ભારે ઝડપથી દોડી રહેલા એક મુસાફરે રસ્તાની બાજુ પરના ઝાડ નીચે બેઠેલા માણસને પૂછ્યું: ભાઈ ! હું દિલ્હી ક્યારે પહોંચીશ? ક્યારે ય નહીં ! એને જવાબ મળ્યો.
હેં ! આટલી બધી ઝડપે દોડી રહ્યો છું, છતાં ? મુસાફરે પ્રશ્ન કર્યો. – હા ! ગમ્મે તેટલી ઝડપ હોવા છતાંયે ! કારણ કે તમે જે દિશામાં દોડી રહ્યા છો, તે દિશા તો મુંબઈ બાજુની છે. જેટલી ઝડપથી દોડશો, એટલા દિલ્હીથી વધારે દૂર થતા જશો.
તો દિલ્હી પહોંચવું શી રીતે ? મુસાફરને વાત સમજાતી નહોતી.
તમે અત્યારે જે દિશામાં દોડી રહ્યા છો, ત્યાંથી અટકી જઈ, એનાથી ઊલટી ઊંધી દિશામાં; દોડશો નહીં – માત્ર ઉતાવળી હાલ્યે હાલવા માંડશો તો પણ દિલ્હી પહોંચી જશો, કારણ કે એ દિશા દિલ્હીની છે.
મિત્રો ! દોડવાની ઝડપ માત્રથી મંઝિલે પહોંચાતું નથી. દિશાનો સાચો ખ્યાલ હોવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વાર આપણી દોડ ખોટી નહીં, દિશા ખોટી હોય છે.
અન્ય વિષયોની જેમ કૃષિમાં પણ વિજ્ઞાન સૂર્યકિરણ જેવી વેગીલી ઝડપે આગળ વધી રહ્યું છે. હા, એક જમાનો હતો કે જ્યારે ખેડૂતને મન એનું ‘ખેતર’ એ જ એની દુનિયા હતી. મારી જ વાત કરું તો પડામાં દૂર પાણી વાળતો હોઉં અને કૂવા પર ચાલતા ઓઇલ એંજિનનો પટ્ટો તૂટી જાય, ને મશીન ઉતાવળી ઝડપે ભાગવા માંડે ત્યારે, તેમાં નુકશાન ન થઈ બેસે માટે, જલદી જલદી બંધ કરવા કેટલીયે વાર હડી કાઢીને દોડવું પડતું. જ્યારે આજે ? આજે પોતાના ખિસ્સા માંહ્યલા મોબાઇલથી ઘેર બેઠા બેઠા વાડીની સબમર્શીબલ ચાલુ-બંધ કરી શકાય છે, મિત્રો !
ખેતીના આધુનિક વિજ્ઞાને નવાં સંશોધનો, નવાં બિયારણો, નવી ટેક્નોલોજી, નવાં સાધનો અને ચીજ-વસ્તુઓ વગેરે ખૂબ તરતાં મૂક્યાં છે. એ બધાંનો વિવેકસભર ઉપયોગ થાય તો બદલો મળે ઉત્તમ ! પણ એનો અવળી દિશાનો એટલે કે ગેરઉપયોગ થાય તો ?
આપણને કૃષિના વિજ્ઞાને જણાવ્યું જ છે કે નવાં બિયારણો પાસેથી વધુ ઉત્પાદન લેવું હોય તો તેને ખાવા-પીવા વધુ આપવું પડશે, અને એનું સંરક્ષણ પણ ખેડૂતોએ જ કરવું પડશે આપણે એ આદેશને માથે ચડાવી, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરીએ, તો એ કંઈ ગેરવાજબી પ્રયત્નો નથી. પ્રયત્નો સાચા જ હોવા છતાં – તમે વિચારજો ! મંઝિલે પહોંચવાના રસ્તાની પસંદગી તો આપણા જ હાથમાં છે. કોઈ થોડો લાંબો, ધીરજ રાખી, જોઈ જોઈ ડગ માંડીએ તો વિના વિઘ્ને, સલામત રીતે મંઝિલે ચોક્કસ પહોંચાડવાની ખાતરી આપનારો હોય છે. તો કોઈ હોય, ટૂંકો અને વિઘ્નોથી ભરેલો, રસ્તામાં ક્યાં આંટવી દે તેનીયે ખબર નહીં તેવો, અને નક્કી નહીં કે તે મંઝિલે પહોંચાડશે કે નહીં તેવી ખાતરી વગરનો ! રસ્તો ક્યો પસંદ કરવો તે મુસાફરની મનસૂફી, બુદ્ધિ વિચારશક્તિ અને માનસિકતા પર આધારિત હોય છે.
‘પાક સંરક્ષણ’ મુદ્દો મહત્ત્વનો છે. પાકસંરક્ષણનાં પગલાં ખેડૂતે લેવાં જ પડે, એ વાત સાચી. પણ ઝેરીલી દવાઓના છંટકાવ પાછળ ગાંડા થઈને લાગી પડવું, એ સદંતર અવળો રસ્તો છે.
અમારા કૃષિ મંડળની મિટિંગમાં સીતાપરના ખેડૂતે વાત કરી કે અમારા ગામમાં એક ભાઈની ૯૧,૦૦૦ રૂપિયામાં લીધેલી ભેંશ માત્ર વાડીની નીરણ ખાવાને કારણે મરી ગઈ. અને પંદર દિવસ પછી ઉત્તમ એવી દૂઝણી ગાય પણ એ જ કારણે મરી ગઈ. અમે એ ખેડૂતને કહેતા હતા કે ભાઈ ! આટલી બધી દવા નો છંટાય! પણ માને ઈ બીજા ! એની વાડીમાં પાક ગમે તે હોય, પાકને સંરક્ષણની જરૂર હોય કે ન હોય, દવા તો બસ, જાણે એગ્રોની દુકાન એના ઘરની હોય એમ, દવા બાબતે એકેય પાક બાકી નહીં ! પછી તે કપાસ હોય કે કારેલી, અરે ! જુવાર, મકાઈ, ઘઉં, ટમેટી, રીંગણી, મરચી, શક્કરિયાં સુધ્ધાંમાં એને દવા છાંટતાં અમે ભાળ્યો છે. એ ભેંશ અને ગાય મરવા પડ્યાં ત્યારે બન્ને વખતે ડોક્ટરને બોલાવેલા. ડોક્ટરે પણ એવું જ નિદાન કરેલું કે ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આવી ગયો છે. અમને તો પાક્કું જ હતું કે રજકામાં જે દવા ધાબડ્યે રાખે છે, તેનું જ આ પરિણામ છે. અરે, હીરજીભાઈ ! એ ખેડૂતના પંડ્યનું, એની ઘરવાળીનું, એનાં છોકરાંઓનું, એનાં ઢાંઢાનું, એના કૂતરાનું કે એની જમીનનું, એની વાડીમાં પાકેલ કોઈપણ પેદાશની-કોઈપણની લેબોરેટ્રી-તપાસ કરાવશો તો દરેકમાં ઝેરની બહુબધી ટકાવારી ન દેખાય તો તમે કહો ઈ હું હારી જાઉં, બોલો ! આ ઉત્પાદનલક્ષી દોટને આપણે કઈ દિશાની ગણશું, તમે જ કહો !
આમાં જેમ ગાય-ભેંશનાં અકાળે મૃત્યુ થયાં તેમ જ અન્યોની તો વાત કોરાણે રહી, પણ પહેલાં ખેડૂત કુટુંબનો સ્વયંનો જ ખો નીકળી જવાનો ! આ રસ્તો મૉતની મંઝિલનો છે. પાછું વાળી જોઈ, આગળ વધતાં અટકી, સાચી દિશા પકડવી છે કે મૉતના માર્ગે જ હડી કાઢતાં રહેવું છે ?
અમારા જૂના ગામ ચોસલામાં હિંમતભાઈ મારા મિત્ર છે. હમણાં એક દિ’ ઓચિંતાના ભેળા થઈ જતાં મેં પૂછ્યું : આગોતરો કપાસ કેટલો ઉગાડ્યો ? તો કહે ઈ ધંધો હવે કર્યા જેવો નથી. મેં પૂછ્યું કેમ કેમ ! દારમાં પાણી તો ઘણું છે ને ? તો પછી કેમ આવી વાત કરે છે ? તે કહે – ત્રણેક વરહ ઈ પાણી બહુ પાયું. પણ હવે નીમ લીધું છે કે ના છૂટકે જ એનો ઉપયોગ કરવો …. પણ એનું કારણ શું ? મેં પૂછપરછ ચાલુ રાખી.
તો કહે : ઈ દારનું પાણી હવે પાવાથી કપાસ-જુવાર બધું ઊગી તો જાય છે, પણ પછી મોલાત સાવ હોણ્ય વગરની – ઠોઠડી થઈને પડી રહે છે. ગમે તેટલાં પાણી પાઈએ પણ વધવાને બદલે ઊલટાનો ભોંયમાં ગરતો જાય છે.
એની વાત સાચી હતી. દારનું પાણી નબળું હોવાથી બે-ત્રણ વરસ ઠીક ચાલેલું. પણ ચોથા વરસે સરવાળે એનું પોત પ્રકાશ્યું. તમે જ વિચારો, જે પાણી આપણે ન પી શકીએ, ઢોરાં ન પીવે, તે પાણી કંઈ જમીન ઉપર રેલાવીને મોલને પવાય ? એ બોલીને નહીં, કરમાઈ જઈને જવાબ આપે છે. વધારે ઉત્પાદન મેળવવા પાકને પિયત દેવાની ના નથી, પણ જમીન અંદરના સૂક્ષ્મજીવોને, જમીનના બંધારણને, જમીનના ગુણધર્મોને, ઉત્પાદકતાને અને ફળદ્રૂપતાને નષ્ટ કરી મેલે તેવા પ્રવાહી તો ન જ પવાય ને ?
સાચી દિશા પકડી છે મારા મિત્ર અને કૃષિ વિકાસ મંડળના ખેડૂત મહેંદ્રભાઈ ગોટીએ. જેના કૂવામાં ઉનાળો હોય એટલે પાણી હોય છે માત્ર ૧૦ મિનિટ મોટર હાલે એટલું જ, પણ હોય છે મીઠાં ટોપરાં જેવું. એણે કૃષિના નવા વિજ્ઞાનની ભેર લઈ, દસે વિઘાની વાડીમાં ટપક પદ્ધતિ ગોઠવી દીધી છે. અને કપાસ, શાકભાજી અને લીલા ચારાના પાકો પકાવી પૂરતું અને સંતોષકારક ઉત્પાદન લઈ રહ્યા છે.
આપણી વાડીના પાકો પાસેથી ધાર્યું ઉત્પાદન લેવા પોષણ પૂરું પાડવું જ પડે. પણ એ ખોરાકી તત્ત્વો રાસાયણિક ખાતરો મારફતે આપવાં તે ઝેરનાં પારખાં છે. તેના અન્ય વિકલ્પો છે જ. રાસાયાણિક ખાતરોથી છોડવાને પોષકતત્ત્વો જરૂરથી મળે છે, પણ એ બધાં રાસાયાણિક ખાતરો જમીન પર એની કેટલી અને કેવી આડ અસર મૂકી જાય છે તેનો અભ્યાસ કર્યો છે આપણે કોઈ ખેડૂતે ? જમીન એ યુજ એન્ડ થ્રો જેવું પાત્ર નથી કે એક વખત ઉપયોગ કરીને ફેંકી દઈએ. જમીન તો પેઢીઓ પર્યંત રળવાનું અક્ષયપાત્ર છે ! તે એવું ને એવું ચોખ્ખું અને ઉપજાઉ કાયમ ખાતે રહે તે જોવાની ફરજ આપણી ખેડૂતોની હોય કે ન હોય ? આપણા દીકરાના દીકરાને ‘હીયર ઇજ ધ ફાર્મ, બટ વ્હેર ઇજ ધ સોઇલ?’ એવો પ્રશ્ન કરવાનો મોકો ન આપવો હોય તો રાસાયાણિક ખાતરો વાપરવામાં વિવેક રાખતાં થવું જોઈશે. નિર્દોષ અને છોડને જરૂરી પોષણ પૂરું પાડી શકે તેવા – ખાતર તરીકે વાપરી શકાય તેવા પદાર્થો પ્રકૃતિએ પાર વિનાના ધર્યા છે આ પૃથ્વી પર. એનો અભ્યાસ અને એ માટેના ઘટતા પ્રયત્નો કરી, ઉત્પાદનની દોટ લગાવવી તે સાચી દિશાનો પ્રયત્ન ગણાય, મિત્રો !
પંચવટી બાગની બાજુમાંથી વહી રહેલી ‘કાળુભાર’ અને ‘સીતાપરી’ બન્ને નદીઓમાં વહે તો છે પાણી જ ! પણ પાણીએ પાણીએ સો-છનો ફેર છે ભાઈઓ ! સીતાપરીનું પાણી સારું અને મીઠું – પીવાલાયક, જ્યારે કાળુભારનું નબળું. અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સીતાપરીનું મથાળું છે ટૂંકું. અને કાંઠાનાં ગામડાંઓ પ્રમાણમાં છે મધ્યમ સ્થિતિવાળાં. એટલે જમીનમાં ઉમેરાતાં રાસાયાણિક ખાતરો અને ઝેરીલી દવાઓ વાપરવાનું પ્રમાણ રહે છે ઘણું ઓછું. એટલે એ બધી જમીનોમાંથી નિતરાણ થઈ આવતું પાણી બગડવામાંથી બચ્યું છે. જ્યારે કાળુભારનું મથાળું છે લાંબું, અને એના કાંઠે વસેલાં ગામડાંઓ છે વધુ ત્રેવડવાળાં. પરિણામે વધુ રાસાયાણિક ખાતર અને વધુ ઝેરીલી દવાઓના વપરાશના હિસાબે એ નદીનું પાણી વધુ બગડ્યું છે. કુદરતી સંપદા જેવી નદીઓના પ્રવાહ પણ બગાડી મૂકે એવી ખેડૂતોની આ દોટને કેવી ગણશું કહો !
ઘઉં સંશોધન કેંદ્ર લોકભારતી સણોસરાની મુલાકાતે ગયો હતો. વિવિધ લક્ષણો દેખાડતી વેરાયટીઓનો કોઈ પાર નહોતો ! એની ફૂટ્ય, પાનની છટા, એનો ઘેરો લીલો રંગ, ઊભવાની અદા અને માપસરની ઊંચાઈ – બધી રીતે જે વેરાયટી ગમી ગઈ, તેને દરેક રેપ્લીકેશનમાં જોઈ લેવાનો લોભ લાગ્યો. બીજી, ત્રીજી રેપ્લીકેશન પછીની ચોથી રેપ્લીકેશનમાં આ વેરાયટીનો પ્લોટ નબળો ભાળી મેં સંશોધન વિજ્ઞાની દેવદાસભાઈને પૂછ્યું કે આનું કારણ શું ? જમીન, માવજત બધું સરખું હોવા છતાં અહીં આવું કેમ ? તો કહે, હીરજીભાઈ ! આ જગ્યાએ ધરોનું ગૂંડું હતું, એને બાળવા અમે નિંદણનાશક દવાનો છંટકાવ કર્યો હતો.
આજ આપણે ખેડૂતો જીરુમાં, જુવારમાં, રજકામાં, અરે ! કપાસ સુધ્ધાંમાં મજૂરી બચાવવા પાક વાવતાં પહેલાં, કે વાવીને પછી, ખેડૂતો નિંદણનાશક દવાઓ છાંટવા માંડ્યા છીએ. જતે દા’ડે એ શું જમીનને નડ્યા વિના રહેવાની છે ?
અરે ! હવે તો રાઉંડઅપ રેડી બી.ટી.ની જાતો એવી આવી રહી છે કે કપાસ, મગફળી, મકાઈ, તુવેર, સોયાબીન વગેરેમાં છાંટીએ એટલે એ મુખ્યપાક સિવાયના કોઈ છોડ ઊગે જ નહીં ! અરે, ભલા ! આ અખતરો કરવા જેવો નથી. આ દોટ અવળી દિશાની છે. બિયારણ સંબંધેની સંપૂર્ણ પરતંત્રતા અને વનસ્પતિ જગતમાં વિવિધતાનો નાશ નોતરનારું આ અભિયાન આપણોયે નાશ નોતરીને જ રહેશે, ભાઈઓ
ગાય-ભેંશ જેવાં દૂઝણાંઓમાં સ્વેચ્છાએ પારહો ન વાળતાં જાનવરને પરાણે પારહો વળાવવા હોર્મોંસનાં ઇંજેકશનો આપે છે. ડૉક્ટરો તો આના ઉપયોગની ના કહે છે. પણ આપણે તો પરાણે દૂધ મેળવવાની લ્હાયમાં એનો ઉપયોગ કર્યા જ કરીએ છીએ. એ ઇંજેક્શન દીધા પછી જાનવરને શું થાય છે, એની ખબર છે ? એને પ્રસૂતિ વખતની વેદના જેવી વેદના ઊપડે છે, અને જાનવર માનસિક રીતે ઢીલું પડી જાય છે, અને આંચળનાં બંધ ઢીલાં થઈ જાય છે. ભગવાન જાણે એના શરીરમાં બીજી કેટલી ય આડ અસરો ઊભી થતી હશે, એની ચિંતા કરવાનું આપણે તો છોડી દીધું છે ખરું ને !
અલીબાબાની વાર્તા समसम खूल जा, समसम बंध हो जा ! જેમ ચાંપ દબાવતાં સઘળાં કામો યંત્રોથી થવા માંડ્યાં છે. એટલે શરીરશ્રમ પ્રત્યે સૂગ દાખલ થઈ. પહેલાં બે-ચાર બળદ અને ત્રણ-ચાર દૂઝણાં એ ખેડૂતના ઘરની શોભા ગણાતી. આજે ? ઘણાં ઘરોમાં તો બાંડી બકરી ય જોવા મળતી નથી. ખેતીપાક દ્વારા નીકળતી આડપેદાશ ખાઈ દૂધ, ગોબર-ગોમૂત્ર અને ધીંગા ધોરી રૂપી શક્તિ પશુઓ પૂરાં પાડતાં. જ્યારે યંત્રો ? એ થોડાં ‘છાણ’ કરવાનાં છે ? એ તો ડીઝલ ખાઈ ખર્ચ કરાવે, ધુમાડો ઓકે, પર્યાવરણ બગાડે અને એના ભારે વજનથી જમીન પર ટોર લગાડે. પણ આપણી દોડની દિશા જ બસ, આ બની ગઈ છે એનું કેમ કરવું ?
આપણી રોજિંદી ખોરાકી જરૂરિયાતોના બધા પાક વાડીમાં પકાવી લેતા. જેથી જમીનના કસ-ખેંચાણમાં સમતોલપણું જળવાતું. આજે આધુનિક ખેતીની નવી પેટંટે જેમાં રોકડ નાણાં રૂપે વધુ વળતર દેખાણું, એ એક જ પાક પાછળ પડી જવાનું શીખવ્યું. પાકની ફેરબદલી, મિશ્રપાક જેવી પદ્ધતિ આઉટ ઓફ ડેટ થવા લાગી.
અને પર્યાવરણનાં મોટાં રક્ષક એવાં વૃક્ષોને વાડીમાં વિવિધ રીતે વસાવવાને બદલે શેઢે ય બસ, ઝાડવું ભાળ્યું ? મૂકો કુહાડી ! બપોરે રોંઢો કરવા ક્યાં બેસશું એનો ય વિચાર નહીં કરવાનો ને !
જે ખેડૂત નવા વિજ્ઞાનની દોડમાં ભળશે નહીં તે પાછળ રહી જશે, એ વાતે ય સાચી હોવા છતાં આંખો મીંચી, ઊંધું ઘાલી, મૂઠીઓ વાળી હડી કાઢી દોડે છે, તેને લક્ષિત મંઝિલને બદલે આખરી મંઝિલવાળા જમ ભળાવા માંડે તો પછી કહેતા નહીં કે વાત તો કરવી હતી ! માટે હડી કાઢવાને બદલે માપસરની કહોને ‘રેવાળ’ ચાલ – પરંતુ સાચી દિશાની – ચાલશું તો થાક્યા વિના લાંબો પંથ ઉકેલી શકશું.
પંચવટી બાગ, માલપરા, જિ. બોટાદ, ગુજરાત – 364 730
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 10-11 તેમ જ 03