એક જેલમાં છે અને એકનું ઘર-ઓફિસ કાટમાળ બની ગયું છે. એક ચોર-ઉચ્ચકી સ્ત્રીઓ વચ્ચે કોટડીમાં છે, અને એક બીજી પોલીસ અને કમાન્ડોથી ઘેરાયેલી છે. એકની હત્યા અને હવાલાના મામલે પૂછતાછ બાકી છે, અને બીજી સામે અધ્યયન સુમન સાથે ડ્રગ્સની આપલેની વાતો બદલ પોલીસ તપાસ માથા છે. રિયા ચક્રવર્તી અને કંગના રનૌત જિંદગીના જે પડાવ પર અત્યારે છે, તેનો તેમને અંદાજ નહીં હોય. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેમને એ પણ કલ્પના નહીં હોય કે તે જ્યારે તેમની જિંદગીનો આ પડાવ છોડીને આગળ વધી જશે, ત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં હશે. ભવિષ્યમાં એ જ્યાં હશે, તે આજના કરતાં સારું હશે કે બદતર?
૯મી સપ્ટેમ્બરે કંગના જ્યારે મુંબઈ આવી, ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઇ હતી, જે બે વિરોધાભાસી જિંદગીનું પ્રતિક હતી; એક તસવીરમાં નશાબંધી વિભાગ સમક્ષ બયાન આપવા માટે ઉપસ્થિત થઇ ત્યારે મીડિયાકર્મીઓનાં ટોળાં વચ્ચે ઘેરાઈ ગયેલી રિયા ચક્રવર્તી હતી, તો બીજી તસવીરમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ બહાર સી.આર.પી.એફ.ના જવાનોની ઘેરાબંધી વચ્ચે બહાર નીકળતી કંગના રનૌતની હતી.
બે યુવાન અને આશાસ્પદ સ્ત્રીઓની પ્રવર્તમાન પરિસ્થિતિનો આ વિરોધાભાસ દેશના લોકોની નજરમાંથી ચુકાયો ન હતો. બંને એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ હતી, જે ક્યારેક તેમનો રખેવાળ હતો. બંને મધ્યમ વર્ગની તેજસ્વી છોકરીઓ હતી, જેમને નામ અને દામની ભૂખ હતી. બંનેની આસપાસ એવા લોકો હતા, જેમને ખરાબ તો નહીં, પણ અનુચિત તો કહી શકાય. સિનેમાની દુનિયાની ઝગમગાટમાં તેમને સંબંધોની નકલી ચમક ના દેખાઈ. એક આજીવન કલંક લઈને જેલમાં છે અને બીજી બોલીવુડનાં કલંક ધોવા માટે મેદાને પડી છે. એકની જિંદગી 'બિહારના સપૂત'ના અપમૃત્યુથી અત્યારે નરકમાં છે, બીજી શાસનના સમર્થનથી તેના જીવનમાં સ્વર્ગ બનાવવાની આશા રાખે છે.
એક આશાસ્પદ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળ અવસાન બે સ્ત્રીઓ માટે અણધાર્યા પરિવર્તનનું કારણ બન્યું છે, જેની પાછળ દેશની ક્રૂર રાજનીતિ, મીડિયાની ટી.આર.પી. ભૂખ અને સમાજની પછાત માનસિકતાનો બિહામણો પડછાયો છે.
મીડિયામાં અને આમ જનતામાં એક વર્ગ છે, જે બંને યુવતીઓને 'બહાદુર' ગણે છે, જેનાં કારણો ગેરવ્યાજબી હોઈ શકે. રિયા અપરાધી હોય, તો તેને સજા થવી જ જોઈએ, પણ મીડિયાએ તો તેને પહેલેથી જ અપરાધી જાહેર કરીને જે બદ્દસલુકાઈ કરી છે, તે કોઈ પણ સભ્ય પરિવારમાં સ્વીકાર્ય નહીં હોય. ટી.વી. મીડિયાની અનુચિત ટ્રાયલ અને સોશ્યલ મીડિયાના અણછાજ્યા આરોપો વચ્ચે રિયાએ તપાસકર્તા એજન્સીઓને જે શાલીનતાથી સહકાર આપ્યો છે, તે સાહસ માગી લે છે.
કંગના પૈદાઈશી બળવાખોર છે. રૂઢિચુસ્ત અને કંઇક અંશે ક્રૂર પરિવારથી છેડો ફાડીને તે ખુદના દમ પર આ ઊંચાઈ પર પહોંચી છે. એ યાત્રામાં એ જખ્મી થઇ હતી. જે વરુઓ આજે રિયાને ફરી વળ્યા હતા, તે જ વરુઓ ત્યારે કંગનાની આજુબાજુમાં હતા. કંગના સાચા અર્થમાં પથ્થર પર પગ મારીને પાણી કાઢવાવાળી છે. હિમાચલના નાના ગામડાની હતી. અંગેજી તો ઠીક, સરખું હિન્દી બોલતા પણ આવડતું ન હતું. તેના ઉચ્ચારોની મજાક થતી હતી. દેખાવડી હતી, એટલે લોકો આગળપાછળ ફરતા હતા, જેને કંગનાએ હિતેચ્છુઓ ગણી લીધા હતા. તેની કહાનીઓ અને ગોસિપ બહુ જાણીતી છે.
કોઇ પણ નાદાન છોકરી એમાં લપસીને બરબાદ થઇ જાય, પણ એ બધા વચ્ચે કંગનાએ તેના પરફોર્મન્સ પર નજર ખોડી રાખી. તેને એ ખબર હતી કે તે એકટર છે અને છેવટે તો માત્ર તેની એકટીંગની જ ગણતરી થવાની છે. એમાંથી એ ભ્રમિત ના થઇ અને એટલે જ એ 'ક્વીન' બની. કાંગનાને સફળતાનું સુખ મળ્યું? કદાચ ના.
એની નકારાત્મકતામાં ઔર ઉમેરો થયો. તેની જખ્મી ચેતનાના ઘા રૂઝાવાને બદલે વકરતા રહ્યા. એને 'રંજાડનારા' અને તેનું 'શોષણ' કરનારાઓને તે ભૂલી ન હતી. 'પંગો' લેવો તેની વૃત્તિમાં હતું. તેણે સૌથી પહેલીવાર તેના પિતા સાથે ૧૫ વર્ષની ઉંમરે 'પંગો' લીધો હતો. તેના પિતાને કંગનાને તેના 'અનુચિત' વ્યવહાર માટે લાફો માર્યો હતો અને કંગનાએ કહ્યું હતું કે ફરી હાથ ઉપાડ્યો તો હું ય લાફો મારી દઈશ. પિતાને તેને ઘરમાં ચાલ્યા જવાનું કહ્યું અને કંગના એક રૂપિયો લીધા વગર નીકળી ગઈ હતી.
બોલીવુડને જાણનારાઓ, આજના અને વીતેલા સમયના, તેને ક્રૂર દુનિયા કહે છે. અહીં બધા જ સંબંધો સ્વાર્થના છે. અહીં સફળતા અને નિષ્ફળતાને દિલ પર લેવાનું પરવડે તેવું નથી, પણ એવું ક્યા વ્યવસાયમાં નથી? બોલીવુડમાં આવીને કંગનાના જૂના જખ્મો ઔર વકર્યાં છે. એ કહે છે તેને બોલીવુડમાં ખરાબ અનુભવ થયા છે. હકીકત એ પણ છે કે તેની કારકિર્દી પણ એટલી જ નક્કર બની છે.
જે હિન્દી સિનેમાએ તેને પ્રતિષ્ઠા, પ્રેમ અને પૈસો આપ્યો છે, તે જ દુનિયાના લોકોના ‘સ્વાર્થી’ વ્યવહારને તે ભૂલી નથી. કંગનાને સંતોષ ઓછો અને ફરિયાદો બહુ છે. તેને બદલો લેવો છે. તેણે હિંમતથી ‘પંગો’ લીધો છે અને તેની આજુબાજુ અનુકૂળ લોકો ભેગા થઇ ગયા છે. તેનામાં હિંમત તો હતી જ, હવે તેને સમર્થન પણ મળ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી રિયા ચક્રવર્તી પર તો ફોકસ બહુ પાછળથી આવ્યું, પણ કંગનાએ સૌથી પહેલાં બોલીવુડમાં નેપોટિઝમ(સગાં-વહાલાંવાદ)નો મુદ્દો છેડ્યો હતો અને સુશાંતને ‘બોલીવુડવાળા અને બોલીવુડની બહારવાળા’ ભેદભાવનો શિકાર ગણાવ્યો હતો. એ તો બિહારમાં ચૂંટણીના કારણે આખી વાત ‘બિહારના સપૂત’ને ન્યાય અપાવવાના નામે મહારાષ્ટ્રની શિવસેના-કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સરકાર સામેનું યુદ્ધ બની ગઈ અને નેપોટિઝમ બાજુમાં રહી ગયું. એમાં કંગનાને નવો ઢાળ મળ્યો છે અને બોલીવુડમાં જે કંઈ ખરાબી છે, તેની સફાઈ કરવાનું મિશન હાથ ધર્યું છે.
આ સાફ-સફાઈમાં કંગનાએ સૌથી પહેલાં રિયા ચક્રવર્તીની જ મદદ કરવી જોઈએ, કારણ એ પણ કંગનાની જેમ જ આ દુનિયામાં નામ અને દામ કમાવા આવી હતી.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020
[રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલ પરેથી સ-આદર સાભાર]