Opinion Magazine
Number of visits: 9448994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લે કે રહેંગે મહાગુજરાત!’

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

વિકાસથી વંચિત અને ‘વિકાસ’થી થતા વંચિતની વહાર કરી જાણે તે ગુજરાત સાચું

આઠમી ઓગસ્ટે, મહાગુજરાત આંદોલનના આરંભ દિને મનમાં શું ચાલે છે, કહું? ‘લે કે રહેંગે મહાગુજરાત’ના કર્ણભેદી પોકારો સંભળાય છે, અને જેમણે શહાદત વહોરી (ખરું જોતાં જે નિર્દોષ નવલોહિયા કુટાઈ ગયા) એમનાં પરિવારો અને પ્રિયજનોના હૃદયવેધી ચિત્કારો પણ સંભળાય છે. આ આખા ઘટનાક્રમમાંથી કૈં નહીં તોપણ બે’ક વાતો તો તરત સામે આવે છે: સમાજમાં જયારે સંવાદસંપર્ક છૂટે છે- લોકશાહીમાં, ખાસ તો, શાસનકર્તાઓ અને લોકો વરચે વાતચીતનો દોર તૂટે છે ત્યારે ગરબડની ઘટમાળ શરૂ થાય છે. બીજું, જયારે જયારે વ્યાપક હેતુ સાથે જોડાયેલ લોકસંઘર્ષની ધારા મંદપ્રાણ અને ક્ષીણદુર્બળ બને છે ત્યારે ત્યારે સાંકડાં હિતોની ક્ષુદ્ર ને ટૂંકનજરી મારામારી અને સત્તામારી એકદમ જ કેન્દ્રમાં આવી જાય છે.

ગુજરાતમાં ૧૯૫૬માં તમે જુઓ કે શાસનકર્તાઓ અને જનતા વરચેનો સંવાદ તૂટયો અને સવાલજવાબખુલાસાનું સ્થાન સરનામાં વગરની ગોળીએ લીધું ત્યારે એક નવું જનઆંદોલન ઊભર્યું. જનતા કરફયુ જેવો એનો અભિનવ પ્રયોગ તો પણે હંગેરીમાં સોવિયેત સામ્રાજયશાહી સામે પણ શબ્દશ: ઝિલાયો. આ જ ગુજરાત, પછી આ આંદોલનના લાભાર્થીઓ હોય કે બીજાઓ, જયારે મહદ્ હેતુથી છૂટું પડયું ત્યારે સ્વતંત્રતા અને સમતાની રાષ્ટ્રીય લડાઈ ભુલાઈ ગઈ. એનું સ્થાન અનામતવિરોધી ઉત્પાતે લીધું.

એ જ ક્રમ તમને તરતના દાયકાઓના કોમી ઉત્પાતમાં પણ જોવા મળશે. રાષ્ટ્રવાદને નામે કોમી ઉત્પાતના જે લાભાર્થીઓ આવ્યા એમને કોઈ સ્થાપક (સ્થાનિક એટલું જ વ્યાપક) વિચારસંધાન તો હતું નહીં એટલે એમની રાજનીતિ એવી બની રહી જે હજુ થોડા મહિના પર ચલણી બનેલા એક લોકઉદ્ગારમાં આબાદ ઝિલાઈ હતી કે ‘દિવસે રામ, રાતે આસારામ.’
જો કાયદો અને વ્યવસ્થાને વરેલી સીધીસાદી રાજવટનું ટાંચું પડયું છે તો સમાજને સ્તરે નાગરિક સમાજની ખિલવણી વાસ્તે પણ કેમ જાણે  સ્વરાજને સારુ લડનારી, મહાગુજરાત લાવનારી અને કટોકટીરાજને પડકારનારી આ પ્રજાનાં પરિબળોનોયે પનો કંઈક ટૂંકો ન પડતો હોય. હમણાં દિવસરાતની જે જનવિરોધી જુગલબંદીની જિકર કરી એને હસ્તક (અને આપણી સામાજિક બિનપુખ્તતાગત) જે વ્યાપક નિશાનો ચુકાતાં ચાલ્યાં છે એનું જ એક વરવું ઉદાહરણ આ દિવસોમાં મહાનગર અમદાવાદે જે પટેલ-રબારી ઉત્પાત જોયો તે પણ છે. ચાની કિટલીએ કામ કરતા એક છોકરાને પૂછયું કે આ શું થયું છે તો એનો જવાબ હતો કે જુહાપુરા જેવું થયું છે. અહીં કોઈ હકીકતી પિષ્ટપેષણ કે પ્રદીર્ઘ પોસ્ટમોટર્મમાં ગયા વગર એટલું જ કહેવું બસ થશે કે આમજનતાના વાસ્તવિક પ્રશ્નો સાથે સીધા સંધાન વગરની અને એ માટે વ્યાપક સંઘર્ષ વગરની રાજનીતિમાં જે થાય તે થઈ રહ્યું છે.

મહાગુજરાતની વાત આખરે તો ભારતીય સંઘરાજય અંતર્ગત એક અલગ એકમ માટેની હતી. છેલ્લાં વરસોમાં જોવા મળ્યું તેમ ભારતની બંધારણીય આણ અને આમન્યાની બહાર જાણે કે ગુજરાત નામનો કોઈ આગવો મુલક હોય અગર તો કયારેક ગુજરાત અમેરિકાનું એક ઓર રાજય બનવા ઇચ્છતું હોય એવો કોઈ મિજાજ મહાગુજરાત આંદોલનનો નહોતો. જે ભાંજઘડ હતી, છે અને રહેશે તે તો એ કે પ્રજાની ભાષા અને પ્રજારાજ માટેની આ લડત કયારે વસુંધરાનાં વહાલાં દવલાં સહિત સહુનું હિત સાધવાની હદે છેક લગી ઝમશે.

ખરું જોતાં, ઓગસ્ટ ક્રાંતિ દિવસના પૂર્વકલાકોમાં આ સિવાય બીજું વિચારવાનુંયે શું હોય? સૌરાષ્ટ્ર અને કરછ સહિતનું જે ગુજરાત ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું એ વાસ્તવમાં નાગરિક સમાજ ભણીની સ્વરાજ સંક્રાન્તિનો જ એક મણકો હતું અને છે. રિયાસતી સૌરાષ્ટ્રે લોકશાહી રાજવટની જોડાજોડ સાધેલી મોટી વાત ગિરાસદારીનાબૂદી સાથે ભૂમિ ક્રાંતિ ભણીની હતી. ઢેબરભાઈ અને સાથીઓએ તે સાથે પાડેલી પ્રણાલિકા લોકોની વરચે લોકોની સરકારની હતી. મુંબઈ ઇલાકામાંનું ગુજરાત, મસ મોટા એકમમાં ખોવાઈ જવાની ધાસ્તી છતાં, ગણોતધારા જેવો પ્રગતિશીલ કાયદો કરી શકયું હતું, પણ ભૂમિ-સુધારનો એ શરૂઆતી તબક્કો કયાં છે આજે? આગળ જવાનું બાજુએ રહ્યું: સીમાન્ત ખેડૂતો અને ખેતમજૂરો જમીનમાલિક બની શકે એ મોકળાશ તો ગઈ, આજે ગોચર અગોચર અને જમીન બધી રાજે વેચવા કાઢી હોય એવો વિલક્ષણ ઘાટ છે. કરછની કેટલી ગોચર જમીન સિમેન્ટથી માંડીને ઝેરી રસાયણના નિર્માણ માટે અપાઈ રહ્યાના હેવાલો છે. હોમાય વ્યારાવાલા જેની રાહ જોતાં રહી ગયાં છે એ નેનો તો એમને મળતાં મળશે, પણ હમણાં તો કૃષિયુનિવર્સિટીની ઉત્તમ જમીન એને ખતવાઈ ગઈ છે. ચોક્કસ જ, આપણે મહુવાના ધારાસભ્ય કલસરિયા સાથે ‘વંદેમાતરમ્’ના બડકમદારોને પૂછવું રહે કે અમારી આ સુખદા અને વરદા એટલી જ સુજલા ને સુફલા ધરતીથી એનાં બાળને આમ છૂટાં કેમ પડાઈ રહ્યાં છે.

હમણાં, કયારેક ગુજરાતને યુએસએનું એક રાજય બનાવવાનો સોલો કોઈ કોઈ વર્તુળોમાં ઊપડયાની ટકોર કરી, પણ એ તો જૂની વાત થઈ: હાલ તો ‘સેઝ’ની મોસમ છલકે છે, અને એકોએક સેઝ અત્યારના નિયમોમાં બેછૂટપણે અપાતી ખાસ છૂટને કારણે દેશ બહારની ઘટના બની રહેલ છે. અમેરિકા તો દૂર થયું, પણ અહીં તો ‘પાદર થયા પરદેશ’નો ઘાટ છે.
અને જમીન છૂટતાં, ખેતી તૂટતાં તેમ ઢોર વાસ્તે ગોચર ન રહેતાં સ્થળાંતરિતોની સમસ્યા! વિકાસથી વંચિત રહેલા વિશે તો આપણે લખતાબોલતાલઢતા રહ્યાં છીએ. પણ હવે નવેસર વકરી રહેલી સમસ્યા તો જેઓ વિકાસને કારણે વંચિત બને છે અને સમૃદ્ધિને કારણે સીમાન્ત બને છે એમની છે. સ્વર્ણિમ ગુજરાત કને છે આ સવાલનો કોઈ કૃષિ-ઔધોગિક સંતુલનસરનો જવાબ?

પરિવર્તનનો મહિનો લેખાતો ઓગસ્ટ, ખરું જોતાં સ્વરાજની બાકી લડાઈનો એજન્ડા લઈને આવે છે. ‘લે કે રહેંગે મહાગુજરાત’ના કર્ણભેદી પોકારો અને શહીદ પરિવારોના હૃદયવેધી ચિત્કારો સાથે તત્રલુપ્તા સરસ્વતી શો પણ સાંભળતે છતે નહીં સંભળાતો આ અવાજ, કાશ કયાંક પહોંચે  અને સંવાદી સંઘર્ષનો સૂરજ કદાચ ઊગે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved