જીવન ચરિત્રને અંગ્રેજીમાં ‘બાયોગ્રાફી’ કહીએ છીએ. ઇ.સ. ૧૬૮૩માં જ્હોન ડ્રાયડન દ્વારા પહેલી વાર આ શબ્દ પ્રયોજવામાં આવેલો હતો. તેને ‘જીવન વૃત્તાંત’, ‘જીવનકથા’ કે ‘ચરિત્રવિદ્યા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવનચરિત્ર એ સાહિત્યની એક એવી શાખા છે. તેમાં સ્મરણોનાં ફૂલોની જીવનમાળા ગૂંથવામાં આવે છે.
ઇતિહાસની જેમ ચરિત્ર પણ પ્રથમ વિજ્ઞાન કે શાસ્ત્ર છે અને પછી કળા છે. ઇતિહાસની જેમ જીવનચરિત્રમાં પણ કશું જ નિરાધાર લખાય નહીં. જીવનચરિત્રના આરંભકર્તા તરીકે નર્મદનું નામ આવે છે. નર્મદે ૧૮૬૫માં લખેલ ‘કવિચરિત્ર’ અને ૧૮૭૦માં લખેલ ‘મહાપુરુષોનાં ચરિત્ર’ આ સ્વરૂપની આરંભિક રચનાઓ છે. ૧૯૧૬માં વિનાયક મહેતા કૃત ‘નંદશંકર જીવનચરિત્ર’ નોંધપાત્ર ઉદાહરણ છે. ૧૯૩૩માં વિશ્વનાથ ભટ્ટ રચિત ‘વીર નર્મદ’, કનૈયાલાલ મુનશી કૃત ‘નરસૈંયોઃ ભક્ત હરિનો’ (૧૯૩૩), ન્હાનાલાલ કૃત, ‘કવિશ્વર દલપતરામ’ (૧૯૩૩-૪૧) વિજયરાય વૈદ્ય કૃત ‘શુક્રતારક’ (૧૯૪૪) જેવાં જીવનચરિત્ર નોંધપાત્ર છે.
સાહિત્યકારો કે કેળવણીકારો ઉપરાંત જાહેર જીવનમાં રાષ્ટ્રના ઘડતરમાં કે રચનાત્મક પ્રવૃત્તિઓમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે, એવા કર્મશીલોએ પણ ચરિત્રલેખન કર્યું છે. જેમ કે મહાદેવભાઈ દેસાઈએ ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાન્સિસ’ (૧૯૩૩) તથા બે ખુદાઈ ખિદમતગારો (૧૯૩૬) એમ ત્રણ જીવનચરિત્રો લખ્યાં છે. ગુણવંતરાય આચાર્યએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનનો આલેખ ‘નવજીવન સુભાષ’ (૧૯૩૮) અને ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’ (૧૯૪૬) બે કૃતિઓમાં આપ્યો છે. બબલભાઈ મહેતા કૃત બે જીવનચરિત્રો મહારાજ થયા પહેલાં (૧૯૪૭) અને ‘રવિશંકર મહારાજ’ (૧૯૪૭)માં રવિશંકર મહારાજનાં પૂર્વ અને ઉત્તર જીવનને વર્ણવતાં ચરિત્રો આપ્યાં છે.
અંબાલાલ પુરાણીએ લખેલું ‘મણિભાઈ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર’(૧૯૫૧)માં તેમનાં ગતિશીલ પ્રસંગચિત્રો રજૂ થયાં છે. સુન્દરમ્ રચિત ‘મહાયોગી અરવિંદ’ (૧૯૫૩), નરહરિ પરીખ કૃત ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩), અને ‘મહાદેવભાઈનું પૂર્વરચિત’ (૧૯૫૦), પાંડુરંગ દેશપાંડે કૃત ‘લોકમાન્ય તિલક’ (૧૯૫૬), જયભિખ્ખુ કૃત ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ (૧૯૫૬), અંબાલાલ પુરાણી કૃત ‘અરવિંદજીવન’ (૧૯૫૭), બંસીધર ગાંધી કૃત ‘ઍલેક ઝાન્ડર ફ્લેમિંગ’ (૧૯૬૪), ઈશ્વર પેટલીકર કૃત ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪), મોહનભાઈ પટેલ કૃત ‘આલ્બર્ટ સ્વાઇત્ઝર’ (૧૯૬૪). આ સમયગાળામાં લખાયેલ ઉલ્લેખનીય કહીં શકાય એવાં જીવનચરિત્રો છે.
વનમાળા દેસાઈ ગાંધીજીની આબોહવામાં ઊછર્યાં અને ઘડાયાં છે. તેમણે ‘અમારા બા’(૧૯૪૫)માં કસ્તૂરબા વિશે ‘નરહરિભાઈ’માં પિતા નરહરિ પરીખ વિશે, ‘મહાદેવભાઈ’(૧૯૯૧)માં મહાદેવભાઈ દેસાઈ વિશે ચરિત્રલેખન કર્યું છે. મૃદુલા મહેતા કૃત ‘દેવદૂત : જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર’ (૧૯૬૭) અને ‘બે પુણ્યશ્લોક પુરુષો’(૧૯૮૬)માં લેખિકાની રજૂઆતકળા અને ભાષાપ્રભુત્વની ક્ષમતા દેખાઈ આવે છે. લેખિકા થોડા દિવસ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સાથે રહ્યાં તેના આધારે બે પુણ્યશ્લોક પુરુષોનું આલેખન કર્યું છે. દક્ષિણ કુમાર જોશીએ પિતા ‘ધૂમકેતુ’ વિશે બે ચરિત્રો તૈયાર કર્યાં છે. જેમાં ‘ધૂમકેતુની ઉત્તરયાત્રા’ (૧૯૭૧) અને ‘ધૂમકેતુના જીવનઘડતરની વાતો’(૧૯૬૫)માં સરળ રીતે પિતાનો ગુણાનુવાદ કર્યો છે.
ગાંધીજી વિશે રસપ્રદ પ્રસંગો આલેખીને ઉમાશંકર જોષીએ ‘ગાંધીકથા’ (૧૯૬૯) ઉપરાંત ‘હૃદયમાં પડેલી છબીઓ’ દ્વારા વ્યક્તિત્વના વિશેષોને ઉપસાવી આપ્યા હતા. તેમાં રજૂઆતની ભાષાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આથી આ જીવનચરિત્રોને વ્યાપક આવકાર મળ્યો છે. ઈશ્વરભાઈ દેસાઈ લિખિત ‘બે કર્મવીર ભાઈઓ’ (૧૯૭૪) સુરતના કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈની સેવાઓને પ્રત્યક્ષ કરાવે છે. ધીરુભાઈ ઠાકરે લખેલ ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭) અને કસ્તૂરભાઈ લાલભાઈ શેઠની જીવનકથા ‘પ્રગતિ અને પરંપરા’ (૧૯૮૦) કર્મઠ પુરુષના વ્યક્તિત્વને સુપેરે ઉપસાવે છે. દલપત શ્રીમાળી લિખિત ‘સેવામૂર્તિ’ પરીક્ષિતલાલ (૧૯૭૧), ગુજરાતના ઉત્તમ હરિજનસેવક પરીક્ષિત મજમુદારનાં જીવનકાર્ય અને ભાવનાઓને પ્રસંગો દ્વારા સરળ ભાષામાં રજૂ કરે છે. આ ચરિત્રમાં તેમનાં ત્યાગ અને જીવનસમર્પણ દૃષ્ટાંત સ્વરૂપે તથા પ્રભાવક રીતે માણી શકાય છે.
કેળવણીકાર લીનાબહેન શેઠે ‘અખંડ દીવો’(૧૯૭૯)માં માતા સરલાદેવી અને અંબાલાલ(પિતા)ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતના અગ્ર હરોળના મહાજન અંબાલાલ સારાભાઈના પરિવાર વિશે તથા સુપ્રતિષ્ઠિત ‘શ્રેયસ’ ફાઉન્ડેશનનાં સ્થાપક લીનાબહેનના જીવનઘડતરની આસ્વાદ વિગતો આ લઘુ સ્મૃતિગ્રંથમાં મળે છે. જ્યોતિબહેન થાનકી કૃત બે જીવનચરિત્રો છે, જેમાં ‘પૂર્વવાહિની’(૧૯૮૧)માં ભગિની નિવેદિતાનું પ્રભાવક ચરિત્ર આલેખ્યું છે. ‘પરિવ્રાજકનું પાથેય’(૧૯૮૧)માં કાકાસાહેબ કાલેલકરનાં જીવન અને વિચારને મૂર્ત કર્યા છે. ‘વાત્સલ્યમૂર્તિ મા’ (૧૯૭૭), ‘પ્રભુનું સ્વપ્ન’(૧૯૭૯)માં ફાધર વાલેસના જીવનસંઘર્ષનું ‘સ્વપ્ન શિલ્પી’(૧૯૭૯)માં નાનજી કાલિદાસનું ચરિત્રદર્શન કરાવ્યું છે.
‘શ્રી સી. તેજપાલ’ (૧૯૮૨) ચીમનલાલ સોમપુરા દ્વારા રચિત ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરનાર છોટુભાઈ તેજપાલનું જીવનચરિત્ર છે. એચ.એમ. પટેલ કૃત ‘સરદાર પટેલની સિદ્ધિઓ’ (૧૯૮૨) ‘વિઠ્ઠલભાઈ પટેલ’ (૧૯૮૩) લાઘવપૂર્ણ ચરિત્રચિત્રણ છે. કાન્તિલાલ શાહ કૃત ‘પાગલ દેશભક્ત વાસુદેવ બળવંત ફડકે’ (૧૯૮૩), રમણલાલ જોશી કૃત શબ્દલોકના યાત્રીઓ – (ભાગ-૧,૨)(૧૯૮૩)માં ૧૩૧ સાહિત્યકારોનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ચરિત્રલેખનમાં સર્જકોનાં વતન, જન્મસ્થળ, અભ્યાસ, વ્યવસાય અને સાહિત્ય-સર્જનની વિગતો સંક્ષેપમાં વર્ણવી છે. સુરેશ દલાલે ‘ખલિલ જિબ્રાન’ (૧૯૮૨) અને ‘કવિ ખબરદાર’ (૧૯૮૧); ચરિત્રો આપ્યાં છે.’ સંતસમાગમ(૧૯૮૩)માં ત્રણ જાણીતા સંતો મોરારિબાપુ, પાંડુરંગ આઠવલે શ્રી પ્રેમચૈતન્યનું જીવન, ચિંતન, મનન અને કથનનું દર્શન સુરેશ દલાલે કરાવ્યું છે. પ્રવીણ ભટ્ટ કૃત ‘કૃષ્ણમૂર્તિચરિત્ર’ (૧૯૮૩) પણ ઉલ્લેખનીય છે.
‘પ્રભાશંકર પટણી : વ્યક્તિત્વ દર્શન’ (૧૯૮૩) મુકુન્દરાય પારાશર્યે નિર્ધન અવસ્થામાંથી પુરુષાર્થ અને પ્રતિભાના બળે ઉન્નતિ કરનાર પ્રભાશંકરના વ્યક્તિત્વના વિવિધ પ્રસંગો સ્પષ્ટ કર્યા છે. ‘સ્વાતંત્ર્યસેનાની ગંગાબહેન ઝવેરી’(૧૯૮૩)માં રતિલાલ અધ્વર્યુએ ગાંધીજીના ઉલ્લેખનીય જીવનના ૭૫ પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. કસ્તૂરબાના જીવનના મહત્ત્વના પ્રસંગોને સરળ શૈલીમાં આલેખતી સંક્ષિપ્ત જીવનકથા ‘વત્સલ મા કસ્તૂરબા’(૧૯૮૩)માં રજનીકાંત જોશી દ્વારા આલેખવામાં આવી. ભોગીભાઈ ગાંધી અને સુભદ્રા ગાંધી દ્વારા રચિત ‘મહર્ષિ તૉલ્સતૉય જીવનરંગ’(૧૯૮૩)માં રશિયન સાહિત્યકાર અને તત્ત્વચિંતક તૉલ્સ્તૉયના જીવન સંઘર્ષની વાત કરવામાં આવી છે. નરેન્દ્ર દવેએ ‘ક્રાંતિકારી દયાનંદ’(૧૯૮૩)માં સ્વામી દયાનંદ, રાજા રામમોહનરાય અને સ્વામી વિવેકાનંદ ‘ભારતીય જનતાના રાષ્ટ્રીય ઉદ્દામ પ્રગતિશીલ ક્રાંતિકારી જનમુક્તિ આંદોલન’ના આદ્યજનક હતા, એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
અરુણિકા મનોજ દરુએ ‘હજરત મહંમદ પયંગબર’ અને ‘ભગવાન બુદ્ધ’ (૧૯૮૩) ગુણવંત શાહ કૃત ‘સરદાર એટલે સરદાર’ (૧૯૮૩) તપોમૂર્તિ ભક્તિબાનો સેવાયજ્ઞ (૧૯૮૩) સતીષચંદ્ર જોશી કૃત. મોહન દાંડીકરે લખેલ ‘નાનાભાઈનું જીવનદર્શન’(૧૯૮૪)માં નાનાભાઈ ભટ્ટના જીવનપ્રસંગો, વિચાર ભૂમિકાઓ અને સંસ્થાઘડતરને ઉપસાવી આપ્યું છે. પુષ્કર ચંદરવાકર કૃત’ ‘શ્રેયાર્થી દાદાસાહેબ માવળંકર’(૧૯૮૪)માં દાદાસાહેબના વ્યક્તિત્વની વિશેષતાઓ અને સત્યનિષ્ઠાનું પ્રભાવક આલેખન કર્યું છે. મનસુખલાલ સાવલિયા કૃત ‘જે પીડ પરાઈ જાણે રે’(૧૯૮૪)માં મોહનલાલ વિરજીભાઈ પટેલનું જીવનચરિત્ર આલેખ્યું છે. ‘દેશદેશના ગાંધી’(૧૯૮૪)માં રણછોડભાઈ પટેલે ગાંધીજી અને તેમના આદર્શોને જીવનમાં ઉતારનારા માર્ટિન લ્યુથર જેવા છ નેતાઓનો પરિચય કરાવ્યો છે. ગુણવંત શાહે કરુણામૂર્તિ બુદ્ધ’ (૧૯૮૪) નામક ચરિત્રમાં બુદ્ધના જીવનના કેટલાક પ્રસંગો વિશે ચિંતન કર્યું છે. આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ(૧૯૮૪)માં મીરાં ભટ્ટે આત્મારામના નિર્ભયતાના ગુણનો ચિતાર દર્શાવ્યો છે. સતીશચંદ્ર જોશીનાં ત્રણચરિત્રો ‘રાષ્ટ્ર સેવક દરબાર ગોપાળદાસ દેસાઈ’ (૧૯૮૧) ‘તપોમૂર્તિ ભક્તિબાનો સેવાયજ્ઞ’ (૧૯૮૩) લોકસેવક ભગવાનભાઈ (૧૯૯૨) સરળ અને ભાવાંજલિરૂપ છે.
હસમુખ રાવળે ‘સરદાર વલ્લભભાઈ પટેલ’(૧૯૮૫)માં સરદારનું જીવન આલેખ્યું છે. હરબન્સ પટેલ કૃત ગાંધીગુણદર્શન(૧૯૮૫)માં ગાંધીજીનું મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરતા જીવનપ્રસંગો વર્ણવ્યા છે. મીરાં ભટ્ટ રચિત ‘મહાત્મા ગાંધી’ (૧૯૮૫) તથા ‘મહર્ષિ વિનોબા ભાવે’ (૧૯૮૫) ચરિત્રો નોંધપાત્ર છે. રમેશચંદ્ર ઘંટીવાળા કૃત ‘પૂજ્ય સંતશ્રી નિર્વાણ સાહેબની જીવનઝરમર’ (૧૯૮૫), ધીરુભાઈ દેસાઈ દ્વારા લખાયેલ ‘વિદ્યાપીઠની મા’(૧૯૮૫)માં ગૂજરાત વિદ્યાપીઠના અસાધારણ સેવકનું જીવનચરિત્ર છે. તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતી(૧૯૮૫)માં રજનીકાંત જોશીએ રાષ્ટ્રપ્રેમ, કૃષ્ણપ્રેમ અને કવિનું જીવનકવન આલેખ્યું છે.’ શેખાદમ ગ્રેટાદમ(૧૯૮૫)માં વિનોદ ભટ્ટે પોતાના મિત્ર શેખાદમ આબુવાલાનાં રોચક સંસ્મરણો આલેખ્યાં છે.
‘નોખા અનોખા’(૧૯૮૮)માં પ્રફુલ્લ રાવલે આદ્ય શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય અને સહજાનંદ ચાર ધર્મના પ્રવર્તકોના જીવનનો પરિચય કરાવ્યો છે. હસમુખ રાવલ કૃત ‘નાના ફડનવીસ’ (૧૯૮૬), ‘મહામના અબ્રાહમ લિંકન (૧૯૮૫) – મુકુલ કલાર્થી,’ ભગવાન ઈશુ (૧૯૮૫) – મીરાં ભટ્ટ, ‘મિર્ઝા ગાલિબ’ (૧૯૮૬) – અબાબક્ષ શેખ. પુષ્કરભાઈ ગોકાણી કૃત ‘કર્મયોગી ગુર્જિએફ’(૧૯૮૬)માં વર્તમાન યુગના ચિંતક, સાધના અને પૌલિકતાનું ચરિત્રચિત્રણ કર્યું છે. ‘મને કેમ વિસરે રે?’(૧૯૮૬)માં નારાયણ દેસાઈની ચરિત્રલેખનની વિશેષતાઓનો આસ્વાદ્ય પરિચય મળે છે. રતન માર્શલે ‘માદામ ભીખાઇજી કામા’(૧૯૮૬)માં પારસી વ્યક્તિઓનો પરિચય આપીને બહુ ઓછા ખેડાયેલાં ચરિત્રોનો આપણને ભેટો કરાવ્યો છે.
બબાભાઈ પટેલે ‘જે. કૃષ્ણમૂર્તિ : જીવન અને દર્શન’ (૧૯૮૭) આપ્યું છે. ગાંધીજી(૧૯૮૭)માં ઉષા મહેતાએ ગાંધીજીના વિચારોની છણાવટ કરી છે. શાંતિલાલ જાની કૃત ‘ભારતનાં નારીરત્નો’ (૧૯૮૭), ગુણવંત શાહ દ્વારા ‘શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ’ (૧૯૮૭) નિમિત્તે ક્રાંતિ તથા અધ્યાત્મનું જેમાં સિદ્ધ થયું તેવા પૂર્ણયોગના સાધક અરવિંદ વિશે અભ્યાસપૂર્ણ મૌલિક ચિંતન મળે છે. દાદાસાહેબ માવળંકરની જન્મશતાબ્દી નિમિત્તે તેમના પુત્ર પુરુષોત્તમ ગણેશ માવળંકરે ‘પિતાનો વારસો’(૧૯૮૯)માં પ્રગટ કરી છે. શ્રી વાડીલાલ ડગલી કૃત ‘પુરુષાર્થનાં પગલાં’ (૧૯૮૯) મળે છે, ‘થોડા નોખા જીવ’(૧૯૮૯)માં સોળ વ્યક્તિચિત્રો સંગ્રહિત કરવામાં આવ્યાં છે. પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટે ‘વિનોદલક્ષી વ્યક્તિચિત્રો’(૧૯૮૯)માં આપ્યાં છે. લાભશંકર ઠાકરનું ‘બાપા વિશે’(૧૯૯૩)માં લાભશંકર તેમના બાપા વિશે બધી જ વિલક્ષણતાઓ સાથે રજૂ થાય છે. ‘મારી બા’(૧૯૮૯)માં લા.ઠા.નાં પોતાની માતા પ્રત્યેનાં સંસ્મરણોની ઝાંખી અરૂઢ રીતે વ્યક્ત થયેલી જોવા મળે છે.
ચરિત્રસાહિત્યનું શિરમોર જીવનચરિત્ર છે. નારાયણ દેસાઈ કૃત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’(૧૯૯૨)માં કેવળ મહાદેવભાઈની જ કથા નથી, ગાંધીજીની પણ છે. અનેક તત્ત્વો, સંદર્ભો, નિર્ણયો, પ્રક્રિયાઓ અને તેમાંથી જન્મેલી ઘટનાઓ ગાંધીજીના સંદર્ભે આલેખાઈ છે. મારું જીવન એ જ મારી વાણી’ (૨૦૦૩) મહાત્મા ગાંધીજીનું શકવર્તી મહાચરિત્ર છે. જેને ચાર ખંડોમાં ખંડ-૧ સાધના, ૨. સત્યાગ્રહ, ૩. સત્યપથ ૪. સ્વાર્પણ. તે ગાંધીજીના આંતરવિકાસના પરિચાયક છે. સુપ્રસિદ્ધ લેખક ચંદ્રકાંત બક્ષીનું જીવનચરિત્ર ‘બક્ષી : એક જીવની’ મળે છે. જયંતીલાલ મહેતાએ બક્ષીના વિવિધ રૂપો આ ગ્રંથમાં ઉપસાવ્યાં છે. કાંતિ શાહ કૃત ‘એકત્વની આરાધના’ (૧૯૯૩) દસમા દાયકાનું નોખી ભાત પાડતું ચરિત્રપુસ્તક છે. ભગિની યુગલ કાન્તાબહેન અને હરિવિલાસબહેનની સ્ત્રી તરીકે જન્મ લેવા, સ્ત્રી હોવાના કહેવાતા અભિશાપો ભોગવનાર બંને બહેનોના જીવન- સંઘર્ષોમાંથી જોડાતી ચેતનાનું આવિષ્કરણ આ ચરિત્રમાં જોવા મળે છે.
ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા પ્રાણસુખ નાયકનું ચરિત્રાંકન દિનકર ભોજક અને વિનુભાઈ શાહે ‘રંગનાયક પ્રાણસુખ’(૧૯૯૫)માં કર્યું છે. કનુભાઈ જાની કૃત ‘મેઘાણીછબી’(૧૯૯૬)માં મેઘાણીચરિત્ર જોવા મળે છે. નારીચરિત્રને ચરિત્રસાહિત્યમાં સ્થાન મળે છે એ વિષ્ણુ પંડિત લિખિત જીવનસાધકની વિમલયાત્રા(૧૯૯૭)માં જોવા મળે છે. વિમલાતાઈના જીવનની કેટલીક અપરિચિત વાતો, કાર્યક્ષેત્રો વિશેનું આલેખન આ ચરિત્રલેખનમાં જોવા મળે છે. જયંત કોઠારીએ લખેલું કલાપી : સ્મરણમૂર્તિ(૧૯૯૮)માં કલાપીના જીવનકવનનો પરિચય મળે છે. યોગેશ જોશીકૃત ‘મોટી બા’ (૧૯૯૮) નોંધપાત્ર ચરિત્રલેખન છે. મનસુખલાલ સલ્લાએ ‘ધરતીપુત્ર’(૧૯૯૮)માં લલ્લુભાઈ પટેલનું જીવનચરિત્ર આલેખ્યું છે.
પુરુરાજ જોશીએ ‘જિજ્ઞાસુની ડાયરી’ (૧૯૯૯) રૂપે સાવલીના સ્વામીજીનું જીવન આલેખન કર્યું છે. લેખકે જિજ્ઞાસુ ભાવે સ્વામીજીના અહોભાવ, જીવનમૂલ્યો, ચરિત્રરેખાઓ પ્રગટ કરી છે. મીરાંબહેન ભટ્ટ કૃત ‘હાથે લોઢું હૈયે મીણ’(૧૯૯૯)માં ભાવનગરના સેવાપ્રવૃત્તિના વડલારૂપ માણભટ્ટનું ચરિત્ર લખ્યું છે. ભરત ના. ભટ્ટે ‘નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ(૨૦૦૧)માં નાનાભાઈના પ્રસિદ્ધ અને પોતે અનુભવેલા પ્રસંગો દ્વારા નાનાભાઈની ખૂબીઓ અને કેળવણીસમજ, તત્ત્વપ્રીતિ વગેરે પ્રગટાવ્યું છે. મહેશ દવેએ ‘કવિતાનો સૂર્ય : રવીન્દ્રચરિત્ર’(૨૦૦૪)માં રવીન્દ્રનાથ ટાગોરનાં જીવન-કાર્ય-સર્જનનો પરિચય કરાવ્યો છે. રમેશ ઓઝાએ ‘ઋષિકથા’(૨૦૦૪)માં હરિવલ્લભ ભાયાણીની સર્વાંગી છબી ઉપસાવી આપી છે.
ઉર્વીશ કોઠારી કૃત ‘સરદાર-સાચો માણસ – સાચી વાત’(૨૦૦૫)માં સરદારનું સર્વાંગી નોંધપાત્ર ચિત્રણ કર્યું છે. રમણ પાઠકે તેમની પત્ની સરોજ પાઠક વિશે ‘અતિતના આયનાની આરપાર’(૨૦૦૬)માં સરોજબહેનના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં આંતરિકતા છતાં તટસ્થ રહીને આલેખ્યા છે. કૃષ્ણકાંત કડકિયાનું ‘ભર્યું ભર્યું અસ્તિત્વ’(૨૦૦૭)માં કે.કા. શાસ્ત્રીનું જીવનચરિત્ર આલેખ્યું છે. રઘુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’(૨૦૦૮)માં મોરારિબાપુની જીવનકથા રજૂ કરી છે.
જીવનચરિત્રના સાહિત્યનો દરેક ભાષામાં ચોક્કસ વાચકવર્ગ હોય છે. સાધારણ ભાવકો કે અધિકારી ભાવક; દરેકને માટે જીવનચરિત્રનું સાહિત્ય અભ્યાસદૃષ્ટિને વ્યાપક ભૂમિકા કેળવવામાં સહાયક બને છે.
[ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 09-12