Opinion Magazine
Number of visits: 9483847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હીમાં ગાંધીજી

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|30 January 2015

‘બાપુની વ્યથાની સાથે સાથે બીજી અનેક હકીકત કોઈ પણ જાતના પડદા વગર આપણી સમક્ષ આવે છે. અનેક પાત્રોનું દંભનું આવરણ ખસી જાય છે. અને આપણી સમક્ષ એ મૂળ સ્વરૂપે છતા થાય છે. એક જગ્યાએ બાપુ કહે છે : ‘તમે બધા મારા એક દિવસના વફાદાર સાથીઓ છો, તમારાથી કોઈ વસ્તુ ન બની શકે તે હું સમજી શકું. પરંતુ મહેરબાની કરીને મને ખોટાં વચનો આપી આશામાં ન રાખો તે જ તમારી પાસે પ્રાર્થના છે.’ આ શબ્દો પાછળની કરુણા તેમના થોડા સાથીઓ પણ પામી શક્યા હોત તો પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડત તો પણ મહાત્માનું દુ:ખ જરૂર ઓછું થયું હોત. મનુબહેન એક જગ્યાએ લખે છે તેમ બાપુજી પાસે સહુના ટકા મુકાઈ જતા હતા.’

− મોરારજી દેસાઈ

(મનુબહેન ગાંધી લિખિત ‘દિલ્હીમાં ગાંધીજી [ભાગ બીજો]’ની પ્રસ્તાવનામાંથી, પાન ५ અને ६)

•

મનુબહેન ગાંધી લિખિત ‘દિલ્હીમાં ગાંધીજી’ના બે ભાગમાંથી પસાર થવાનો હાલ યોગ મળ્યો. એમાં ય ભાગ બીજામાં પાન ११થી અપાયા ‘નિવેદન’ પર ખાસ નજર પડી. એ અરસામાં મનુબહેન ગાંધી સરીખી વ્યક્તિને જે રીતે તવાવું પડેલું તેની સામે આજે ગાંધી-વિનોબા-જયપ્રકાશને નામે કામ કરતી જમાતને શી શી અને કેવીકેવી વેદનાઓમાંથી પસાર થવાનું આવતું હશે તેની માત્ર કલ્પના કરવી રહી. અને પછી લાંબુંટૂંકું વિચારતા કમકમાં આવી જાય છે !

પ્રસ્તાવનામાં મોરારજીભાઈ નોંધે છે તેમ, ‘હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમણે જિંદગી ખર્ચી. આ પ્રશ્ન છેક દક્ષિણ આફ્રિકાથી તેઓ સંભાળપૂર્વક ઉકેલતા હતા. ભ્રાતૃભાવ પેદા થાય એ માટે અનેક લોકોનો ખોફ વહોરીને અને છેલ્લે પોતાની જાતનું બલિદાન આપીને તેમણે પ્રયત્ન કર્યો. તેઓ પોતે જ એક પ્રાર્થનાપ્રવચનમાં કહે છે : ‘મારા બાળપણથી જ હિંદુ-મુસ્લિમ ઐક્ય, એ મારા જીવનનો અનુપમ શોખ રહેલો છે અને તે મારી જીવનઉષાની ઉત્કંઠા જીવનસંધ્યામાં પૂર્ણ થશે તો એક નાના બાળકની માફક નાચીશ અને આનંદિત બનીશ. અને 125 વર્ષ જીવવાની મારી ઇચ્છા જે અત્યારે મરી ગઈ છે તે ફરી જાગ્રત થશે.’

ભારતની આઝાદીને 68 વર્ષ થાય છે; અને આ દાયકાઓમાં કોમવાદનો અજગર ભીડો લઈને બેઠો જ વર્તાય છે. એક અથવા બીજા કારણે હિંદુ મુસલમાન કોમો વચ્ચેનો વિશ્વાસ ઝંખવાણો બનતો રહ્યો છે. મોટા ભાગના રાજકીય પક્ષો આ વૈમનસ્યના જોરે મત મેળવવા જોર કરતા આવ્યા છે. ધર્મનિરપેક્ષતા આજે કોઈક ગાળ હોય તેમ તેનો ઊતરતી પાયરીએ જઈ ઉપયોગ કરાતો અનુભવાય છે. જમણેરી પક્ષો આનો સવિશેષ લાભ ખાટે છે. ગાંધી અને ગાંધીવિચારને લગીર સમજ્યા, જાણ્યા વગર તે પર તૂટી પડતા તેમ જ ગાંધીજીની અવહેલના કરતા તેમને શરમ સુધ્ધાં નડતી નથી.

એક વેળા, કેટલાક સ્થાનિક મુસલમાન ભાઈઓ ગાંધીજીને મળવા આવેલા. તે પ્રસંગ મનુબહેન આ રીતે નોંધે છે :

તેમનો સવાલ હતો : ‘આપણા પ્રધાનોએ એક સમયે અમને જે વચનો આપ્યાં હતાં તે હજુ સુધી પાળ્યાં નથી.’

ગાંધીજીનો જવાબ હતો : ‘પહેલી વાત તો એ છે કે, તમે શાં વચનો માગ્યાં હતાં અને તેઓએ શાં વચનો આપ્યાં અને નથી પાળ્યાં એ જ વાત તમે મને નથી કહી. અને આમ અધ્યાહાર રાખી મોઘમ વાતો કરવાથી કંઈ અર્થ ન જ સરે ને? (વિનોદમાં) તમે વાણિયાની અને બિરબલની વાર્તા તો સાંભળી હશે કે, વાણિયો ‘મગનું નામ‘ પાડતો જ નથી. આ તો ઠીક છે કે તમે મને વાત કહી. પણ જો આમજનતાને આવી વાત કહો તો આપણી ભોળી પ્રજા, કે જેને હજુ પ્રધાનો શું કે સ્વરાજ્ય શું તેની ખબર નથી, તે એકદમ ઉશ્કેરાય જાય. અને ગેરસમજ કેટલી વધે ? માટે જે વાત કહેવી હોય તે સાબિતી સહિત અને સ્પષ્ટ કરવી જોઈએ.’

પછી આગળ કહે છે : ‘જો કે હું કાંઈ સરકારમાં નથી. સરકારના માણસો બધા મારા મિત્રો છે તે સાચું. પણ આવી હકીકતોની જ્યારે જ્યારે તપાસ કરાવવામાં આવે છે ત્યારે લગભગ ખોટું ઠરે છે. અને ગેરસમજ વધે છે. આવો પ્રસંગ તો કેટલીય વાર મને પણ સાંપડ્યો છે, એથી કહું છું. અને વાતને કદીય વધારીને ન જ કહેવી જોઈએ.’

એ દિવસની સાંજની પ્રાર્થનામાં વળી આ બાબતને ગાંધીજી ફેર રજૂ કરતા કહે છે : ‘ગેરસમજ થાય એવો એક પણ શબ્દ આપણા મોઢામાંથી ન નીકળવો જોઈએ. મારી પાસે એક વાનરગુરુનું સુંદર રમકડું છે. તેમાં એક વાનરગુરુએ મોં બંધ રાખ્યું છે. પોતાના વચનનો પૂરો અમલ કરવાની વાત એકલા રાજકર્તાઓ સારુ જ ન હોઈ શકે. આપણ સહુને માટે છે. એથી આપણાથી જે ન થાય તેવું હોય તે કોઈને કહીએ નહીં. અને જેમ બને તેમ અલ્પોક્તિ કરવી.’

આ ગ્રંથોમાં વિગતો, પ્રસંગો અને માહિતી અપરંપાર છે. આ ચોપડીઓનું બહુ મોટું ઐતિહાસિક મૂલ્ય પણ છે. કોમી એકતાની વાત અાજના વાતાવરણમાં ટલ્લે ચડી હોવા છતાં, તેનું અગત્ય લગીર ઘટતું નથી. જવાહરલાલ નેહરુ ઉપરાંત સુભાષચંદ્ર બોઝની પણ આ મુદ્દા બાબતની સમજણ ટકોરાબંધ રહી.આ જ ચોપડીમાં આઝાદ હિંદ ફોજમાં જ કોમી એકતા સુભાષબાબુએ સિદ્ધ કરી હતી તેનાથી ગાંધીજી પ્રભાવિત હતા તેમ નોંધાયું છે. આજના વાતાવરણમાં આ ભારે અગત્યની બાબત છે. હિંદુ-મુસ્લિમ-શીખ વગેરે તમામ કોમોના લોકો ખભે ખભા મિલાવીને કામ કરે તેમ બનવું જોઇએ. તેમ થાય તો જ દેશ વધુ સંગઠિત અને શક્તિશાળી બને. આ પ્રસંગોથી તે અનેકવાર પૂરવાર રહ્યું છે.

આ દિવસોમાં કાઠિયાવાડની વાત સવિશેષ નોંધાઈ છે. આવા નાનકડા પ્રદેશમાં ય જ્યાં હિંદુ-મુસલમાનનો ભેદભાવ નથી તેને સંભાળી શકવાની ઇચ્છા ગાંધીજી દર્શાવ્યા કરે છે.

આવી બધી તરેહ તરેહની વાતો થતાં, પંડિત જવાહરલાલ નેહરુ કહે : ‘બાપુ, હમ સાથ એક દફે કાઠિયાવાડ જાયેંગે, મુઝે તો આપકા પોરબંદર દેખનેકી બડી ખ્વાઇશ હૈ.’ બાપુ કહે : ‘પણ મારું જન્મસ્થાન, અલ્લાહબાદ જેવો મહેલ નથી હો ? અંધારી કોટડી છે. અને પહેલાંના સમયમાં સુવાવડીને અંધારામાં ફાટેલમાં ફાટેલ ગોદડી પર જ સુવાડતા, વળી સીંદરીનો ખાટલો હોય, જુઓ તો ખરા સ્ત્રી પ્રત્યેનો અન્યાય !! અનેક માનવીનું સર્જન કરનારી સ્ત્રીના આવા હાલ અમારો સમાજ હજુ ય કરે જ છે.’

ગાંધીજી ક્યાંના ક્યાં લઈ જાય છે ! આજે મહિલાઓ અંગે જે વાતાવરણ દેખા દે છે તેને સારુ આ પ્રસંગમાં કંઈક અંશે કદાચ પ્રકાશ લાધે ખરો.

આચાર્ય દાદા ધર્માધિકારીને નામ ‘વરદાન’ નામક એક પ્રસંગ “શાશ્વત ગાંધી”ના જાન્યુઆરી 2015 અંકમાં છે :

એક ગરીબ આંધળો બુઢ્ઢો હતો. એણે લાંબું તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને દર્શન આપ્યાં અને કહ્યું, ‘માગ, માગ ! માગે તે આપું.’ એ ઘરડો હતો, આંધળો હતો અને ગરીબ પણ હતો. ત્રણે દુ:ખ ટળે એવું એમણે માગવું હતું. અને ભગવાન તો એક જ વરદાન આપે. એટલે બુઢ્ઢાએ માંગ્યું, ‘મારા પૌત્રને ચાંદીની કૂંડીમાં નહાતો જોઉં.’ અને આમ એને આંખ, આવરદા અને અઢળક ધન મળ્યાં.

આપણા દેશમાં પણ એવો બુઢ્ઢો થઈ ગયો. તેણે પણ આવું જ યુક્તિવાળું વરદાન માગ્યું હતું. પોરબંદર અને રાજકોટના દીવાનનો દીકરો હતો, ભણીને બૅરિસ્ટર થયેલો, કમાતોધમાતો બાળબચ્ચાંવાળો સંસારી માણસ હતો. પણ તેણે શું માગ્યું ? એણે વરદાન માગ્યું, ‘હે ઈશ્વર ! દિલ્હીના સિંહાસન પર હું એક ભંગીની છોકરીને બેઠેલી જોવા ઇચ્છું છું.’ અને આમ એણે ભંગી, સ્ત્રી અને ગરીબ ત્રણેનો એક સામટો ઉદ્ધાર ઇચ્છ્યો.’

જાતને પૂછીએ : આપણે છેવાડાના આવા આવા માણસોને કેન્દ્રમાં રાખતા થયા કે હાંસિયામાં ધકેલતા રહ્યા ?

પાનબીડું :

‘એક વાત ખરી. આપણા જીવતરમાં આપણે બધા પરિપૂર્ણ ન થઈ શકીએ. પૂર્ણતાની પ્રાપ્તિ ઝટવારમાં ન થઈ જાય એ સમજી શકાય તેવી વાત છે. એટલે આજે એક અંગ અપનાવી, કાલે બીજું અંગ, પરમ દિવસે ત્રીજું એમ એક પછી એક − અંગ અપનાવીને આપણે સમગ્રને અપનાવી શકીએ છીએ. એક-એક પગલું ભરીને જ આપણે પૂર્ણતાના શિખરે પહોંચી શકીએ. માનવજીવનની સુધારણા એ જ માર્ગે શક્ય છે. એ જ રીતે બાપુની જીવનદૃષ્ટિને આપણે સમજીએ અને આચારમાં ઉતારીએ તો આપણું કામ થઈ જાય, દેશનું કામ થઈ જાય અને બાપુનું બલિદાન પણ સાર્થક થઈ જાય.’

− નાનાભાઈ ભટ્ટ

(સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક 37, જાન્યુઆરી 2015)

Loading

30 January 2015 admin
← My Brother Mohan
ઓબામા આવ્યા અને ગયા →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved