રીઝર્વ બૅન્કે કહ્યું છે કે ૨૦૧૯ના માર્ચ મહિના સુધીની ભારતની બૅન્કોની નોન પરફોર્મિંગ એસેટ (એન.પી.એ. – એટલે બૅન્કોની ડૂબી ગયેલી રકમ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયા છે. (જુઓ રીઝર્વ બૅન્કનો ૨૪મી જુલાઈનો પરિપત્ર) આ સરકારી આંકડો છે. આ તો માત્ર સરકારી અને શિડયુલ કમર્શિયલ (મુખ્યત્વે સહકારી) બૅન્કોની જાહેર કરવામાં આવેલી એનપીએની વાત થઈ. આ ઉપરાંત એક સ્ટ્રેસ્ડ ઍસેટ્સ નામનો પણ એક પ્રકાર છે જે એન.પી.એ.નો નાનો ભાઈ છે અને મોટો થઈને એન.પી.એ. થવાનો છે. સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એટલે આપવામાં આવેલું એવું ધિરાણ જે પાછું ન ફરે એમ પણ બને. એન.પી.એ. એટલે ઉઠાંતરી અને સ્ટ્રેસ્ડ ઍસેટસ એટલે ઉઠાંતરીની દિશાનો વટેમાર્ગુ જે પાછળ પાછળ જ ચાલે છે.
હવે સ્ટ્રેસડ ઍસેટ્સ નામની કેટેગરીમાં આવતું જોખમી ધિરાણ કેટલું છે? કોઈ કહી શકે એમ નથી. આનું કારણ એ છે કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. બીજું, બૅન્કો સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. ન બને ત્યાં સુધી છૂપાવે છે. નોટિસો આપતા રહે, નવું ધિરાણ આપીને રીસ્ટ્રકચરીંગ કરતા રહે અને ધિરાણને વૅન્ટીલેટર પર જીવતું રાખે. હકીકત તો એ છે કે સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. જ હોય છે, પણ તેને છૂપાવવા માટે સ્ટ્રેસડ ઍસેટ્સનું લેબલ લગાડવામાં આવે છે. છેલ્લા આઠ વરસથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉપરેટિવ બૅન્ક વાધવાઓને આપેલાં ધિરાણને સ્ટ્રેસડ ઍસેટ્સ તરીકે બતાવતી હતી, જ્યારે કે તે ચોખ્ખી એન.પી.એ. હતી. બૅન્ક પોતે જ નવું ધિરાણ આપીને જૂનાના એક હપ્તાની અને વ્યાજની ભરપાઈ કરાવતી હતી કે જેથી ધિરાણને એન.પી.એ. જાહેર કરવું ન પડે.
એક ત્રીજો ભાઈ પણ છે, જે જન્મ સાથે જ શેતાની કરે છે અથવા શેતાની માટે જ જન્મ્યો છે. એ ભાઈ એવો છે જેના પર રીઝર્વ બૅન્કનો ખાસ કોઈ અંકુશ જ નથી. આમ તો પહેલા બે ભાઈઓને પણ લોકોના પૈસા ડુબાડી દેતા રોકવાનો મોટાં મોટાં છીંડાંઓને કારણે રીઝર્વ બૅન્કને અધિકાર નથી, પરંતુ ત્રીજા પર તો જરા ય નથી. એ ત્રીજો ભાઈ છે નોન બૅન્કિંગ ફાયનાન્સ કંપની. આઈ.એલ. એન્ડ એફ.એસ. તેમ જ શ્રદ્ધા ચીટ ફંડ વગેરે આવી કંપનીઓ છે અને તેનાં કૌભાંડ તાજી ઘટનાઓ છે. આવી કેટલીક કંપનીઓ માત્ર અને માત્ર છેતરપિંડી કરવાના ઈરાદાથી જ સ્થાપવામાં આવી છે. ભારતમાં નોંધાયેલી એન.બી.એફ.સી. ૯,૬૫૯ છે. કેટલીક એન.બી.એફ.સી. એવી છે જે સરકારી બેંકો પાસેથી જ ધિરાણ લઈને આગળ ધીરવાનો ધંધો કરે છે.
આપણે ખાનગી બેન્કોમાં ચંદા કોચરોએ કરેલાં કૌભાંડોને ગણ્યાં નથી કારણ કે રકમ નાની છે, પણ તેની યાદ એટલા માટે અપાવવી જોઈએ કે તે પણ કૌભાંડમુક્ત નથી.
હવે ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની એન.પી.એ.. એમાં જેનો આંકડો મળવાનો નથી એવી સ્ટ્રેસડ ઍસેટ્સની રકમનો ઉમેરો કરો. કેટલો કરશો? સામાન્ય બુદ્ધિ વાપરીને તમને જે ઠીક લાગે એ આંકડો ઉમેરો. એમાં એન.બી.એફ.સી.ના કૌભાંડોની રકમનો ઉમેરો કરો અને જે કૌભાંડ હજુ બહાર આવ્યાં નથી, પણ ચાલી રહ્યા છે તેની કલ્પના કરો. મને ખાતરી છે કે તમે દેશભક્ત હશો તો પણ અને પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે એ જોઇને પોરસાતા હશો તો પણ; એટલું તો કબૂલ કરવું જ પડશે કે એ ત્રીસ લાખ કરોડ રૂપિયા કરતાં ઓછો ન જ હોઈ શકે. જો આટલી મોટી રકમ જોઇને ટેન્શન આવતું હોય કે પછી આ લખનારને ભૂંડી ગાળ આપવા જેટલો ગુસ્સો આવતો હોય તો દેશની પીળે પાને નોંધાયેલી રકમમાં પાંચ લાખ કરોડ ઓછા કરી નાખો. એનાથી નીચે જઈ શકાય એમ નથી, કારણ કે રીઝર્વ બૅન્કના આંકડા મુજબ એન.પી.એ. જ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની છે.
૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં વિકાસના મોરચે ક્રાંતિ કરવાનું વચન આપીને આવી ત્યારે દેશમાં એન.પી.એ. ૧૧ લાખ કરોડ રૂપિયાની હતી. એમાં એન.પી.એ. બની રહેલાં નાના ભાઈઓની રકમ અને એન.બી.એફ.સી.ના કૌભાંડો ઉમેરો તો સહેજે વીસ લાખ કરોડ રૂપિયા જેવી માતબર રકમ જોખમમાં હતી. એ સમયે આ કોઈ નાની રકમ નહોતી. એની સામે ૨૦૧૪માં દેશની કુલ મહેસૂલી આવક ૧૩,૬૪,૫૨૪ કરોડ રૂપિયા હતી અને અત્યારે ૨૭,૩૨,૯૦૩ કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે દેશની કુલ જેટલી આવક એના કરતાં ઘણી મોટી રકમની ચોરી.
બીજું સરકારી તિજોરીમાં દેશની સવા અબજ પ્રજા પૈસા જમા કરાવે છે અને સામે પક્ષે એટલી જ મોટી રકમ ૮,૫૮૨ જણા લૂટી ગયા છે. જમા કરાવનારા સવા અબજ લોકો અને લૂંટનારા દસ હજાર પણ નહીં. ૨૪મી જૂન ૨૦૧૯ના રોજ કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે જાણીબૂજીને બૅન્કોને નવડાવનારાઓ(અંગ્રેજીમાં વિલફૂલ ડીફોલ્ટર)ની સંખ્યા ૨૦૧૪માં ૫,૩૪૯ હતી જે અત્યારે વધીને ૮,૫૮૨ થઈ છે. મહેસૂલી આવક અને લૂંટની તુલના કરતી વખતે એક ફરક ધ્યાનમાં રાખજો. મહેસૂલી આવક વરસોવરસની છે, જ્યારે એન.પી.એ. કેટલાંક વર્ષોની ભેગી થયેલી છે.
હવે ઘડીભર આપણે દેશની વાત બાજુએ રાખીએ અને આપણા પોતાના ઘરની વાત કરીએ. ધારી લો કે પાંચ ભાઈઓનો પરિવાર છે અને બધા સાથે રહે છે. પિતાજી ઘરધણી છે અને તેના પાંચે ય દીકરા પોતપોતાની રીતે ધોધો કરે છે. પિતાજીના ધ્યાનમાં એક વાત આવે છે કે જેને ખરા અર્થમાં આવક કહેવાય એવી આવક તો કુટુંબની માત્ર એક લાખ રૂપિયાની જ છે, પણ છોકરા કરોડોમાં રમે છે અને આઉડી અને બી.એમ.ડબલ્યુ. જેવી મોંઘી ગાડીઓ વાપરે છે. આવી સ્થિતિમાં સમજદાર બાપ હોય અને કુટુંબની આબરૂની ચિંતા હોય એ શું કરે? એ તરત સાવધાન થઈ જાય. ચાલી રહેલી રમતને સમજવાની કોશિશ કરે. સમજ ન પડતી હોય તો કોઈ સમજદારની મદદ લે. ઘરના ખર્ચા ઘટાડે અને અમીરાઈના દેખાડા પર કાપ મૂકે. પણ જો બાપમાં સમજદારી ન હોય તો એ પણ જલસા કરે.
આપણા દેશની સ્થિતિ પણ આવી રંગીલા પરિવાર જેવી જ છે. નક્કર મહેસૂલી આવક-જાવક કરતાં નાણાકીય અર્થતંત્ર (ફાયનાસિયલાઈઝેશન ઑફ ઈકોનોમી) અનેક અનેક ગણું મોટું. એમાંથી પચીસ લાખ કરોડ રૂપિયા તો સ્વર્ગે સિધાવેલા હોય, પણ તેની અંતિમક્રિયા કરવાનું ટાળવામાં આવતું હોય. બીજા દસેક લાખ કરોડ રૂપિયા વેન્ટીલેટર પર હોય. આવી સ્થિતિમાં દેશનો વડો પ્રધાન શું કરે? તમે કુટુંબના વડીલ હો કે પછી દેશના વડા પ્રધાન હો તો તમે શું કરો?
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર કોઈ જદ્દોજહદ કરતી હોય એવું તમને લાગે છે? સરકાર માટેનો રાગદ્વેષ ભૂલીને પ્રામાણિક ઉત્તર આપજો. બીજાને આપવાની જરૂર નથી, પોતાની જાતને આપજો. જો નથી કરતા તો શા માટે નથી કરતા? કોણ અટકાવે છે?
આની વધુ ચર્ચા હવે પછી.
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2019