જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી
આમાં એમ છે કે પહેલાં આપણે બહુ ખોંખારા ખાધા અને પછી ખાંસી ખાઇ ખાઇને એવા બેવડ વળ્યા કે આંખમાંથી નીકળતાં પાણી પણ સુકાઇ ગયાં. આખી દુનિયાએ નોંધ લીધી કે આપણી શું વલે થઇ છે, કેટલી બદતર હાલતમાંથી આપણે પસાર થઇ રહ્યા છે. એકે એક ગ્લોબલ મીડિયાના પહેલા પાને અને પ્રાઇમ ટાઇમમાં આપણા દેશમાં બળતી ચિતાઓ દેખાડાઇ. આખી દુનિયા સામે આપણે દ્રષ્ટાંત બેસાડવાની વાતો કરતા હતા, પણ આપણે ત્યાં જે રીતે મોતનું તાંડવ અને હાલાકીનાં દ્રશ્યો સર્જાયાં તે પછી આપણી છાતીનાં પાટિયાં બેસી ગયાં છે. આક્રંદ સિવાય કશું જ અત્યારે કોઇને કાને નથી પડી રહ્યું.
છેલ્લા ત્રણ જ મહિનામાં સંજોગો બદલાઇ ગયા. ભારતમાં કોરોનાવાઇરસનું સેકન્ડ વેવ દુનિયાના બીજા કોઇપણ દેશમાં આવેલા વાઇરસનાં વહેણ કરતાં કંઇક ગણું ઝડપી નીકળ્યું, બલકે સૌથી વધુ ઝડપી સાબિત થયું. વેક્સિનના ડોઝિસની અછત થઇ, હૉસ્પિટલમાં બૅડ્ઝની વાત કરવા જેવું પણ ન રહ્યું તો ઑક્સિજનની તંગીએ ભલભલાના જીવ લીધા. વાઇરસ પર આપણી જીતનો જશ્ન મનાવવામાં આપણે જરા ઉતાવળ કરી દીધી, આપદામાં ઉત્સવ અને અવસર બધું વહેલું શરૂ થઇ ગયું. આટલું ઓછું હતું તેમાં કુંભ મેળો અને રાજકારણના ખેલ પણ થયા. કહેનારા એમ પણ કહે છે કે એક માણસ કેટલે પહોંચી વળે અને લોકો પણ તો ટોળે વળ્યાં જ ને? પણ યથા રાજા તથા પ્રજા, લોકોને એમ લાગે કે દેશના વડાના મતે ‘સબ સલામત’ છે તો પછી લોકો ટોળે વળીને પાંવભાજી અને સેન્ડવિચ ખાવા પણ જાય. અહીં કોઇ એક જણનો વાંક કાઢવાની વાત જ નથી, વાત માત્ર એટલી જ છે કે ઘરના વડા પાસેથી અપેક્ષા રાખવામાં કઇ ખોટું નથી. જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી. હવે જો કાલે કોઇ એમ કહે કે ભારતને મદદ મળી તે પાછળ પણ એક જ જણ જવાબદાર છે તો તે ખોટું કારણ કે દક્ષિણ એશિયાઇ દેશોની વાત કરીએ. આપણા સિવાય ભાગ્યે જ કોઇ બીજું રાષ્ટ્ર એવું છે જેની પાસેથી વૈશ્વિક સ્તરે વ્યાપારી કે રાજકીય સંબંધોમાં સ્વસ્થતાની આશા રાખી શકાય. ચીન, જાપાન, પાકિસ્તાન વગેરેના વૈશ્વિક સ્તરે ડિપ્લોમૅટિક સંબંધો કેવા છે તે તમે જાણો છો અને મુસ્લિમ દેશોને આ બધા વૈશ્વિક સંબંધો સાચવવામાં કોઇ રસ નથી. આ સંજોગોમાં ભારતમાં બધું થાળે પડે એમાં અન્ય રાષ્ટ્રોને રસ હોય જ અને તેમાં કંઇ જ ખોટું નથી. આપણા દેશમાં તેમને વ્યવસાયી શક્યતાઓ વર્તાય છે તે કારણથી પણ જો તેઓ આપણને મદદ મળતી હોય તો એમ, મુદ્દો એ છે કે આપણને મદદની જરૂર પડી છે અને બહુ તિવ્રતાથી પડી છે. આપણને બ્રિટન, જર્મની અને યુ.એસ.એ. તરફથી મદદ મળી છે.
વાઇરસની અસર આપણા અર્થતંત્ર પર પડી જ છે અને આ ફાઇનાન્શિયલ યરના બીજા ક્વાટરમાં આર્થિક સ્થિતિ વધુ મંદ પડશે અને વૈશ્વિક વિકાસ દર પર તેનો સીધો પ્રભાવ પડશે તે ચોક્કસ. લૉકડાઉન વગેરેને કારણે ઇંધણની માંગ પણ ઘટી છે અને ખાલી દેખાતા રસ્તાઓનો પ્રભાવ ગ્લોબલ ઓઇલ રિકવરી પર પણ જોખમ બની ચૂક્યો છે. ભારતમાં ક્રુડ ઓઇલની માંગ ઘટશે તો તેની અસર વૈશ્વિક સ્તરે પડશે જ તે સ્વભાવિક છે.
વાઇરસ પણ પ્રેમ જેવો છે, એને કોઇ સરહદ નડતી નથી, એ કોઇની પણ સાડાબારી રાખતો નથી. આ રોગચાળાએ દુનિયા કેટલી સંકળાયેલી છે એ સાબિત કરી દીધું છે. ગમે તેટલા પ્રતિબંધ મુકાય, બોર્ડર્સ સીલ કરાય કે બીજું કંઇ પણ થાય જો ઇન્ફેક્શન ફેલાવાનું હશે તો એક દેશમાં વધારે હશે તો બાજુમાં પહોંચતા જરા ય વાર નથી લાગવાની. વળી આપણે ત્યાં વાઇરસનું નવું વેરિયન્ટ આવ્યું અને તેના કેસિઝની સંખ્યા અધધધ થઇ અને માટે જ વધુ ગંભીર વેરિયન્ટ મ્યુટેટ થાય તેની શક્યતા પણ વધી. ચિંતા એ પણ છે કે આ ડબલ મ્યુટન્ટ વાઇરસ વેક્સિનના પ્રભાવને ઘટાડી દેશે તો શું થશે? સોશ્યલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન વગેરે તો છે જ પણ વેક્સિનેશન પણ અગત્યનું છે અને ભારતમાં હજી સુધી તો માંડ ૧૦ ટકા વસ્તીને પહેલો ડોઝ મળ્યો છે અને ૨ ટકાથી ઓછી વસ્તીનું વેક્સિનેશન પૂરું થયું છે.
બાય ધ વેઃ
‘ધી ગાર્ડિયન' જેવા પ્રતિષ્ઠિત મીડિયામાં ભારતને કોવિડના દોજખનો દરજ્જો મળી ચૂક્યો છે. આપણે ત્યાં થયેલી ચૂંટણીની રેલીઓ અને કુંભના મેળાને પણ સખત વખોડવામાં આવ્યા છે. ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ હોય કે ‘ફાઇનાન્શિલય ટાઇમ્સ' હોય દરેકે સરકારની બેદરકારીની નોંધ લીધી છે, એટલી સૂક્ષ્મ દ્રષ્ટિએ કે વડા પ્રધાને કઇ રેલીમાં માસ્ક નહોતું પહેર્યું તેની પણ ચર્ચા ત્યાંની મીડિયામાં કરવામાં આવી. ભારતની સ્થિત કોઇ વરવાં દુઃસ્વપ્ન જેવી થઇ ચૂકી છે જેના સાક્ષી તરીકે આખી દુનિયા છે. વિશ્વએ રોગચાળાના રાજકારણની ટીકા પણ કરી છે તો આપણી સરકારનો જોઇ લઇશું હમણાં તો જેમ હંકાય છે તેમ હાંકોનો અભિગમ પણ નોંધ્યો છે. 2014ની ચૂંટણી પછી જે રીતે વૈશ્વિક નેતૃત્વમાં એક નવો ચહેરો ઉમેરાયો હતો તે ચહેરા પર હવે સવાલ પણ ઊઠી રહ્યા છે. ભારત પાસેથી બધા રાષ્ટ્રોને અપેક્ષા હતી, પરસ્પર વિકાસનો સ્વાર્થ પણ હતો પણ અત્યારના સંજોગોમાં તેમણે સક્ષમ થવાની શક્યતા ધરાવતા ભારતને મદદ કરવી જ રહી. આપણે બેઠા થવું જ પડશે અને આપણે બેઠા થઇશું જ પણ વૈશ્વિક સ્તરે જે છબી સામે ભવાં તણાયા છે તે દૃષ્ટિકોણ બદલાતા વાર લાગશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 મે 2021