શકું. તારું મન જો સાચે જ આશ્રમજીવન ઝંખતું હોય તો શરીર એને સહન કરી લેશે. વળી હું તો અહીં જ બેઠો છું એટલે જ્યારે ઇચ્છે ત્યારે મને મળી શકે છે. જેટલું કામ શરીર આપે એટલું જ કરવાનું. તારે કામની કે બીજી કોઈ ચિંતા નહીં કરવાની.’

પછી તો આશ્રમના બધા નિયમોનું પાલન મજબૂરીથી નહીં પણ શોખથી કરતાં. સવારની પ્રાર્થના પહેલાં નદીએ સ્નાન કરી આવતાં. પોતાને ફાનસ કેવી રીતે સળગાવું, સાફ કરવું, વાટ સરખી રીતે કાપવી, ચીમની કેમ કાઢવી-મૂકવી તે બધું આવડતું ન હતું. ‘નથી આવડતું’ એમ કહેવામાં શરમ અનુભવતાં એટલે બીજી બહેનો કરે તે જુએ અને શીખે. પોતે કાંતણવણાટના અભ્યાસમાં લાગી ગયાં. રસોઈકામમાં મદદ કરતાં અને હરિજનવાસમાં પણ જતાં. બાપુની સેવા કરવા માટે જો કોઈ બહેન સાથે એમને ઝઘડો થતો તો મહાદેવભાઈ દેસાઈ રમૂજમાં કહેતા કે, ‘આજે તો ધોળી બિલાડી અને કાળી બિલાડીની જોવા જેવી તકરાર થઈ હતી.’ આશ્રમમાં ગંગાબહેન વૈદ્યનો પ્રેમ માતા જેટલો એમને મળ્યો.

પ્યારેલાલભાઈની માતા પંજાબી ભાષા જાણતાં હતાં તેમણે પોતાની દીકરીની જેમ અમતુસ્સલામને પ્રેમ આપ્યો. હવે એમનું મન નવાં નવાં કામોમાં વળ્યું એટલે શાન્તિ લાગી. તેમાં આનંદ આવતો પણ છતાં ય થાક તો લાગતો જ. થોડા દિવસોમાં એમનો જૂનો પ્લુરસીનો રોગ ફરી વકર્યો. આમ તો એમનું શરીર અનેક રોગોનું ઘર હતું. હરસ, નાકમાં ફોલ્લા, આંગળીઓમાં દુખાવો, ટોન્સિલ, ન્યુમોનિયા વગેરે એક પછી એક અથવા બેત્રણ રોગ સાથે આવીને ખબર લઈ જતા. ક્યારેક ડૉક્ટરની દવા ચાલે તો ક્યારેક કુદરતી ઉપચાર કરતાં. ગાંધીજીએ એમને બહાર જઈને તબિયત સુધારી લેવાનું સૂચવ્યું ત્યારે ખાદી, હરિજનસેવા, ગોસેવા, હિન્દુમુસ્લિમ એકતા વગેરે કામો ચાલી રહ્યાં હતાં. એટલે બહાર જઈને વિચાર્યું કે મારે આમાંથી કોઈ એક કામ લઈને એક જગાએ બેસી જવું. પોતે એક મુસ્લિમ હોવાને કારણે હિન્દુમુસ્લિમ એકતાનું કાર્ય જ મારા જીવનનો ઉદ્દેશ હોઈ શકે એમ લાગવાથી એને પોતાનું મિશન-જીવનકાર્ય બનાવી લઈ ગાંધીજીને જણાવી દીધું.

આ કાર્ય માટે 1940માં ગાંધીજીએ એમને સિંધ મોકલ્યાં હતાં. ‘ત્યાં મરવું પડે તો મરી જવું પણ રેડાતું લોહી અટકાવવાનું તારું કામ છે, ભગવાન તારો રસ્તો સ્પષ્ટ કરશે. આપણે તો ખુદાના બંદા છીએ. મારી કરોડો દુઆઓ તારી સાથે છે.’ નોઆખલીના હત્યાકાંડ પહેલાંથી અમતુસ્સલામબહેનનું ત્યાં રચનાત્મક કામ તો ચાલી રહ્યું હતું. હત્યાકાંડ પછી એમણે જે કામ કર્યું એ જોઈને તો મુસ્લિમ મહિલાઓએ પણ મોંમાં આંગળાં નાખી દીધેલાં. સતત હાથમાં પોતાનો જાન લઈને ફરતાં. બાપુની દુઆઓના બળ પર તેઓ કામ કરી રહ્યાં હતાં. એક વાર અમતુસ્સલામબહેને ગાંધીજીને લખ્યું, ‘તમારી પાસે તો અમીર અને ભણેલાગણેલા લોકો જ રહી શકે છે. મારા જેવી અભણ માટે જગ્યા નથી.’ તો ગાંધીજી લખે છે: ‘સાચી વાત છે, મારી પાસે અમીર અને ભણેલાગણેલા લોકો રહી શકે છે. અમીરને હું ફકીર બનાવું છું અને ભણેલાના હાથમાં ઝાડુ પકડાવું છું. તો તને શા માટે પાસે રાખું? વધારે ફકીર બનાવવા કે હાથમાં ઝાડુ પકડાવા?’ ગાંધીજીને તો એની તબિયત કેવી રીતે સારી રહે અને હંમેશ માટે એ ખુશ રહે એની ચિંતા રહેતી. ‘તને કેવી રીતે રિઝાવું?” ‘તને કેવી રીતે સુખ અને શાન્તિ આપું’, ‘તું જલદી સારી થઈ જા’, ‘જરા તો ડાહી થા’, ‘જરા તો હસ’, આમ લખતા રહેતા.

રમજાનના રોજા રાખવા માટે બાપુની સલાહ માગે છે તો બાપુ લખે છે : ‘જે પોતાના ગુસ્સાને મારે છે અને વિચારપૂર્વક વર્તે છે તે જ સાચા રોજા રાખી શકે.’ સેવાગ્રામ આશ્રમમાં એક વાર બાપુને જમાડતી વખતે તેણે બાપુ માટે બનાવેલી રોટલી ગુસ્સામાં ફેંકી દીધી હતી. તો સરહદ પ્રાંતની મુસાફરી વખતે અમતુસ્સલામબહેને જરા વધારે બનાવેલો દ્રાક્ષના રસનો ગ્લાસ ખુદાઈ ખિદમત-ગારોની ભરી સભામાં ફેંકી દીધેલો! આમ બાપુ વિનોદ, ગુસ્સો, પ્રેમ અને ઉપદેશથી તેમને કેળવી રહ્યા હતા અને તેઓ પણ ખુશીથી બાપુ કહે તેમ કરતાં. 1936માં મક્કા શરીફ જવાનો વિચાર આવ્યો હતો. પણ પાછો છોડ્યો કારણ તેઓ પોતે લખે છે કે, ‘મને બાપુનો અભિપ્રાય મળ્યો હતો કે ત્યાં જવાવાળા બધાં શુદ્ધ થઈને જ ત્યાંથી આવે છે એવું નથી. વળી, ત્યાં જવા માટે એક ઇન્જેક્ષન લેવું પડે છે જે જાનવરના શરીરમાંથી બનાવેલું હોય છે એ મને પસંદ નહોતું અને વગર ઇન્જેક્ષને જવાની પરવાનગી નહોતી મળતી એટલે મેં મક્કા જવાનો વિચાર છોડી દીધો.’

આશ્રમમાં ગાંધીજીના કુટુંબીજનો અને બીજા સાધકો સાથે અમતુસ્સલામબહેને એટલી બધી આત્મીયતા કેળવી હતી કે કસ્તૂરબા એમને દીકરી કરતાં પણ વધારે વહાલાં ગણતાં હતાં. કસ્તૂરબા જ્યારે 1944માં આગાખાન મહેલની જેલમાં અવસાન પામ્યાં ત્યારે તેઓ પૂર્વ બંગાળના બારકામતા ગામે દુકાળપીડિત હિન્દુમુસ્લિમની વચ્ચે બેઠાં હતાં તેથી તેઓ કસ્તૂરબાનાં દર્શને જઈ ન શકયાં. પણ સંકલ્પ કર્યો કે, ‘હવે તો કસ્તૂરબાના નામથી બધી પ્રવૃત્તિઓ કરીને જ એમનાં દર્શન પામું.’ બંગાળ રિલીફ કમિટી તરફથી ખાદીનું કાર્ય બોરકામતા ગામે શરૂ કરવાની મંજૂરી સાથે રૂ. 67,000 મળ્યા. જેમાંથી ‘કસ્તૂરબા સેવા મંદિર’ના નામે ખાદીકાર્ય, દવાખાનું, ઘાણી, સ્કૂલ, ગૌશાળા વગેરે કામો શરૂ કર્યાં. એમનું મન ગાંધીજીની પાસે દોડતું હતું પણ એમની પરવાનગી વગર ત્યાં કેમ જવાય? એટલામાં તો ખુદ ગાંધીજી જ બંગાળ આવ્યા અને ત્યારે એમનું કામ જોઈને ‘Your Excellent Work’ કહીને એમને બિરદાવ્યાં હતાં!

પછી તો પંજાબના પતિયાળા પાસે રાજપુરામાં ‘કસ્તૂરબા સેવા મંદિર’ નામથી એક વિશાળ સંસ્થા શરૂ કરી, જે આજે પંજાબના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે. ત્યાં ખાદીકાર્ય સાથે અનેક ગ્રામોદ્યોગો, નયી તાલીમ, ખેતી-ગોપાલન, શાન્તિ સેના વગેરે આઠદસ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી. લગભગ સત્તાવીસ હજારથી વધારે લોકોને કાયમી કામ અને રોજી મળી. અહીં બધાં એમને ‘બીબીજી’ કહેતાં. 1947માં નોઆખલી હત્યાકાંડની સળગતી આગમાં બાપુ સાથે પદયાત્રામાં ઝંપલાવ્યું ત્યારે એકવીસ દિવસના ઉપવાસ પણ એમને કરવા પડેલા. ઉપવાસ દરમિયાન તાવ, દમ, ન્યુમોનિયાનો હુમલો થયો. પણ બીબીજી કહે છે: ‘યહ કસૌટી ભગવાન કી તરફ સે થી, જિસમેં રામનામ કે બલ, બાપૂ કે આશીર્વાદ ઔર ઉનકી રૂહાની શક્તિ સે જો તાકત મિલતી થી, ઉસસે ઉપવાસ મેં સફલતા પાયી.’ ત્યાંના શરણાર્થી શિબિરોમાં રાહતકાર્ય ઉપાડી લીધું.

1948માં ગાંધીજીનું બલિદાન દેવાયું અને પોતે એમનાં છેલ્લાં દર્શન ન પામ્યાં. પણ બ્રહ્મપુત્રામાં બાપુની પવિત્ર ભસ્મનાં દર્શન કરી, દિલ્હી ગયાં ત્યાં જાણવા મળ્યું કે બાપુ બહાવલપુરના શરણાર્થીઓની સેવા અર્થે પોતે જાતે જવાના હતા. અને એની પૂર્વતૈયારી રૂપે એમણે સુશીલાબહેનને મોકલી આપ્યાં હતાં! હવે ગાંધીજીનું આ મિશન ચાલુ રાખવા પોતે બહાવલપુર પહોંચે છે ત્યાં એમને સુશીલકુમાર જેવો દેશસેવક અને દેશભક્ત નવજવાન મળે છે જેણે તેમના જીવનકાર્યને પૂર્ણ રૂપે સંભાળી લીધું. સુશીલકુમાર નાનો છતાં અતિશક્તિશાળી યુવક હતો. એણે જ બહાવલપુરના શરણાર્થીઓને છોડાવ્યા. રાજપુરામાં એમને સ્થિર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. એમની બેરોજગારી દૂર કરવા માટે જ ‘કસ્તૂરબા સેવા મંદિર, રાજપુરા’નો પ્રારંભ થયેલો. બીબીજી લખે છે, ‘આટલું મોટું કામ કરવાની મારી કોઈ ક્ષમતા, યોગ્યતા કે આવડત નહોતી. પણ પૂ. બા અને બાપુની પ્રેરણા જ મારામાં અને મારા સાથીઓમાં કામ કરી રહી હતી.’

1962માં ચીની આક્રમણ વખતે રાજપુરાનું કામ પોતાના સાથીઓને સોંપી તેઓ નેપાળ ગયાં ને તેજપુરમાં સેવાકાર્ય શરૂ કર્યું! ગાંધીજીનો સહવાસ એમને સોળ વરસથી સહેજ વધુ મળ્યો. એ દરમિયાન એમણે કેટલાં ય આકરાં કામો કરી બતાવ્યાં. હિન્દુમુસ્લિમ ઝઘડાઓ ટાળવા અથવા શમાવવા માટે જીવ જોખમમાં નાખી અનેક સત્યાગ્રહો પણ કર્યા. આમ હિન્દુમુસ્લિમ એકતા અને સેવાકાર્ય માટે આખું જીવન સમર્પિત કર્યું!

[‘ગાંધીજીના સહસાધકો’માંથી સાભાર]

Loading

27 March 2020 admin
← કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી
Does Religion Matter? Communal Violence in India →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved