છેલ્લાં નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયાં છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે
સૌથી પહેલાં તો સૌને દિવાળીની ખોબલે ખોબલે શુભેચ્છાઓ. સારા દિવસે કોઈને વખોડવા નહીં એમ કોઈએ ન શીખવ્યું હોય તો પણ ખબર તો હોવી જ જોઈએ. આ કેમ કહ્યું એનો અંદાજ લેખ પૂરો વાંચી લેશો ત્યાં સુધીમાં તો આવી જ જશે. અત્યારે જે પેઢી તેની ચાળીસ પાર કરી ચૂકી છે, અથવા જે પેઢી પચ્ચીસ પછીના દાયકામાં પ્રવેશી રહી છે તે તમામને માટે દેશમાં પરિવર્તનના માહોલ જોવાનો લાહવો છે. આ ચોક્કસ દાયકાનો ઉલ્લેખ એ માટે કે એક પેઢીને બે-ત્રણ દાયકામાં પ્રવૃત્ત કામગીરીમાં ગતિ ઘટાડવાની છે તો બીજી પેઢીને આગામી બે-ત્રણ દાયકામાં વધુ કાર્યરત થવાનું છે, તેમાં ય ખાસ કરીને વ્યવસાયિક સ્તરે. આપણો દેશ, આખી દુનિયા મોટા પાયે પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે – ક્યાંક ખૂબ જ સારા તો ક્યાંક ખરાબ તો ક્યાંક બહુ જ ખરાબ. ગમે કે ન ગમે આપણે બધા જે પણ થઈ રહ્યું છે તેના મૂક અથવા તો કોઈ ન સાંભળતું હોય એવો બબડાટ કરનારામાં શ્રોતાઓ કે દર્શકો કહો તો એમ – એ સમુદાયમાં ગણાઈએ જ છીએ. સરકારોની તેજી મંદી અને માર્કેટની પણ તો સાથે યુદ્ધો, આકરા વિશ્લેષણ અને વિરોધીઓના કાવાદાવા, અર્થતંત્રના બદલાવ, પર્યાવરણના બદલાવ આ બધું જ આપણે જીવી રહ્યા છે, આપણી સમાંતર ચાલી આ બધું જ ચાલી રહ્યું છે.
આ બધાની વચ્ચે એક નામ છે નરેન્દ્ર મોદી – આપણા વડા પ્રધાન – એમના શાસનને આવતા વર્ષે દસ વર્ષ પૂરાં થશે અને એમાં બીજા ઉમેરાશે એવું તો લોકો સમ ખાધા વિના ય પૂરી ખાતરીથી કહે છે. આ નામે ગામ ગજવ્યું છે, ગમતું – ન ગમતું, ગળે ઉતરી જાય એવું, ગળે ડચૂરો ભરાય એવું બધું જ કરીને જાણે ‘આર્ટ ઑફ વૉર’વાળા પુસ્તકની ફિલસૂફીથી રાજકારણની શતરંજમાં સતત ધુંઆધાર ચાલ રમતાવનું તેમણે નક્કી જ રાખ્યું છે. અણનમ નરેન્દ્ર મોદીને તેમના આ અભિગમ માટે સલામ તો ભરવી જ રહી.
થોડા વખતે પહેલાં એક હેશટેગ ટ્રેન્ડ થયો જે હતો #9YearsOfGatiAndPragati – ગતિ અને પ્રગતિનાં નવ વર્ષ. છેલ્લા નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયા છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે. જ્યાં ખાનગી સાહસ સાથે ભાગીદારીની જરૂર પડી ત્યાં એમ કરાયું તો જ્યાં કેન્દ્ર સરકારે પોતાની રીતે કામ કરવાનું નક્કી કરેલું ત્યાં એ રીતે કામ કરવામાં આવ્યું. સતત નવું, જે પણ થાય તે વૈશ્વિક ધોરણની ગુણવત્તાને સમાંતર જ હોય એવું કામ કરવામાં મોદી સરકારે પાછળ વળીને નથી જોયું. સાથે ધર્મનું જે પત્તું હંમેશાંથી ભા.જ.પા.ને ફળ્યું છે તે નાના પાયે ખેલવાનું નેવે મૂકીને નક્કર કામગીરી રૂપે કાશી વિશ્વનાથ, કેદારનાથ, સોમનાથ, ચાર ધામ પ્રોજેક્ટ, કાશ્મીરમાં મંદિરોનો પુનરુદ્ધાર, વિદેશોમાં મંદિરોની સ્થાપના બધાંની સાથે અયોધ્યા રામ મંદિરની વિચારને વાસ્તિવકતામાં ફેરવી દેવામાં આવ્યો. 2024ની ચૂંટણીમાં કોઈ કસર છોડવી ન હોય એ રીતે કેન્દ્ર સરકારે કામગીરી ચાલુ રાખી છે. વળી બધાં જ પ્રોજેક્ટ નાના ગાળાના નથી, લાંબા ગાળાના છે અને તે ચાલે પણ લાંબા એ પ્રકારના જ છે – એટલે સઘળું માત્રને માત્ર ચૂંટણી લક્ષી જ છે એમ કહેવું પણ અયોગ્ય રહેશે. કેટલાક એવા પ્રોજેક્ટની ટૂંકમાં વાત કરીએ જેને લઈને લોકોને અપેક્ષાઓ અને આશ્ચર્ય બન્ને રહ્યા છે.
વિકાસ અને ધર્મ સાથે ગર્વ જોડી શકાય એ રીતે કેન્દ્ર સરકારે કામ હાથે લીધા છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ હશે. હવે ભારતમાં આવી અજાયબી હશે એવી કલ્પના કરવી પણ એક સમયે મુશ્કેલ હતી. આ બ્રિજને એન્જિનિયરિંગ માર્વેલનું લેબલ તો અત્યારથી જ મળી ગયું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેનારા તમામ ત્યાંની સવલતના વખાણ કરતાં થાકતાં નથી. ભલેને ટિકિટ વગેરેના ગોટાળાની વાતો સમાચારમાં ચગે, મુલાકાતીઓને માટે પોતાની સગવડની ઉપર બીજો બધો ઘોંઘાટ જ હોય છે અને એ પણ સત્તાએ બેઠેલાઓ ખૂબ સારી પેઠે જાણે છે. બ્રહ્મપુત્રા નદી પર બનેલો બોગબીલ બ્રિજ એ એશિયાનો બીજો સૌથી લાંબો રેલ – રોડ પ્રોજેક્ટ છે જેને કારણે આસામના ટિન્સુકિઆ અને અરુણાચલ પ્રદેશના નહારલગુન વચ્ચેના પ્રવાસમાં દસ કલાકથી વધુ સમય બચે છે. ૧૦,૦૦૦ ફૂટે આવેલી, નવ કિલોમિટરથી લાંબી અટલ ટનલ મનાલી અને લાહૌલને જોડે છે – આ ટનલને આટલી ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી સિંગલ ટ્યૂબ હાઇવે તરીકે વર્લ્ડ બેંકે નોંધી છે. ટનલના કૂલ 144 પ્રોજેક્ટ્સ છે જે યાત્રાના પ્રવાસમાં જે સમય લાગતો હશે તેમાં મોટો ઘટાડો કરી દેશે. આ ઉપરાંત કેદારનાથમાં આદિ શંકરાચાર્યનું 12 ફૂટની મૂર્તિ હોય, મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમા હોય કે પછી 700 કરોડના ખર્ચે બનેલું કાશી વિશ્વનાથ કોરીડૉર હોય નરેન્દ્ર મોદીની સરકારે – એટલે કે મોદીના નેતૃત્વ હેઠળ ભા.જ.પા.ની સરકારે સંસ્કાર, સંસ્કૃતિ, વારસો, વિકાસ, માળખાંકીય સવલતોથી માંડીને બધું જ જાણે ટિક કરી દીધું છે. કશું ય બાકી ન રહી જવું જોઈએ. વળી લોકોની નાડ પારખી લેનારા, લોકોને કેવા નેરેટિવની જરૂર છે એ સમજનારા નરેન્દ્ર મોદીએ નવું સંસદભવન પણ બનાવ્યું તો સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા ઇન્ડિયા ગેટ પર શોભશે એવી જાહેરાત પણ કરી દીધી.
લદાખની ઊંચાઈએ રેલવે ટનલ, અમદાવાદ – મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન્સ, મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ ઉપરાંત અનેક હાઇડ્રોઇલેક્ટ્રિક બંધ, હાઇ સ્પીડ ટ્રેન્સ, પાવર પ્રોજેક્ટ્સ, નદીના નેવિગેશન પ્રોજેક્ટ, સોલાર પાવર હબ્ઝ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ પર સતત આખા દેશમાં ક્યાંકને ક્યાંક કામ ચાલી રહ્યું છે. 12 મોટા બંદરો, 200 નાના બંદરો દેશની 7,500 કિલો મિટરની કોસ્ટલાઈનને સમાંતર વિકસી રહ્યા છે, અને અમુક તો ઑપરેશનલ પણ છે. સાગરમાલા પ્રોજેક્ટ – બંદરોના વિકાસના પ્રોજેક્ટ પાછળનો હેતુ છે વ્યાપારની લોજિસ્ટિક કિંમતો ઓછી કરવી. આ પ્રોજેક્ટ બે-ચાર વર્ષનો નથી, સ્વતંત્ર ભારતને 100 વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં આ બધું પાર પડ્યું હશે.
સરકાર આધુનિક રીતે ગતિશીલતાના માળખા સતત ઉમેરો થાય, તેની ગુણવત્તા સારી હોય તે બનાવવામાં સ્વાસ્થ્ય, સલામતી, આર્થિક અને સામાજિક મૂલ્યો, પર્યાવરણ, સસ્ટેનેબલિટી તમામ સાથે સંતુલન સાચવી લેવાય તેની તકેદારી રાખીને કામ કરી રહી છે.
કુલ 131 એરપોર્ટ્સ, જેમાંથી 29 આંતરરાષ્ટ્રીય, 92 ડૉમેસ્ટિક અને 10 કસ્ટમ એરપોર્ટ્સ અત્યારે કાર્યરત છે અને 21 બીજા ગ્રીન ફિલ્ડ એરપોર્ટને આ વર્ષે આ વર્ષે જૂન સુધીમાં ઇન-પ્રિન્સિપલ માન્યતા મળી ચૂકી છે. જી.ડી.પી.ના 3.3 ટકા એટલે કે 10 લાખ કરોડ 2023-24ના બજેટમાં માળખાંકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ યોગ્ય પ્રોજેક્ટ્સમાં થાય એ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે તે વર્તાઈ રહ્યું છે.
દિવાળીને ટાણે એ હકીકત બિરદાવવી રહી કે ભારતની પ્રગતિનું રોકેટ સડસડાટ આગળ વધી રહ્યું છે. યોજના અને અમલીકરણની ગતિ વચ્ચે સંતુલન છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની શકલ-સૂરત બદલવા પર એડી ચોટીનું જોર લગાડીને કામ થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્તરે મજબૂત અને મોટી આર્થિક સત્તા તરીકેનું લેબલ 2047માં લાગે એની તૈયારીમાં કેન્દ્ર સરકાર કોઈ કચાશ નથી છોડી રહી અને તેમાં પૂરી સફળતા મળે તેવી શુભેચ્છા સાથે દિવાળીની શુભકામનાઓ.
બાય ધી વેઃ
રેલ અને રસ્તા પર થતા બેફામ અકસ્માત, પર્યાવરણમાં ન ગમે તેવો બદલાવ, રાજકીય સ્તરે ઊહાપોહ, પૂર્વગ્રહો, આક્ષેપો અને બચાવ, સ્મોગ, ટ્રાફિક, મોંઘવારી, ખેડૂતોની જમીનો જવી એવું બધું પણ થાય છે, થશે પણ સરકાર પ્રયત્નશીલ તો છે જ કે સૂકા ભેગું લીલું બળવાના મામલે જરાક તો નિયંત્રણ રખાય, કંઇક તો એવું હોય જેને લઈને દર્દ કે ફરિયાદના પોકારો કોઈ ન નાખે. કશું ય રાતોરાત નથી થતું, રાજકારણ કોઈ સંતના આશ્રમમાં થતી કામગીરીઓથી ન ચાલે એટલે ન ગમતું ગળે ઉતારીને પણ અમુક બાબતો સ્વીકારને આગળ વધવામાં મનમાં દિવાળીનો પ્રકાશ રાખીને, એક સાચા, સારા, કર્તવ્યનિષ્ઠ અને નૈતિક નાગરિક બનીશું તો રાજકારણીઓને પણ વધુ સર્તક રહેવાની ફરજ પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023