દસમી જાન્યુઆરીએ જાહેર થયેલ યુ.પી.એસ.સી.ની ઇન્ડિયન ઇકૉનૉમિક સર્વિસની એક બહુ અઘરી પરીક્ષામાં આખા દેશમાંથી સફળ થનારા માત્ર 32 વિદ્યાર્થીઓમાંના 18 જે.એન.યુ.ના છે, અને એ નિમિત્તે એચ.આર.ડી. મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ‘જે.એન.યુ. ઇઝ અવર ટૉપ યુનિવર્સિટી’ એમ ગૌરવ પણ કર્યું છે.
પાંચમી જાન્યુઆરીએ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ના વિદ્યાર્થી સંગઠનની આગેવાન આઇશી ઘોષ ગુંડાઓના મારથી જબરદસ્ત ઘાયલ હતી, તેના માથે સોળ ટાંકા હતા. એ જ ગાળામાં રાત્રે પોણા નવના સુમારે જે.એન.યુ.ના સત્તાવાળા આઇશી અને બીજા ઓગણીસ વિદ્યાર્થીઓની સામે દિલ્હી પોલીસમાં એફ.આઇ.આર. દાખલ કરી – તે પણ પહેલી અને ચોથી તારીખે કૅમ્પસમાં બનેલા ભાંગફોડના બનાવોના આરોપ હેઠળ ! યુનિવર્સિટીના સત્તાવાળાઓની તેમના પોતાની વિદ્યાર્થિની તરફની અમાનુષતાની આ ચરમસીમા હતી.
બીજી બાજુ આઇશીને મારનાર અને યુનિવર્સિટીમાં આતંક મચાવનાર બુકાનીધારીઓ સામે યુનિવર્સિટી સત્તાવાળાએ ફરિયાદ નોંધાવી ન હતી. પણ દિલ્હી પોલીસ પોતાની રીતે બે એફ.આઈ.આર. કરી હતી કે જેમાં તે નોંધે છે કે ધમાલ મચાવનાર અજાણ્યા ગુંડાઓને માઇક પર ચેતવણી આપવામાં આવી અને તેઓ ભાગી ગયા. એફ.આઇ.આર.માં તોફાનની નોંધ આવી આઘાતજનક બેફિકરાઈથી થયેલી છે. વાસ્તવમાં એ આતંક હતો.
યુનિવર્સિટીના પરિસરમાં પાંચમી જાન્યુઆરીની સાંજે ચારેક વાગ્યાથી લઈને રાત્રે નવેક વાગ્યા સુધી બુકાનીધારી દબંગોનું રાજ હતું. તેમણે પથ્થરમારા કર્યા હતા, વિદ્યાર્થીઓને ખુલ્લામાં કે હૉસ્ટેલના રૂમોમાં ઘૂસીને ડંડા-સળિયા-પાઇપોથી બહેરમીથી માર્યા હતા, મારતાં પહેલાં તેમનાં નામ, વતન, સંગઠન સાથેનાં જોડાણ જેવી માહિતી પૂછવામાં આવતી હતી. હૉસ્ટેલના 42 રૂમ્સમાં બેફામ તોડફોડ કરી હતી. વિદ્યાર્થિનીઓના વિભાગમાં તેઓ ઘૂસે તે પહેલાં યુવતીઓએ એકજૂટ થઈ સાંકળ બનાવી બૂમાબૂમ કર્રીને ગુંડાઓને ખાળ્યા હતા.
કૅમ્પસમાં એક કરતાં વધુ જગ્યાએ કરવામાં આવેલા હુમલામાં આઇશી ઉપરાંત બે અધ્યાપકો, બે ચોકીદારો અને ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓ ઘવાયા હતા. હુમલાખોરો કામ તમામ કરીને આરામથી ટહેલતા, હાથમાં ડંડા-સળિયા-પાઇપો સાથે પોલીસની દેખરેખ હેઠળ કૅમ્પસમાંથી બહાર નીકળી ગયા હતા. કૅમ્પસની બહાર એકઠા થયેલા અધ્યાપકો, અત્યારના તેમ જ પૂર્વ વિદ્યાર્થીઓ, નિસ્બત ધરાવતા નાગરિકો અને કર્મશીલ યોગેન્દ્ર યાદવને પણ ગુંડા ડરાવી-ધમકાવી રહ્યા હતા, પત્રકારોને અટકાવી રહ્યા હતા, છતાં પોલીસ ચૂપ હતી. આ બધાંની ઝાંખી આપતાં દૃશ્યો આખા દેશે જોયાં છે. ચૅનલો અને વૉટસઍપમાં સંખ્યાબંધ શકમંદોનાં ચિત્રો અને નામ વાયરલ થયાં છે. હિન્દુ રક્ષા દળ નામના એક સંગઠને ગુંડાગર્દી માટેની જવાબદારી પણ સ્વીકારી છે. આઇશીએ યુનિવર્સિટીમાં હિંસાચાર અને તેના પરના હુમલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એ.બી.એ.વી.પી.)ને જાહેરમાં જવાબદાર ગણી છે. સામે પક્ષે આટલા એ.બી.વી.પી.એ ડાબેરી છાત્ર સંગઠન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન (જે.એન.યુ.એસ.યુ.) પર આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
કેન્દ્રનાં ગૃહખાતા હેઠળ આવતી આ એ જ દિલ્હી પોલીસ છે કે જે વિદ્યાર્થીઓની અશાંતિની બાબતમાં પંદરમી ડિસેમ્બરે ખૂબ સક્રિય હતી. તે દિવસે પોલીસે નાગરિકતા સુધારણા બિલ સામેનાં વિરોધ પ્રદર્શનના બનાવમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કૅમ્પસમાં ઘૂસીને કૅન્ટિન અને લાઇબ્રેરી સહિત અનેક જગ્યાએ વિદ્યાર્થીઓને મારઝૂડ કરી હતી. વધુમાં, પચાસથી વધુ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પણ તેમાંથી કોઈ વિદ્યાર્થી તોફાનોમાં સંડોવાયેલો હોય એવું સાબિત ન થઈ શકતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
જે.એન.યુ.ના હિંસાચારમાં પોલીસના કૅમ્પસ પ્રવેશના વિલંબની બાબતે પણ મોટો વિવાદ પ્રવર્તે છે. પોલીસની પોતાની એક એફ.આઈ.આર. પોણા ચાર વાગ્યાની છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓએ કહ્યું છે કે તેમણે સાંજે સાડા ચારે કૅમ્પસમાં તોફાનો રોકવા પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો. પોલીસના કહેવા મુજબ પોણા આઠના સુમારે તેને કૅમ્પસમાં આવવા અંગે લેખિત પત્ર મળ્યો. તે ઉપરાંત ચારથી પાંચ દરમિયાન પણ પચાસેક તાકીદના કૉલ કન્ટ્રોલ રૂમને મળ્યા. પોલીસની નિષ્ક્રિયતાને કારણે સામેલગીરી અને હુમલાના આયોજિત ષડયંત્રના આરોપોને વજૂદ મળે છે.
પોલીસ નિષ્ક્રિય અને નિંભર યુનિવર્સિટી તંત્ર. વાઇસ-ચાન્સલરે ઘાયલ અધ્યાપકો કે વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો નથી, તેમણે આ હુમલાને વખોડ્યો નથી. ઊલટું તેમણે જે થયું તેને પાછળ મૂકીને નવેસરથી શરૂ કરવાની હાકલ કરી છે. અહીં એ સ્વાભાવિક રીતે યાદ આવે છે કે જામિયાના વાઇસ-ચાન્સલરે 15 ડિસેમ્બરના પોલીસ અત્યાચારને વખોડીને સરકાર પાસે અદાલતી તપાસની માગણી કરીને વિદ્યાર્થીઓ પ્રત્યે ઊંડું સંવેદન વ્યક્ત કર્યું હતું. પૂર્વ લશ્કરી જવાનોના બનેલાં જે.એન.યુ.ના પોતાનાં મોંઘાદાટ સુરક્ષાદળ સામે પણ સવાલો ઊભાં થયાં છે. જે.એન.યુ.ના અધ્યાપક સંગઠને આ હુમલો યુનિવર્સિટીની ‘ટેરર ટૅક્ટિક’ ગણાવી વાઇસ-ચાન્સલરના રાજીનામાની અને વિદ્યાર્થીઓએ તેમને દૂર કરવાની માગણી કરી છે. વાઇસ-ચાન્સલરે વળી એક નિવેદનમાં આ હુમલાને જે.એન.યુ.માં હૉસ્ટેલ ફી વધારા વિરુદ્ધનાં આંદોલન સાથે કોઈ આધાર વિના જોડીને ફરી એક વાર ડાબેરી વિદ્યાર્થી જૂથોની સામે આંગળી ચીંધી છે. ડાબેરી વિચારધારાના ગઢ ગણાતી જે.એન.યુ.ની વિદ્યાકીય ઉપલબ્ધિઓને ખુલ્લા મગજથી જોવાની જરૂર છે. આ વર્ષના એક નોબેલ અર્થશાસ્ત્રી, દેશના અત્યાર અર્થમંત્રી, વિદેશમંત્રી, અનેક વિદ્વાનો, કલાકારો, પત્રકારો આ યુનિવર્સિટીમાંથી તૈયાર થતાં રહ્યાં છે.
ભારતીય જનતા પક્ષે (ભા.જ.પ.) જે.એન.યુ. વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. તેનો એક મુદ્દો એ છે કે આતંકવાદી અફઝલગુરુની ફાંસીનો જે.એન.યુ.માં એક જૂથે વિરોધ કર્યો હતો, જે આતંકવાદને ટેકો આપનારી વાત હતી. પણ અફઝલ ગુરુને ટેકો આપનાર કાશ્મીરની પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી સાથે ભા.જ.પે. કાશ્મીરમાં સત્તા માટે હાથ મેળવ્યા હતા. ભા.જ.પે. ‘ટુકડે ટુકડે ગૅન્ગ’ નામનો આરોપ જે.એન.યુ. પર મૂકેલો છે. તે હજુ ધોરણસરનાં માધ્યમોને ન ગણીએ તો પણ દેશની અદાલતમાં સાબિત થવાનો બાકી છે. બાય ધ વે, દેશના ટુકડે ટુકડા થાય એમ ઈચ્છનાર સહુ ધિક્કારને પાત્ર છે જ. અને દેશના સમાજને નાત-જાત, ધર્મ-સંપ્રદાય, ફિરકા-ફતવા થકી ટુકડામાં વહેંચીને ચૂંટણીઓ લડનાર, કેટલાંક ધર્મસ્થાનો ચલાવનાર અને પ્રભુત્વ ગજાવનાર સહુ પણ ધિક્કારને પાત્ર જ છે. આજે દેશના હજારો વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને સમાજનો એક હિસ્સો જે.એન.યુ.ની સાથે છે. તે બધા દેશભક્તિમાં ઊણા કે અણસમજ નથી. એ પણ સમજવાનું છે કે જે.એન.યુ.ના મુદ્દાને ગૂંચવી મારવાના કારસા પણ ચાલુ છે. એ પણ નોંધવું જોઈએ કે દસમી જાન્યુઆરીએ જાહેર થયેલ યુ.પી.એસ.સી.ની ઇન્ડિયન ઇકૉનૉમિક સર્વિસની એક બહુ અઘરી પરીક્ષામાં આખા દેશમાંથી સફળ થનારા માત્ર 32 વિદ્યાર્થીઓમાંના 18 જે.એન.યુ.ના છે, અને એ નિમિત્તે એચ.આર.ડી. મંત્રી રમેશ પોખરિયાલે નિશંકે ‘જે.એન.યુ. ઇઝ અવર ટૉપ યુનિવર્સિટી’ એમ ગૌરવ પણ કર્યું છે.
જે.એન.યુ. કે અત્યારના મુદ્દે વિદ્યાર્થીઓને રાજકારણથી અળગા રહેવું જોઈએ એવી સલાહ આપનારા બહુ હોય છે. તેમને સવાલ : ભવિષ્યના રાજકારણીઓ ઘડનારી તમામ રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખોને બંધ કરી દેવી જોઈએ? સલાહકારો જેના ભક્તો છે એ પક્ષો એવું કરશે ? વળી જેમ યુવા વિદ્યાર્થીઓ ફ્લાવર શોમાં જાય, પતંગ-ઉત્સવ કરે, જે-તે સમુદાયોના મેળાવડાઓમાં દિવસો લગી જોડાય તેમ એ રાજકારણમાં ય જોડાય. અઢાર વર્ષે મતાધિકાર મેળવેલા, ગૅજેટસ થકી માહિતીસજ્જ યુવા વિદ્યાર્થીઓ લોકશાહી માટે રાજકીય સભાનતા કેળવી, કંઈ નહીં તો, નોકરી મેળવવા માટે ય રસ્તા પર આવીને આંદોલન કરે તે આપણે માનીએ છીએ તેટલું અનિચ્છનીય નથી.
શહીદે આઝમ ભગતસિંહને લગીર યાદ કરી લઈએ. ‘કિરતી’ સામયિકના જૂન 1928ના અંકના એક લેખમાં તેમણે લખ્યું છે : ‘તેઓ [વિદ્યાર્થીઓ] ભણે, જરૂર ભણે. પરંતુ સાથે સાથે રાજકારણ વિશે પણ જાણે, અને જ્યારે જરૂર ઊભી ત્યારે મેદાનમાં કૂદી પડે, પોતાની જિંદગી આ કામમાં લગાવી દે. નહીં તો બચવાનો બીજો કોઈ ઉપાય દેખાતો નથી.’
*******
9 જાન્યુઆરી 2020, રિવાઇઝડ 16 જાન્યુઆરી
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 17 જાન્યુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત]