૧૦ : વ્યક્તિ, વાર્તાકાર, કથક :
આપણે લોકો હજી લેખકવ્યક્તિ, વાર્તાકાર અને કથક વચ્ચેના ભેદને સમજ્યા નથી.
હું સુમન શાહ વ્યક્તિ છું અને હું એક વાર્તાકાર છું, એ બન્ને હકીકતો વચ્ચે દેખીતો ભેદ છે.
મારામાંનો વાર્તાકાર વાર્તા કહે છે ત્યારે એણે વાર્તા કહેનારા કથકને પણ સરજ્યો હોય છે. કથકનું પણ પાત્રનું કર્યું એવું સર્જન કર્યું હોય છે. એટલે, સમજો કે વાર્તાકાર અને કથક વચ્ચે પણ દેખીતો ભેદ છે.
પણ આપણે આ ત્રણેયની ભેળસેળ જ કરતા આવ્યા છીએ.
સમજવું જોઈશે કે કથક વાર્તાકાર નથી. કથક વાર્તાકારનો વાણોતર કે એજન્ટ પણ નથી. વાર્તામાં કથકની એક નિશ્ચિત ભૂમિકા હોય છે. બધું એ સમજી-વિચારીને કહેતો હોય છે કે કરતો હોય છે. પણ એના એ વર્તનથી વાર્તા ઘડાય છે, વિકસે છે. મોટો લાભ એ છે કે વાર્તાકારને એ ફાલતુ વાતો કરવા દેતો નથી. કેટલાક વાર્તાકારોને કારણ ન હોય છતાં, આગવાં સૂત્રો કે સુવિચારો ગૂંથવાની કુટેવ હોય છે. કથક એઓેને વારે છે. સુજ્ઞ કથકની સક્રિય હાજરી વાર્તાકારને સંયમમાં રાખે છે. એ ક્યારેક વાર્તાકારની ઉપરવટ જઈને વાર્તાના પક્ષે ચાલ્યો જાય છે. વધારે તો એ વાર્તાને ચાહતો હોય છે. જે કૃતિમાં કથક આવો સજાગ નહીં હોય એ કૃતિ સપાટ લાગશે. કથકને હું હૉંશીલો કારભારી ગણું છું.
લેખકવ્યક્તિ અને વાર્તાકારને એક ગણી લઈએ છીએ એ કારણે વાર્તાકૃતિના મૂલ્યાંકનમાં થાપ ખાઈ જઈએ છીએ. આપણે ત્યાં કેટલાંયે મૂલ્યાંકનો લેખકવ્યક્તિની સાહિત્યકાર તરીકેની અન્ય સફળતા જોઈને થયાં છે, થતાં હોય છે. જેમ કે, એ પ્રમુખ હોય, સફળ કવિમાં ગણાયો હોય, એટલે બધા એને સારો વાર્તાકાર ગણવા લાગે. એ અધ્યક્ષ હોય, નૉંધપાત્ર નિબન્ધકારમાં ગણાયો હોય, એટલે બધા એને સારો વાર્તાકાર ગણવા માંડે. આ આપમતલબી ખુશામત છે. કૃતિલક્ષી હોવાનો દાવો કરનારા વિવેચકો પણ સ્વધર્મ ભૂલીને કાખલી કૂટતા હોય છે ! એથી અવળું પણ બને છે, કહેતા હોય છે – એ તો સારો સિદ્ધાન્તવિદ છે, સારો વાર્તાકાર નથી. આમાંના એકેયને મૂલ્યાંકન તો કહેવાય જ શી રીતે?
કહો કે આપણે બધા પદ પ્રતિષ્ઠા ઇનામ ઍવૉર્ડ વગેરેને જ કારકિર્દીનું અન્તિમ ધ્યેય ગણીને ચાલીએ છીએ કે નહીં. એથી લાલાયિત છીએ કે નહીં. કોઈ કોઈને તો નાનકડો ચન્દ્રક મળી જાય એટલે પરિતુષ્ટ થઈને જાતને મહાન સાહિત્યકાર માનવા લાગે છે, વળી, ઝંખે છે કે બીજાઓ પણ એમ માનતા થઈ જાય. નથી લાગતું કે શુદ્ધ વિવેચનના માર્ગમાં આ સિન્ડ્રોમ – અનેક ચિહ્નોથી સમ્મિલિત સામુદાયિક લક્ષણ – એક મોટી આડખીલી છે?
૧૧ : ટૂંકીવાર્તામાં ઘટના :
ટૂંકીવાર્તાના સર્જન અંગેનું કેટલુંક કામ તો પાયાનું છે, એવું કે એથી ઘટનાવાળો કે ઘટનાહ્રાસવાળો પણ બચી નથી શકતો.
એ પાયામાં આટલું તો છે જ છે :
ટૂંકીવાર્તાની કલા વિશે જેટલું વિચારીએ એટલું ઓછું છે. પણ સાથોસાથ, એ સમજી રાખીએ કે ટૂંકીવાર્તા એક કસબ પણ છે. ટૂંકામાં ઘણું કરી બતાવવાનું છે, વાર્તાકારને આંગણામાં ઘોડો દોડાવતાં આવડવું જોઈશે. તરણા ઓથે ડુંગર બતાવતાં આવડવું જોઈશે. એ આવડત લગી પ્હૉંચવા એણે રોજે રોજનો લેખન-ઉદ્યમ કરવો પડશે, ઍક્સરસાઇઝ કરવી પડશે, કવાયત કરવી પડશે – જેને આપણે સાધના કહીએ છીએ.
સ્ટોરી પૂર્વે હિસ્ટરી હોય છે. કહો કે વાર્તા ઘટનાથી સરજાઈ હોય છે. ઘટના પાયો છે. ઘટનામાં ઓછામાં ઓછાં ત્રણ વાનાં હોય છે : સ્થળ, કાળ અને વ્યક્તિ. એ ત્રણ સિવાય કોઈ ઘટના ઘટતી જ નથી. એ ત્રણમાંના એકેયને વાર્તાકાર ચૂકી જાય તે ન ચાલે. એટલું જ નહીં, એ ત્રણને એણે એકબીજાંના મેળમાં બરાબર ગોઠવવાં પડશે.
ઘટના પાત્રની મનોઘટના હોય એ પણ એટલું જ સહજ છે. એના નિરૂપણને પણ હું પાયાનું કામ કહું છું. પાત્રના ચિત્તમાં એક કે અનેક સ્થળ વસતાં હોય. કો’ક સમય પણ એના મનમાં ચૉંટી ગયો હોય. આ બધી મનોસમ્પદાનો હિસાબ વાર્તાકારે આપવો જોઈશે. વાર્તાકાર ન આપે તો કોણ આપે?
કોઈ પણ ઘટના જોડે હૃદયભાવ સંકળાયેલો હોય છે. કોઈ પણ ઘટના કેટલાક વિચારોને જન્માવે છે. વાર્તામાં કશોક બળવાન ભાવાર્થ અને કશોક વિચારપ્રેરક અર્થ સરજવાથી રચનાનું મૂલ્ય વધી જાય છે. એ પણ પાયાનું કર્તવ્ય છે. અલબત્ત એ બન્ને વાનાંનું નિતાન્ત સર્જન થવું જોઈશે. સમજ પડવી જોઈશે કે એ સર્જન વાર્તાકારે સેવેલા એના આગવા મૌલિક પૉઇન્ટ ઑફ વ્યૂનો શબ્દાકાર છે. એ આગન્તુક હશે તો ચાડી ખાશે ને વાચકને રચના બનાવટી લાગશે.
કેટલીક જાણીતી વાતોનો નિર્દેશ કરી લઉં :
Picture Courtesy : Writers Write.
ઘટના વિશે બે વાતો ચલણી બનેલી છે :
૧ : જીવનમાં ઘટી હોય એ ઘટનાને ઉપાડીને પોતાની રીતભાતમાં લખી દેવી.
મારી વાર્તાઓ વિશે મેં અગાઉ કહેલું છે કે વાર્તા મને કશેકથી મળી જતી નથી. જીવનમાં જોવા-અનુભવવા મળેલી ઘટનાનો ભાષામાં આખેઆખો અનુ-વાદ કરી નાખવાનું હું નથી કરતો. એમાં મને સાહિત્યકલાની કશી વશેકાઇ નથી દેખાતી. હું વાર્તા સરજું છું. બલકે મારો દાવો છે કે મારી પ્રત્યેક વાર્તા આ અર્થમાં શુદ્ધ સર્જન છે.
ચોરી લૂંટફાટ બળાત્કાર કે ખૂનખરાબા જેવી સનસનીખેજ ઘટનાઓની વાર્તા બનાવાય તો વંચાય ખૂબ, પણ ચિરસ્મરણીય નહીં બનવાની. પત્નીને પ્રેમી જોડે સમ્ભોગરત જોઇને પતિ કુહાડીથી એનું માથું વાઢી નાખે, ને હથેળીમાં એ લોહી-નીતરતું મસ્તક લઇ પોલીસ-ચૉકીએ હાજર થઇ જાય, એ ઘટના અરેરાટી ઉપજાવે એવી જરૂર છે. છાપાં એનો ગ્રાફિક રીપોર્ટ કરે એ પત્રકારધર્મ છે.
પણ એની કલાત્મક વાર્તા સરજવાનું કામ તો ઊભું રહે છે. એ ઘટનામાં શૃંગાર, કરુણ અને બીભત્સ રસના નિરૂપણની ભરપૂર જે શક્યતાઓ છે, તેના સંકેત આપતી ટૂંકીવાર્તા લખી બતાવવી, મોટો પડકાર છે.
૨ : ઘટના વાર્તામાં ઘટે ને એને ઘટતી જોઈ શકાય, બતાવી શકાય.
શુદ્ધ સર્જનનો સદાગ્રહ હશે તો વાર્તાકાર જરૂર વાર્તા ક્હૅશે અને સંભળાવશે પણ સાથોસાથ, ઘણુંક બતાવશે. ઘટના વાચકની સમક્ષ સરજાતી હશે. એ માટે વાર્તામાં કિંચિત્ નાટક જોઈશે. પાત્રોનાં વચન અને કાર્યો, તે માટે તેમની વચ્ચે સંભવતાં સંવાદ કે મૌન, જોઈ શકાશે. વાચક-શ્રોતા છે તેમ દર્શક પણ છે. એને થશે આ ભાવો માત્ર પાત્રોના નથી, મારા છે, બલકે એને લાગશે, ‘માનવીય’ છે. વાર્તામાં ઘટતી વ્યક્તિપરક ઘટનાનું એ સાર્વત્રિક રૂપ હશે. એ રૂપ રસાવહ હોય છે.
પણ મારે ઓછી જાણીતી અથવા બરાબર નહીં પલ્લે પડેલી વાતની વાત કરવી છે, તે આ છે :
ટૂંકીવાર્તા નામ જ સૂચવે છે કે એ ટૂંકી છે. ટૂંકી છે તો દેખીતું છે કે એમાં એકાદ ઘટના જ હોય.
સુરેશ જોષી તો એ એકાદનો પણ હ્રાસ કરવા માગતા હતા. એમનું એ વિધાન આ પ્રમાણે છે :
“ઘટનાનો બને તેટલો હ્રાસ સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે. એનો રસ હોય તો તે આકારની રચનામાં છે. લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી વર્જ્ય ગણીને એમનો પરિહાર કર્યો છે.”
સમજવાનું એ છે કે હ્રાસ કરવાથી મળે શું. આ મન્તવ્યમાં સુરેશ જોષીના એ ખ્યાત વિધાનનો હવાલો આપવાનું કારણ જ એ છે કે મારે, મળે શું-નો જવાબ આપવો છે.
હ્રાસ કરવો એટલે ઓછું કરવું, કમ કરવું, ઘટાડવું. એમણે ઘટનાને સદંતર કાઢી નાખવાનું કહ્યું જ ક્યાં છે? તેમ છતાં, ઘણા બધા સમજુઓ ઘટનાનો ‘લોપ’ ‘લોપ’ કરવા લાગેલા. કેટલાકોએ બાળદલીલ કરેલી કે ઘટના વિના વાર્તા લખાય જ શી રીતે? એક વાર્તાકારે કહેલું – હું તો ઘટના વિના લખી શકું જ નહીં. સુરેશ જોષીએ બીજાઓને નથી કહ્યું કે તમે બધા આવતી કાલથી મારી જેમ ઘટનાતત્ત્વનો હ્રાસ કરવા માંડજો. આ તો એમને સૂઝી આવેલો એક પ્રયોગ હતો અને એને પાર પાડવાની એમણે કોશિશ કરેલી.
એમણે ‘બને તેટલો’ શબ્દ વાપર્યા છે, એટલે એમને ખબર હતી કે હ્રાસ પૂરેપૂરો શક્ય નથી. ‘સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે’ એમ કહ્યું છે. એટલે કે પોતે પ્રયત્ન કરી રહ્યા છે – પ્રયત્ન છે એટલે સફળતા મળે પણ ખરી, ન પણ મળે. આમ નમ્રભાવે એમણે પોતાના પ્રયોગની મર્યાદા સ્વીકારેલી જ છે.
કહું કે ઘટનાના હ્રાસને કારણે વાર્તાકારને મૉકળાશ મળે છે. એક એવી સદ્યોજાત સ્પેસ મળે છે, જેમાં એની સર્જકતા મનવાંછિત, એટલે કે, સર્જક સંકલ્પ અનુસારનાં ફળ લાભી શકે છે. જીવનનું કેટકેટલું ચીતર્યા કરવાનું? કશુંક કલા દાખલ તો સરજવું કે નહીં, ભલા માણસ? ચીતરાવનું કામ તો છાપાના ને મીડિયાના લોકો કરે જ છે ને ! ભરપૂર કરે છે. કેટલાક સમાચારદાતાઓ વીગતો પર વીગતો ખડક્યે જાય છે – કાગારોળ મચાવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ઘટનાને ઇતિહાસ હોય છે તેમ ભવિષ્ય હોય છે. ઘટનામાંથી પ્રતિઘટના જન્મે છે, ને તેમાંથી પણ પ્રતિ પ્રતિઘટના જન્મે છે. ઘટના ઘટનાવલિ રૂપે અનન્ત છે. આ વિશ્વમાં નિરન્તર બધું ઘટ્યા જ કરે છે. વાર્તાકાર લખી લખીને કેટલું લખશે? ઘટનાના જંતરડામાંથી નવરો જ નહીં પડે. મજૂરની જેમ કાગળ પર કાગળ ભર્યા કરશે.
અને ખાસ તો એ કે આમાં, ટૂંકીવાર્તાના પેલા ટૂંકાપણાનું શું થાય? સુજ્ઞોએ નવલકથાને કોથળો કહી છે, ટૂંકીવાર્તામાં ઘટનાને જ ઠાંસી ઠાંસીને ભરી હશે તો એ વજનદાર કોથળી જ લાગશે !
ખાઉધરાવેડા જુએ એટલે મારી બા કહેતી – પેટ તો કાગળની કોથળી છે, એમાં ખીંટા ન ભરાય, ફાટી જશે.
વાર્તાકારે ખાઉધરા નથી થવાનું …
બીજાં બે મન્તવ્યો હવે પછી, અવકાશે.
= = =
(August 28, 2021 : USA)