માનવ વિકાસનો 2020નો અહેવાલ આપણને જાગૃત થવાની હાકલ કરી રહ્યો છે. ગાંધી અને જે.સી. કુમારપ્પાના આદર્શોને ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે.
મહેબૂબ ઉલ હક અને અમર્ત્ય સેને પ્રદાન કરેલ માનવ વિકાસ સૂચકાંકની વિભાવના અને તેની રચના, એ માનવીની પ્રગતિ વિશેની વિવેચનાત્મક બૌદ્ધિક વિચારસરણીના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ઘટના ગણી શકાય. માનવ વિકાસ સૂચકાંકનો આધાર લોકોના સામર્થ્ય ઉપર છે; એટલે કે લોકો શું કરે છે અને શું બનવા માગે છે એ મહત્ત્વનું છે. Human Development Index (HDI)માં અત્યાર સુધી ત્રણ નિર્દેશકોનો સમાવેશ હતો : દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય, જ્ઞાન મેળવવાની તકની ઉપલબ્ધિ અને શિષ્ટ કહી શકાય તેવું જીવન ધોરણ. 1990માં તેના પ્રારંભના સમયથી જ મોટા ભાગના દેશોની સરકારો પોતાના દેશના સ્થાનીય, પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે થયેલ વિકાસના માપદંડ તરીકે તેનો ઉપયોગ કરે છે.
દરેક દેશના રાજકીય અર્થકારણના સંદર્ભમાં આ સૂચકાંકોને સુધારવાના પ્રયાસો સતત થતા રહ્યા છે. તેમાં બીજી ક્ષમતાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો, જેમાં પોતાના જીવનને સ્પર્શતી બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર, હિંસાથી મુક્તિ મેળવવાનો અધિકાર, સ્વમાનની ભાવનાને માન્યતા મળે અને પૂરતા પ્રમાણમાં નવરાશ ભોગવવાના અધિકારને પણ આગળ ધરવામાં આવ્યા. ઘણા દેશોએ પોતાના આંકડાકીય અભ્યાસમાં માનવ વિકાસ સૂચકાંકનો સમાવેશ કર્યો છે. દર વર્ષે જ્યારે તેનો અહેવાલ બહાર પડે ત્યારે જે તે દેશના રાજકારણીઓ અને વહીવટકર્તાઓ વચ્ચે આ વિષય પર ગંભીર વિચારણાઓ થાય છે અને તેમાં થયેલ સુધારા નોંધવાનો પ્રયાસ થતો હોય છે.
માનવ વિકાસ સૂચકાંકનો આંક ઊંચો હોય તેવા મોટા ભાગના દેશોનું પર્યાવરણની જાળવણી માટેનું માથા દીઠ પ્રદાન પણ વધુ જોવા મળે છે. માનવ વિકાસ સૂચકાંકનું આ પાસું કે વિકાસનો આ નમૂનો કે જેને બઢાવો અપાઈ રહ્યો છે તેના ટકાઉપણા વિષે તેમ જ તેની વિશ્વવ્યાપકતા વિષે સવાલ ઊભો થાય છે. દાખલા તરીકે અમેરિકા ઉચ્ચ જીવનધોરણ ધરાવતું હોવા છતાં પર્યાવરણ પર અવળી અસર પાડનાર દેશ છે તે આ નવા સૂચકાંક પ્રમાણે 45 ક્રમ નીચે ઊતરવું જોઈએ. આ હકીકત અન્ય વિકસિત દેશોને પણ લાગુ પડી શકે.
નોર્વે 15, કેનેડા 40 અને ઓસ્ટ્રેલિયા 72 ક્રમ નીચા ઊતરી શકે. આપણા ગ્રહના પર્યાવરણીય સુરક્ષાના મુદ્દાને લક્ષ્યમાં લઈએ તો લક્સમબર્ગ જેવા કદમાં નાનો છતાં ઉચ્ચ માથા દીઠ આવક ધરાવતો દેશ 131 ક્રમ નીચે ઊતરવો જોઈએ. આ બધા દેશો આ નવા અહેવાલથી ખુશ ન થાય.
અહીં કહેવાનો મતલબ એ નથી કે જે દેશો માનવ વિકાસ સૂચકાંકમાં અગ્ર સ્થાને છે, તેઓના ક્રમમાં પતન થશે. ઊલટાનું યુનાઇટેડ કિંગ્ડમ 10 અને ન્યુઝીલેન્ડ 6 ક્રમ આગળ આવી શકે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વહીવટી અધિકારીએ કરેલ આ અવલોકનમાં આ બદલાયેલ દ્રષ્ટિનું પ્રતિબિંબ પડે છે, જેમાં તેમણે કહ્યું, “નવા યુગમાં જીવિત રહેવા અને વિકાસ પામવા માટે આપણે પ્રગતિનો નવો રાહ કંડારવો જોઈશે, જે માનવી અને પૃથ્વીની પરસ્પરાધારિત નિયતિનો આદર કરે અને પિછાને કે જેમની પાસે વધુ (સંપત્તિ) છે તેઓ જેમની પાસે ઓછું (ધન) છે તેમનો વિકાના અવસરનો માર્ગ રૂંધે છે.”
માનવ વિકાસ અહેવાલના 30મા અંક : The Next Frontier : Human Development and the Anthropocene, (માનવ વિકાસ અને માનવ ઉત્પત્તિના અભ્યાસ) એક નવા અંગભૂત ઘટકની વાત કરે છે; દેશના કાર્બન ડાયોક્સાઇડના હવામાં ફેલાવાનું પ્રમાણ અને તેની આપણા રોજિંદા વપરાશની વસ્તુઓ પર પડતો પ્રભાવ. આ અહેવાલ એવું સૂચવે છે કે આપણે માનવ અને પૃથ્વી પરના તમામ જીવોના સ્વાસ્થ્યને સમાવી લે નહીં કે માત્ર માનવીને જ કેન્દ્રમાં રાખે તેવા વિકાસના માર્ગે નક્કર પગલાં ભરવા જોઈએ. એ માનવ તથા માનવેતર જીવસૃષ્ટિના સાતત્ય વિષે વાત કરે છે.
આપણે પર્યાવરણની સુરક્ષા કેટલી સમતાપૂર્વક કરી શકીએ છે તે મહત્ત્વનું છે. આ અહેવાલ માનવ સમાજ કેવો પર્યાવરણના વિનાશની ધારે આવીને ઊભો છે તે વિષે વાત કરીને આ સમસ્યાની તીવ્રતા અને તત્કાલીનતા પર ભાર મૂકે છે. આ અહેવાલમાં દુનિયામાં વધતું ઉષ્ણતામાન, વિનાશ પામતા જીવો, કુદરતી સંસાધનોંમાં થતો ઘટાડો, અને પ્રકૃતિમાં આવતા અસમતોલન જેવા જોખમો વિષે નિરાશાવાદી થયા વિના વિશદ ચર્ચા કરે છે. વિકલ્પ રૂપે નવા સામાજિક ધોરણો અને કુદરત આધારિત નવી ઉર્જા શક્તિ ઊભા કરવાના હલ શોધવા પડકાર ફેંકે છે.
કુલ ઉપશમનની જરૂરિયાતનો ચોથો ભાગ જંગલો ફરી વાવવાથી સંતોષી શકાય તેમ છે. આ અહેવાલ હવામાં ફેલાતા પ્રદૂષણ અને ઘટતા જતા પ્રાકૃતિક સ્રોતો માટે અસમાનતા અને નીતિ ઘડનારાઓના નિર્ણયને જવાબદાર ગણે છે. જગતની કુલ જનસંખ્યાના 1% સહુથી ધનાઢ્ય લોકો 50% જેટલા નિર્ધન લોકો કરતાં 100 ગણો વધુ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે. નવા અહેવાલ મુજબ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા નવા સામાજિક ધોરણોનો વિકાસ કરવો, આર્થિક પ્રલોભનો પૂરા પાડવા અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને હલ શોધવાનો છે. મોટી સંખ્યામાં લોકો પર્યાવરણની સુરક્ષાને પ્રગતિની ચાવી માનવા લાગ્યા છે, આબોહવાને રક્ષવા કર્મશીલોની વધતી સંખ્યા અને દુનિયા આખીમાં કાર્બનનો ફેલાવો ઘટાડવા થતા પ્રકલ્પોને કારણે આ અહેવાલ તૈયાર કરનારાઓને આશા બંધાઈ છે.
કોવિદ – 19ની મહામારીએ પણ આપણને પ્રાકૃતિક તત્ત્વોને પહેચાનવા અને કૃદરતને ધ્યાનમાં લઈને આગળ વધવા જાગૃત કર્યા છે. આ રીતે હલ શોધવાને કારણે આબોહવામાં આવતા બદલાવોનું ઉપશમન કરવામાં, આપત્તિકાળનું જોખમ ઘટાડવામાં અને પોષક ખોરાક તથા સ્વચ્છ પાણીની ઉપલબ્ધિ જેવા ફાયદાઓ થશે.
માનવ વિકાસનો અહેવાલ દરેક દેશને પોતાના દેશના મૂળ વતનીઓ અને સ્થાનિક સમાજના સભ્યો પાસેથી માનવ ઉત્પત્તિના નિયમોની મર્યાદામાં રહીને માનવેતર જીવો સાથે સુમેળથી રહેતા શીખવાની ભારપૂર્વક સલાહ આપે છે. એક મર્મભેદક સવાલ પણ તે પૂછે છે : “આપણે શું એક એવા પ્રાણીવર્ગના સમુચ્ચયના એવા અવશેષો મૂકી જઈશું કે જે ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોય, કાદવમાં અશ્મિભૂત થઈને દટાઈ ગયો હોય અને તેની બાજુમાં પ્લાસ્ટિકના ટૂથબ્રશ, પ્લાસ્ટિક બોટલનાં ઢાંકણાં પડ્યાં હોય? આપણી દેણગી નુકસાન કરેલી વેરાન ભૂમિની હશે? કે પછી વધુ મૂલ્યવાન પગલાંની છાપ મૂકી જઈશું કે જેમાં પ્રજાનો વિકાસ લોકો અને પૃથ્વી વચ્ચે સમતુલા જાળવીને થયો હોય, જેનું ભાવિ ન્યાયી હોય?
જ્યારે પર્યાવરણનો મુદ્દો માનવ વિકાસ સૂચકાંકમાં ઉમેરવામાં આવ્યો ત્યારે ભારત બે ક્રમાંક નીચે ઊતરી ગયું, પરંતુ તે તુરંતમાં ફરી ઊંચા ક્રમાંક પર આવી જશે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશે આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ હજુ ઘણા પાછળ છે.
મધ્ય પ્રદેશમાં સહુથી પ્રથમ માનવ વિકાસ અહેવાલ લાગુ કરવામાં આવ્યો. કર્ણાટકે તેનાથી એક ડગલું આગળ વધીને એક સરખું પદ્ધતિનું માળખું અને સમય સારણી તમામ જિલ્લાઓ માટે તૈયાર કરી આપ્યું.
ગુજરાતમાં પણ 33 જિલ્લાઓનો અહેવાલ તૈયાર થયો. ત્યાર બાદ સ્થનિક સરકારો પણ જોડાઈ, જેમાં મુંબઈ અને કેરાલાના ઇડુકી જિલ્લા પંચાયતનું કામ નોંધનીય છે. સ્થાનિક સરકારો પર્યાવરણને લાભકર્તા હોય તેવી નીતિઓ સ્થાનિક કક્ષાએ સફળતાથી ઘડી શકે.
મોટા ભાગના દેશોએ પર્યાવરણમાં આવતા બદલાવના મુદ્દાને હૃદયપૂર્વકનો સાથ ના આપ્યો હોવાને પરિણામે આ અહેવાલની અસર દરેક દેશના વહીવટી માળખા પર, નીતિ ઘડવામાં અને તે મુજબ આયોજન કરવા ઉપર કેવી થશે તે હજુ જોવાનું રહે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના 2020ના અહેવાલમાં કોવીડ – 19ની અસરનો સમાવેશ કરવામાં નથી આવ્યો. જ્યારે એ પરિબળને ઉમેરવામાં આવશે ત્યારે 2030 સુધીમાં સાધવાના લક્ષ્યાંકોને ધક્કો પહોંચશે. આમ તો ઘણી રીતે આ અહેવાલ આપણને જાગૃત થવાની હાકલ કરી રહ્યો છે. ગઈ સદીમાં જેની ભારપૂર્વક ભલામણ કરેલી તે ગાંધી અને જે.સી. કુમારપ્પાના આદર્શોને ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે તેમ સૂચવે છે.
(જ્હોન મૂલાકટ્ટુ – આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ વિભાગ કાસરગોડ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કેરેલાના પ્રાધ્યાપક, ISEC – બેંગલુરુ ખાતે વિકેન્દ્રીકરણ પર રામકૃષ્ણ હેગડે ચેરના પૂર્વ અધિકારી ડૉ. જોસ ચાથુકુલમ)
e.mail : 71abuch@gmail.com