વર્ણનપરક વિવેચનાત્મક વિધાનો : ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમૅન્ટ્સ :
‘વિધાન’ શબ્દ સાંભળીને કેટલાક વાચકો ભડકી જતા હોય છે. અંગ્રેજીમાં શબ્દ છે, સ્ટેટમૅન્ટ. બોલીને કે લખીને વાતને સ્પષ્ટ સમજાય એમ મૂકીએ એટલે સ્ટેટમૅન્ટ કર્યું કહેવાય.
વિવેચનાત્મક વિધાનોને અંગ્રેજીમાં ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ કહેવાય છે. એનો અર્થ અનુક્રમે એમ લેવાનો છે કે કૃતિને ચૉકક્સ વીગતોમાં વર્ણવવી; ઊંડાણથી સમજાય તે માટે તેનું અર્થઘટન કરવું; વધારે સમજાય તે માટે તેની સમજૂતી આપવી; અને તેનું સાહિત્યકલાલેખે મૂલ્ય શું છે તે દર્શાવતું મૂલ્યાંકન પીરસવું.
આ ચારેય બાબતોમાં લોચાલાપસી કરીએ, કે ગલ્લાંતલ્લાં, તે ન ચાલે. કૃતિની એ ચારેય બાબતો વિશે લખાણમાં ચોખ્ખી વાતો કરીએ એટલે કહેવાય કે આપણે વિવેચનાત્મક વિધાનો કર્યાં.
વિધાનનો અહીં આથી કશો ભારે અર્થ છે જ નહીં. અહીં કૃતિપરક બાબતોનો 'જડબેસલાક સિલસિલો' નથી રજૂ કરવાનો. કૉર્ટકચેરીમાં કશી 'ખરાખરીના ન્યાય માટેની જુબાની' નથી આપવાની. થઈ ચૂકેલી ઘટનાનું 'પોલિસચૉકીમાં બયાન' નથી કરવાનું.
અહીં વિધાન એટલે સાદો શબ્દ પ્રયોજીએ તો, નિવેદન. વસ્તુ શું છે, તેમાં શું શું બાબતો છે, બાબતો એકમેક સાથે કેવા સમ્બન્ધે જોડાયેલી છે, તેને વિશેનું નિવેદન.
વર્ણનપરક વિધાનોમાં શું શું આવી શકે તેનો એક સામાન્ય નિર્દેશ કરું :
કૃતિ, કાવ્યસંગ્રહ વાર્તાસંગ્રહ નવલકથા કે નાટક છે – વગેરે દર્શાવવું જરૂરી છે. કર્તાના નામનો નિર્દેશ, કર્તાની સાહિત્યકાર તરીકેની ઓળખ, પ્રકાશનસાલ, પ્રકાશક, પૃષ્ઠસંખ્યા, મૂલ્ય વગેરે વીગતો આપવી જરૂરી છે.
કૃતિ કથાવિષયક હોય, તો વિષયવસ્તુ (ટૂંકો નિર્દેશ), વસ્તુગુમ્ફન, પાત્રાલેખન, સન્નિવેશ વગેરેનો પરિચય કરાવવો જોઈશે.
કૃતિ, કાવ્યવિષયક હોય તો ગીતસંગ્રહ છે કે સૉનેટસંગ્રહ, છાન્દસ કે અછાન્દસ કાવ્યોનો સંગ્રહ છે, તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
કાવ્યો પ્રયોગશીલ પદ્ધતિએ લખાયાં છે છે કે પરમ્પરાગત, તેનો ફોડ પાડવો જોઈશે.
ધારો કે, છાન્દસ કાવ્યોનો સંગ્રહ હોય ને બધાં જ કાવ્યો કોઈ એક એક જ છન્દમાં હોય તો એ વીગત તરફ ધ્યાન દોરવું જોઈશે ને કવિની એ પસંદગીનાં કારણ અને પરિણામનો વાચકોને અછડતો પણ ખયાલ આવે એમ કરવું જોઈશે. કાવ્યો અનેક છન્દમાં હોય તો જણાવવું જોઈશે કે કયા કયા છન્દ પ્રયોજાયા છે. એ દરેક છન્દની પસંદગી વિશે પણ કંઈક ચૉક્કસ કહેવું જોઈશે.
કાવ્યસર્જનનો સમ્બન્ધ અલંકારો, કલ્પનો, પ્રતીકો, કાવ્યબાની સાથે વિશેષે હોય છે, તેની વાત કરવી જોઈશે.
પુસ્તકનો કોઈએ લખી આપેલો પ્રવેશક, પાછલા પૂંઠા પરનાં ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ દર્શાવતાં શુભેચ્છાવચનો વગેરે પણ વર્ણનનો વિષય છે. પુસ્તકનું મુખપૃષ્ઠ અને અંદર મૂકેલાં ચિત્રો પણ. કેમ કે એ બધું લેખકની સહેતુક દૃષ્ટિથી મુકાયું હોય છે, એને ટાળી શકાય નહીં.
નૉંધવા જેવું છે કે વર્ણનપરક વિધાનો કૃતિના અવલોકન કે આલોચન કે રીવ્યૂના લેખનમાં ઘણાં ઉપકારક નીવડે છે. વડીલ કે નીવડેલા વિવેચકોએ લખી આપેલા પ્રવેશકો પણ આવાં વિધાનોથી ઘડાયા હોય છે.
ખાસ તો વિદેશમાં, પુસ્તકના પાછલા પૂઠા પર આ જાતનાં વર્ણનો જોવા મળે છે. કેટલીક પ્રકાશક-સંસ્થાઓ પાસે એવા પગારદાર લેખકો હોય છે. એમાં કૃતિના ગુણ દર્શાવતાં વિશેષણો મોટે ભાગે પ્રામાણિકપણે વપરાયાં હોય છે. મર્યાદા જરાક ન ચીંધી હોય એવું નહીં, પણ ધ્યાનમાં ભાગ્યે જ આવે.
છાપાં પણ પુસ્તક-પરિચય માટે જગ્યા ફાળવતાં હોય છે. સુવિદિત છે કે TLS – ટાઇમ્સ લિટરરી સપ્લિમૅન્ટ – એનાં પુસ્તકાવલોકનોને કારણે જગ-પ્રસિદ્ધ થયું. એ અવલોકનો એવાં તો પરિચાયક હોય કે ધંધાદારી વિવેચકો અને ઠાંસુ વિવેચકો ફાવી જાય, એમને મૂળ પુસ્તક લગી રાતોરાત દોડી જવાની જરૂર જ ન પડે !
દેખાદેખીથી વકરતી વિદ્વત્તા એ કે જો એક બોલ્યો કે ‘ઑથર ઇઝ ડેડ’, એટલે કશું જ સમજ્યા-વિચાર્યા વિના બાકીના બોલવા માંડે ડેડ. ડેડ. ડેડ. આપણાથી તો એવું બોલાય જ નહીં, કેમ કે સરેરાશ ગુજરાતી લેખક કદી પુખ્ત, પ્રૌઢ કે વૃદ્ધ થયો જ નથી હોતો ! એના મૃત્યુની વાતો તત્ત્વાર્થમાં પણ શોભતી નથી.
Book review is dead : અવલોકનલેખનનું મૃત્યુ :
Pic courtesy : Bookmarks reviews
પશ્ચિમમાં આ અવલોકનલેખન વિશે પણ બોલાયું છે કે ‘બુક રીવ્યૂ ઇઝ ડેડ’ – અવલેખનલેખનનું મૃત્યુ. પરન્તુ આપણાથી એવું ન સ્વીકારાય, ન બોલાય. ઉઠમણાના એ સમાચારમાં ન જોડાવાય, કેમ કે આપણને આપણું સાહિત્ય અને ખાસ તો સમગ્ર વિવેચન-સાહિત્ય સુધરે એ માટે સૌ પહેલાં જેની સખત જરૂરત છે, તે છે સાર્થક અવલોકનો.
અમદાવાદમાં બનેલો એક બનાવ મને યાદ રહી ગયો છે. કેટલાક ચડી વાગેલા આધુનિકો, કદાચ હઠીસિંહ આર્ટ ગૅલરીમાં, ગુજરાતી સાહિત્યનું ‘ઉઠમણું’ ઊજવતા’તા. કાર્યક્રમનું એવું નામભિધાન એમણે જ કરેલું. જે સૂઝે તે બકતા હશે. પરન્તુ મેં જાણેલું કે નવી પેઢીના જુવાનોએ એમનો એવો તો ઊધડો લીધેલો કે પેલાઓને, જાણે, શેતરંજી લઈને ભાગી જવું પડેલું !
ટૂંકમાં, વર્ણન એવું હોવું જોઈશે કે માણસને પુસ્તક જોયા કે વાંચ્યા વગર જ દૃષ્ટિગોચર થવા લાગે. પુસ્તક માટે વાચક અધીરો થઈ જાય. ઉદાહરણ અતિશયોક્તિભર્યું લાગશે છતાં કહું કે ‘સરસ્વતીચન્દ્ર’-ના ચાર ભાગ જોયા વિના જ વાચકને થાય કે લાવ લઈ આવું ને વાંચવા માંડું. જો કે વાંચીને એને એમ પણ થાય કે ના ના, અત્યારે નથી વાંચવું, બીજી કોઈ વાર; મુલતવી રાખે, પણ ક્યારેક તો જરૂર વાંચે. સારો અવલોકનકાર પુસ્તક અને વાચકને લગ્નસમ્બન્ધે બાંધી આપે છે. એ રીતનો એ ગૉરમા’રાજ છે.
પરન્તુ ‘સરસ્વતીચન્દ્ર’-નું કે કોઈ પણ પુસ્તકનું અવલોકન લખનારે તો સઘન વાચન કર્યું જ હોવું જોઈશે. બે કે ત્રણ ભાગને ગુપચાવી જઈને કરે તે અવલોકન નથી. ૭૦૦ પાનના શોધનિબન્ધનાં ૫૦૦ પાનાં બાજુએ રાખીને કરે તે અવલોકન નથી.
એવાઓને લોકો પાખંડી કહે છે. કેમ કે એમનાં એ કૃત્યો વિદ્યાધર્મનાં દ્રોહી છે. એથી મૂળ લેખકને અન્યાય અને સાહિત્યસમાજને પારાવારનું નુક્સાન થાય છે.
બીજા મોટા પાખંડી છે – એકનું લખેલું વિવેચન વાંચીને પોતાનું ઘસડી નાખનારા.
બન્ને પાખંડીઓથી ચેતવું ને એમને ઉઘાડા પાડવા.
આપણા એક સામયિકના તન્ત્રીએ તો પોતાના પુસ્તકનું અવલોકન છદ્મનામે જાતે જ લખીને એ જ સામયિકમાં છાપેલું ! એને મહા પાખંડી કહેવો? કીર્તિલોલુપ કહેવો? સ્વાશ્રયી મજૂર કહેવો? શું? હું કન્ફ્યુઝ્ડ છું …
= = =
(October 19, 2021:USA)