ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના જાણીતા શાયર દીપક બારડોલીકર ગત ૧૨ ડિસેમ્બરે અલવિદા કરી ગયા. તેના બે મહિના પહેલાં જ તેમનું પુસ્તક ‘સૌગાત’ [(પાંચ ભાષાનાં કાવ્યો); અનુવાદક -દીપક બારડોલીકર; મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ – ઑક્ટોબર 2019; કિંમત રૂ. 130] પ્રકાશિત થયું. મુખ્યત્વે ક્રાંતિકારી, બાગી અને સૂફી કવિઓ – શાયરોની પસંદગીની કૃતિઓના અનુવાદના આ પુસ્તકમાં એક શાયર તે ફૈઝ અહેમદ ફૈઝ પણ. તેનો પરિચય આપતાં બારડોલીકરે લખ્યું છે, “તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો અને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો”. અત્યાર સુધી આ હકીકતથી અજાણ રાષ્ટ્રપ્રેમીઓને ‘હમ દેખેંગે’ ઘટના પછી તેની પ્રતીતિ થઈ હશે. બારડોલીકરને શબ્દાંજલિ આપતા અહીં તેમણે આપેલો ફૈઝ અહેમદ ફૈઝનો પરિચય અને બારડોલીકરના સર્જનનો પરિચય વિપુલ કલ્યાણીની કલમે પુસ્તકમાંથી સાભાર
…. સંપાદક, “નિરીક્ષક”
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું નામ એવા ‘દીપક બારડોલીકર’નો જન્મ (૧૯૨૫) ભારતમાં, યુવાની પાકિસ્તાનમાં અને હાલ માન્ચેસ્ટર-બ્રિટનમાં સ્થિત છે. તેમની કવિતામાં આ ત્રણેય ભૂમિની લહેજત પ્રગટ થતી રહી છે. શિક્ષક, પત્રકાર, સંશોધક, સંપાદક … એમ અનેકવિધ પ્રતિભાનો પરિચય કરાવનાર દીપક બારડોલીકરની આત્મકથા ‘સાંકળોનો સિતમ’ (૧૯૯૯) અને ‘ઊછાળા ખાય છે પાણી’ (૨૦૦૪) રૂપે આપણને મળી છે. તેમની બધી જ રચનાઓ ‘કુલ્લિયાતે દીપક’ સંગ્રહમાં મુકાઈ છે – મૂળે તો ગઝલકારને.
તેમનો ગઝલસર્જનનો આરંભ ૧૯૫૦માં થયો. પાકિસ્તાનમાં ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટન વસવાટ કર્યો. ત્યાં તો ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઇકુ જેવા કાવ્યપ્રકારોમાં પણ સર્જન કર્યું. સાથે સાથે પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા છે. પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલનો મુખ્ય વિષય રહ્યો છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા કવિઓ-શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગુજરાતીમાં ‘સૌગાત’ લઈને આવનાર બારડોલીકરની કાવ્ય-પસંદગીમાં પણ કાવ્ય સંવેદના અને સ્વરૂપ બંને રીતે આ તત્ત્વ અનુભવાય છે.
ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧ • ૧૯૮૪), ઉર્દૂ ભાષાના,વીસમી સદીના એક શ્રેષ્ઠ શાયર છે. એમને જે ખ્યાતિ, જે લોકચાહના મળી છે એવી અન્ય કોઈ શાયરને મળી શકી નથી. તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો ને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો. તેમણે એક શેરમાં કહ્યું છેઃ
હમ શેખ ન લીડર
ન મુસાહિબ, ન સહાફી
જો ખુદ નહીં કરતે
યહ હિદાયત નહીં કરતે
કરીએ તે કહીએ ને કહીએ તે કરીએ એનાથી મોટી સચ્ચાઈ બીજી કઈ હોઈ શકે! આ કવિનાં જીવન તથા કવનમાં કોઈ ફરક જોવા મળતો નથી. જેવી જિંદગી ગુજરી એવી જ એમની શાયરી છે. સચ્ચાઈભરી, ખૂબસૂરત, કલાત્મક. જાણે તાજા ગુલાબની પાંખડી!
મુકામ ‘ફૈઝ’ કોઈ
રાહ મેં જઁચા હી નહીં
જો કૂ-એ-યાર સે નિકલે
તો સૂ-એ-દાર ચલે
તેમણે જે કંઈ લખ્યું તે જવાબદારીના ભાન સાથે લખ્યું, સમજી વિચારીને લખ્યું. કાવ્યસંગ્રહ ‘દસ્તે સબા’ના ઉપોદ્ઘાતમાં તેમણે નોંધ્યું છે : ‘કવિનું કાર્ય માત્ર દર્શનનું નથી, સંઘર્ષ પણ તેની ફરજ છે.’ – તેમણે એમ પણ કહ્યું છે કે આસપાસનાં વ્યાકુળ બિંદુઓમાં જિંદગીની મહાનદનાં દર્શનનો આધાર કવિની દૃષ્ટિ પર હોય છે અને અન્ય લોકોને તે દર્શન કરાવવાનો આધાર કવિની કલાકીય ક્ષમતા પર અને એ મહાનદના વહેણમાં પ્રવેશવાનો આધાર તેની આરત, લાયકાત તથા લોહીની ઉષ્મા પર હોય છે.
કવિ આટલો સુસજ્જ હોવો જોઈએ. એ વગર તે સાચી કવિતા કરી શકતો નથી.
ફૈઝ સાહેબનો જન્મ સિયાલકોટના એક સુશિક્ષિત, સંસ્કારી કુટુંબમાં થયો હતો. પિતા ખાન બહાદુર સુલતાન મુહમ્મદ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. એમણે વિદ્યાભ્યાસ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં કર્યો હતો અને શાયરીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અંગ્રેજી તથા અરબીમાં એમ.એ. કર્યા પછી અધ્યાપક બન્યા, અને પછી ‘ધી પાકિસ્તાન ટાઇમ્સ’ જેવા એક મોટા પત્રના તંત્રીપદે નિમાયા. એમના તંત્રીપદે અખબાર ખાસું ચમક્યું, પણ એ દરમિયાન ઘણું કરીને ૧૯પ૧માં રાવલપિંડી કાવતરા કેસમાં અન્ય ફોજી અફસરો ભેગા ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ કાવતરું વડા પ્રધાન લિયાકત અલી ખાનની સરકાર ઉથલાવવા વિશેનું હતું. ૧૯પપમાં તેઓ જેલમુક્ત થયા. તેમની કવિતા તથા સમાજવાદી વિચારસરણીના કારણે પણ અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દેશનિકાલ પણ કરાયા હતા.
તેમનાં કાવ્યો કોઈ એક દેશના ખૂણામાં સીમિત રહેનારાં કાવ્યો નથી. તેમની અંદર વિશ્વવ્યાપકતા(Universality)નાં તત્ત્વો ભર્યાં પડ્યાં છે. તેઓ ઇન્સાનને ચાહે છે, રંગ, નસલ કે દેશ-વિદેશના કશા ભેદ વિના.
એમના આઠ કાવ્યસંગ્રહો, નકશે ફરિયાદ, દસ્તે સબા, ઝિંદા નામા, દસ્તે તહે સંગ, સરે વાદીએ સીના, શામે શહરે યારાં, મેરે દિલ મેરે મુસાફિર અને ગુબારે ઐયામ પ્રગટ થયા છે. અને એ સૌનો એક કુલ્લિયાત [કુલ્લિયાત : શાયરની રચનાઓનો સંગ્રહ] – નુસ્ખ હાયે વફા.
તેમણે એક ફોજી અફસર તરીકે પણ સેવા બજાવી હતી. કર્નલની હેસિયતે નિવૃત્ત થયા હતા. લેનિન પીસ પ્રાઇઝ(૧૯૬૨)થી વિભૂષિત થનારા આ કવિનાં લગ્ન એલિસ નામે એક આયરિશ મહિલા સાથે થયાં હતાં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 07 તેમ જ 05