મનોવિજ્ઞાની ફ્રૉઇડે (1856-1939) મનુષ્યવ્યક્તિનાં ચેતન, અર્ધ-ચેતન અને અ-ચેતનની વિસ્તારથી નિરૂપણા કરેલી. અ-ચેતનમાં માણસ કેટલીયે સ્મૃતિઓ સંભરીને બેઠો હોય છે. તેનો પરચો તેને એકલાને જ મળતો હોય છે.
મનોવિજ્ઞાની કાર્લ યુન્ગે (1875-1961) મનુષ્યવ્યક્તિઓના અ-ચેતનની નિરૂપણા કરેલી – કલેક્ટિવ અન્કૉન્સ્યસ. એક સર્વસામાન્ય સ્વરૂપનું સામુદાયિક અ-ચેતન.
વૉલ્ટર બૅન્જામિને (1892-1940) ૧૯૩૬માં પ્રકાશિત એમના સુખ્યાત પુસ્તક “ધ વર્ક ઑફ આર્ટ ઇન ધી એજ ઑફ મિકેનિકલ રીપ્રોડક્શન”-માં દર્શાવ્યું કે આ યન્ત્રયુગમાં કલાનું કામ શું હોઈ શકે અને તેને કઇ રીતે મૂલવી શકાય. કલાકારોએ અને તેના સમીક્ષકોએ જોવું જોઈશે કે કલા કઇ ઐતિહાસિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. એમણે કલાના ક્રાન્તિ સરજી આપનારા સામર્થ્યની વાત કરી છે. દર્શાવ્યું છે કે રાજ્યે સરજેલી વાસ્તવિકતાઓ સામે કલા કેવી કેવી ક્રાન્તિકારી માગણીઓ – રીવૉલ્યુશનરી ડીમાન્ડ્સ – મૂકી શકે.
અમેરિકન સાહિત્યસમીક્ષક, કૅપિટાલિઝમ અને પોસ્ટમૉડર્નિઝમના સુખ્યાત વ્યાખ્યાકાર ફ્રૅડ્રિક જેમ્સને (1934- ) પોલિટિકલ અન્કોન્સ્યસનો – રાજપરક અચેતનનો – વિભાવ રજૂ કર્યો.
આ ચારેય વિદ્વાનોની વિચારધારાઓ સાહિત્યકારોને ટૂંકમાં એટલું જ સૂચવે છે કે કૃતિનાં સર્જન અને તેની સમીક્ષાને જ્યારે પણ સમાજ અને રાજસત્તા સાથે જોડો ત્યારે તેમાં વ્યક્તિ, સમાજ અને યન્ત્રયુગનાં પરિબળોએ જનમાવેલાં પરિવર્તનોને પણ ધ્યાનમાં લેજો.
હું આજે જેમ્સનની વધુ વાત કરું :
જેમ્સન પોસ્ટમૉડર્ન કલ્ચરમાં ‘ડેપ્થલેસનેસ’ જુએ છે. આજનું કલ્ચર એમને છીછરું લાગ્યું છે. પોસ્ટમૉડર્નિઝમમાં એમણે લેટ કૅપિટાલિઝમનું – ઔદ્યાગિક યુગ પછીના કૅપિટાલિઝમનું – કલ્ચરલ લૉજિક જોયું છે. મૂડીવાદે ઊભા કરેલા પૅંતરાઓથી, એણે રચેલી જુક્તિઓથી, મનુષ્યોની જીવન જીવવાની રીતભાત બદલાઈ ગઈ છે. ખાસ તો એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલા રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે.
એમણે આપેલો પોલિટિકલ અન્કોન્સ્યસ – રાજપરક અચેતનનો – વિભાવ છે શું? એ જ કે રાજસત્તા અને તેની આસપાસનાં તેમ જ અન્ય તમામ શાસકીય તન્ત્રોનાં સારાં-માઠાં પરિણામોને વિશેનું સામુદાયિક અ-ચેતન. બીજા શબ્દોમાં કહેવાય કે પ્રજામાનસમાં જડ ઘાલી ગયેલું રીઢું ઊંઘરેટિયાપણું.
એમણે એમ પણ જણાવ્યું છે કે કશી ને કશી રેડીમેડ બલકે આઉટડેટેડ આઇડિયોલૉજીનો આશ્રય કરીને સમાજ પોતાના વણઉકલ્યા સંઘર્ષો અને અંદરના વિરોધોને રૂંધી રાખે છે. સંસ્કૃતિ નામના સુપરસ્ટ્રક્ચરમાં – મહાસંરચનામાં – આજે સાહિત્યનું સ્થાન ચિન્તાજનક છે અને તેનું કાર્ય ગૂંચવાડિયું બની ગયું છે.
જેમ્સન જણાવે છે કે સાહિત્ય આ રાજપરક અ-ચેતનને પામવા અને પહોંચી વળવા માટેનું ઉપકરણ, સાધન, બની શકે એમ છે. એવી ભૂમિકાએ લખાયેલી કૃતિમાં આઇડિયોલૉજિકલ-પોલિટિકલ અ-ચેતન ગૂંથાઇ ગયું હોય છે અને એની પાછળ હોય છે ક્લાસ-કૉમ્ફ્લીક્ટ. જેમ્સન જણાવે છે કે કૃતિના સર્જકે એ કૉન્ફ્લીક્ટ જોડે કલાની રીતે – ઍસ્થેટિકલિ – સમાધાન દાખવવું જોઈશે. કૃતિના વિશ્લેષકે એની ગર્ભિતે રહેલા પોલિટિકલ અન્કૉન્સ્યસને ખોલી બતાવવું જોઈશે, એના ઐતિહાસિક સ્થિતિસંજોગનાં ‘સિમ્ટમ્સ’ દર્શાવવાં જોઈશે. જેમ્સને સૂચવેલા વિશ્લેષણમાં માર્ક્સવાદ તથા સૅમિયોટિક અને સાયકોઍનાલિટિક વિશ્લેષણોની રીતભાતો ભળેલી છે.
સાહિત્યનો કાળજીપૂર્વકનો સઘન અભ્યાસ હાથ ધરાય તો એ બધાંને પામી શકાય, એટલું જ નહીં, વિચારસરણીઓના બીબાંઢાળ વિનિયોગોને પણ જોઇ શકાય. કલાકૃતિઓને તેઓ વાસ્તવના પ્રતીકાત્મક ઉકેલો ગણે છે ખરા પણ જણાવે છે કે ખરેખર તો એ અભાનપણે અનુભવાતા સામાજિક અને સાંસ્કૃતિક કોયડાઓ હોય છે. સમીક્ષકે એ કોયડાઓને ઉકેલી શકાય તેવા રસ્તા દર્શાવવા જોઈશે. એની સમીક્ષા છેવટે તો એ પ્રશ્ન પાસે જઈને ઊભશે કે એવી કૃતિ તમારા સમાજમાં અવતરી જ કેમ -? વગેરે.
ચાર સવાલ :
૧ :
રાજકારણ અને બધાં જ શાસકીય તન્ત્રોનાં સારાંમાઠાં પરિણામોને વિશે પ્રજાના કયા સમૂહો આપણે ત્યાં જાગ્રત છે? રાજસત્તાથી ન ડરનારાં, સર્વથા સ્વાયત્ત કેટલાંક છાપાં, અને અમુક ગણગાંઠ્યા બૌદ્ધિકો, લખે કે બોલે એથી શું વળે? કેટલીક વાર તો એમાં પણ અભિપ્રાય કે મન્તવ્યની ચમકદમકથી વિશેષ કશું હોતું નથી. ઘણી યે વાર એમાં વસ્તુલક્ષીતા નહીં પણ હૂંસાતૂંસીભરી આત્મલક્ષીતા હોય છે, જેને નાહકની કાગારોળ અથવા અમસ્તી ગપસપ કહી શકાય.
તેમ છતાં, એને ડિસૅન્ટ અથવા અ-સમ્મતિ ગણી શકાતી હોય તો ભલે, પણ એનો પરિણામદાયી વિકાસ ઊહાપોહ, ચળવળ, ધરણાં કે લડત લગી કેમ નથી થતો? સરવાળે પ્રજામત કેળવાવો જોઈએ ને ચૂંટણીઓમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ, તે કેમ થતું નથી? બૌદ્ધિકતા આપણે ત્યાં આઇવરી ટાવરમાં વસતી હોય અને નામની હોય, એક સ્વાંગ હોય, એવું જ કેમ લાગ્યા કરે છે?
૨ :
સામ્પ્રત ગુજરાતી સાહિત્ય રાજપરક અ-ચેતનને પામે ને તેને પ્હૉંચી વળે એવી એમાં અભિલાષા અને એવું એમાં સામર્થ્ય છે ખરું? નવા કે જૂના કયા સાહિત્યકારોની કઈ રચનાઓને ગણાવી શકીશું? કયાં નામો આપી શકીશું?
ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે વાસ્તવાભિમુખ નથી અને લગભગ હમેશાં ઊર્મિશીલ રહ્યું છે એ મારા મતનું નિરસન આ ૨૧-મી સદીમાં ય મારાથી નથી કરી શકાતું. કદાચ આપણે સાહિત્યને નામે મનગમાડાની રમતો તો નથી રમી રહ્યા ને?
૩ :
આપણે ત્યાં રાજસત્તા, સમાજ અને સંસ્કૃતિની વીગતે ટીકાટિપ્પણી અને સમીક્ષા કરી શકે, અવારનવાર ઉપકારક વિચારો પૂરા પાડે, એવા સાહિત્યસમીક્ષકો કેટલા? કોનાં કોનાં નામ લઈ શકાય?
૪ :
ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમોમાં આવા વિષયોને સ્થાન છે ખરું? કઈ યુનિવર્સિટીનું નામ લઈ શકાય એમ છે?
= = =
(April 1, 2022 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર