ઓપિનિયનની રજત જયંતીના શુભ અવસરે વિપુલભાઈ, પંચમભાઈ અને ઓપિનિયનને સહકાર આપનારા તમામ ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવતાં આનંદ અનુભવું છું.
ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગજાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર, ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ (securty), બદનક્ષી (defamation), સત્તા સામે વિદ્રોહ (sedition) અને ન્યાયતંત્રનો અનાદાર (contempt of court) જેવા કાયદાઓનો હથિયાર તરકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે. મોતની ધમકીઓ અપાય છે. એમના પર હુમલા થાય છે. અને ક્યારેક રહેંસી નંખાય છે. 2017માં ચાર અને 2018માં પાંચ પત્રકારોની હત્યા થઈ આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ (downgraded) ઉતારાયું, અને આંશિક રીતે સ્વતંત્ર(partly free)નું લેબલ ચોંટાડાયું.
સ્વિડનની ‘વિ-ડેમ ઇન્સ્ટિટ્યૂટ’ની નોંધ અનુસાર ભારતમાં ‘સમૂહ માધ્યમોમાં, નાગરિક સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી પરનો કાપ ચરમ સીમાએ છે.’ દેશમાં ચૂંટાયેલી સરકાર ખરી, પણ આ બધા અંકુશોને કારણે આ અહેવાલે ભારતના લમણે ‘electoral autocracy’ની કાળી ટીલી ચોંટાડી.
જગ હસાઈનું વધુ એક પ્રમાણ જોઈતું હોય તો ઇકોનોમિસ્ટ ઈન્ટેલિજ્જન્સ યુનિટ(EIU)ના અહેવાલમાં ભારતની લોકશાહીને ‘તકલાદી લોકશાહી’ [Flattened Democracy] તરીકે ઓળખાવાઈ.
પરન્તુ, મારી દૃષ્ટિએ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર સરકારી અંકુશ કરતાં પણ વધુ ભયાવહ છે ટોળાંનું આક્રમણ, સમૂહ માધ્યમો ઉપર ટોળાંનું આક્રમણ. સમૂહમાધ્યમો ઉપર જાણે ટોળાંનું નિયંત્રણ [censorship] છે. શું બોલાય શું ન બોલાય − દાખલા તરીકે, તમે અસહિષ્ણુ છો એવું ન બોલાય − શું લખાય શું ન લખાય, શું દર્શાવાય શું ન દર્શાવાય, શું પહેરાય શું ન પહેરાય, શું ખવાય શું ન ખવાય, એ સમાજના દબંગો નક્કી કરે છે. આ ‘પવિત્ર’ હુકમનામાને ન અનુસારને તેઓ ડારે છે, ધમકાવે છે, ભાંડે છે, ધક્કે ચડાવે છે, ને ક્યારેક તો મારી પણ નાંખે છે. ગયે મહિને મધ્ય પ્રદેશના છત્તરપુરમાં રાષ્ટૃીય કક્ષાનું ડૃામા ફેસ્ટવિલ કેટલાક સમૂહો તરફથી હિંસક વિરોધની ધમકીને લીધે રદ્દ થયો.
આવા સમૂહો ‘વિજલેન્ટી’ કહેવાય છે, અર્થાત્ સ્વ-નિયુક્ત વ્યક્તિઓ જે કોઈ પણ પ્રકારની કાયદેસરની સત્તા વગર સમાજ પાસે કાયદાનું પાલન કરાવવાનું પોતાના હાથમાં લે છે. પરિસ્થિતિ એટલી વણસી છે કે, આવા સમૂહો પોતાના કાયદા ઘડે છે, અને તેનું પાલન ન કરનારને સજા કરે છે. આવાં તત્ત્વોની શિરજોરીને લીધે ફિલ્મનિર્માતા, નાટ્યકારો, લેખકો, કવિઓ, હાસ્યકલાકારો, પત્રકારો, અને દૂરદર્શનાળા છડી ગયા છે. ફૂંકી ફૂંકીને ડગ માંડે છે. અભિવ્યક્તિ ઉપર આવા માથાભારે તત્ત્વોનો અંકુશ છે. મીડિયાવાળા એમની ખુશી – નાખુશીને ધ્યાનમાં રાખી વર્તે છે. પરિણામે સમૂહ માધ્યમોની વિશ્વનિયતા જોખમાય છે. સમાજમાં માહિતી અને વૈચારિક આદાનપ્રદાનનો ઢોંગ ચાલતો રહે છે. ખલિલ ધનતેજવીનો શેર છે :
જો હુઆ થા વહ તો અખબારમેં છપા હી નહીં
ઔર જો છપ ગયા ઐસા તો કુછ હુઆ હી નહીં
તથ્યોને સંતાડવા, માહિતીને મચડીને વિકૃત કરવી, ગાઈ વગાડી ખોટી માહિતી [misinformation] ફેલાવવી − આ બધું સામાન્ય બની જાય છે, અને પ્રજાજનોના કોઠે પડી જાય છે.
અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોય એવા મુક્ત સમાજમાં સમૂહમાધ્યમો દ્વારા માહિતીનો પ્રસાર થાય અને વૈચારિક આદાનપ્રદાનથી જનમાનસનું ઘડતર થાય, પણ હવે ટોળાંશાહીની જોહુકમીને પરિણામે આ પ્રક્રિયા અવરોધાય છે. મૂઢ ટોળાંએ હૈસો હૈસો કરી લોકશાહીના આ ચોથા સ્તંભને હચમચાવી દોદળો કરી નાંખ્યો છે.
આ પ્રશ્ન માત્ર અભિવ્યક્તિની રૂંધામણનો જ નથી, મૂળ પડકાર છે, અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પુન: સ્થાપિત કરી, પંગુ લોકશાહી[Flawed Democracy]ને પગભર કરવાનો.
અભિવ્યક્તિની આ રૂંધામણ સામે પ્રત્યેક નાગરિકે અવાજ ઉઠાવવો રહ્યો, પછી એ અવાજ મોટો હોય કે નાનો.
મારા એક શેરથી સમાપન કરું છું :
કેટલો પણ હોય નાનો, હોય જો સાચો અવાજ
લોકના કાનો સુધી નિશ્ચિત પહોંચી જાય છે.
27 James Street, BATLEY, West Yorkshire WF17 7PS [U.K.]
(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “અભિવ્યક્તિની રૂંધામણ ટાઢી પાડતી નાગરિક હિલચાલ નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 11 ઍપ્રિલ 2021)