૮ : વાર્તાની ભાષા :
વાર્તા ગુજરાતીમાં લખાય એટલે ભાષા ગુજરાતી હોય એમાં શું ક્હૅવાનું? આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના શિષ્ટમાન્ય, તળપદા કે બોલી જેવાં ભાષારૂપોમાં, એ માધ્યમોમાં, સાહિત્ય સરજાતું હોય છે. લોકકથાઓ તો કેવાં યે રૂપોમાં હોય છે, પણ ભાષા તો ગુજરાતી જ હોય છે.
ટૂંકીવાર્તા કથાસાહિત્યનો પ્રકાર છે. અને કથાસાહિત્ય સાહિત્યનો પ્રકાર છે. પરન્તુ એનો અર્થ એ નથી કે વાર્તાના ભાષારૂપને લેખકે ભારે સાહિત્યિક રાખવું જોઈશે.
વાર્તા ગ્રામપરિવેશની હોય તો ભાષારૂપ તળપદની ઢબછબમાં હોવું જોઈશે. ઉચ્ચારણ જીવનમાં જેવાં થતાં હશે તેવાં વાર્તામાં થશે. કોઈ એક પ્રાદેશિક બોલીમાં આખી વાર્તા લખી શકાય પણ એમ કરવા માટેનું ખરું કારણ તો ક્યાંક વાર્તાના વિષયવસ્તુમાં હોવું જોઈશે. હું આ પ્રદેશનો છું, મને બોલી કેવી અને કેટલી બધી આવડે છે -એ પ્રકારના જ્ઞાનપ્રદર્શન માટે વાર્તાનો ઉપ-યોગ ન કરાય.
રચના નગરજીવનની હશે તો ભાષારૂપ શિષ્ટમાન્ય હશે પણ એમાં બોલચાલની લઢણો હશે. ભણેલાં બોલશે એથી જુદું જ, નહીં-ભણેલાં બોલશે. દાખલા તરીકે – મને સર્પનો ભય લાગે છે, એથી જુદું – મને સાપની બીક લાગે છે, એમ હશે. પાત્રોનાં જીવન અંગ્રેજી-મિશ્રિત માતૃભાષામાં ઘડાયાં હશે તો વાર્તામાં તેઓ ક્યારેક ક્યારેક અંગ્રેજી શબ્દો બોલશે, તો તેને દોષ નહીં કહેવાય, ઊલટું, એ ગુણ છે. પૌરાણિક પરિવેશમાં જીવતાં પાત્રો જરૂરતે કરીને સંસ્કૃત શબ્દો પ્રયોજશે, તો તે પણ સહજ મનાવું જોઈશે.
કથકે નક્કી રાખ્યું હોય કે રચના ભલે ગ્રામપરિવેશની છે, મારે કહેવાનું હશે એ બધું હું શિષ્ટમાન્ય ગુજરાતીમાં જ ચલાવીશ, તો ચલાવી શકે છે. પણ એમાં એ જો ’હૃદયવિદારણ’ કે ‘બહુધા’ જેવા પ્રયોગો દાખલ કરશે તો કઢંગું લાગશે. પાત્રોની વાતોનાં વર્ણનમાં કે અર્થઘટનમાં એ જો શિષ્ટમાન્ય શબ્દો ઘુસાડશે, તો વધારે કઢંગું લાગશે. ‘ફળીભૂત થયો’ ‘હતપ્રભ થઈ ગયો’ કે ‘વિસ્ફારિત નયને જોઈ રહ્યો’, વગેરે નમૂના યાદ આવે છે. ગામડાનો માણસ ‘ડોળા ફાડીને જોઈ રહે’ ખરો.
એટલે, ભાષારૂપ અથવા માધ્યમ જિવાતા જીવનની ઢબછબમાં અને તેના તાલમેલમાં હોય તે જ ઇચ્છનીય છે.
તાત્પર્ય એ કે જીવનની સાવ સન્નિકટ રહેનારી ભાષા જ વાર્તાની ભાષા હોઈ શકે છે.
એ બધું સમજી-સ્વીકાર્યા પછી સાવધાન રહી પોતાની રચનાને સાહિત્યિકતાનો એક હળવો વળાંક આપી શકનારો વાર્તાકાર આકર્ષક નીવડે છે.
૯ : વાર્તામાં અન્ત :
વાર્તામાં અન્ત સરજવો એ ટૂંકીવાર્તાના લેખકની સૌથી મોટી કસોટી હોય છે. વાર્તાકારો ભલે ને બધી રીતે સફળ થયા હોય, ત્યાં જ હાંફી જતા હોય છે. બધું સુન્દર, પણ છેડો વરવો. દળી દળીને કુલડીમાં-વાળો ઘાટ થાય છે.
કેટલાક વાર્તાકારો કહેતા હોય છે – મને અન્ત સૂઝી જાય, પછી વાર્તા શરૂ કરું. શરૂ કર્યા પહેલાં અન્ત શી રીતે સૂઝે? પણ બને કે તેઓ વાર્તાનાં આદિ મધ્ય અને અન્ત મનોમન વિચારી લેતા હોય ને પછી લખતા હોય. આ રીતે વાર્તાને 'કન્સિવ' કરવી, એના દેહની કલ્પના કરવી, બહુ સારું લક્ષણ છે. એથી વાર્તાનો ગર્ભ બંધાય વિકસે અને કોઈ શુભ દિવસે વાર્તા અવતરે.
પણ અન્તને એકલાને ખૉળ્યા કરીએ એ બરાબર નથી. અન્તને અલગ ગણીને ફાંફાં ન મરાય. વાર્તાકાર, જેમ કે, ચૉંકાવી દે એવા અન્તની શોધમાં લાગ્યો હોય; રાષ્ટ્રહિતના કોઈ સરકારી હેતુનું સમર્થન કરનારો અન્ત લાવવા માગતો હોય; પૂર્વકાલીન સર્જકે કરેલા પ્રયોગની નકલ કરવા જાય – દાખલા તરીકે, ઘટનાતત્ત્વનો હ્રાસ કરીને અન્ત લાવવા જાય; અમુક વિવેચકે આગળ કરેલા સિદ્ધાન્તનું સમર્થન કરનારો અન્ત લાવવા જાય; માનવતાને પોષક અન્ત આણવા જાય કેમ કે અમુક માનવતાવાદી સંસ્થા એવા વાર્તાકારને જ ઇનામ આપતી હોય; કે પછી, વાચકસમાજને રાજી કરવા લોકપ્રિય અન્ત જોડી કાઢે; તો વાર્તાને નુક્સાન અવશ્ય થશે. એવા કૃતક કૃત્યથી વાર્તા કુરૂપ થઈ જશે. વાર્તાકારે સમજી રાખવું પડશે કે ચૉંટાડેલા અન્તથી કલાનો ક્ષય થવાનો છે.
ટૂંકીવાર્તામાં અન્તે ચોટ લાવો – પ્રકારની માંગ તો એકદમ વાહિયાત છે. એથી તો વાર્તા પ્રારમ્ભથી જ બનાવટના રસ્તે વળી જશે. અરે, વાચકો જ બેત્રણ અન્ત કહી બતાવશે ! વાર્તાકારની એથી મોટી ઠેકડી શી હોય !
મદારી અને એનો જંબૂરિયો
Picture Courtesy : Magic Academy, India.
મારા ગામમાં મદારી આવતા. સાથીદાર જંબૂરિયાને એવિયો પૂછ્યા કરે – બેટા, બતાઓ ચકલી કીધર હૈ? પેલો કહે : મુઝે પતા નહીં : વારંવાર આ જ સવાલ ને આ જ જવાબ ! મદારી ઘડીમાં ખોપરી ખખડાવે, ડુગડુગી વગાડે ને એમ ખેલ પૂરો કરે. છેલ્લે બિન બજાવીને ચકલી બતાવે તો ખરો, પોતાના ખિસ્સામાં ઘાલી રાખી હોય, અને તે પાછી ગાભાની હોય ! અમે બધા હસીએ – એની બાલિશ ચતુરાઇ પર અને અમારી મૂરખામી પર ! વાર્તાકાર મુઠ્ઠીમાં અન્ત સંતાડી રાખે ને છેલ્લે ખોલે એથી કલામાં બદતર શું હોઇ શકે …
વાત એમ છે કે વાર્તા પોતે જ પોતાનો અન્ત સૂચવશે. વાર્તાનું નિર્વહણ જ સૂચવશે કે બસ, અહીં અટકો. ત્યારે વાર્તાકારે એ અન્તને સ્વીકારવો પડશે, એનો છૂટકો નહીં હોય, કેમ કે એ અન્ત એટલો બધો સ્વાયત્ત અને સ્વયંભૂ હશે.
હું અન્તને સમગ્ર સર્જનપ્રક્રિયાનું આપોપું નિસ્યન્દન સમજું છું. બધું સમું ઊતર્યા પછીનું એક ઠાવકું ઉપસંહરણ છે એ.
બીજાં બે મન્તવ્યો હવે પછી, અવકાશે.
= = =
(August 24, 2021 : USA)