“બાઇબલમાંનું એક સ્ત્રોત્ર, ‘વૃક્ષો પાસેથી શિક્ષા લો’ એ સહુના હૃદયમાં ઉતારવા યોગ્ય છે. વૃક્ષો સૂર્યનો આકરો તાપ સહન કરે છે અને આપણને શીતળતા આપે છે. પણ આપણે શું કરી છીએ?”
— એમ.કે. ગાંધી
– બાપુકે આશીર્વાદ, 01 ડિસેમ્બર 1944
“વૃક્ષો આપણી માફક જ જીવંત સૃષ્ટિ છે. એ આપણી જેમ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે. આપણી માફક તેમને પણ ઊંઘની જરૂર પડે છે. એ જ્યારે રાત્રિના આરામ કરતાં હોય ત્યારે ઝાડનાં પાંદડાં તોડવાં એ હલકું કામ છે.”
— એમ.કે. ગાંધી
‘યંગ ઇન્ડિયા’, 05 ડિસેમ્બર 1929
બહુ ઘણાં વર્ષોથી માનવ જાત સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. આખર આપણે પ્રકૃતિનું ઉત્તમ સર્જન છીએ એટલે બાકીની તમામ વસ્તુઓ આપણા ઉપભોગ માટે, તેનું શોષણ કરવા અને તેનો દુરુપયોગ કરવા માટે છે. આપણે દયાળુ હોવાનું ગૌરવ લઈએ છીએ, પણ એ દયા આપણી જાતના લોકો માટે, પોતાના સમૂહો માટે, આપણાં જેવાં સ્ત્રીઓ કે પુરુષો માટે અને ભારતીય હો તો પોતાની જ્ઞાતિના લોકો સુધી સીમિત હોય છે. બીજું કોઈ કે કશું મહત્ત્વનું નથી. આપણે પોતાની જાતને ખાતરી કરાવી દીધી છે કે આપણા સર્જનહારે આપણને સહુથી મોટા ગ્રાહક બનવા માટે જ નિર્માણ કર્રી છે અને બધી વસ્તુઓ આપણા વપરાશ અને આનંદ માટે જ છે.
સદીઓથી આપણે આપણા કુદરતી સ્રોતોની લૂંટ ચલાવી અને જે નથી વાપરતા તેને ઝેરી બનાવી દીધું, ગંદુ કરી મેલ્યું અને વિચાર્યા વિના પ્રદૂષિત કરી મૂક્યું. સદા અતૃપ્ત રહેતી લોભવૃત્તિને પરિણામે પૃથ્વીના વાયુ મંડળ(ઓઝોન લેયર)માં મોટું કાણું પાડી દીધું.
આપણી વિકાસ વિશેની વિભાવના જ સ્વાર્થી છે. આપણે નક્કી જ કરી લીધું કે માત્ર માનવ જાતને જ વિકાસ કરવાનો અધિકાર છે અને તે પણ બીજી બધી જીવસૃષ્ટિના ભોગે. આપણા મહાનગરો કુદરતી ભૌગોલિક સમૃદ્ધિ અને અન્ય જીવો સાથેના જૈવિક સંબંધોના વિનાશ ઉપર જ રચાયાં છે. આવી કુદરતી સંપદાનું નિર્માણ થતાં યુગો થયા, પરંતુ તેનો નાશ થોડાં વર્ષોમાં થઇ ગયો. આપણે નાળાંઓને સુકવી દીધાં અને ખબોચિયાં પૂરી દીધાં. આપણે દરિયાના છીછરા ભાગ, અખાત, ખાડીઓ અને કળણો પૂરીને જમીન બનાવી કાઢી. આપણી અમર્યાદિત ભૂખને સંતોષવા એક જ પ્રકારનું અનાજ પેદા કરતાં ખેતરોને પાણી મળી રહે અને દિન બ દિન વધતી રહેતી અને કદી ન સંતોષતી એવી વીજળીની ભૂખને સંતોષવા આપણી નદીઓ પર બંધ બાંધીને તેને હાનિ પહોંચાડી. આપણે પેટાળમાંનાં પાણીના ભંડારને વાપરીને ખતમ કરી નાખ્યા તે આપણી તરસ છીપાવવા નહીં, પણ બે ગેલન પાણી વાપરતા ટોયલેટના ફ્લશ માટે.
અશ્મિલ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)ની શોધની સાથે જ આપણે માત્ર આપણા કુદરતી સ્રોતોનો જથ્થો જ ન ઘટાડ્યો, પણ આપણી ધરતીના નઝારાની સુંદરતા નાશ પામી, જળાશયો અને ખુદ હવા પણ પ્રદૂષિત થયા. જ્યારે પણ આપણે વિકાસની દિશામાં એક કદમ આગળ વધ્યા, ત્યારે પ્રકૃતિ અને અન્ય જીવસૃષ્ટિનો ભોગ લેવાયો છે કે જેને આપણા જેટલો જ જીવવાનો અને ટકી રહેવાનો અધિકાર છે. પરંતુ આપણે તેની જરા પણ તમા નથી કરતાં. આપણે તો ઉત્તમ યોનિમાં જન્મ લીધો છે, સૃજનકર્તાનું ઉત્તમ સર્જન!
‘વિકાસ’ની કિંમત
આપણે જો માત્ર આપણા દેશ અને પોતાના શહેરની જ વાત કરવા જઈએ તો દૂર જોવાની જરૂર નથી. ‘વિકાસ’ એ છેલ્લા થોડા દયાકા દરમ્યાન ખૂબ જ લોકપ્રિય થયેલું સૂત્ર છે. જરા થોભી જઈને વિચારીએ કે આપણા ઝડપી વિકાસની લાલસાને પરિણામે આપણે આપણી પ્રકૃતિ માતાની ધરોહરની કેટલી કિંમત ચૂકવી છે અને તેનું મૂલ્ય બધા પ્રકારનાં અન્ય જીવોએ પણ ચૂકવવું પડ્યું છે.
પશ્ચિમ ઘાટ એક મહત્ત્વના સૃષ્ટિમંડળ તરીકે ઓળખાય છે, જ્યાં હજુ ઓળખવાના બાકી હોય તેવાં અસંખ્ય જીવો પોતાનું ઘર બનાવીને રહે છે. પણ આપણે તેમની સંભાળ લઈએ છીએ? આપણે રસ્તાઓ પહોળા કરવા છે, કેમ કે આપણને દૂર સુધી અને ઝડપથી સફર કરવી છે. આપણને વધુ ટ્રેઈન જોઈએ છે, એટલે પર્વતોને દારૂગોળાથી ઉડાવી દઈને એ જમીનને સપાટ કરવી જોઈશે, તેમાં સુરાખ પાડીને માર્ગ કાઢવો પડશે. કેટલીક જીવસૃષ્ટિ માટે એ પર્વતો અસ્તિત્વ ટકાવી રાખવાનું ઠેકાણું હોય તે આપણા માટે મહત્ત્વનું નથી. એ પર્વતોને જમીનદોસ્ત કરીને કેટલાંક જીવો અને વનસ્પતિઓનું નામ નિશાન ભૂંસી નાખીએ તેનો કશો વાંધો નહીં. મહત્ત્વનું એ છે કે મુંબઈ અને પણજી વચ્ચેની મુસાફરીનો સમય થોડા કલાક જેટલો ઓછો થાય.
હાલમાં આપણે આપણી વીજ શક્તિની પ્યાસને બુઝાવવા અણુ વીજ મથક અને ખનીજ તેલનાં કારખાના આ નાશ પામતા સૃષ્ટિમંડળમાં બાંધવા માંગીએ છીએ. જો સમુદ્રો ઝેરી બની જાય, જંગલો વસ્ત્રવિહીન થઇ જાય અને હજારો જીવસૃષ્ટિનાં જાન લેવાઈ જાય તો પણ ભલે. આપણે આપણા લૅપટૉપ અને સ્માર્ટ ફોન અને નવી ‘રિસ્પોન્સિબલ’ વીજળીથી ચાલતી કાર ચાર્જ કરવા છે.
શહેરીકરણનું સ્વપ્ન દુઃસ્વપ્નથી અગ્રક્રમે આવે છે
મારા શહેરને મેટ્રો રેલની જરૂર છે, તેથી હજારો વૃક્ષો કાપી નાખવાં બરાબર છે. એ કંઈ સામૂહિક હત્યા નથી, કેમ કે વૃક્ષો એ જીવિત સૃષ્ટિ છે તેમ હું નથી સ્વીકારતો. વૃક્ષો આ ધરતી પર હજારો વર્ષથી રહેતાં આવ્યાં હોય તો શું થયું? હવે મારે આ વિસ્તરની જરૂર છે જેથી મારા લોકો ઝડપી વાહનવ્યવહારની મજા માણી શકે. એ સૂક્ષ્મ જીવો, જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ કે જે એ જંગલને પોતાનું ઘર માનીને જીવતાં હતાં તેની કશી વિસાત નથી. એ ઝાડ-પાન, ફૂગ, શેવાળ, ઘાસ એ બધાનું કશું મહત્ત્વ નથી. એ મારા શહેરનાં ફેફસાં છે ખરાં, પણ મારી જમીન મેળવવાની લાલસા મારી પ્રાણવાયુ મેળવવાની જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વની છે.
મારા શહેરમાં કારની માલિકી ધરાવનારાઓ વાહનોથી ચિક્કાર ભરાઈ ગયેલા રસ્તાઓથી પરેશાન થાય છે, અને તેમનો આવન-જાવનનો સમય વધતો જાય છે. એથી જ તો પરાંઓને જોડતી રેલ અને મેટ્રો નેટવર્ક બાંધું તો શું થઇ ગયું? ઉચ્ચ વર્ગ તરફ કૂચ કરતો મધ્યમ વર્ગ અને ધનિક લોકોને પોતાની અંગત કાર ચલાવવાની પણ જરૂરિયાત છે. મારે વધુ અને પહોળા રસ્તાઓની અને દરિયા કિનારે ફ્રીવેની પણ જરૂર છે.
સદીઓથી મારું શહેર માછીમારોથી વસેલું હતું, જેઓ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પેદા થતી મચ્છીઓ પકડીને ગુજરાન ચલાવતા હતા, હવે મારે એમની પરાંપરાગત માલિકીની વિશાળ જમીન અને દરિયાનો પણ થોડો ભાગ સુંદર રસ્તાઓ બનાવવા માટે જોઈએ છે. આથી વધુ દરિયાનો ભાગ કબજે કરવો જ જોઈશે, વધુને વધુ કળણ વાળી જમીન સુકવી નાખવી જોઈશે, હજુ વધુ ઉષ્ણ કટિબંધની વનરાજીનો નાશ કરવો જોઈશે. આ ઉષ્ણ કટિબંધની વનરાજીમાં ઘણાં દરિયાઈ જીવો ઉછેરે છે અને તેનો નાશ થવાથી પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ વનસ્પતિ અને જીવો સદંતર નાશ પામશે, પણ તેનો કશો વાંધો નહીં. પરંપરાથી આ કાંઠા વિસ્તારમાં રહેતા આવેલા લોકો વિસ્થાપિત થઇ જશે અને પોતાની આજીવિકાના સાધનો ગુમાવશે તેનું કોઈ મહત્ત્વ નથી.
ઉષ્ણ કટિબંધની વનરાજીનાં જંગલો કાંઠા વિસ્તારને ધોવાઈ જતા અટકાવે છે, એ જાણતા હોવા છતાં તેનો નાશ થાય તો કંઈ વાંધો નહીં. જો એમ બનશે તો હું દરિયામાં કદરૂપા સિમેન્ટ કોંક્રિટના સ્તંભો નાખીશ, પરંતુ આ ઉષ્ણ કટિબંધની વનરાજી તો નાશ કરી શકાય તેવી છે. જો જળસૃષ્ટિના કેટલાક વર્ગોનાં પ્રાણી, થોડા પરવાળાના ખડકો અને દરિયા કાંઠાના વિસ્તારમાં જીવતાં થોડાં હજાર સૂક્ષ્મ જીવાણુંઓ લુપ્ત થઇ જાય તો તેનું મહત્ત્વ નથી. માત્ર મારી મહત્તા છે. મહત્ત્વનું એ છે કે મારો બોરીવલીથી નરીમાન પોઇન્ટ સુધીની સફરનો સમય અર્ધા કલાક જેટલો ઓછો થાય.
આપણે આટલાં સ્વાર્થી થઇ ગયાં છીએ. આપણા લોભને સંતોષવા પાછળ આપણે પ્રકૃતિના આ નિયમને વિસરી ગયા છીએ : તમામ જીવો એકબીજાં સાથે સંકળાયેલાં છે, કશું જ તદ્દન સ્વતંત્ર નથી. ઉત્ક્રાંતિની પ્રક્રિયા સાબિત કરે છે કે આપણું અસ્તિત્વ એવા ઘટકો પર આધારિત છે જેમાં અન્ય જીવસૃષ્ટિનો ફાળો હોય. જ્યારે એ જીવો નાશ પામે ત્યારે પત્તાના મહેલની માફક બધાં જીવોના વિનાશની અસર આપણા ખુદના વિનાશ સુધી આવી પહોંચશે. આપણને એ પણ જાણ નથી કે આપણે એ પત્તાના મહેલમાં છેલ્લી હરોળમાં હશું કે ક્યાંક વચ્ચે ફસાયેલા હશું.
આપણા અહંકારે આપણા અસ્તિત્વનું સાતત્ય બીજાં તમામ જીવોની સુરક્ષા પર આધારિત છે એ હકીકત પણ તદ્દન ભુલાવી દીધી છે. બધાં પ્રકારનાં જીવોનું મહત્ત્વ છે કેમ કે આપણું મહત્ત્વ છે.
આપણે એક માત્ર એવાં જીવો છીએ જેને પોતાના વારસાની જાળવણી સાથે નિસબત છે. અને છતાં આપણું જીવન માત્ર વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. આપણે આપણી 5,000 વર્ષ જૂની સભ્યતા પર ગૌરવ લઈએ છીએ, પરંતુ આપણો વારસો સાચવવાની કંઈ તમા નથી.
એવા સમાચાર મળ્યા છે કે વર્ધાથી સેવાગ્રામ – કે જ્યાં મહાત્મા ગાંધીનો આશ્રમ છે એ માર્ગમાં આવતાં 300થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેથી એ રસ્તો પહોળો કરી શકાય. કારણ : આશ્રમ જોવા આવનારાઓ માટે સુગમતા વધે. સરકારને એ વાતની મહત્તા નથી સમજાઈ કે જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે તે ખુદ ગાંધી અને એમના સાથીઓએ જ વાવ્યાં અને ઉછેર્યાં હતાં જેથી વર્ધાથી સેવાગ્રામ ચાલીને આવતા મુલાકાતીઓને તેની છાયામાં બેસી શકે. એ વિશ્રાંતિનું સ્થાન બને.
ગાંધીએ સેવાગ્રામ સુધીની મુસાફરીને આરામદાયી બનાવવા આ વૃક્ષોને કાપી નાખવાની અનુમતિ ક્યારે ય ન આપી હોત.
ગાંધીએ કહેલું, ઝાડ પરથી એક પાન પણ તોડવું એ ગુનો અને પાપ છે. પરંતુ આજે તેમણે જ વાવેલાં વૃક્ષો વિકાસનાં નામે કાપવામાં આવી રહ્યાં છે.
તુષાર ગાંધી : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર. કર્મશીલ, લેખક અને ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ.
તસવીર સૌજન્ય : વિકિમીડિયા, પિકિસ્ટ
e.mail : 71abuch@gmail.com
મૂળ અંગ્રેજી લેખની લિંક :
http://www.allindiansmatter.in/what-we-destroy-in-the-name-of-development/