લોકમિલાપ વિદાય માગે છે
26-1-1950 : 26-1-2020
લોકમિલાપની સ્થાપના દેશના પ્રથમ પ્રજાસતાક દિવસે મુંબઈમાં થયેલી. 1954માં લોકમિલાપ કાર્યાલય ભાવનગર આવ્યું.
સિત્તેર વરસની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તક-પ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો? દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વરસોથી આ મનગમતું કામ કરી રહ્યા છે. હવે એમની ઈચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે જે એક પુસ્તક-ભંડાર ચલાવતા મોકલાશથી થઈ શકેલ નથી : પ્રવાસો કરવા, ઘેર બેસીને પુસ્તકો/સંગીત માણવા, ફિલ્મો જોવી, મિત્રો સાથે ગોષ્ઠી કરવી : કશું ખાસ ન કરવાનો આનંદ લેવો ! પુસ્તક-ભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશનાં સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તક-મેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં. આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તક ચાહકોનો સહકાર. ભાવનગરની પ્રજાએ અમને આટલા વરસો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તક-ભંડાર ચલાવવાની હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તક પ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ.