દર્શકના જન્મ દિવસ (૧૫ ઓક્ટોબર ૧૯૧૪) નિમિત્તે તેમની એક નવલકથા વિષે થોડી વાત
‘આ તમારા મિત્ર મને ચક્કર જેવા લાગ્યા.’ ૧૯૩૪માં નાનાભાઈ ભટ્ટે મોહનલાલ મહેતા ‘સોપાન’ને આ પ્રમાણે કહેલું. ત્યારે સોપાન ચોવીસ વરસના. પોતાનાથી ચારેક વર્ષ નાના એક મિત્રને લઈને નાનાભાઈને મળવા ગયેલા. મિત્રને નાનાભાઈની સંસ્થામાં નોકરી મળે એવા આશયથી. કેવો હતો એ મિત્ર? ‘ટૂંકુ બાંડિયું, માથે ટોલો અને ઘૂંટણ નીચે પહોંચતી વોરાજી જેવી ચડ્ડી.’ નાનાભાઈએ પોતાની ભાવનગરની સંસ્થા દક્ષિણામૂર્તિના ગૃહપતિ તરીકે બાર રૂપિયાના પગારે એ વીસ વર્ષના છોકરાને રાખી તો લીધો, પણ પાછળથી સોપાનને કહેલું: ‘આ તમારા મિત્ર મને ચક્કર જેવા લાગ્યા.’ આ મિત્ર તે મનુભાઈ. મનુભાઈ રાજારામ પંચોળી, ‘દર્શક.’ દર્શક તે ઉપનામ.
મનુભાઈ પણ હુલામણું નામ. ખરું નામ તો મનહર. આ વાત નાનાભાઈએ કે સોપાને નહિ, ખુદ દર્શકે જ ‘સદ્ભી: સંગ’ના આરંભે નોંધી છે. ઔપચારિક શિક્ષણની દ્રષ્ટિએ તો લગભગ અભણ કહી શકાય તેવા સાધારણ ગામડિયા મનુભાઈ, ગુરુ થા તારો તું જ એ શિખામણને અમલમાં મૂકી વર્ષો વીતતાં અસાધારણ ‘દર્શક’ બન્યા. પણ તે પેલા સાધારણ મનુભાઈને ભોગે નહિ. મોટા ગજાના સર્જક, શિક્ષણશાસ્ત્રી, ઈતિહાસવિદ્, પ્રભાવક વક્તા, દેશ વિદેશના પ્રવાસી, જાહેર જીવનના અગ્રણી, એવા ‘દર્શક’ની સાથે સાથે પેલો સાધારણ ગામડિયો મનહર પણ છેવટ સુધી જીવતો રહ્યો હતો.
૧૮૬૬માં કરણઘેલો પ્રગટ થઇ તે પછીનાં છેલ્લાં દોઢ સો વર્ષમાં જેમની કૃતિઓ દ્વારા ગુજરાતી નવલકથાએ હરણ ફાળ ભરી છે તેવા ચાર લેખકોમાંના પહેલા બે – ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશી – મુંબઈ યુનિવર્સિટીના લો ગ્રેજ્યુએટ હતા. બંનેએ બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરેલી. બંનેએ જીવનનો ઘણો મોટો ભાગ મુંબઈમાં વિતાવ્યો. તે પછીના બે લેખકો – પન્નાલાલ પટેલ અને દર્શક – બંને વ્યવહારિક અર્થમાં લગભગ અભણ. બંનેની ખરી વિદ્યાપીઠ તો જીવન. ૧૯૧૨માં જન્મેલા પન્નાલાલ ૧૯૫૯માં ગામડું છોડી કાયમ માટે અમદાવાદવાસી બન્યા. પન્નાલાલની ત્રણે યશસ્વી કૃતિઓ – વળામણાં, મળેલા જીવ, અને માનવીની ભવાઈ – ૧૯૫૯ પહેલાં લખાઈ છે એ કેવળ અકસ્માત ન પણ હોય. જીવનનાં છેલ્લાં વર્ષો સુધી દર્શક દેશ અને દુનિયામાં સતત ફરતા રહ્યા, પણ પંખી જેમ રાતે તો પોતાના માળામાં જઈને જ જંપે તેમ, દર્શકને ખરો જંપ તો જ્યારે લોકભારતીમાં જાય ત્યારે જ મળતો. દર્શક હરતા ફરતા બધે, પણ છેવટ ઠરતા તે તો ગામડામાં જ. અને છતાં દર્શકે એક પણ ‘જાનપદી’ નવલકથા લખી નથી! તો બીજી બાજુ ગામડાથી દૂર ન જનાર દર્શકમાં રહેલી સર્ગ શક્તિ છેવટ સૂધી વસૂકી ગઈ નહિ. આ પણ કદાચ અકસ્માત ન હોય.
સેમ્યુઅલ જોનસને કહેલું કે કોઈ પણ લેખકે સૌથી વધુ સમય વાંચવા પાછળ ગાળવો જોઈએ. એક પુસ્તક લખતાં પહેલાં તે ઓછામાં ઓછી અડધી લાયબ્રેરી તો ફેંદી વળ્યો હોવો જોઈએ. દર્શકે આ વાત બરાબર પચાવી હતી. કેવળ કપોલકલ્પિત પર, માત્ર આન્તર-પ્રેરણા પર, ફક્ત ઈશ્વર કૃપા પર આધાર રાખીને લખ્યે રાખતા લેખકોમાંના એક દર્શક નહોતા. લખતી વખતે એ જેટલી શાહી વાપરતા તેટલો જ લખતાં પહેલાં, લખવા માટે, પરસેવો પણ પાડતા. ‘નાળિયેરીઓની વાડીમાં ગાયોનો ઉછેર’ નામના લેખમાં દર્શક કહે છે: “વાંચનારને હું કહીશ કે આ નાટ્યલેખન કે નવલકથા લેખન માટે બહુ વાંચવું પડે છે. દીપનિર્વાણ, ઝેર તો પીધાં છે જાણી જાણી, કે સોક્રેટીસનાં પાનાં કરતાં સોગણાં પાનાં મેં વાંચ્યા-ફંફોસ્યા છે. … આવા પરિશ્રમ વિના કોઈ રસપૂર્ણ – જીવંત – આલેખન કરવા ધારે તો તે અસંભવિત છે.”
બંદીઘર, બંધન અને મુક્તિ, અને પ્રેમ અને પૂજા, એ દર્શકની પહેલી ત્રણ નવલકથા. પણ એ વખતે આ નવલકથાએ દર્શકને આપણા સાહિત્ય જગતમાં નવલકથાકાર તરીકે ઝાઝી પ્રતિષ્ઠા અપાવી હોય તેમ લાગતું નથી. દર્શકની ચોથી નવલકથા દીપનિર્વાણ ૧૯૪૪માં પ્રગટ થઇ ત્યારે આપણી ભાષામાં ઐતિહાસિક નવલકથાનું પડ આજે છે તેવું સૂનું નહોતું, પણ ગાજતું હતું. ઐતિહાસિક નવલકથા એટલે શું એનો સાચો ખ્યાલ પહેલી વાર આપનાર કનૈયાલાલ મુનશી હજી એ ક્ષેત્રે સક્રિય હતા. તેમની જય સોમનાથ ૧૯૪૦માં પ્રગટ થઇ હતી. તો સામાજિકની સાથોસાથ ભારેલો અગ્નિ જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ આપનાર રમણલાલ દેસાઈએ ૧૯૪૩માં પ્રગટ થયેલ પહાડનાં પુષ્પોના પહેલા ભાગની પ્રસ્તાવનામાં બહુ સચોટતાથી કહ્યું હતું: “ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા બંને વચ્ચેના લાક્ષણિક તફાવતમાં અહીં ન ઉતરતાં હું એટલું જ કહીશ કે માન્ય ઇતિહાસકારોએ ઊભી કરેલી કોઈ વ્યક્તિની મૂર્તિ કરતાં જુદી જ મૂર્તિ ઊભી કરવાનો મારો હક્ક હું કેમ જતો કરું?” તો મુખ્યત્ત્વે ઇતિહાસને વળગીને ધૂમકેતુ ચૌલુક્ય ગ્રંથાવલીની એક એક નવલકથા લગભગ એક એક વર્ષે આપી રહ્યા હતા. ચુનીલાલ વર્ધમાન શાહ ઐતિહાસિક નવલકથાઓનું જથ્થોત્પાદન કરી રહ્યા હતા તો સાગર કથાઓની સાથોસાથ ગુણવંતરાય આચાર્ય ઐતિહાસિક નવલકથાઓ પણ આપતા હતા. બીજા કેટલાક લેખકો પણ ઐતિહાસિક નવલકથાઓના લેખન તરફ વળ્યા હતા. એ વખતે ઐતિહાસિક નવલકથા એક વાચકપ્રિય પ્રકાર હતો અને તેથી જ કદાચ લેખકપ્રિય પ્રકાર પણ બન્યો હતો.
દર્શકના કામ અને નામની આસપાસ આજે જે આભા છે તે ૧૯૪૪માં નહોતી. એટલે જે ક્ષેત્રમાં મહારથીઓ મહાલતા હોય તે ક્ષેત્રમાં પ્રવેશવાનું તેમને માટે સહેલું નહોતું. પણ એક અતિરથીની અદાથી દર્શક દીપનિર્વાણ લઈને આવે છે. કથાને આરંભે બ્રાહ્મણક ગણનો સેનાની આનંદ એના સાંગ્રામિક રથ સાથે અનેક સરિત્ સંગમોથી શોભતા વાહિક દેશના માલવ ગણની રાજધાની નંદીગ્રામ આવી પહોંચે છે. તે જ રીતે દર્શક પણ દીપનિર્વાણ સાથે આપણી ઐતિહાસિક નવલકથાની રાજધાનીમાં આવી પહોંચે છે. આનંદ તેના સારથિને કહે છે: “આપણે ધાર્યા કરતાં વહેલા પહોંચ્યા.” દીપનિર્વાણ પણ આપણી નવલકથામાં ધાર્યા કરતાં સહેજ વહેલી આવી પહોંચી હતી. ૧૯૪૪માં સ્વામી આનંદની ટૂંકી પ્રસ્તાવના સાથે પહેલી આવૃત્તિ પ્રગટ થઇ, પણ તેણે આપણા અભ્યાસીઓ કે વિવેચકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હોય તેમ લાગતું નથી. જો કે વાચકોને એ નવલકથા ગમી ગઈ હતી એમ કહી શકાય, કારણ ૧૯૪૬માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થયેલી. ૧૯૫૩માં પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાં ઉમાશંકર જોશીની પ્રસ્તાવના ઉમેરાઈ. તેમણે દીપનિર્વાણને ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી. અને ત્યારથી આપણા સાહિત્યમાં દીપનિર્વાણની શાખ બંધાઈ. જો કે ઘણાં ખાંખાખોળાં કર્યા પછી પણ ‘સમર્પણ’ પખવાડિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલના લેખ પહેલાં પ્રગટ થયેલો દીપનિર્વાણ વિશેનો બીજો કોઈ લેખ જોવા મળતો નથી. આ લેખમાં તેમણે દીપનિર્વાણની મુક્ત કંઠે પ્રશંસા કરતાં લખ્યું છે: “ફરી ફરીને ખોવાઈ જવાનું મન થાય એવી સૃષ્ટિનું દર્શકે આ નવલકથામાં રૂપનિર્માણ કર્યું છે. સર્જકની આ સૃષ્ટિ અને એનું વાતાવરણ એ આપણા સાહિત્યની અત્યંત પ્રશસ્ય એવી સિદ્ધિ છે.”
આપણી પહેલી ઐતિહાસિક નવલકથા નંદશંકર મહેતાની કરણઘેલો ૧૮૬૬માં પ્રગટ થઇ ત્યારથી જ કોણ જાણે કેમ ઇતિહાસ પ્રત્યેની વફાદારી અંગેનો વધુ પડતો આગ્રહ આપણા લેખકો અને ખાસ તો વિવેચકોના મનમાં ઘર કરી ગયો છે. ભૂતકાળની વ્યક્તિઓ અને ઘટનાઓ અંગે ઇતિહાસ પાસે જે વિગતો હોય છે તે અચૂક અને અફર હોય છે એવા ખ્યાલને કારણે આવો આગ્રહ રખાયો હશે. પણ કોઈ પણ વ્યક્તિ કે ઘટના વિષે બધા ઇતિહાસકારો એકમત હોય એવું બહુ ઓછી વખત બને છે. તો નવલકથાકારે કયા ઇતિહાસને વફાદાર રહેવાનું? એક ઉદાહરણ લઈએ.
આજે જો કોઈ લેખક ટીપુ સુલતાન વિષે નવલકથા લખવા માગતો હોય તો તેણે કોને વફાદાર રહેવાનું? કોઈ ‘સહિષ્ણુ’ ઇતિહાસકારને કે કોઈ ‘અસહિષ્ણુ’ ઇતિહાસકારાને? આજે જો કોઈ ૧૮૫૭ની ઘટનાને ‘બળવો’ કહે તો ઘણાખરા નારાજ થઇ જાય કારણ એ ‘ક્રાંતિ’ હતી એમ હવે આપણા મનમાં ઠસી ગયું છે. પણ ૧૮૫૭ વિષે નાટક અને નવલકથા લખનાર દર્શકે ત્યાર બાદ વર્ષો પછી પણ બેધડક લખ્યું છે: “સત્તાવન એ ક્રાંતિ નહોતી, બળવો જ હતો, તે તુલનાએ હું સમજ્યો જ હતો.” કોઈ લેખકની આવી વાત સ્વીકારવા જેટલા આજે આપણે ‘સહિષ્ણુ’ છીએ ખરા? ઇતિહાસકારની જેમ ઐતિહાસિક નવલકથાના લેખકને પણ પોતીકું અર્થઘટન કરવાની છૂટ કેમ ન હોય? ઇતિહાસના દ્રોહને નામે મુનશી અને તેમની નવલકથાઓ પર એક જમાનામાં સારી એવી પસ્તાળ પડી હતી. પણ ‘ઐતિહાસિક નવલકથા’ એ સંજ્ઞા હકીકતમાં પૂર્વપદ પ્રધાન છે જ નહિ, પણ ઉત્તરપદ પ્રધાન સંજ્ઞા છે. એટલે કે ઐતિહાસિક નવલકથામાં વધુ મહત્ત્વનો શબ્દ ઐતિહાસિક નહિ, પણ નવલકથા છે. ઐતિહાસિક નવલકથાનો આત્મા છે ઐતિહાસિક વાસ્તવ અને આભાસનું મિશ્રણ, અથવા ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ. આ બંનેનું મિશ્રણ કેટલા પ્રમાણમાં કરવાથી તે પરસ્પરને ઉપકારક નીવડશે અને કૃતિની કલાત્મકતામાં ઉમેરો કરશે તેનો આધાર લેખકની કુશળતા અને સજ્જતા પર રહેલો છે. ૧૮૭૧માં પ્રગટ થયેલી મરાઠીની પહેલી ઐતિહાસિક નવલકથા મોચનગઢમાં માંડ બે પાત્રો ઐતિહાસિક છે, બાકીનાં બધાં કાલ્પનિક છે. પણ તેમાં રામચંદ્ર ભિકાજી ગુંજીકરે શિવાજીના જમાનાને આબેહૂબ ખડો કરી દીધો છે. પરિણામે મરાઠી ઐતિહાસિક નવલકથા અને તેનું વિવેચન ઇતિહાસ પ્રત્યેની વફાદારીના વળગણમાંથી મોટે ભાગે મુક્ત રહી શક્યાં. આપણે ત્યાં વિવેચકોને ગણકાર્યા વગર ઇતિહાસનો સર્જનાત્મક વિનિયોગ કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથાઓમાં પ્રભાવક રીતે કરી બતાવ્યો. પણ તે પછી ય બીજા ઘણા નવલકથાકારો ‘ઇતિહાસ પ્રત્યેની વફાદારી’ના સલામત માર્ગને વળગી રહ્યા. દીપનિર્વાણના દર્શક નંદશંકરના નહિ પણ ગુંજીકર અને મુનશીના સમર્થ અનુગામી છે. મરાઠીમાં ગુંજીકરની પાછળ લેખકોનો કાફલો જોવા મળે છે, જ્યારે આપણે ત્યાં મુનશી અને દર્શકને ઝાઝા અનુયાયીઓ મળ્યા નથી.
હકીકતમાં કોઈ પણ સાચી નવલકથા કેવળ ઐતિહાસિક હોતી જ નથી. લેખકે જે સ્થળ-કાળમાં એ લખી હોય તેની સાથે, એટલે કે લેખકના વર્તમાન સાથે, કૃતિના તાણાવાણા ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે જ. વાસ્તવના જગત અને નવલકથાકારના જગત વચ્ચે એ = બી જેવું બીજ ગાણિતિક સમીકરણ ન હોઈ શકે, ન હોવું જોઈએ. એ બે જગત વચ્ચેનો સંબંધ ક્યારેક તો આપણને આશ્ચર્ય થાય તેવો અણધાર્યો અને અટપટો હોય છે. પ્રાચીન ભારતની વાત કરતી દીપનિર્વાણનાં મૂળ રહેલાં છે બીજા વિશ્વ યુદ્ધમાં! દર્શકે પોતે ન કહ્યું હોત તો આપણને આ વાતનો અણસાર પણ ન આવત. દર્શકે કહ્યું છે: “મારો જીવ તો ઇતિહાસનો. સાહિત્યમાં ઇતિહાસ અને ઇતિહાસમાં સાહિત્ય ભાળું. કવિ ઠાકુરને પ્રતાપે રાષ્ટ્રની બિનશરતી ભક્તિ નાડીમાં નહિ, બાપુને પ્રતાપે વિદ્વેષ કોઈ પ્રત્યે નહિ. આ ભૂમિકાએ આંતર-બાહ્ય જગત જોવાની આદત. અંગ્રેજોને ‘ટળો’ એમ તો કહ્યું, પણ હિટલર – નાઝીવાદ તો પહેલાં જ ટળવો જોઈએ, જાપાનનો તોજો તો હારવો જ જોઈએ, ભલે સુભાષબાબુ તેની સાથે હોય. અંગ્રેજો સાથે લડાઈ, છતાં અંગ્રેજો જ જીતે. હિટલર હારે તેવી ઇતિહાસ પ્રેરિત આકાંક્ષા. અને કેવા અંગ્રેજો! ‘અમે દરિયામાં લડશું, દરિયા કાંઠે લડશું, શેરીઓમાં, ઘરોમાં લડશું, પણ નમતું તો નહિ આપીએ.’ આવી વીર વાણી! જગતમાં સ્વતંત્રતાના નામનો સોપો પડી ગયો હતો. હિટલરની ડાકણો જેવી ટેન્કોનાં ધાડાંનાં ધાડાં ફ્રાંસ, ઉત્તર આફ્રિકા, યુગોસ્લાવિયા, ગ્રીસ, ક્રિટમાં ફરી વળ્યાં છે, તે વખતે વિષ્ણુના ચાપ જેવો આ ટંકાર. ચિત્તમાં તુમુલ સંગ્રામ જાગે, અંગ્રેજો તો જાય, પણ તેઓ જીતે. આમાંથી પ્રગટ્યું દીપનિર્વાણ.” જોયું, એ = બી જેવું સીધું સાદું સમીકરણ નથી અહીં. પણ સ્થળ-કાળના બે વિષમ વચ્ચેનો આપણી કલ્પનામાં પણ ન આવે એવો કોઈ અકળ કીમિયા વડે સધાયેલો સમ છે અહીં તો!
કેવળ કલ્પના કે પ્રેરણા પર બધો મદાર રાખીને નવલકથા લખનારાઓમાંના એક દર્શક નહોતા. ઝેર તો પીધાં છે જાણી જાણી જેવી પ્રલંબ નવલકથા લખતાં પહેલાં અને લખતી વખતે પણ, ઘણો અભ્યાસ કર્યો હતો. પણ દીપનિર્વાણ લખાયેલી ભાવનગર રાજ્યની જેલમાં. ત્યાં વાંચવા-લખવાની પૂરી સગવડો આપતા એમ દર્શકે જ નોંધ્યું છે. છતાં ભલે થોડી, પણ અભ્યાસને મર્યાદા તો નડી હશે જ. પણ આવી મર્યાદાનો ખંગ લેખકે તેમની કલ્પકતાથી વાળી દીધો છે. આથી, રઘુવીર ચૌધરીએ કહ્યું છે તેમ ‘દીપનિર્વાણ આપણી ઐતિહાસિક નવલકથાઓમાં એક સીમાચિહ્ન છે.’ દર્શક ઇતિહાસના સારા અભ્યાસી હોવા છતાં, પોતે ઇતિહાસનું પુસ્તક નથી લખતા, નવલકથા લખે છે એ હકીકતથી સતત સભાન રહ્યા છે. છતાં દર્શકના મનમાં ઇતિહાસનો જે ખ્યાલ રહેલો છે તે અહીં પ્રતિબિમ્બિત થયો છે. બે-ત્રણ ઐતિહાસિક પાત્રોને બાદ કરતાં કાલ્પનિક પાત્રો અને તેમના જીવનની ઘટનાઓ દ્વારા એક યુગની સાંસ્કૃતિક સમગ્રતાનો આભાસ કલાની વાસ્તવિકતામાં અહીં તેઓ સર્જી શક્યા છે.
યુદ્ધ અને પ્રેમનું મિશ્રણ એ મહાકાવ્ય, નાટક, નવલકથા લખનારાઓનું માનીતું મિશ્રણ છે. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંના ભારતની પૃષ્ઠભૂમિ પર દર્શકે પણ આ જ મિશ્રણ અજમાવ્યું છે, ઘણી બધી સફળતાપૂર્વક. કથાના પહેલા ખંડનો મોટો ભાગ સુદત્ત, આનંદ, અને સુચરિતા વચ્ચેના પ્રણય ત્રિકોણના નિરૂપણ પાછળ રોકાયો છે. પણ દર્શકનો હેતુ માત્ર પ્રેમકથા આલેખવાનો નથી. ભારતમાંના ગણરાજ્યોના અસ્તનું આલેખન કરવાનો પણ તેમનો હેતુ છે. એટલે બીજા ખંડમાં પ્રેમકથા કરતાં યુદ્ધકથા વધારે મહત્ત્વની બની રહે છે. પરિણામે કૃતિના ઉત્તરાર્ધમાં લેખક વસ્તુ-સંકલના પરત્ત્વે થોડા આડા ફંટાઈ ગયા છે એમ કેટલાકને લાગ્યું છે. પણ મૂળશંકર મો. ભટ્ટને આપેલી દીપનિર્વાણ વિશેની એક મુલાકાતમાં દર્શકે કહ્યું છે: “આપણે ગણતન્ત્રોનું સ્વાર્પણ ને પુનર્જન્મનો મહિમા પ્રગટ થતો જોઈએ છીએ તે પ્રગટ થાત કઈ રીતે?”
દીપનિર્વાણમાં જેટલું મહત્ત્વ પાત્રો અને પ્રસંગોનું છે તેટલું જ મહત્ત્વ કથાનાં સ્થળ-કાળનું પણ છે. આ કથા વાંચતી વખતે આપણે જાણે સૈકાઓ જૂના સમયમાં માનસ યાત્રા કરી રહ્યા હોઈએ એવું લાગે છે. ઝીણી ઝીણી વિગતોના આલેખનમાં પણ લેખક ઇતિહાસના તથ્યને ભૂલ્યા નથી. ભૂતકાળની એ સૃષ્ટિ જાણે પોતાને ચિરપરિચિત હોય તેવી સહજતાથી લેખકે તેનું આલેખન કર્યું છે. લેખકની ભાષા પણ એકંદરે કથાના સ્થળ-કાળને અનુરૂપ છે. જો કે ક્યાંક ક્યાંક કથાનાં સ્થળ-કાળને અનુરૂપ નહિ એવા ‘દોડજો જોઈ,’ ‘ઓલી આંબલી,’ ‘રામ બોલો ભાઈ’ જેવા સ્થાનિક બોલી-પ્રયોગો અનવધાનને કારણે આવી ગયા છે. એક સ્થળે હિન્દી ભજનનો ઉપયોગ થયો છે તે પણ કથાનાં સ્થળ-કાળ સાથે સુસંગત નથી લાગતો. યુદ્ધનાં વર્ણનો એ ગુજરાતી નવલકથાનું કાયમી નબળું અંગ છે. દીપનિર્વાણમાંનું મગધ અને નંદીગ્રામ વચ્ચેના યુદ્ધનું વર્ણન પણ તેમાં અપવાદ રૂપ નથી. તેના વર્ણનમાં લેખકે તત્કાલીન યુદ્ધ પદ્ધતિનો આભાસ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો, છતાં એ યુદ્ધ પૂરેપૂરું વાસ્તવિક લાગતું નથી. બલકે ક્યારેક તો હાસ્યાસ્પદ લાગે છે. તેવી જ રીતે કથાની કેટલીક ઝીણી વિગતોના નિરૂપણમાં પણ લેખક પૂરતા સભાન રહી શક્યા નથી. રથસ્પર્ધા શરૂ થાય છે ત્યારે જેને ‘મહાકાશ્યપ પથ’ કહ્યો છે તે પાછળથી ‘આસંગ પથ’ બની ગયો છે. વળી આજે એવો વિચાર પણ આવે કે હયાત લોકનેતાઓનાં નામ રસ્તાઓને આપવાની પ્રથા શું આટલી જૂની હશે? તો તો આજે મોટા-નાના રાજકારણીઓ પોતાના નામના રસ્તા માટે પડાપડી કરે છે, તેમનો શો વાંક? છેલ્લા પ્રકરણમાં મગધ સમ્રાટને આનંદ જે સહેલાઈથી કેદ કરે છે તે પણ પૂરતું પ્રતીતિકર લાગતું નથી.
સુચરિતા અને કૃષ્ણા જેવાં કથાનાં સ્ત્રી પાત્રો આકર્ષક જરૂર છે, પણ આખી કથા પર છવાઈ રહેતું અને તેથી આપણી સ્મૃતિમાં કાયમને માટે જડાઈ જતું પાત્ર તો મહાકાશ્યપનું છે. કેટલાકને લાગે છે કે સુચરિતાને માથે દર્શકે વધુ પડતા દુ:ખના ડુંગરા ખડકી દીધા છે. પણ ગોવર્ધનરામ ત્રિપાઠીની કુમુદસુંદરી કરતાં, કનૈયાલાલ મુનશીની મંજરી કરતાં, પન્નાલાલ પટેલની જીવી કરતાં તો સુચરિતા ઓછી કમનસીબ જણાય છે. નથી સુચરિતાએ કુમુદની જેમ આનંદને બીજી સ્ત્રી સાથે પરણાવવો પડ્યો નથી, તો તેણે નથી મંજરીની જેમ આનંદ વગર તરફડતાં જીવ કાઢવો પડ્યો. કે નથી તેણે જીવીની જેમ આનંદનો સાથ મેળવતાં પહેલાં ગાંડા થવું પડ્યું. સુચરિતા અને સુદત્તનાં પાત્રો અંગેની ચર્ચા પછી પેલી મુલાકાતમાં મૂળશંકરભાઈ કહે છે: “ભાઈ, તમે તો દુ:ખનો ભારે મહિમા ગાયો.” તેના જવાબમાં દર્શક કહે છે: “મેં જ થોડો ગાયો છે? વાલ્મિકીએ રામ ને સીતાને શું આપ્યું છે? વ્યાસે ધર્મરાજ યુધિષ્ઠિર ને દ્રૌપદીને શું આપ્યું છે? પેલાં નળ-દમયન્તીને શું મળ્યું છે? સ્વેચ્છાપૂર્વકનું કે ન્યાયપૂર્વકનું દુઃખ જ મોક્ષનો માર્ગ છે.”
આ કૃતિને દર્શકે ‘દીપનિર્વાણ’ એવું નામ આપ્યું છે. નિર્વાણ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ, તો થાય છે ‘બુઝાઈ જવું.’ પ્રાચીન ભારતમાં પ્રગટેલો ગણતંત્ર રાજ્યનો એક દીપ બુઝાઈ ગયો તેની આ વાત, એ રીતે જ મોટે ભાગે કૃતિના નામને ઘટાવવામાં આવ્યું છે. પણ બૌદ્ધ ધર્મની પરિભાષામાં ‘નિર્વાણ’ શબ્દનો અર્થ વધુ ગૂઢ અને ગહન છે. આ સંસારમાં દુઃખ શા માટે છે? કારણ રાગ, દ્વેષ, અને મોહના ત્રિવિધ તાપ આપણને પ્રજાળે છે. આ ત્રિવિધ તાપ જ્યારે બુઝાઈ જાય, શમી જાય, ત્યારે દુઃખનો અંત આવે છે, સંપૂર્ણ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. આવી શાંતિ, આવો આનંદ, એ જ નિર્વાણ. માણસ માત્ર માટે એ છે અંતિમ પ્રાપ્તિ. એ પ્રાપ્ત કર્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. સુચરિતા, આનંદ, અને સુદત્તના જીવનમાંના ત્રિવિધ તાપ પણ કથાને અંતે બુઝાઈ ગયા છે. તેમના દુઃખનો અંત આવ્યો છે. સુદત્ત તો હવે રહ્યો નથી, પણ આનંદના અને સુચરિતાના જીવનમાં સંપૂર્ણ શાંતિ છે. એનું જ બીજું નામ છે નિર્વાણ.
મુખ્યત્ત્વે કાલ્પનિક પાત્રો અને પ્રસંગોના નિરૂપણ દ્વારા યુગબોધને પ્રગટ કરવામાં દીપનિર્વાણમાં સફળતા મેળવ્યા પછી સોક્રેટીસમાં લેખક ઇતિહાસખ્યાત વ્યક્તિઓ અને ઘટનાઓને કેન્દ્રમાં રાખીને નવલકથા આપે છે. દર્શક ઇતિહાસના અચ્છા જાણકાર છે, અને આ નવલકથા માટે તેમણે સવિશેષ અભ્યાસ પણ કર્યો છે, છતાં એક કલાકૃતિ તરીકે દીપનિર્વાણમાં જેટલું સુભગ પરિણામ આવ્યું છે તેટલું કદાચ, સોક્રેટીસમાં આવ્યું નથી. વળી પ્રા. નગીનદાસ સંઘવીએ તેમના વિસ્તૃત અવલોકનમાં બતાવ્યા પ્રમાણે ઇતિહાસના નિરૂપણ અને અર્થઘટનમાં કેટલીક ગંભીર ક્ષતિઓ પણ રહી ગઈ છે.
તો કુરુક્ષેત્રમાં દર્શક ઐતિહાસિકને બદલે પૌરાણિક કાળમાં વાચકને લઇ જાય છે. જે પાત્રો અને પ્રસંગો કાલ્પનિક નથી તેમના આલેખનમાં અહીં તેમને થોડો વધુ છુટ્ટો દોર મળ્યો છે. યુદ્ધ અને પ્રેમનું મિશ્રણ તો આ નવલકથામાં પણ છે. પણ અહીં લેખકે ખૂબ જ લાઘવથી તપતી-તક્ષકના પરિપ્રેક્ષ્યમાં પ્રેમ અને મહાયુદ્ધના અનુભવને મૂકી આપ્યો છે એટલું જ નહિ, સમાજમાં છેવાડે રહેલાને માનવતાની ઉપાસનાના કેન્દ્રમાં લાવવાની જરૂર પર પણ ભાર મૂક્યો છે. દીપનિર્વાણ અને સોક્રેટીસ સાથે જેમ તેના લેખન-કાળ વખતના સંદર્ભો જોડાયેલા છે તેમ કુરુક્ષેત્રમાં પણ સમકાલીન વર્ગવિગ્રહ અને નીચલા ગણાતા વર્ગના લોકોના ઉત્થાન અંગેના સંદર્ભો જોડાયેલા જોઈ શકાય.
આપ વડાઈમાં રાચતા કોઈ મિથ્યાભિમાનીની શેખીથી નહિ, પણ એક સભાન અને સજાગ સર્જકની ખુમારીથી દર્શકે પોતે દીપનિર્વાણ વિષે એક જ વાક્યમાં કહ્યું છે: “દીપનિર્વાણ ઐતિહાસિક નવલકથાઓમાં સીમાસ્તંભ બની.” આપણે કહીશું કે દીપનિર્વાણ એ આપણા એક તેજસ્વી સર્જકની તેજસ્વી નવલકથા છે. અને તેનું તેજ એવું છે કે લાંબા વખત સુધી તેનું નિર્વાણ થાય એમ નથી.
e.mail : deepakbmehta@gmail.com
Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg Kalanagar, Bandra (E), Mumbai 400 051