કપડાં વગર જીવતા બળેલા માણસો,
લોહી નહોતું રહ્યું શરીરમાં,
તો ય ભળકે બળતા, એ માણસો,
ચૂપચાપ જાણે બળવા માટે જ જન્મ્યા હોય!
તેમની રૂહે રૂહે સ્વસ્તિકના કોરડા
કાનમાં ધાર્મિક ઉન્માદોનો શોર 'જયશ્રીરામ’
કે પછી એ માઓનું લાલ સપનું!
આ બધામાં કોઈ ટ્રેનમાં, કોઈ ગોધરા ગામમાં,
કોઈ તિયાનમેન્ ચોકમાં, કોઈ ઓશવિઝની ચીમનીમાં
મર્યાં,
મરે છે,
મરતાં રહેશે.
કારણ તેઓ જર્મનીમાં ઉંદર હતા, રવાંડામાં કોક્રોચ
અને હવે ભારતવર્ષમાં ઊધઈ છે.
તેઓ માણસ નહોતા.
માણસ નથી.
અને માણસ નહિ રહે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 15