સત્યાગ્રહવિશેષ
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.
દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.
•••
… સત્યાગ્રહની મીમાંસા કોઈ કાળે પૂરી થઈ એમ કહેવાય જ નહીં. સત્યાગ્રહ એક રીતે યુદ્ધનો એક પ્રકાર છે; બીજી રીતે એ સંસ્કારી માનવજાતનો જીવનધર્મ છે. અને તેથી યુગે યુગે સત્યાગ્રહના નવા નવા અવતાર પ્રગટ થવાના જ. સત્યાગ્રહના આદ્ય આચાર્ય મહાત્મા ગાંધીએ, પોતાના જીવનકાળમાં, એની અનેક વિભૂતિઓ પ્રગટ કરી. હિંદુસ્તાન સ્વતંત્ર થતાં એના જે ભાગલા પાડવામાં આવ્યા, અને એના જ અનુસંધાનમાં આખા દેશમાં જે ઝેર રેડાયું, તેને પહોંચી વળવાના પ્રયત્નમાં ગાંધીજીએ સત્યાગ્રહતત્ત્વને એક અવનવું રૂપ આપ્યું, જે એટલું અદ્ભુત અને સૂક્ષ્મ હતું કે, તેનું સ્વરૂપ ન ઓળખવાથી, પોતાની જ ભૂલોથી અકળાયેલા અને આંધળા થયેલા દેશે એ રાષ્ટ્રપિતાનો જ ભોગ લીધો અને એમના આખરી પ્રયોગને સત્યાગ્રહની અદ્ભુત શક્તિ પ્રગટાવતો અટકાવ્યો.
એક પ્રશ્ન ઘણાના મનમાં ઊઠે છે કે, સત્યાગ્રહનો હવે પ્રતિનિધિ કોણ છે? સત્યાગ્રહથી ટેવાયેલા અનેક લોકો અને અધીરી વ્યક્તિઓ જ્યાંત્યાં સત્યાગ્રહ કરી બેસે છે અને થોડી ચર્ચા બાદ ઓછોવત્તો વિજય મેળવીને અથવા માંડવાળ કરીને સત્યાગ્રહ પાછો ખેંચી લે છે. ઘણી વાર હવે સત્યાગ્રહ ઉપવાસનું રૂપ લે છે, અને થોડીક ચિંતા પેદા કરી સમાધાન ઉપર આવી જાય છે. પણ આવાં નાનાંમોટાં પ્રકરણોને સત્યાગ્રહના પ્રયોગ તરીકે ભાગ્યે જ ઓળખી શકાય.
ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ યુદ્ધમાં અનેક સાથીઓ મેળવ્યા અને કેળવ્યા. એમાંના કેટલાકને ભાગે સ્વરાજ સરકારના અધિકારી થવાનું આવ્યું છે, જ્યારે બીજા એ સરકારને સામાન્યપણે ટેકો આપવાને બંધાયેલા છે. એટલે એ બંને પ્રકારના સત્યાગ્રહીઓ રાજકીય કે સામાજિક અન્યાય દૂર કરવા માટે જે કાંઈ કરવું હોય તે હવે સરકારી તંત્ર મારફતે કરી શકે. સામાજિક, ધાર્મિક અન્યાયો દૂર કરવા માટે તેમ જ ધર્મ ધર્મ વચ્ચેના ટોળાધર્મી ઝઘડાઓ પતાવવા માટે સત્યાગ્રહને ઘણો અવકાશ છે. પણ અત્યારે તો કોઈને એ સૂઝતું નથી. લોકો તરફથી કાં તો કાયદો હાથમાં લઈ ગુંડાશાહી ચલાવવામાં આવે છે અથવા ‘એ બધું સરકારનું કામ છે’ એમ કહી ઉદાસીનતા ધારણ કરવામાં આવે છે.
દાંડીમાં મીઠું ઉપાડતા સત્યાગ્રહીઓનું દૃશ્ય. તસ્વીર − વૉલ્ટર બોશાર્ડ
એક વાત સ્પષ્ટ છે કે, સત્તા ગમે તેના હાથમાં હોય. સત્તાધારી જો પોતાનો રાજધર્મ ઓળખી મજબૂત હાથે કાયદાનું રાજ્ય ન ચલાવે તો અધીરી થયેલી પ્રજા સરકારની તત્પરતા ઉપરનો વિશ્વાસ ખોઈ બેસી કાયદો પોતાના હાથમાં લેવાની જ. પોતે જ સત્તાધારીને આપેલી સત્તા જો એ ન વાપરે તો પ્રજા બીજું કરી પણ શું શકે?
આવી હાલતમાં પ્રજા અવળે રસ્તે ન જાય એટલા માટે એને દોરનારા સત્યાગ્રહી નેતાઓ મળવા જ જોઈએ. પ્રજા જો કાયદો પોતાના હાથમાં લે તો તે પોતાની સરકારને નબળી પાડે છે અને જોતજોતામાં એનો નાશ કરે છે. પ્રજાએ મોટા પાયા ઉપર કાયદો હાથમાં લીધો કે સત્તાધારીઓએ રાજીનામું આપી સત્તાનો ત્યાગ કર્યે જ છૂટકો. તેઓ તેમ ન કરે તો તેમણે પોતાના હાથમાં ટકી શકે એવું પશુબળ સંગઠિત કરી, પ્રજાને દબાવી, જોહુકમી રાજ્ય ચલાવ્યે જ છૂટકો. બંને રીતે પ્રજાજીવન જોખમમાં જ આવે છે. આનો એકમાત્ર ઇલાજ સત્યાગ્રહ છે. સત્ય, અહિંસા અને લોકકલ્યાણ એ ત્રિવિધ મર્યાદા જાળવીને સજ્જન લોકો જ્યારે સત્યાગ્રહ આદરે છે, ત્યારે લોકસત્તા પર નભનારું રાજ્ય નબળું પડવાને બદલે આત્મશુદ્ધિ કરી મજબૂત થાય છે. સત્યાગ્રહની આ બાજુની મીમાંસા હવે આપણે ખીલવ્યે જ છૂટકો.
અત્યાર સુધી વ્યક્તિઓ અને સંગઠિત પક્ષો સત્યાગ્રહ કરતા આવ્યા છે. આખી પ્રજાએ સ્વતંત્રતા મેળવવા માટે અનેક વાર સત્યાગ્રહ કરી બતાવ્યો. હવે પછીનો સવાલ છે કે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદોમાં કે ઝઘડાઓમાં રાષ્ટ્રો, એટલે કે તેમના પ્રતિનિધિરૂપ સરકારો, સત્યાગ્રહ કરી શકે કે નહીં? સરકાર પાસે પશુબળ છે એટલા માટે એણે એ વાપરવું જ જોઈએ, એમ સિદ્ધ નથી થતું. કોઈ પહેલવાન પાસે શરીરબળ છે એટલા માટે તે સત્યાગ્રહ ન જ કરી શકે એમ જેમ આપણે કહી શકતા નથી, તેવી જ રીતે સરકારો વિશે પણ છે. દાખલા તરીકે, હિંદુસ્તાન જેવું પ્રબળ રાષ્ટ્ર પોતાની શક્તિના ભાનમાં હૈદરાબાદ જેવી નાની સરકારની સામે પશુબળ વાપરવાને બદલે સત્યાગ્રહના બધા પ્રકારો અજમાવી શકે છે. હિંદની પ્રજા જ્યાં સુધી પોતાની સરકાર ઉપર વિશ્વાસ રાખી શકે છે અને તે સરકાર પ્રજાના જાનમાલના રક્ષણના કર્તવ્યમાં ચૂકતી નથી, ત્યાં સુધી એ જરૂર સત્યાગ્રહનાં અનેક પગલાં અજમાવી શકે છે.
પણ સવાલ એથી વ્યાપક છે. આખી દુનિયાની (લગભગ ૫૭ કે વધારે) [હાલમાં ‘યૂનો’ 193 દેશોનું સંગઠન છે.] સરકારો જો અંદર અંદરના વહેવારમાં સર્વ રાષ્ટ્રીય પરિષદ (‘યૂનો’ — સંયુક્ત રાષ્ટ્રમંડળ) આગળ ન્યાય મેળવવામાં અસફળ થાય તો સત્યાગ્રહ કરી શકે કે નહીં, અને કરી શકે તો તે કઈ રીતે, એની પણ મીમાંસા હવે થવી જોઈએ.
વ્યાપક સત્યાગ્રહ માટે હજી પણ અનેકાનેક પ્રસંગો કલ્પી શકાય. આજકાલની અમેરિકા, ઇંગ્લંડ, રશિયા જેવી સરકારો શસ્ત્રબળની અસાધારણ શક્તિ ધરાવે છે. એવી સરકારની પ્રજા, પ્રજા તરીકે લગભગ નિઃશસ્ત્ર જ હોય છે. હવે જો કોઈ પણ કારણે એવી કોઈ સરકાર લોકસભાને પોતાની ધાકમાં રાખી જોહુકમી બની શકી તો પોતાની સ્વતંત્રતા જાળવવા માટે અથવા પાછી મેળવવા માટે જનતાએ શું કરવું? સરકાર પાસે આધુનિક વિજ્ઞાને તૈયાર કરેલાં શસ્ત્રોનું શસ્ત્રબળ કલ્પનાતીત હોય અને પ્રજા પાસે શસ્ત્રબળનો પૂરો અભાવ હોય, એવે વખતે પ્રજાના હાથમાં કેવલ સત્યાગ્રહ જ રહેવાનો. એ સત્યાગ્રહ પ્રજા કેવી રીતે વાપરી શકે એનો પણ વિચાર હવે થવો જોઈએ.
જગતમાં લગભગ બધાં જ રાષ્ટ્રો લોકશાહીના તત્ત્વને સ્વીકારતાં થયાં છે. એટલે હડહડતા અન્યાયના નિરાકરણ માટે લોકમતનો કોલ લેવાનો ઇલાજ પ્રજાના હાથમાં આવેલો હોવાથી, હવે પછી લોકમત જ્યાં જાગ્રત નથી એવે ઠેકાણે, સરકારને તેમ જ લોકમતને જાગ્રત કરવા માટે, ન્યાયની કલ્પનામાં લોકમતથી ઘણે દૂર સુધી ગયેલા સુધારકો જ સત્યાગ્રહ કરી શકવાના છે. એવા પ્રસંગો એક તો વિરલા હશે, અને બીજી બાજુ લોકમતના ટેકાને અભાવે તે ઉગ્ર રૂપે ચલાવવા પડવાના. સરકારમાં જો અહિંસા તત્ત્વ ઊતર્યું હોય તો જ આવા સત્યાગ્રહ સૌમ્ય રૂપમાં ચાલી શકે. પણ એ સત્યાગ્રહો લોકમતને અને લોકરૂઢ આદર્શને નહીં ગણકારતા હોવાથી સરકાર તેમ જ જનસમાજ બંને એવા સત્યાગ્રહીઓની પૂરતી કસોટી કરવાની જ. કેમ કે સરકારો પોતાની શક્તિનો ઇનકાર સાંખી શકતી જ નથી. દરેક સરકારમાં આત્મરક્ષાનું તત્ત્વ એટલું બધું જાગ્રત હોય છે કે, બીજાં કર્તવ્યો પાર પાડી શકે કે નહીં, પણ આત્મરક્ષાનું કર્તવ્ય તે પાર પાડવાની જ. અને તેથી સત્યાગ્રહની હવે ઘણી જ ઊંડી અને વ્યાપક કસોટી થવાની છે.
ગાંધીજી હતા ત્યાં સુધી તેઓ સત્યાગ્રહના પ્રમાણભૂત આચાર્ય ગણાતા. એ સત્યાગ્રહનો પ્રતિનિધિ આપણા દેશમાં કે દુનિયામાં હવે કોણ છે? વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહેવું પડે છે કે, સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી. સત્ય અને અહિંસાની જેનામાં એકાગ્ર નિષ્ઠા છે તે જ સત્યાગ્રહનો શાસ્ત્રકાર થઈ શકે છે. પણ એનામાં સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને હવે આંતરરાષ્ટ્રીય બળોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. દરેક પ્રકારના માણસનું મન કઈ રીતે કામ કરે છે એનું પણ ઊંડું અને નાજુક જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ, અને એની સાથે સત્યાગ્રહ જેવા સૂક્ષ્મ આધ્યાત્મિક તત્ત્વનાં થતાં ઇંદ્રિયાતીત પરિણામોનું સૂક્ષ્મ ભાન પણ એને હોવું જોઈએ. ઉપરટપકે જ્યાં પરાજય દેખાય છે ત્યાં પણ વિજયનો ઉદય થતો જોવાની ક્રાન્તદૃષ્ટિ જો એનામાં ન હોય, તો તે સત્યાગ્રહનો સફળ સેનાની ન જ બની શકે.
જેનું હૃદય જાતિ, ધર્મ, ભાષા, પંથ અને પૂર્વગ્રહની સંકુચિતતાને વીંધીને, પોતાની આસપાસની એકેએક વ્યક્તિ પ્રત્યે દોડી શકે છે, અને સ્વજન-પરજન, પાપી અને પુણ્યવાન, નાજુક અને રીઢા — બધાંને અપનાવી શકે છે, તેને હાથે જ સત્યાગ્રહની દોરવણી સફળ રીતે થઈ શકે છે.
પોતાની આસપાસના સમાજને દોરનાર સત્યાગ્રહી સામાજિક જીવનથી અલિપ્ત રહી શકે ખરો? “અત્યારે મારી પાસે કોઈ સત્યાગ્રહી ઇલાજ નથી, તે હું શોધીશ અથવા ઘડતો રહીશ, ત્યાં સુધી સમાજની જવાબદારી બીજા કોઈ લે અને એને સૂઝે તેમ કરે,” એમ જવાબદાર સત્યાગ્રહી કહી શકે ખરો? કે પરિસ્થિતિ પરત્વે જે યોગ્ય હોય તે ઇલાજ અજમાવીને જ સમાજને આગળ લઈ જાય?
યુદ્ધ ટાળવા માટે અને રાષ્ટ્રોમાં કુટુંબધર્મની સ્થાપના કરવા માટે ‘હેગ કાઉન્સિલ’ સ્થપાઈ. એની જ વ્યાપક આવૃત્તિરૂપ ‘લીગ ઑફ નૅશન્સ’ સ્થપાઈ. એના દોષો દૂર કરી આંતરરાષ્ટ્રીય દરબાર જેવી ‘યૂનો’ સ્થપાઈ. અને છતાં એ બધી સંસ્થાઓનું વાતાવરણ જોતાં એમને હાથે વિશ્વકુટુંબ સ્થપાય એવાં લક્ષણો દેખાતાં નથી. ‘યૂનો’ને હાથે જ અન્યાય થાય તો એની સામે નાનું મોટું ગમે તે રાષ્ટ્ર સત્યાગ્રહ કરી શકે અને સત્યાગ્રહ દ્વારા માનવવ્યાપી રાષ્ટ્રકુટુંબ સ્થપાય, એવી આશા ઉત્પન્ન થઈ છે? એને માટે કાળ પરિપક્વ થયો છે? અને પરિપક્વ ન હોય તો પોતાનાં બલિદાનથી તે પરિપક્વ કરવાના દિવસો આવ્યા છે?
જબરદસ્ત રાષ્ટ્રો ગમે ત્યારે ‘યૂનો’થી નોખાં પડી ‘તરવારનો ન્યાય’ અજમાવી શકે છે અને ‘યૂનો’ને નિરર્થક બનાવી શકે છે. અને તેથી ‘યૂનો’ને હંમેશાં બલાઢ્ય રાષ્ટ્રથી બી બીને ચાલવું પડે છે. નાનાં રાષ્ટ્રોએ હજી સુધી ‘યૂનો’ પાસેથી ન્યાય મેળવ્યો નથી. ‘યૂનો’ના અન્યાય સામે સત્યાગ્રહ કરવાની પોતાની યોગ્યતા પણ તેઓએ માની નથી. કેટલાક દેશો સરકાર તરીકે બલાઢ્ય હોય, પણ રાષ્ટ્ર તરીકે શિથિલ હોય. એવા દેશો આંતરરાષ્ટ્રીય દરબાર સામે સત્યાગ્રહ કરી શકે ખરા?
આવા મોટા મોટા જગદ્વ્યાપી સવાલો આપણી આગળ પ્રત્યક્ષ થતા જાય છે. એ સવાલોની શાસ્ત્રીય મીમાંસા દુનિયા આગળ રજૂ થવી જોઈએ.
‘યૂનો’ની નબળાઈ કે નાલાયકી સિદ્ધ થતાં આખી પૃથ્વીનું એટલે કે આખી માનવજાતિનું એક રાજ્ય સ્થાપન થઈ શકે ખરું? અને તેમ થાય તો તેવા રાજ્યની પ્રજા નિઃશસ્ત્ર હોય તો ઠીક કે સશસ્ત્ર હોય તો ઠીક? અને પ્રજાને જો નિઃશસ્ત્ર રાખવામાં આવે અને જગદેક-રાજ્ય જુલમી બની જાય તો એ સરકાર સામે પ્રજા શી રીતે ઝૂઝી શકે? એ વખતે સત્યાગ્રહનું રૂપ કેવું હોય? એ સવાલ તો જોતજોતામાં વહેવારુ સવાલ થવાનો છે. અને એ સવાલ સાથે જ સરકારની શક્તિ અહિંસક ઢબે તોડવા માટે ભાંગફોડ (‘સૅબોટેજ’) કેટલે દરજ્જે યોગ્ય ગણાય અને એની મર્યાદા કે વ્યાકરણ શું, એ સવાલ આપણે ટાળી શકવાના નથી.
અત્યાર સુધી આપણે જેટલા સત્યાગ્રહો અજમાવ્યા, તેટલા પરથી આપણે એટલું તો જોઈ શક્યા કે, સાચા સત્યાગ્રહ દ્વારા આપણે નક્કર શુદ્ધ વસ્તુ જ માગણીમાં મેળવી શકીએ છીએ. આપણી માગણીમાં જો મલિનતા હોય, અન્યાયભર્યો સ્વાર્થ હોય, અદૂરદૃષ્ટિ હોય અથવા માનવતાનો અભાવ હોય, તો તે સત્યાગ્રહ — શુદ્ધ સત્યાગ્રહ હોય તો — તો ફળી શકવાનો નથી. એટલે જેમ જેમ સત્યાગ્રહ કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી માગણીઓ શુદ્ધ કરવી જ પડે છે. સત્યાગ્રહ દ્વારા થતી આ અંતઃશુદ્ધિ જ સત્યાગ્રહનો સૌથી મોટો લાભ છે. સામા પક્ષ ઉપર સત્યાગ્રહની થતી અસરનો આપણે એટલે બધો વિચાર કરતા આવ્યા છીએ કે, એની પોતાના પર થતી અસર જોવા માટે આપણે થોભ્યા જ નથી. સત્યાગ્રહની ખરી શક્તિ આ આંતરિક શુદ્ધિને લીધે જ પ્રગટ થાય છે અને તેથી જ સત્યાગ્રહ સર્વહિતકારી પરમ મંગલ તત્ત્વ સિદ્ધ થાય છે.
આ યુગના સર્વશ્રેષ્ઠ શસ્ત્રનું સ્વરૂપ ઓળખવા માટે દરેક રીતે ઉપયોગી એવી આ સત્યાગ્રહની મીમાંસા પ્રજાએ અભિનંદન સાથે આવકારવી જોઈએ, અને ઉચ્ચ કેળવણીની સંસ્થાઓએ રાજનીતિના તેમ જ સમાજશાસ્ત્રના અધ્યયનમાં એને આવશ્યક સ્થાન આપવું જોઈએ.
… શસ્ત્રયુદ્ધશાસ્ત્ર પોતાની વિકરાળ સિદ્ધિમાં અણુબૉમ્બ સુધી પહોંચ્યું છે અને ગાંધીજીએ ધર્મયુદ્ધ-શાસ્ત્રને સત્યાગ્રહ સુધી પહોંચાડી દીધું છે. એ બે શસ્ત્રો જ ભવિષ્યની માનવતાનો નિવેડો આણનાર છે. બેમાંથી એક્કેની આપણે ઉપેક્ષા કરી શકવાના નથી અને બે વચ્ચે માંડવાળ તે અશક્ય જ છે.
જૂન, ૧૯૪૮ [‘સત્યાગ્રહની મીમાંસા’માંથી]
સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 03-06