Opinion Magazine
Number of visits: 9449243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૦૨: આગળ વધી જતાં પહેલાં

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|7 June 2016

શાનું ગૌરવ અનુભવવું અને શાની શરમ − એના માપદંડો પરથી સમાજની પ્રગતિ નક્કી થાય છે.

ગુલબર્ગ હત્યાકાંડના ચુકાદાથી ફરી એક વાર, હવે તો છેલ્લી છેલ્લી વાર, ૨૦૦૨ની કોમી હિંસા અને ન્યાય માટેના સંઘર્ષની યાદ તાજી થઈ. એક સિવાયના બધા કેસના ચુકાદા આવી જતાં, હવે આખો ઘટનાક્રમ મહદ્દ અંશે ઇતિહાસ બની ગયો છે. એક એવી પેઢી આવી ચૂકી છે, જે ૨૦૦૨માં બાળપણ-કિશોરાવસ્થામાં હતી અને હવે સોશ્યલ મીડિયા પર અત્યંત સક્રિય છે. તેમનાં મન પ્રચારમારાથી એવાં ભરાયેલાં છે કે ૨૦૦૨નું નામ પડતાં જ તેમાંથી ઘણાંનાં મોં મચકોડાય છે. ‘જૂનાં હાડપિંજર કાઢવાની શી જરૂર છે?’ એવું તે સહજતાથી કહી દે છે. તેમને લાગે છે કે ૨૦૦૨ની હિંસા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બૌદ્ધિક-હિંદુવિરોધી- ડાબેરી-સેક્યુલરિસ્ટોનું કાવતરું હતું. ઘણાને આ બધાં વિશેષણના અર્થ એકસરખા જ લાગે છે — અને કમ્પ્યુટર-સ્માર્ટફોન વાપરતાં આવડે છે, એટલે પોતાની આવડત વિશે તેમને કદી અવઢવ હોતી નથી.

‘૨૦૦૨માં ગુજરાતવિરોધીઓ નરેન્દ્ર મોદી પર તૂટી પડ્યા હતા અને તેમને બહુ વીતાડ્યું, પણ મુખ્ય મંત્રી તરીકે મોદીએ જરા ય મચક ન આપી’ — આવી કે આ પ્રકારની માન્યતાઓ સોશ્યલ મીડિયા પર કિશોર-જુવાન થયેલી નવી પેઢી ધરાવતી હોય, તો એમાં તેમનો બહુ વાંક નથી. તેમની આજુબાજુનો માહોલ સતત એવો રહ્યો કે રાજકારણ બાજુએ રાખીને, નાગરિકી દૃષ્ટિકોણથી બોધપાઠ અંકે કરવા જેટલું સ્વસ્થ વાતાવરણ જ પેદા ન થાય. સોશ્યલ મીડિયા પણ તેમાં ઠીક ઠીક અંશે નિમિત્ત બન્યું.

સમજ આવી ત્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન જોનાર પેઢીમાંથી ઘણાને ઇતિહાસબોધ તો ઠીક, સાદા ઇતિહાસની પણ માહિતી નથી હોતી. કારણ કે, સાદો ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળ તેમના ભણવામાં આવતાં નથી. કુટુંબપરિવાર-દોસ્તો પાસેથી એ આધારભૂત રીતે જાણવા મળે એવી સંભાવના ઓછી હોય છે અને જાતે તસ્દી લઈને જાણવા જેટલું તેનું મહત્ત્વ લાગતું નથી. હવામાં તરતી મુકાયેલી સામાન્ય છાપ એવી છે કે ‘કોમી હિંસાની કશી નવાઈ નથી. ‘ગાંધીના ગુજરાત’માં એ અનેક વાર થઈ ચૂકી છે. પણ ૨૦૦૨ની હિંસાનો વિરોધ અને તેમાં રાજ્યની ભૂમિકા અંગેની જ ચર્ચા શા માટે? કારણ કે એ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું હતું.’

યાદ રાખવાનો એક મુદ્દો એ છે કે ૨૦૦૨ની કોમી હિંસા ન્યૂઝ ચેનલોનો યુગ શરૂ થયા પછીની પહેલી મોટી ઘટના હતી. બદલાયેલા સમયમાં માનવ અધિકાર સંગઠનો પણ ઠીક ઠીક સક્રિય થયાં હતાં. અને તેમાંના ઘણા લોકો ૧૯૮૪ના કૉંગ્રેસપ્રેરિત શીખ હત્યાકાંડ વખતે પણ સક્રિય જ હતા. પરંતુ ‘ત્યારે તમે ક્યાં હતા?’ના સવાલ વીંઝનારને જવાબ સાંભળવામાં ક્યાં રસ હોય છે?

નવી પેઢી સામે નવા પડકાર અને નવી તકો હોય છે. ૧૪ વર્ષ પહેલાંના ઘટનાક્રમને વળગીને બેસી ન રહેવાય. તેને વિસારે પાડીને આગળ વધવું જ પડે. પરંતુ એ બનાવોનું અનુસંધાન ચાલુ વર્તમાનકાળમાં નીકળતું હોય, ત્યારે તેના સૂચિતાર્થો અને બોધપાઠ પૂરેપૂરા સમજવા રહ્યા. એ વિના આગળ નીકળવાની ઉતાવળ કરવામાં આવે તો, ભવિષ્યમાં બીજી રીતે, બીજા સ્વરૂપે એ બોધપાઠો સામે આવીને ઊભા રહે. નરેન્દ્ર મોદીના વ્યક્તિગત વિરોધ કે તરફેણથી દૂર રહીને, નવી પેઢી સાથે ખુલ્લાશથી ચર્ચી શકાય એવા કેટલાક મુદ્દા અને બોધપાઠ.

ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ જૂનો છે. ગાંધીજન્મશતાબ્દિ વર્ષ ૧૯૬૯માં ભયંકર કોમી હિંસા થઈ હતી. પરંતુ કોમી હિંસાની ગંભીરતા ફક્ત મૃત્યુઆંકથી જાણી કે માપી શકાતી નથી. તેનો વ્યાપ, સમયગાળો અને રાજ્યની ભૂમિકા — આ મુદ્દા પણ એટલા જ કે વધારે અગત્યના  છે. આ ત્રણે મામલે ૨૦૦૨ની હિંસા ગુજરાત માટે અભૂતપૂર્વ હતી.

હિંસક વાતાવરણ અને કરફ્‌યુ મહિનાઓ સુધી ચાલ્યાં. કોમી તનાવનો પરંપરાગત ઇતિહાસ ધરાવતાં શહેરોને બદલે ગુજરાતનાં અસંખ્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં હિંસા પ્રસરી. સ્વાભાવિક છે કે મુખ્ય મંત્રી મોદીએ ઠેકઠેકાણે જઈને લોકોને મુસ્લિમવિરોધી હિંસા આચરવાનું ન જ કહ્યું હોય. નરોડા પાટિયા જેવા (કે ફરિયાદીઓની આશંકા પ્રમાણે, ગુલબર્ગ સોસાયટી જેવા) કેટલાક હત્યાકાંડો પૂર્વઆયોજિત હોઈ શકે. તેમાં સ્થાનિક કારણો પણ ભળેલાં હોઈ શકે. છતાં, બે વાત ઊભી રહે છે : ૧) સરકાર મહિનાઓ સુધી સામાન્ય સ્થિતિ સ્થાપી શકી નહીં. ૨) પીડિતો માટે આશ્રયનો અને તોફાનીઓ માટે ‘હિંસા કોઈ પણ સંજોગોમાં નહીં સાંખી લેવાય’, એવો કડકાઈનો સંદેશો સરકાર આપી શકી નહીં. ઉલટું, વ્યાપક છાપ એવી ઊભી થઈ કે સરકાર મુસ્લિમવિરોધી હિંસાખોરી પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. હિંસા પછીનાં થોડાં વર્ષ સુધી મુખ્ય મંત્રીના ઉદ્દ‌ગારોમાં રૂઝ આપનાર મલમને બદલે દઝાડનારા રસાયણની અનુભૂતિ ભળેલી હતી.

– અગાઉનાં રમખાણ પછી મુખ્ય મંત્રીએ છડેચોક તેનો રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી ન હતી. ૨૦૦૨ની આપત્તિને મુખ્ય મંત્રીએ અવસરમાં ફેરવી નાખી. ઘણાના મનમાં કારણ-અકારણ રહેલો મુસ્લિમદ્વેષ જાહેર અને સ્વીકૃત બન્યો. તોફાનના ઘા રૂઝાય એ પહેલાં મુખ્ય મંત્રીએ ગૌરવયાત્રા કાઢી. તેનો સત્તાવાર આશય ગમે તે હોય, પણ ‘ગૌરવ’ શાનું એ બહુ સ્પષ્ટ હતું. એ વખતે મહેન્દ્ર મેઘાણીએ જલિયાંવાલા બાગના હત્યારા જનરલ ડાયરને બ્રિટનમાં જે માનપાન મળેલાં એની વિગતો તાજી કરીને, જનરલ ડાયરની ગૌરવયાત્રા વિશે લખવું પડ્યું.

– વિક્રમસર્જક લાંબા ગાળા સુધી ટકેલી તનાવપૂર્ણ સ્થિતિ પછી પણ, પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં રાજ્ય સરકારની દાનત ખોરી પુરવાર થઈ. પીડિતો માટે ન્યાયનો રસ્તો કપરો બની ગયો. તેમના સામા પક્ષે ફક્ત આરોપીઓ જ નહીં, શક્તિશાળી સરકાર પણ હતી. અસરકારક ન્યાય માટે કેસો ગુજરાતની બહાર લઈ જવાના આદેશ થયા. પરંતુ નરેન્દ્ર મોદી પોતાની ટીકાને ગુજરાતની ટીકા તરીકે ખપાવી શક્યા અને ગુજરાતના ઘણા લોકોએ આ પડીકું હોંશેહોંશે લઈ લીધું. ૧૯૬૯ની હિંસા વખતે ગુજરાતની મુલાકાતે આવેલા બાદશાહખાને ભારે વ્યથા વ્યક્ત કરી હતી.

૨૦૦૨માં આવું બન્યું હોત તો બાદશાહખાનને પણ ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાયા હોત — અને લોકોએ તે સ્વીકારી લીધું હોત. પ્રાથમિક કહેવાય એવી આ વિગતોનો સાર એટલો કે ભૂતકાળનાં હિંસા-અન્યાય પર ઢાંકપિછોડો કરીને નહીં, પણ તેની સાથે સંકળાયેલી શરમનો અહેસાસ કરવાથી સમાજ આગળ વધે છે. શાનું ગૌરવ અનુભવવું અને શાની શરમ — એના માપદંડો પરથી સમાજની પ્રગતિ નક્કી થાય છે. કોઈ નેતા માફી માગે કે ન માગે, સમાજના લોકો તરીકે આપણા મનમાં ખોટું થયાનો ભાવ ઊગે, એ વખતે સમજવું કે આપણે એ ઘટનાને અભરાઈ પર ચડાવીને આગળ વધવા માટે લાયક થઈ ગયા છીએ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘આગેકૂચની આધારશીલા’, “દિવ્ય ભાસ્કર”, 07 જૂન 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-2002-before-going-further-article-by-urvish-kothari-5342794-NOR.html

Loading

7 June 2016 admin
← સોબત સૈ-ની …
Manilal A. Desai →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved