= = = = આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે. = = = =
= = = = ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી – સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. = = = =
કોરોના-કાળ વિકરાળ બની રહ્યો છે અને ખાતરી છે કે વિકરાળથી વિકરાળ થવાનો છે.
ક્રૂર મજાક – બ્લૅક હ્યુમર – તો એ છે કે કોરોનાનો સીધો શિકાર થવા બહાર ભમો કે કોરોનાને ઘણું અઘરું પડે એ માટે ઘરમાં રહો.
ઘરમાં જ રહેવાય ને એમ જ જીવવું પડશે. અને એમ જીવવા માટે જરૂર છે, માત્ર ખોરાક-પાણીની. એ મળતાં રહે એથી મોટી જરૂરિયાત એકેય નથી. સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ બાબતે દોડાદોડી થવાની. પણ ધીમે ધીમે એમ થવાનું કે ઘરમાં જેટલું છે એટલાથી ચલાવી લઈએ, ઓછું હશે તો ચાલશે, નહીં હશે તો પણ ચાલશે … મને-કમને ચિત્ત એ દિશામાં ઢળી જવાનું.
એવી મનોદશાને ‘લાચારી’ કહેવાય કે ‘આત્મસંતોષ’? જે કહેવાય એ; ભાષાની ભાંજગડમાં પડવાનું ય ક્રમે ક્રમે નહીં ગમે. આજે મને ‘રાજયોગીની દાદીજીનું અવસાન’ એમ વાંચવા મળ્યું. અર્થ એ કે કોઈ રાજયોગીની દાદીજીનું અવસાન થયું છે. ખરેખર તો, ‘રાજયોગિની’ દાદીજીનું અવસાન થયું છે. ‘ઇ’ નાની કે ‘ઈ’ મોટી-ની જરૂરી ચિન્તાઓ પણ ધીરે ધીરે નકામી લાગવાની.
જાતે સ્વીકારેલા અલગાવના આ કઠિન દિવસોમાં એ પણ સ્વાભાવિક છે કે આપણે ફિલ્મો જોઈએ, સીરિયલો જોઈએ; બચ્ચન, શાહરુખ, દીપિકા ને કૅટરિના પોતાનાં ઘરમાં શું કરે છે એ જાણવાની મજાઓ લઈએ. પણ થોડા જ દિવસોમાં એ ગતકડાં પણ સામાન્ય લાગવા માંડવાનાં. મેં સાહિત્યકૃતિઓની વાતો કરી, ‘વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ’-ની કે ‘ધ પ્લેગ’-ની, એથી સાન્તવના મળે, પ્રેરણા મળે, બળ મળે. પણ સાહિત્યકલાની એ બધી વાતોથીયે આ સમયમાં એક દિવસ તો એમ જ થવાનું કે સમજ્યા હવે, ઠીક છે, છોડો …
મહામારી નામે, કોરોના હોય કે પ્લેગ, ધીરે ધીરે માણસના મનનો કબજો કરી લે છે. પહેલા તેમ જ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં જેઓ ઘરે હતા ને યુદ્ધમાં સક્રિય સ્વજનની યાદથી ઝૂરતા’તા એ લોકો પણ છેલ્લે તો મનથી નંખાઈ ગયેલા. એમનાં જીવનમાં સ્વજનોનાં મૃત્યુના સમાચાર મેળવવાથી વિશેષ કશું હતું નહીં. આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે.
જોવા જઈએ તો, આ અલગાવ એક પ્રકારની કૅદ છે. વિલક્ષણ રૂપની અસહ્ય એવી સંકડામણ છે. ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી -સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. સહભાગી હોય તે દૂર વસતું હોય, કે નજીક, પણ એને બોલાવાય નહીં, એને પણ એમ જ રખાય.
આમ તો, કોઈ પણ પ્રકારનો અલગાવ માણસને ક્યાં ગમે છે? હમેશાં દમે છે. કેમ કે, દરેક માણસ સહવાસ કે સાથસંગાથ – કમ્પેનિયનશિપ – ઝંખે છે. મનુષ્યનો એ મૂળેરો સ્વ-ભાવ છે. એના અસ્તિત્વનું એ મોટું રસાયણ છે.
પણ એ અલગાવ આમ કૅદ બની ગયો હોય, એ અસહ્ય સંકડામણ જ્યારે આમ સ્થિર એવી અકળામણ બની ગઈ હોય, ત્યારે માણસો, પહેલાં તો, સુસ્ત થવા માંડે છે, કામો કરવાનો એમનો ઉત્સાહ ઘટતો ચાલે છે, અને પછી એમને નાસીપાસી થાય છે કે – છોડ ને યાર, કશું નથી કરવું ! વ્યક્તિ પોતાને લો – ઢીલા – અનુભવે, વિડ્રો થઈ જાય એટલે કે સંકોચાઈને પોતાની અંદર વળી જાય. ટૂંકમાં, માણસ વધુ ને વધુ બંધ થવા માંડે છે. એટલે એ ચીડાઇ જાય છે, ઝકાઝકી કરે છે, ગુસ્સે થાય છે, તડાફડી કરે છે. અને એમ થવું એકદમનું સ્વાભાવિક છે. કરુણતા એ છે કે એ જાતના અપ-વર્તનની એ વ્યક્તિને ખબર નથી પડતી. આગળ જતાં, કેટલીક વ્યક્તિઓ સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનમાં પણ સપડાઈ જતી હોય છે. અને એમ એમની મુશ્કેલી ગહન થતી જાય છે.
આપણી હાલત હજી એટલી બધી નથી બગડી કે ઘર આપણને કૅદ લાગે, છતાં થોડા દિવસ પછી નહીં લાગે એમ પણ નથી. હા, જલસાવાદી કેટલાક કહેશે – કૅદ શેની? પણ મનોમન તો એમને ય ખબર છે કે એના સંભવની પૂરી શક્યતા છે. હું જાણું છું કે આ વાતો ન-ગમે એવી છે, અસ્વસ્થ કરનારી છે. પણ એ કરવાનો એક જ હેતુ છે કે આવનારા સમય-સંદર્ભમાં આપણે આજે છીએ એથી વધુ ને વધુ સાવધાન રહીએ.
આવું બધું કહ્યું, સાહિત્યકલાને ય ‘ઠીક’ ગણી, છતાં હું તો શબ્દધની જ છું ને સાહિત્ય સિવાય મારી પાસે શૅઅર કરવા જેવું ભાગ્યે જ કંઈ છે. એટલે આ કૅદની વાતે મને કામૂની નવલકથા ‘આઉટસાઇડર’-ના નાયક મ્યરસોની કૅદ યાદ આવે છે. એ દાખલાથી મારે એ દર્શાવવું છે કે કૅદને પણ મ્યરસો કેવાક સંવેદનથી જીવે છે, કેવાક દૃષ્ટિકોણથી જુએ છે. પરિણામે, કૅદ મ્યરસો માટે સહજ અને સહ્ય બલકે કિંચિત્ રસપ્રદ બની જાય છે, કૅદ તો નથી જ રહેતી.
પણ એ દર્શાવવા માટે મારે જરા વધારે વીગતે કહેવું પડે એમ છે. અને કશો ઉભડક ઉલ્લેખ કરીને ચાલી જવું મને ગમતું નથી. એટલે આ પછીના દિવસે વિસ્તારથી …
(March 28, 2020 : Ahmedabad)