Opinion Magazine
Number of visits: 9547386
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રેત સમાધિ’ અને અનુવાદની રમતો

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|14 October 2022

અનુવાદ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ હવે જૂની થઈ છે : અનુવાદિત કૃતિ (translated text) મૂળ કૃતિ(source text)ને ‘વફાદારીપૂર્વક’ વળગી રહે છે કે કેમ એ બિલોરીકાચ લઈને નજર રાખતા લોકોનો ઉદ્યમ કંટાળો ઉપજાવે છે. અનુવાદિત કૃતિએ શું ગુમાવ્યું છે એ વાત બહુ ચાલી, અનુવાદિત કૃતિ શું મેળવી આપે છે એની વાત હવે થવી જોઈએ. મુખ્ય પ્રશ્ન છે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચે એક પ્રકારનો અધિક્રમિક (hierarchical) સંબંધ ઊભો કરવાનો—મૂળ કૃતિ ઊંચી ને અનુવાદિત કૃતિ નીચી, મૂળનો લેખક ક્રિયેટીવ અને અનુવાદક માત્ર લહિયો. આ માન્યતાઓથી દૂર થઈશું તો અનુવાદ વિશે થોડી સંકુલતાથી વિચારવાનું શરૂ કરી શકાશે.

ગીતાંજલી શ્રી લિખિત, બુકર પ્રાઈઝ વિજેતા કૃતિ ‘રેત સમાધિ’ના બંને વર્ઝન્સ હમણાં એકસાથે વાંચી રહ્યો છું – મૂળ હિન્દી, તેમ જ ડેઈઝી રોકવેલ દ્વારા થયેલો અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’. અને બંને સાથે રાખીને જોતા અનુવાદની પ્રક્રિયા થોડીઘણી સમજાય છે. એવું સમજાય છે કે મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિ વચ્ચેનો સંબંધ માલિક-સેવકનો નહિ, પણ પ્રેમમાં રહેલા એક યુગલ જેવો છે. પશ્ચિમમાં એક નૃત્ય પ્રકાર છે – Waltz. જેમાં યુગલ એકસાથે નાચે છે, એક વ્યક્તિ ડગલું આગળ લે, તો બીજી વ્યક્તિ પાછળ લે. શરીરો તાલબદ્ધ રીતે એકબીજાને સપોર્ટ કરતા રહે, અને વળી પોતપોતાની મસ્તીમાં ય લહેરાતા રહે. એ નૃત્યમાં એક રમતિયાળપણું રહેલું છે. ‘રેત સમાધિ’ અને તેનો અંગ્રેજી અનુવાદ પણ જાણે એક Waltz છે. મૂળ નવલકથા વિશે અનુવાદક ડેઈઝી રોકવેલ કહે છે કે ‘રેત સમાધિ’ એવી રમતિયાળ નવલકથા છે, જ્યાં અલગ અલગ કથાઓના તાર કોઈએ ગૂંથી આપ્યા હોય. એનું માળખું ય નવીન છે, પણ મુખ્ય રમત છે તેની ભાષામાં. આખાને આખા પ્રકરણ જાણે શબ્દરમત હોય એવું લાગે, શબ્દો એકબીજાને ચીપકતા, અથડાતા, પડઘાતા લાગે. એ ચીપકવું, અથડાવું, પડઘાવું જ નવા દરવાજા ખોલી આપે, નવા અર્થો પ્રગટાવી આપે, નવા સંવેદનો ધ્વનિત કરે. ડેઈઝી રોકવેલ માટે આ શબ્દધ્વનિ જ નવલકથાનો મુખ્ય આત્મા છે, અને અનુવાદમાં એ ધ્વનિ પ્રગટાવવો એ જ તેમનો મુખ્ય હેતુ પણ છે. શબ્દનો અનુવાદ થઈ શકે, પણ ધ્વનિનો અનુવાદ કેમ કરવો? માત્ર શબ્દધ્વનિનો નહિ, પણ ધ્વનિત થતા અર્થનો પણ. અનુવાદક માટે આ એક ચેલેન્જ છે, અને એટલે જ કદાચ અનુવાદકને મજા પણ પડતી હોય છે.

‘રેત-સમાધિ’ના અનુવાદક આ ધ્વનિને અંગ્રેજીમાં ઉતારવા માટે કઈ કઈ ટેકનીક વાપરે છે? શબ્દધ્વનિ અને અર્થ વચ્ચેની ખેંચ-તાણમાં કોને પ્રાધાન્ય આપે છે? ધ્યાનથી, ઊંડાણપૂર્વક સમજી શકાય એટલા માટે મેં એક નાનકડો અંશ પસંદ કર્યો છે, મૂળ હિન્દીમાં પૃષ્ઠ ૨૩૨-૨૩૩ (રાજકમલ પ્રકાશન, છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૨) અને અંગ્રેજીમાં પૃષ્ઠ ૪૭૧-૪૭૩ (પેંગ્વિન બુક્સ, ૨૦૨૨).

ડેઈઝી રોકવેલ મુખ્યત્વે ત્રણ ટેકનીક્સનો ઉપયોગ કરે છે : ૧) સરવાળો  ૨) બાદબાકી ૩) બદલાવ.

‘સરવાળો’ એને કહીશું જ્યારે મૂળ કૃતિના ધ્વનિને ખોલવા માટે અનુવાદક અનુવાદમાં નવા શબ્દો જોડે. જેમ કે, હિન્દીમાં “ચીટી નિકલ ગયી, સીમાપાર, ખૈબર પાસ પાસ કરકે, એક ઔર જગ મેં. પાસ સે પાસ”- આ પંક્તિનો અનુવાદ રોકવેલ આ રીતે કરે છે – “The ant crosses over to the other side […] passes the Khyber pass […] Past the pass. Close to the Close.” અનુવાદમાં ‘Close to the close’ વાક્યનું ઉમેરણ તે અનુવાદકનું ઉમેરણ છે. મુખ્ય કૃતિમાં એ નથી. અને છતાં, એ અહીં ખૂંચતું નથી કારણ કે આખો ફકરો શબ્દોના પુનરાવર્તન (repetition) પર નભે છે. એકનો એક શબ્દ ફરી-ફરી સામે આવે છે અને નવા અર્થો ખોલે છે. ત્યારે ‘close to the close’ પણ એ ચાલી રહેલી પેટર્નમાં ઉમેરણ કરે છે. વળી, માત્ર પુનરાવર્તિત શબ્દોનો ધ્વનિ ન બની રહેતા એ આખી કથામાં વ્યંજિત થતા અર્થમાં પણ ઉમેરણ કરે છે. અંગ્રેજીમાં ‘Close’ શબ્દના ત્રણ જાણીતા અર્થો છે—એક છે ‘બંધ’, બીજો છે ‘અંત’ અને ત્રીજો છે ‘નિકટ’. અહીં, અંગ્રેજીમાં ઉમેરેલું વાક્ય આ ત્રણે અર્થોની ત્રુગલબંધી (!!) થકી મુખ્ય કથાનકને આગળ ધપાવે છે, અને નાયિકા કેવી રીતે પોતાની મંઝીલની નજીક છે એ પણ દર્શાવે છે. આમ, સરવાળા થકી અનુવાદ મુખ્ય કૃતિમાં વૃદ્ધિ કરે છે. 

બાદબાકીના દાખલા પણ અહીં હાજર છે. જે મુખ્ય કૃતિમાં હોય પણ અનુવાદમાં સદંતર ગેરહાજર હોય એ પ્રક્રિયાને ‘બાદબાકી’ કહીશું. મૂળ હિન્દીમાં એક વાક્ય છે – “તભી અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ”. પણ આ વાક્ય અંગ્રેજી અનુવાદમાં ગેરહાજર છે. કેમ? એક દેખીતું કારણ છે વિરોધાભાસ. આંધળાની આંખો દૂર સુધી જોઈ શકે એ વિરોધાભાસ ટાળવા કદાચ અનુવાદકે એ વાક્ય ન રાખ્યું હોય. પણ રોકવેલ એટલા સરળ નથી. નવલકથામાં ઠેકઠેકાણે વિરોધાભાસી વાક્યો આવે છે પણ રોકવેલ દરેક વખતે એવું નથી કરતા. અહીં કરે છે એનું કારણ છે પુનરાવર્તન ટાળવા. આ પહેલા આપેલા દાખલામાં શબ્દોના પુનરાવર્તનમાં ઉમેરણ થકી નવા અર્થો ખોલવાની મથામણ હતી, પણ અહીં અર્થનું પુનરાવર્તન ટાળવાની મથામણ છે. આ વાક્યથી હિન્દીમાં નવા ફકરાની શરૂઆત થાય છે. આગળના ફકરાની અંતિમ પંક્તિ, અને આ વાક્ય પછીની પંક્તિ જોઈશું તો સમજાશે કે એ બંને પંક્તિઓ કશુંક છુપાવવા વિશે છે, અને એ છુપાયેલું ક્યાં હશે એના વિશે છે. ટૂંકમાં, એક જ મૂડ ને આ પંક્તિઓ ઘૂંટે છે. એવામાં આ બંને પંક્તિ વચ્ચે “અંધે કી આંખ દૂર દેખતી રહ જાતી હૈ” વાક્ય મૂકવામાં આવ્યું છે, જે આ મૂડને તોડે છે. આનાથી એવું સમજાય છે કે મૂડનું સાતત્ય જાળવવા રોકવેલ બાદબાકીનો સહારો લે છે.

ત્રીજી ટેકનીક છે બદલાવની. આમાં અનુવાદક મૂળ કૃતિનો અનુવાદ તો કરે છે, પણ એનો અર્થ બદલી નાખે છે. કહો કે વિસ્તારે છે. દાખલા તરીકે હિન્દીમાં વાક્ય છે – “બાતે ઉલજ કર આતી હૈ જૈસે સંવાદ”. આનો અનુવાદ અંગ્રેજીમાં આ રીતે થયેલો છે – “Lines get crossed like conversations”. અહીં ‘બાતે’નું સાદું અંગ્રેજી ‘Talk’ અથવા ‘dialogue’ કરી શકાયું હોત. પણ રોકવેલ ‘lines’ પસંદ કરે છે, ત્યારે અર્થ એ છે કે કોઈ એક્ટર જાણે પોતાની લાઈન બોલતો હોય. એ રીતે અનુવાદ મૂળની નજીક જ છે કારણ કે બોલાયેલા શબ્દની જ વાત થઈ રહી છે, પણ છતાં ‘lines’નો ગર્ભિત અર્થ અહીં મૂળ કૃતિના અર્થને વિસ્તારે છે. ‘Lines’નો અર્થ સીમા કે રેખા પણ છે, અને આખી નવલકથા સીમાઓ ઓળંગવાની વાત કરે છે. વળી, ‘crossed’ શબ્દનો ઉપયોગ પણ અર્થ-વિસ્તારમાં મદદ કરે છે. ‘crossed’ના બંને અર્થો છે – ગૂંચવાઈ જવું (જે હિન્દીના મૂળ ‘ઉલજના’ શબ્દનો અનુવાદ છે) અને ઓળંગવું. ૧૯૪૭ના ભાગલાને મુખ્ય ઘટના બનાવી નવલકથા અલગ અલગ પ્રકારના સીમાડાઓ ઓળંગે છે; તેના વસ્તુ અને સ્વરૂપ બંનેમાં સીમાઓ ઓળંગવાની વાત ફલિત થાય છે. એટલે જ ‘lines get crossed’ ખૂબ જ સમજી વિચારીને થયેલો અનુવાદ છે. આમ, મુખ્ય કૃતિની નજીક રહીને પણ સીધો શબ્દાનુવાદ ન કરતા રોકવેલ અહીં અર્થમાં ઊંડે ઉતરે છે.

આ ત્રણે દાખલાથી દેખીતું છે કે અનુવાદ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે, અને લગભગ દરેક વાક્ય અનુવાદક સામે નવા રસ્તા ખોલતું હોય છે. અનેક ખુલ્લા રસ્તાઓમાંથી અનુવાદક કયો રસ્તો પસંદ કરે છે એ અનુવાદકની આવડત, કળા, વિચારધારા અને વૈયક્તિક પસંદગી – આ બધાનો મામલો છે. અનુવાદને સર્જનથી ઉતરતું ન ગણીએ તો આ પ્રકારની ઊંડાણપૂર્વકની પ્રક્રિયામાં જવાનું પણ આપણા માટે સરળ બને. એનાથી આપણી સાહિત્યિક આબોહવાને ફાયદો થશે જ એમાં કોઈ શંકા નથી.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 October 2022 Vipool Kalyani
← માનસિકતા સામે સવાલ
દીકરી* ∆ ગીતાંજલિ શ્રી →

Search by

Opinion

  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved