દિવાળીનાં કોડિયાં માટીનાં, રંગોળી ખરી શોભે માટીથી લીંપેલાં-ગૂંપેલાં આંગણામાં, દિવાળી ટાણે આવતો મોલ ઊભો હોય ખેતરની માટીમાં. નોરતાના ગરબા અને મલ્લામા માટીનાં, ગણપતિની મૂર્તિ માટીની. આમ તો આપણા તહેવારો અને માટીનું જોડાણ તો એક નિમિત્ત. બાકી તો સમગ્ર જીવસૃષ્ટિનું મૂળભૂત અસ્તિત્વ જ માટીને લીધે છે. તેમાં જ પાણી સંઘરાય, તેમાં વનસ્પતિસૃષ્ટિ થાય, તેને લીધે જ ધરતીપટે માનવ અને પ્રાણી ટકે. આવી માટીથી દુનિયાભરના મોટા ભાગના શહેરીજનો તો બહુ દૂર જઈ જ ચૂક્યા છે. આપણા પગને માટી છેલ્લે ક્યારે અડી હતી ? આપણે છેલ્લે ખોબો ભરીને માટી ક્યારે ઊપાડી હતી ? આપણે છેલ્લે ધૂળમાં ક્યારે બેઠા હતા સૂતા હતા, રગદોળાયા હતા? ભીની માટીની મહેક આપણે છેલ્લે ક્યારે માણી હતી ? – આ સવાલોના જવાબ મોટા ભાગના લોકોએ ખૂબ યાદ કરીને આપવો પડે એમ છે. તેરમી સદીના પંજાબી સૂફી સંત બાબા ફરીદ ચેતવે છે ‘फरीदा खाक न निंदीए’ એટલે કે માટીની નિંદા ન કરીએ કારણ કે માટી જેવું કોઈ નથી – ’खाकु जेडु न कोइ’ તે આગળ કહે છે ‘जीवादिआ पैरा तले / मुइआ उपरि होइ’ એટલે કે મૃત્યુ બાદ તમારા ઉપર નાખવામાં આવતી આ માટી જિંદગી દરમિયાન તમારા પગની નીચે હોય છે.
ઘણાં બધા માટે માટી એટલે તબીયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણા માટે માટી એટલે ચકચકાટ કાર પર ઊડતો કાદવ, કારનાં પાર્કિંગમાં નડતો કીચડ, આપણાં બાળબચ્ચાં માટે જોખમરૂપ ગંદકી. ધૂળ-મુક્ત, ડસ્ટ ફ્રી જગત એ આધુનિક દુનિયાનો એક આદર્શ. ‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો ગયા મહિને કૉર્પોરેશનને મળી છે. તેને કૉર્પોરેશન પાંત્રીસ ડસ્ટ સ્વીપિન્ગ મશીનથી હલ કરવાની કોશિશ કરી રહી છે. તેમાં ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. પછી સ્વાભાવિક રીતે માટીને આપણે સિમેન્ટનાં પડોનાં પડો હેઠળ ધરબી દીધી છે. ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનું કંઈક અનેરું મેળવણ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મહારાષ્ટ્રનાં જળગાવની અભણ કિસાનકન્યા એવાં મરાઠી કવયિત્રી બહિણાબાઈએ સરસ લખ્યું છે :
अशी धरित्रीची माया,
अरे तिले नाही सीमा,
दुनियाचे सर्वे पोटं.
तिच्या मधी झाले जमा.
(ધરતીનું હેત અપાર છે. દુનિયાની અંદરનાં દરેક પેટ માટે તેની પાસે પૂરતું ધાન છે).
આ રીતે માટીની મોટાઈ લગભગ બધી ભાષાઓના કવિઓએ ગાઈ જ હોય. તેમાંથી બાર ભારતીય ભાષાઓનાં ચાર-છ લીટીનાં ચૂંટેલાં મુક્તકો ‘લોકનાદ’ નામના સાંસ્કૃતિક મંચના 2011ના વાર્ષિક કૅલેન્ડરમાં મળે છે. કર્મશીલ યુગલ ચારુલ અને વિનય ‘લોકનાદ’ ચલાવે છે. તેના થકી સામાજિક સરોકારના અત્યંત હૃદયસ્પર્શી ગીતો લખી, સંગીતમાં ઢાળી તેના ગાયનનો ભીંજાવી દેનારો કાર્યક્રમ ‘ઇન્સાન હૈ હમ’ દેશભરમાં સેંકડો જગ્યાએ રજૂ થઈ ચૂક્યો છે. વિનય-ચારુલ ગયાં દસેક વર્ષથી દર વર્ષે જાન્યુઆરીમાં ‘સાંઝી વિરાસત’ નામનું મોટે ભાગે સંતકવિઓનાં મુક્તકો સાથેનું તારીખિયું પણ બહાર પાડે છે. તેમાં તેમણે ધર્મ, સંસ્કૃતિ, એખલાસ, પાણી, આકાશ જેવા વિષયોને લઈને કૅલેંડર બનાવ્યાં છે. માટી પરનાં કૅલેન્ડરની શરૂઆતની નોંધ એકદમ સચોટ છે :
माटी यानि जीवन, हमारा मूल, कूदरत,
माटी यानि इन्सानियत, विनम्रता, धरती से जुडाव।
हम सबको, इन्सान व अन्य जीवों को, जोडती एक कडी।
और सबसे अहम – जीवन के पश्चात हमारा घर।
यह माटी आज बेचैन है, दुखी है,
और इसकी संतान भी।
मानवता का, सृष्टि का पतन;
प्रदूषित और सूखी नदियां;
कुदरती संसाधनों का निरंतर हनन; भूख व असहायता।
खुद की जिंदगी का अंत लाते धरतीपुत्र।
यह माटी आज विद्रोह कर रही है,
और उसके संतान भी।
इस माटी का अपमान ना हो,
जो हमें जीवन देती है, सजाती-संवारती है,
जिसकी हम जीती जागती मिसाल है।
क्या हम इस माटी की, उसकी संतान की गरिमा
पुन:स्थापित करा पायेंगे ? कायम रख पायेंगे?
વિનય-ચારુલની આ નોંધમાં જે લાગણી છે તે ‘વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ’ના ભાવથી જુદી છે. તેમાં વ્યક્તિની સમષ્ટિ કરતાં પોતાનાં મૂળિયાં માટેની મમતા છે, જે સાહજિક છે. પણ ‘ભારતપુત્ર’ મનોજકુમારની (કે એના જે કોઈ સિનેમૅટિક અને રાજકીય અનુગામી હોય)ની ઇસ્ટાઇલમાં પડતી ‘जमीं का जर्रा जर्रा …, ‘इस मिट्टी की सौगंध …’ કે ‘धरती माँ की कसम …’ની ત્રાડોના ત્રાગડાની અસરમાં ઘણા બધા આવી જાય છે. પણ એ દેકારા-પડકારામાં માટી નથી પ્રકૃતિનું રૂપ કે નથી જીવનનો સ્રોત. અહીં માટી એ એક માલિકી અને સત્તાના ભાવ સાથેનો સોશ્યો-પૉલિટિકો-ઇકોનૉમિકલ-મિલિટરી કન્સ્ટ્રક્ટ બને છે.
મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે પોતાનાં વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની તેની તાકાત પણ અગાધ છે. માણસો માટી પર થૂકે છે. માટી પર થૂકવું એ માત્ર અનારોગ્યતા જ નહીં, છેલ્લી હદની અહેસાનફરામોશી છે. તો પછી મળ-મૂત્ર માટીમાં નથી જતું ? એ તો કેટલું મોટું અપમાન ? – એવો સામો સવાલ થાય. માટીમાં થૂકવું અનિવાર્ય ક્રિયા નથી. પેશાબ અને શૌચ ટાળી ન શકાય તેવી બાબતો છે. ઉત્સર્જન-નિકાલની વ્યવસ્થા અનિવાર્ય જરૂરિયાત છે. પણ તેમાં ય માટીનો કેવો પ્રચંડ આરોગ્યકારક ફાળો હોઈ શકે એ સોપાન જોશીનાં અસાધારણ હિન્દી પુસ્તક ‘जल, थल, मल’(2016)માંથી જાણવા મળે છે. આપણા વિચારોને લગભગ દરેક પાને એ ઝાટકો આપનાર આ પુસ્તકમાં પોતાનું નામ એક જ વખત, લગભગ ન દેખાય તેમ ‘આલેખ ઔર શોધ : સોપાન જોશી’ એ રીતે મૂકનાર લેખકે નોંધ્યું છે :
शौचालय का होना या न होना भर इस किताब का विषय नहीं है. यह तो केवल एक छोटीसी कडी है, शुचिता के तिकोने विचार में। इस त्रिकोण का अगर एक कोना है पानी, तो दूसरा है मिट्टि, और तीसरा है हमारा शरीर। जल, थल और मल।
શૌચક્રિયા, શૌચદ્રવ્ય અને શૌચનિકાલ એ ત્રણને માટી સાથેનો વિધાયક સંબંધ પુસ્તકનો એક વિષય છે. સાથે તે માટીનું મહિમાગાન પણ કરતું રહે છે. જેમ કે :
कई संस्कृतियोंने हमारे और मिट्टी के इस संबंध को सुंदर रूपों में याद किया है। आदमी शब्द बना है पुराने यहूदी शब्द ‘अदामा’ से, जिसका अर्थ है मिट्टी. अंग्रेजी का ‘ह्यूमन’ भी लैटिन के ‘ह्यूमस’ से बना है। इसका अर्थ है मिट्टीमें पडी हुई खाद। जिस मिट्टी से हम बनें हैं, उसके प्रति केवल शोध का भाव रखना हमारा उथलापन होगा। इसमें थोडी सी खाद श्रद्धा की भी डालनी होगी। तभी हम कुछ गहरे जा पाएंगे, कुछ ऊंचे उठ पाएंगे।
માણસ માટીને ખોતરે છે, એને ઊતરડે છે, ખોદે છે, ઉલેચે છે. દુનિયાની અનિવાર્ય જરૂરિયાત એવાં બાંધકામોના પાયા ખોદાતાં હોય ત્યારે વિકરાળ મશીનોનાં લાંબા નહોરથી ખોદાતી જમીન અને પછી કૉન્ક્રિટ હેઠળ ધરબાતી જતી માટીનું દૃશ્ય પીડાકારક હોય છે. મનુ કોઠારી અને લોપા મહેતાએ ‘નાભિશ્વાસ લેતી ધરતીમાતાનું વસિયતનામું’ (1996) નામે પુસ્તકમાં લખ્યું છે : ‘હું ધરતીમાતા તરીકે તમારા બધાં માટે અન્ન પકવું છું. પણ તમે તો મૂર્ખ વાંદરાની જેમ મારી આંતર-ત્વચાને જ ઉખેડી નાખી છે. માટી દ્વારા હું જળ, ક્ષારો અને અન્ય કાર્બનયુક્ત પદાર્થો શોષું છું. જીવાણુઓ દ્વારા નાઇટ્રોજનનો સંગ્રહ કરું છું. આ બધાંને ભેગાં કરી પ્રોટીન બનાવું છું. મારું રહસ્ય, મારું સૌંદર્ય, મારી વિપુલતા એ મારી સોડમભરી કૂણી માટીમાં સમાયેલ છે. આ માટીને તમે ઉખેડી નાખો એટલે અન્ય ગ્રહોની જેમ હું પણ જીવજગત-શૂન્ય, પથ્થરોનો બનેલ નિર્જીવ પ્રદેશ બની જાઉં. મારાં માતૃસ્વરૂપને અને મારી કૂણી માટીને એકબીજાંથી અળગાં ન કરી શકાય.’ વિનોબા ભાવેએ લખ્યું છે : जमीन तो हमारी माता है, मा की कभी कीमत हो सकती है ?
વિકાસને માત્ર શહેરીકરણ અને તેમાં રહેતા થોડા લાખ માણસોની સુખાકારી ગણાવતા લોકો માટે આ કદાચ વેવલાપણું લાગે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે. ‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનનાં આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે 1982માં પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે બહાર પાડ્યો હતો. આ માહિતી મહારાષ્ટ્રના જાણીતા પર્યાવરણવિદ અતુલ દેઊળગાવકરનાં ‘बखर पर्यावरणाची’ (2006) નામનાં મરાઠી પુસ્તકમાં મળે છે.
વૉશિન્ગટને બસ્સો વર્ષ પહેલાં કરેલી વાત સાચી પડતી રહી છે. દુનિયાના દેશોની જમીન ખરાબ થતી રહી છે એટલે કે તેની અંદરનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટતાં તેની ફળદ્રૂપતા ઓછી થતી ગઈ છે અથવા તો તે રણપ્રદેશમાં ફેરવાતી ગઈ છે. આવી હાલત દુનિયાની પચીસથી ચાળીસ ટકા જમીનની થઈ હોવાનું અને જમીનની ખરાબીને જળવાયુ પરિવર્તનની આપત્તિ સાથે ગાઢ સંબંધ હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસો જણાવે છે. એટલે ગયાં ત્રીસેક વર્ષથી જમીન સાચવવા માટે સંગઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવું પડી રહ્યું છે. તેના ભાગ રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992થી દર બે વર્ષે યુનાઇટેટ નેશન્સ કન્વેન્શન ટુ કૉમ્બૅટ ડેઝર્ટિફિકેશન યોજે છે.
આવી ચૌદમી પરિષદ સપ્ટેમ્બરમાં ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવી હતી. તેમાં આપણાં વડા પ્રધાને આવતાં દસ વર્ષમાં ભારત 260 લાખ હેક્ટર જમીનને સારી બનાવવાનો ભારતનો નિર્ધાર જાહેર કર્યો હતો. આ આંકડો નવેમ્બર 2015ના પેરિસની ક્લાઇમેટ ચેઇન્જ કૉન્ફરન્સમાં ભારતે જાહેર કરેલાં આંકડા કરતાં પચાસ લાખ એકર વધારે હતો ! તેના છ મહિના પહેલાં અને નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેના પહેલવહેલા વર્ષને આખરે મે 2015માં ભારતની હરિત ક્રાન્તિના અગ્રદૂત એવા કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામિનાથને ‘વન યર ઑફ મોદી ગવર્નમેન્ટ : ફાર્મર્સ અવેઇટ અચ્છે દિન’ લેખમાં ચેતવણી આપી હતી : ‘જમીન એ સંકોડાતું જતું સંસાધન છે. આપણે ઓછામાં ઓછી જમીનમાં વધુમાં વધુ પાક લેવાનો છે.’ તેમણે સ્પેશ્યલ ઍગ્રિકલ્ચરલ ઝોન(સાઝ)ની રચના અને સૉઇલ હેલ્થ એટલે કે માટીનું આરોગ્ય જાળવવા માટેનાં ઉપક્રમો પણ સરકાર સામે મૂક્યા હતા. યાદ રહે કે ફળદ્રૂપતા માટે જમીનની જાળવણીને કેન્દ્રમાં રાખતા આ ‘સાઝ’ એ ખેડૂતની જમીન સહિત તેના સર્વસ્વનો નાશ કરનાર ‘સેઝ’ (સ્પેશ્યલ ઇકોનૉમિક ઝોન) નામની ઘાતકી સરકારી નીતિ કરતાં અલગ છે.
ઘણા લોકોને એ વાત સુદ્ધાં પકડાતી જ નથી કે જમીન ગુમાવવાની સાથે આપણે પાણી ય ગુમાવીએ છીએ. પાણીની વધતી જતી અછતની વચ્ચે આપણે દર ચોમાસે લાખો ગૅલન પાણી ગુમાવીએ છીએ. જમીન પર માણસે ચઢાવેલાં અનેક પડોને કારણે પાણી જમીનમાં ઊતરવાને બદલે વહી જાય છે. પાણી જમીનમાં ઊતરે તો કુદરત તે આપણને જ ભૂગર્ભજળરૂપે પાછું આપે છે. પણ ન ઊતરે તો ભૂગર્ભજળ નીચાં જાય. જો કે વરસાદી પાણીના સંગ્રહની કે તેને જમીનમાં ઊતારવાની પદ્ધતિઓ દાખલ કરનાર સોસાયટીઓ કે સંસ્થાઓ વિશે વાંચતાં હરખ થાય. એના કરતાં ય વધુ હરખ હમણાં હમણાં સુધી તો ભરપૂર માટી જળવાયેલી હોય તેવી સણોસરાની લોકભારતી, વેડછીની સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, અમદાવાદની સી.એન. વિદ્યાવિહાર, કસબાની શિક્ષણસંસ્થાઓનાં કે નાના ગામોની આશ્રમશાળાઓનાં પરિસરોમાં ફરતાં થાય છે. જ્યાં સિમેન્ટકરણ અનિવાર્ય ન હોય ત્યાં પણ તે કરવામાં બીજો એક અપરાધ થઈ જાય છે. માટી સિમેન્ટ હેઠળ ડટાય એટલે તેની કૂખમાંથી જન્મતું અત્યંત સમૃદ્ધ જીવનચક્ર ખતમ થઈ જાય. તમામ જાતની વનસ્પતિ, જીવસૃષ્ટિ, વાયુઓ અને ખનિજો બધુ જ નષ્ટ થઈ જાય. કહેવું ન ગમે પણ માતા વસુંધરા વાંઝણી બને, એમાં કેટલા ય માણસોનો ફાળો હોય.
તો પછી શું માણસોએ જંગલમાં રહેવું જોઈએ ? સંસ્કૃતિ એટલે વિકૃતિ, અને વિજ્ઞાન એટલે વિનાશ ? ભૂમિનાં ભજન ગાવાનું પોષાતું હોય તેમણે પાકા ઘરોમાં રહેવાનું અને બાકીના ધૂળમાં રગદોળાય ? પથ્થરો ફોડવા-ઘસવા જેવાં કામોમાં રજનો ભોગ બનતાં મહેનતકશો માટે માટીનું એ રૂપ તો મોત લાવતું હોય છે. ધૂળની સાથે સંકળાયેલી વ્યાધિઓ જાણીતી છે. પણ તેને ટાળી-નિવારી શકાય તેવી જીવનશૈલી માટે ય પાછા જમીન પાસે જ જવું પડશે. આર્થિક અસમાનતા અને કુદરતી અસંતુલનના ઉકેલો પણ જમીનમાં જ છે એ આપણને માર્ક્સ, ગાંધી અને વિનોબા બતાવી ગયા છે. આંગણું વાળવાનું, પાણી છાંટવાનું, તુલસીક્યારો સીંચવાનો, ક્યારીઓમાં ફૂલછોડ અને શાકભાજી ઉછેરવાનાં, મેંદીની વાડ કરવાની, એકાદ આંબા-લીમડાનો છાંયડો માણવાનો – આ બધું લગભગ સ્મૃતિશેષ થઈ ગયું. તેની પાછળ મોટે ભાગે અનિવાર્ય આવશ્યકતા હોય એ સમજી શકાય. પણ જ્યાં એમ નથી ત્યાં આંગણા માટેનો અનાવશ્યક અણગમો અકળાવનારો હોય છે. આપણે જ્યાં છીએ ત્યાં, માટી માટેનાં બહુ છીછરા અણગમા છોડી, જમીનના ટુકડા સાચવીએ, આપણા પરિસરોને દિવાલથી દિવાલ સુધી કૉન્ક્રિટથી મઢી દેવાને બદલે બને એટલી માટી રાખીએ. આપણા નગર-આયોજકો રસ્તાની બંને બાજુ માટીના પટ્ટા ન છોડી શકે? જમીન પર પાથરવા માટેનાં સિમેન્ટ કૉક્રિટનાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલિ વિકલ્પો ન અપનાવી શકાય ? જમીન બચશે તો જ આપણા પછીની પેઢીઓની જિંદગી બચશે. કબીરજીની માટી જે કુંભારને કહી રહી છે તે ખરેખર તો દરેક માણસ માટે છે :
‘माटी कहे कुम्हार से,
तू क्या रौंदे मोहे ।
इक दिन ऐसा आएगा,
मैं रौंदूंगी तोहे।
********
17 ઑક્ટોબર 2019
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 18 ઑક્ટોબર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]