સર્જક એટલે ….
મને સૌપ્રથમ તો એ કહેવા દો કે સર્જકમાત્ર સ્વતંત્ર છે અને પ્રતિબદ્ધ પણ છે, અને પક્ષધર પણ છે જ! કારણ કે એ અન્ય જીવનવ્યાપારો કરવા ઉપરાંત ‘સર્જન’ કરે છે …. શબ્દના માધ્યમથી અને અન્ય માધ્યમો દ્વારા પણ કંઈક સર્જે છે, બનાવે છે, નિર્માણ કરી શકે છે અને એટલે જ તો આપણે એને કંઈક ‘લોકોત્તર’, ‘મુઠ્ઠી ઊંચેરો’, ‘આર્ષદૃષ્ટા’, ‘સ્વપ્નદૃષ્ટા’ વગેરે કહીને નવાજીએ છીએ. સમયે સમયે, કહો કે પ્રત્યેક સમયે … યુગસંદર્ભે એની પાસેથી આપણને શું મળે છે, તે માટે મીટ માંડીને બેસીએ છીએ. યાદ છે, આજથી બરોબ્બર નવ્વાણું (૯૯) વર્ષ પહેલાં, આ જ ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં અધ્યક્ષ આચાર્ય આનંદશંકર ધ્રુવે સર્જકની વ્યાખ્યા બાંધતાં, સર્જક પાસે પોતાના સમયબોધની અપરંપાર અપેક્ષા વ્યક્ત કરતાં શું કહ્યું હતું ? …
“સઘળાં મહાન યુગપરિવર્તનમાં થાય છે, તેમ હિંદુસ્તાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર આપનાર કવિની જરૂર પડશે; એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતાને ભેદી, એ યુગની પાર જઈ, જીવનનાં સનાતન સત્યોને પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે … યુગને દૃષ્ટા અને સ્રષ્ટા-યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂર છે. એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જેના વિના આપણે આપણા યુગને પૂરેપૂરો ઓળખી શકીશું નહિ … બીજું, આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશાવવાનું કામ સાહિત્યના શિરે રહેશે.”
સર્જક વિશેના આ ભવ્ય અને ઉદાત્ત આદર્શને આપણે હંમેશાં યથાર્થ સુધી પહોંચાડી શક્યાં છીએ કે કેમ એ આત્મખોજનો વિષય બની શકે. આપણી ભાષાના આજના સર્જકો પોતાના યુગસંદર્ભને વ્યાપક દૃષ્ટિથી જોઈ સમજીને ખુદવફાઈથી નિરૂપવા કેટલા તૈયાર છે, એ પણ અનેક સાંસ્કૃતિક અને રાજનૈતિક સવાલો ઊભા કરે છે; એ પણ એક વાસ્તવિકતા છે.
આવી મૂંઝવણને કારણેસ્તો સર્જકની સ્વતંત્રતા અને પ્રતિબદ્ધતા જેવો અર્થગર્ભ મુદ્દો દેખીતી રીતે પરસ્પરને વિરોધાવતા, બે સામસામા છેડાના શબ્દોમાં વહેરાઈ-વહેંચાઈને, વિમર્શ માંગતો આપણી સામે ખડો થયો છે. ખરેખર તો બંને શબ્દો સર્જકની અસ્મિતા જ નહિ; એનો અસ્તિત્વબોધ પણ પોતાની સાથે લઈને આવે છે. કદાચ એટલે જ ફરીફરીને પૂછવું પડશે કે સર્જકની પ્રતિબદ્ધતા એને પોતાના યુગસંદર્ભો વિશે નિર્ભીકપણે – સ્વતંત્રપણે સર્જન કરવા પ્રેરે છે કે કેમ? અને અલબત્ત, એણે માની લીધેલી સ્વતંત્રતા એને પોતાના યુગસંદર્ભોથી અળગી તો નથી પાડી દેતીને?!
પ્રતિબદ્ધતા એટલે ….
ખેર, આમ તો ‘પ્રતિબદ્ધતા’ એટલે કોઈપણ વિચારધારા, આદર્શો, જીવનમૂલ્યોને માન્ય રાખીને એને મક્ક્મપણે અનુસરતાં રહેવું. વિચારવાણી-વર્તનમાં એકવાક્યતા જાળવવી. સર્જક હોય તો એનું નિરૂપણ આ જ વલણોને અનુસરે. આ રીતે જુઓ તો ‘મેરે તો ગિરધરગોપાલ; દૂસરા ન કોઈ” કે “એક વર્યો ગોપીજન-વલ્લભ”… જેમ ભક્ત સર્જકની પ્રતિબદ્ધતા છે અને સાચી છે … તેટલી જ પ્રતિબદ્ધતા પેલા ક્રાન્તિધર્મી કવિની પણ છે, જે લલકારે છે “અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં”… કે “વહ સુબહ હમીંસે આયેગી.”
આમ છતાં કોણ જાણે ક્યારથી, આપણે ત્યાં ‘પ્રતિબદ્ધ સાહિત્ય’ અને ‘પ્રતિબદ્ધ સાહિત્યકાર’ શબ્દો ચોક્કસપણે ડાબેરી પક્ષધર, માર્ક્સવાદી, સામ્યવાદી વિચારસરણી સાથે સજડબમ જોડાઈ ગયા છે! અર્થઘટન કરનારાનું ભોળપણ વળી એને કોઈ XYZ રાજકીય પાર્ટીના પોપટપાઠ સુધી પણ ખેંચી જાય છે. જો કે ખરો વિમર્શ તો એ બને કે સર્જક કઈ પ્રતિબદ્ધતાથી સર્જવા / લખવા વળે છે કે જેનાથી સમગ્ર માનવસમાજની, સમસ્ત સૃષ્ટિની ઉન્નતિ, પ્રગતિ અને સાર્થકતા ઉજાગર થાય છે.
વ્યક્તિ અને સમષ્ટિનું દ્વંદ્વ અને સર્જન
હજારો વર્ષની માનવસભ્યતા અને સંસ્કૃતિમાં વ્યક્તિ અને સમષ્ટિની સાપનિસરણી સતત ચાલતી રહી છે. ચોપગામાંથી બે પગે ચાલતા થયેલા આદિમાનવોના અનામ સમૂહો સહિયારા પરાક્રમથી પ્રકૃતિ સામે ટક્કર ઝીલતા ઝીલતા ટકતા થયા અને સભ્યતા … ને પછી સંસ્કૃતિના માર્ગ ઘડાયા ને દૂર સુધી લંબાયા. ત્યારે એક તબક્કે સહિયારા શ્રમ ઉપર વ્યક્તિની માલિકી આવી બેઠી. સમૂહના શ્રમ અને કલાઓ, આવિષ્કારો અને અભિવ્યક્તિ ઉપર વ્યક્તિનો દાબ અને વ્યક્તિની આપખુદીનો ગાળિયો મજબૂત બન્યો. તો સમય જતાં, માનવસમાજને ‘દોરનારી’ ટોળકીઓનું વર્ચસ્વ વધ્યું; એણે અભિવ્યક્તિ અને શ્રમને વ્યક્તિનું પાપ કહીને વગોવ્યાં.
ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક વ્યક્તિએ સમૂહ સામે તો ક્યારેક સમૂહોએ વ્યક્તિ સામે … અને માનવસભ્યતાના એક તબક્કે સમૂહોએ સમૂહો સામે બાથ ભીડી છે, અધિકારની માંગણી આગળ ધરી છે અને એ માટે ન્યાય્ય હિંસાનું શરણ પણ સ્વીકાર્યું છે.
કેટલી રોમાંચક છે આ વર્ચસ્વવાર્તા! ચક્રનેમિક્રમ જેવું ક્યારેક ભલે લાગે પણ સાચું પૂછો તો વ્યક્તિએ ઉગામેલી મુઠ્ઠીનો મહિમા ઘણો છે. એવી વ્યક્તિ હોઈ શકે છે સર્જક. દેખીતા-જિવાતા જીવનનાં દૃષ્યોનાં જિગ-સો-પઝલને સૉલ્વ કરતાં કરતાં, ટુકડાઓ ખોળતાં ખોળતાં એ ટુકડાઓને જોડતો જાય છે અને જીવનની ઉપર જઈને એને એ મથામણોની સાર્થકતા સમજાય છે. આવા ટુકડાઓ સાથે મૂઠભેડ કરવાની એની પ્રતિબદ્ધતા એની નિતાંત સ્વતંત્રતા સિવાય શક્ય જ નથી.
પેલી બર્બરતાથી શરૂ કરીને આધુનિકતા સુધી પહોંચેલી માણસજાત; અનેક લોહિયાળ સંઘર્ષોમાં લપેટાયેલી, યુગે યુગે નવેસરથી જન્મ લેતી માણસજાતની પરાક્રમકથા – પરાજયકથા વિશે વાત કરવાનો દાયિત્વબોધ ધરાવવો એ છે સર્જકની પ્રતિબદ્ધતા અને એમાં મમવેદના સાથે વંચિતો-શોષિતો-પરાજિતોનો પક્ષ લઈને કંઈક પેલા પયગંબરો – ઋષિઓની જેમ સેલ્ફરાઇટિ્યસનેસ સાથે તમામ વિરોધો-વિપદાઓને સ્વીકારવા હાથ ફેલાવીને ખડા રહેવું તે સર્જકની સ્વતંત્રતા.
સ્વતંત્રતા એટલે ….
કેટલાકને કહેતા સાંભળ્યા-જાણ્યા છે કે સર્જક તરીકે ‘હું તો કાયમ સ્વતંત્ર છું’! સર્જકને એનાં સમાજ-સંસ્કૃતિ-અર્થવ્યવસ્થા-શાસનવ્યવસ્થા સંદર્ભે માપો તો આ ઘમંડ સાચો છે? સર્જકની સ્વાયત્તતા આ બધાં વચ્ચે પણ આટલી બધી વાયવ્ય છે? આટલી સહેલીસટ્ છે? જવા દો … આ શબ્દછળ જ નથી; આત્મછલના છે.
બાકી સર્જકની સ્વતંત્રતા તો માથા સાટે મોંઘી વસ્તુ છે. સર્જક એવું તે શું સર્જવા માંગે છે જેને માટે, જેના પ્રત્યાયન માટે દસે દિશાઓ મોકળી રહે? ક્યારેક આ ‘શું’ની જગ્યાએ ‘કેવી રીતે’ પણ આવી શકે! પરંપરાની નાભિનાળથી વિખૂટા પડીને સ્વરૂપલક્ષી પ્રયોગો કરનારને પણ ‘સ્વચ્છંદી’ની ગાળ ખમવી જ પડી છે … તો પછી એવી તે કેવી ‘વાત’ લઈને સર્જકે આવવું છે કે એનું મોં દાબવા, એની કલમ ભાંગવા, એનો કાગળ ફાડવા સ્થાપિતો સંપીને, ટાંપીને તત્પર બેઠા હોય?! અને એવું એણે શા માટે લખવું છે? એવું લખવાની એવી તે કઈ તાકીદ-કઈ તલપ એના ચિત્તમાં જાગે છે? બસ, અહીં જ આંગળી મૂકવી છે … લેખક શું લખે છે, અને તે શા માટે લખે છે? સર્જનનું પ્રયોજન તો એક કરતાં અનેક છે એમ પૂર્વાચાર્યો પણ કહી ગયા છે …
સર્જનનું પ્રયોજન એટલે ….
આચાર્ય મમ્મટે નથી કહ્યું… यज्ञसे … પહેલું પ્રથમ તો આ જ ને? સર્જક એટલે તાલીઓના તરાપે વૈતરણી પાર કરનારો જીવ! બધાંને અનુકૂળ રહીને, બધું સ-રસ અને સુંદર જ છે, ઑલ ઇઝ વેલ કહીને પોતાની અને પોતાના જેવાની પીઠ થાબડનારા સર્જકો માટે આટલું પૂરતું છે. વધો આગળ … अर्थकृते …. આજકાલ કંઈ ફૂટપટ્ટીથી પંક્તિઓ માપીને રૂપિયા ચૂકવનારા રહ્યા નથી; રૂડીરૂપાળી ફાઇવસ્ટાર સગવડો મળે છે, જો અહો રૂપમ્ અહો ધ્વનિ આવડી જાય તો ! व्यवहारविदेવાળા પ્રયોજનને હું વાટકી-વહેવાર કહું છું … કિં બહુના?! कान्तासंमित् उपदेशની વાત જવા દો …. કાન્તા તે વળી શો ઉપદેશ આપવાની? … આટલા બધા બાબાબાપુગુરુમહાત્માઓ અને મોટિવેશનલ વ્યાખ્યાનો આપનારા ઓછા છે? તો પછી …. મહાજનો યેન ગતઃ સઃ પન્થા, બીજું શું? આટલાં આટલાં પ્રયોજનો પડ્યાં છે લખવા માટે … જેને વળી ક્યાં બંધન છે? બધે સ્વતંત્રતા જ છેને? પણ ઊભા રહો – પેલા મમ્મટજી આપણો કાન પકડીને કંઈક યાદ કરાવે છેઃ પેલું પ્રયોજન – शिवेतर क्षतये, ભૂલી ગયા, કવિ?! જે કંઈ અ-શિવ છે, અ-કલ્યાણકારી છે આપણી આસપાસ … એનો નાશ કરવાની વાત કરે છે આચાર્ય; તો ય પણ ચાલો! આપણે રહ્યા અહિંસાપ્રેમી. તો કમ સે કમ, એ અ-શિવ ભણી આંગળીચિંધામણનું પુણ્ય તો અંકે કરીએ?! પણ વાત એમ ચાલી રહી છે કે ‘અ-શિવ’ કોણ કહેવું એ વિશે કાં તો અસમંજસ છે, કાં તો પછી એને ‘અ-શિવ’ કહેતાં કંઈક-કશુંક-કોઈક-ક્યાંક આપણને રોકે છે? ટોકે છે? અટકાવે છે? અહીં કંઈ અનેકાંતવાદના વરસાની વાત નથી કરવી – પણ કશાકનો ડર, કશાક પૂર્વગ્રહોનું જાડ્ય, કંઈક ચોફેર જોઈ વળનારી આંખની અખમતા તો નથીને, એ સોઈઝાટકીને જોઈતપાસવાની વાત છે.
બાકી તો એ પ્રયોજનથી લખનારની સામે તો કેટકેટલું રોજેરોજ મોં ફાડીને ઊભું થાય છે … છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણને કેટકેટલાં નેરેટિવ્ઝ પકડાવી દેવાય છે – અસ્મિતા, આપણી ભવ્ય વિરાસત, ક્ષણેક્ષણે ગગનચુંબી બનતો જતો વિકાસ, મહાન દેશ માટે દેશભક્તિ અને જાનફેસાની … ખૂણોખાંચરે પહોંચીને, સમાજને અને માનવ્યને ઊધઈની જેમ કોરી ખાતી ઓળખની રાજનીતિ, આપણે વિરુદ્ધ એ લોકો / અસ ઍન્ડ ધેમ / અધરાઇઝેશન અને એના ઝનૂનથી શરૂ થતી અને ચોમેર ફેલાતી બર્બર હિંસા, સ્ત્રીઓ અને બાળકોને હજી વૈતરું કરનારાં ઢોર અને અત્યાચાર સહેનારાં શરીરો જ માનતાં રહેવાનું, ધર્મસંપ્રદાયોનો ભ્રષ્ટાચાર છતાં નફ્ફટ વર્ચસ્વ, એને સ્વીકારતાં પ્રજાટોળાં … અને આ બધાં સરંજામ સાથે હવે તો બારણે ટકોરા મારનારો નહિ; સમગ્ર તંત્ર, વ્યવસ્થા, સંસ્થાઓમાં ધસમસતો ઘૂસી રહેલો ફાસીવાદ. ફાસીવાદ કંઈ હિટલરની મૂછો પહેરીને થોડો જ આવવાનો હતો?! … એ તો સરસ મજાના દેશી લિબાસમાંયે આવે અને સારાયે સમાજને રંગવા માંડે – અરે, રંગી દે એકલરંગે ને એની તમને સરતેય ના રહે! …. અને છતાં ય સર્જક ચૂપ રહેશે? ખભેખભો મિલાવીને જીવતો પાડોશી નજર સામે રહેંસાઈ જાય, પગ નીચેથી બાપદાદાએ સંઘરેલી વાવરેલી વાવેલી ને ફળવેલી જમીન ખસી જાય અને કોઈ તમને ખાલી સપનાંના ફુગ્ગા પકડાવીને ખડખડ હસતું ખસી જાય તોયે સર્જક પ્રતિરોધ નહીં કરે? એનો ધોળો ઊજળો શબ્દ લાલધૂમ કદી નહિ થાય? …
હા, પ્રતિબદ્ધતાનું મૂળ ધરાણું તો છે નિસબત – લગાવ – આપણને બહુ ગમી ગયેલા પેલા શબ્દો – ‘પીડપરાઈ!’ એ હોય તો પેલું બીજું માણસ ‘પરાયું’ રહે જ શાનું? …. મતલબ કે સમસ્યાઓમાં સર્જકની સંડોવણી-સમભાવ ને તેનાંથીયે આગળ વધીને કહું તો મમભાવ … ના જાગે?! …. અને ત્યારે સર્જકે પક્ષધર થવું પડે – પક્ષ લેવો પડે. એની તમામ સમજણ, સંવેદનશીલતા અને કલાની-ક્રાફ્ટ અને સ્કીલની સાથે એણે પક્ષ લેવો પડે. એના કાનમાં પેલી ઋચા ગૂંજતી નહિ હોય?… “कस्मै देवाय हविषा विधेम” કયા દેવને હું આ હવિ અર્પણ કરું?!
કેમ?
ખેર, ત્યારે આનું આકલન કરતાં ક્યારેક લાગ્યું છે કે આપણે – ગુજરાતીભાષીઓ કેમ ઊકળી નથી ઊઠતા? આડવાત કરું તો દેશની ને દુનિયાની કેટલી બધી ભાષાઓ પોતપોતાની રીતે અમાનુષી અન્યાયો અને કોરીખાતી પરંપરાઓનો વિરોધ કરી રહી છે? બની શકે કે પગે બારણું ઠેલીને પણ એ કહેવાતી હોય ને મુઠ્ઠીઉછાળ ત્રાડ પણ સંભળાતી હોય! …. પણ આપણે? …. પેલી આગળ કહી તે ડરની વાત? કોઠાડહાપણનો વારસો? શ્રમણસંસ્કૃતિ, પ્રેમલક્ષણાભક્તિ, અહિંસા અને મહાજનસંસ્કૃતિની દેણગી? અરે, આ જ ભાષાની કેટકેટલી છટાઓ આપણને શિખવે છે કે ‘પાણીમાં રહેવું ને મગર સાથે વેર?’ ‘વાણિયા! મૂછ નીચી – તો કે’ નીચી!’ આપણે શું? આપણા કેટલા ટકા?’ ‘તું તારું સંભાળ ….’ પણ ત્યારે જ સામો સવાલ થાય છે કે સર્જકનું સ્વાતંત્ર્ય તે બાપના કૂવામાંથી એ કેટલો વહેલો બહાર આવી જાય છે – એમાં નહિ?! એને અકસ્માતે મળેલા સામાજિક-સાંસ્કૃતિક કળણમાંથી પાર ઊતરીને એ / બહુજનહિતાયમાંથી સર્વજનસુખાય માટે લખે એમાં એનું સ્વાતંત્ર્ય ખરું કે નહિ?! આવા સ્વાતંત્ર્ય માટે એ પ્રતિબદ્ધ છે?
…. કે પછી હજી સુધી – આજની તારીખ સુધી પણ આપણને આ વારસા સામે સવાલો નથી ઊઠતા થયા? આપણે બની શકે કે અન્ય પ્રજાઓ કરતાં ખાધે-પીધે સુખી છીએ, એમ માનતા-મનાવતા આવ્યા હોઇએ પણ ખરેખર, આ ભ્રમ નથી?! કદાચ થોડીક ભૌતિક સંપત્તિને લીધે આપણે અન્યોથી અલગ ને ઊંચા માનતા હોઇએ, આધુનિક માનતા હોઇએ પણ ખરેખર, આપણે આધુનિકતાનાં પેલાં મૂલ્યો આત્મસાત્ કર્યાં છે? સ્વતંત્રતા-સમાનતા-બિરાદરી-બુદ્ધિવાદ-વૈજ્ઞાનિક અભિગમ-પ્રગતિશીલતા-ધર્મનિરપેક્ષતા-આત્મપ્રશ્નેયતા ….
આપણે સતત પ્રગતિ સાધતી માનવસભ્યતાને માનવગરિમાના માપદંડોથી માપી શકીએ છીએ ખરાં? સર્જક તરીકે અંતે તો આપણું સ્વાતંત્ર્ય કહો તો એ છે કે આપણે સમાજનાં-સંસ્કૃતિનાં-શાસનવ્યવસ્થાનાં દુરિતો સામે ટટ્ટાર માથે ઊભા રહી શકીએ છીએ ખરાં? બાકી તો રાજ્યાશ્રય, ધર્માશ્રય અને ધનાશ્રયના મધ્યકાલીન માહોલમાંથી બહાર આવ્યા છીએ એવું કહેવાનો આપણને શો હક છે? મૂળમાં, પ્રતિબદ્ધતા તે આ ને સ્વતંત્રતા તે ય આ …. કે પ્રતિરોધ કરવો …. નિર્મમપણે અને નીડરપણે સ્થાપિત હિતોની ચાલબાજી પકડવી ને પડકારવી. અલબત્ત, આને માટે માત્ર અનુકંપાથી નથી ચાલતું – રમતના નિયમો પણ સમજવા પડે છે અને ફક્ત ‘સ્વાન્તઃસુખાય’ લખનારા તો આજકાલ છન્દોલયની કે પ્રવાહી ગદ્યનીયે ક્યાં તમા રાખે છે? જીવનને અને જગતને જોવા-સમજવાની સૂઝબૂઝ અને એને ઉજાગર કરવાની તૈયારી સર્જકને પ્રતિબદ્ધ બનાવે છે ને સ્વતંત્ર રાખે છે; બલકે ‘સર્જક’ બનાવે છે.
પરિણામો તો ઇતિહાસનાં પાનાં ઉપર કંઈક નોંધાયેલાં છે, આવા સર્જકોની ગૂંગળામણ-હતાશા-સંઘર્ષો-જીવવાના ને જિવાડવાના સંઘર્ષો …. ને છતાં મળેલા ઝેરના કટોરા-શૂળી-ફાંસી-ગોળી ને કારાગાર. એક નાનકડી સમજણ શેર કરું? …. મને તો આવા સર્જકો, વૈજ્ઞાનિકો, બુદ્ધિવાદીઓ અને પેલા યહૂદી પયગંબરોની સ્થિતિ અને ગતિમાં અજબ સામ્ય દેખાયું છે! સર્જકને ઋષિ કહ્યા છે … તે અમસ્તું જ નહિ હોય!
પ્રતિબદ્ધ સાહિત્ય અને આપણું વિવેચન
અલબત્ત, આપણી ભાષામાં પ્રતિબદ્ધ સાહિત્ય નથી એવું નથી. પણ જે છે – જેવું ને જેટલું છે એ કેટલાક વ્યવહારુ સવાલો ઊભા કરે તેવું છે. જેમ કે, આપણા અધ્યાપકો-વિવેચકોએ પ્રતિબદ્ધ સાહિત્યના વાંચન-આસ્વાદ-અવલોકન-વિવેચન પરત્વે ખાસ ધ્યાન નથી આપ્યું અને આપ્યું છે, ત્યારે ઓરમાયું કાં તો આભડછેટિયું વલણ દેખાડ્યું છે. વિચાર કરું છું ત્યારે આનાં કારણો કંઈક આવાં લાગે છે –
(૧) એમણે માની લીધેલી ડાબેરી પક્ષધરતા સામે આપણા શિક્ષિત મધ્યમવર્ગને પૂર્વગ્રહ છે – સૂગ પણ છે.
(૨)એ વિચારધારાના આધારે લખાયેલાંને આસ્વાદવા કે માપવા માટે એમની પણ ‘ટૂલ્સ’ / ઓજારો પણ નથી અને વાંચન-વિચારની કોઈ ભૂમિકા પણ નથી.
(૩) પ્રતિબદ્ધ સાહિત્યની પોતાની કચાશ, મુખરતા અને સપાટબયાની પણ કારણભૂત હોઈ શકે. એની ભાષાભિવ્યક્તિમાં માધુર્ય કે માર્દવ ન હોય અને આપણે ત્યાં તો એ બે ઉપરાંત સુષ્ઠુમિષ્ટ માનવતાવાદ ને એનાથી ય ઉપર, અધ્યાત્મનો હવા ભરેલો ગુબ્બારો ચલણી અભિવ્યક્તિ કહેવાય છે.
(૪) મૂળમાં તો વર્ગભેદ, વર્ણવ્યવસ્થા, પિતૃસત્તા જેવાં વર્ચસ્વવાદી મૂલ્યો સામેનો પ્રતિરોધ ખમાતો નથી, કેમ કે આપણા સાહિત્યજગતનો મૂલ્યબોધ બદલાયો છે : ધર્મસત્તા, ધર્મસત્તા અને રાજ્યસત્તાને વશ વર્તનારા બહુમતી સર્જકો-વિવેચકો સર્વહારાને જાણે કે ઓળખવા જ નથી માંગતા.
(૫) મુખ્ય પ્રવાહમાં ‘આધુનિકતા’નો અર્થ ઉપલકિયો રહી ગયો છે – છંદ તોડવા, ભાષા બદલવી વગેરે …. સાચાં આધુનિક મૂલ્યોને ઓળંગી જઈને લાગલા ‘અનુઆધુનિક’ બની ગયા છે અને એમાં ય એમનો મૂલ્યબોધ અસ્મિતા અને કહેવાતા સાંસ્કૃતિક મિથ્યાભિમાનમાં ઇતિશ્રી પામે છે.
શોધવા બેસીએ તો હજી વધુ કારણો હાથમાં આવી શકે. અલબત્ત, પ્રતિબદ્ધ સર્જનની પોતાની મર્યાદાઓ પણ છે, પણ એ તો ક્યારે ચર્ચી શકાય, જ્યારે એને વાંચ્યું હોય ત્યારે!
… અને આનો ઉપાય પણ છે જ. ૧૯૩૬માં જ્યારે ભારતીય પ્રગતિશીલ લેખકસંઘની સ્થાપના થઈ ત્યારે લખનૌમાં, અધ્યક્ષપદેથી પ્રેમચંદજીએ સ્પષ્ટ કહેલું કે આપણી ભાષાઓનાં પ્રતિબદ્ધ, પ્રગતિશીલ સર્જનનું નવું જ સૌન્દર્યશાસ્ત્ર ઘડવું પડશે. ભારતની અન્ય ભાષાઓમાં આવું ઇસ્ટેથિક્સ રચાયું છે ને માતબર સર્જન-મૂલ્યાંકન થાય જ છે … પણ આપણી ભાષામાં ક્યાં છે એવું સાહસ?!
અભી નહીં તો કભી નહીં / નાઉ ઓર નેવર
આપણી અંદરના સળ ભાંગીને હવે સામે ધસી રહેલા દુરિતનો સામનો કરવાની આ તાતી ઘડી છે. સર્જક જે કરી શકે તેનું એક જ નામ છે : પ્રતિરોધ. આપણી ભાષાને હવે નવા લેબાસની જરૂર છે …. અને એ માત્ર ઉપવસ્ત્ર ન બની રહે ને ત્વચા સાથે એકાકાર થઈ જાય એની બહુ જ જરૂર છે. આ રસ્તે આવતાં સુફિયાણાં (સોફિસ્ટિકેટેડ – એલિટ્) વલણોને આઘાં ઠેલવાં પડે તો ય ભલે, કલમ છોડીને નહિ; કલમની સાથે સાથે, કર્મશીલતાની કેડી પકડવી પડે તો ય ભલે – એમાં ગિરીશ કર્નાડ જેવા ઉત્તમ સર્જક અને પ્રબુદ્ધ નાગરિકનું ઉદાહરણ પૂરતું નથી?! પ્રત્યેક સર્જક પાસે એવી ઉમદા સ્વતંત્રતા અને નક્કર પ્રતિબદ્ધતાની અપેક્ષા શા માટે ન રાખવી?
યાદ છે …. છેક ૧૯૩૫માં, યુરોપમાં હિટલર-મુસોલિનીના નાઝીવાદી-ફાસીવાદી શાસન સામે સાંસ્કૃતિક બગાવત ઊઠી હતી?! મેક્સિમ ગૉર્કીના આયોજન હેઠળ પૅરિસમાં ‘વર્લ્ડ કૉંગ્રેસ ઑફ રાઇટર્સ ઇન ડિફેન્સ ઑફ કલ્ચર’ની – ‘પ્રગતિશીલ સર્જકસંઘ’ની સ્થાપના થઈ હતી ને જેમાં આન્દ્રે માલરો, ટોમસ માન જેવા ડાબેરીનો ઠપ્પો ન ધરાવનારા ધુરંધર માનવતાવાદી સર્જકોએ પણ ભાગ લીધો હતો?! …. ને પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટરી ….
એવું નથી લાગતું કે હવે આપણી સામે પણ આપણી સહિયારી, બહુરંગી સંસ્કૃતિના રક્ષણની તાતી ઘડી આવી પહોંચી છે? ….
કરી શકી હોત બ્રેખ્ત, પાબ્લો નેરુદા, ગૉર્કી કે નઝરૂલની વાત …. નાઝિમ હિકમત, ફૈઝ ને સજ્જાદ ઝહીરની વાત … પાશ અને સર્વેશ્વરની કથા …. આપણા પોતાના મેઘાણી અને ખત્રીને પણ યાદ કરી શકી હોત, પણ આજે તો લાગ્યું કે ડાળ-પાંદડાંને તો પછી ક્યારેક પોંખીશું; આજે તો કરવી હતી મૂળિયાંની વાત – મૂળની વાત – મૂળ વાત …. જો કે ક્યારેક લખેલું કે અંત નથી, આ શરૂઆત છે …. પહેલો પડાવ છે.
(ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૧મા જ્ઞાનસત્ર માટેનું વક્તવ્ય, પાલનપુર, ડિસેમ્બર-૨૦૧૯. આ આખું વક્તવ્ય છે, જ્ઞાનસત્રમાં આમાંથી ટૂંકાવીને બોલવામાં આવ્યું હતું.)
E-mail : darshan.org@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 10 – 12