ટેરવાંઓ મ્યૂટ છે ને લાગણી મ્યૂટન્ટ છે,
પ્રશ્નની પીડા જવાબો પાર ને પર્યંત છે.
સાંભળું તો ક્યાંથી મર્મર રક્તની હું સાભળું?
ઉર મહીં વાગ્યા કરે શું? કોઈ ઘેરા ઘંટ છે?
છે જરૂર લક્ષ્મણને મૃતસંજીવનની તે છતાં,
રામની સામે ચીરી છાતી ઊભા હનુમંત છે.
પથ્થરો ઊચકીને સૌના હાથમાં આંટણ પડ્યા છે,
વાંદરાઓ ઝાડ પર પાછા જવા ઉત્કંઠ છે.
અગ્નિને ખોળે નથી કેવળ સીતાનું શીલ, અહીં –
રાજ્યની ને ધર્મની અંત્યેષ્ટિયે નિર્બન્ધ છે.
2 / 5 / 2021
* કોરોનાકાળમાં બંગાળ ઈલેક્શનના પરિણામ પછી.
* પ્રથમ પંક્તિના વિચારબીજનું સૌજન્ય: ખેવના દેસાઈ