ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેની કવિ તરીકેની નોંધાયેલી છે. તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં સંકલન ‘કોઈ ઘટમાં ગ્રહેકે ઘેરું’ ત્રણ ભાગમાં સંપાદિત થયેલ છે. સાહિત્યપ્રેમી ગુજરાતી સાહિત્યવિદોએ મકરંદ દવેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પોંખેલા છે. અને ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતી કવિતાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ નરસિંહ મહેતા મકરંદભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. કવિની સાથે જ નવલકથાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે તેમની સાહિત્યિક ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
મકરંદ દવેની કવિતાના સ્વરૂપની દૃષ્ટિએ મુખ્યત્વે ચાર સ્વરૂપ જોવા મળ્યાં છે. ગીત, ગઝલ, ભજન અને મુક્તક. આ બધાં કાવ્યરૂપોમાંથી પસાર થતાં તેમનું કાવ્યતત્ત્વ તો સ્પર્શી ગયું, પરંતુ તેમની કવિતાના આધ્યાત્મિક સૂરને પકડવાનું મારું ગજું નહીં. અધ્યાપક તરીકે તેમના કાવ્યમાં રહેલ પ્રકૃતિતત્ત્વ મને સ્પર્શી ગયું. તેમાંનું એક કાવ્ય તો મારે હૈયે અને હોઠે વસી ગયું છે.
“સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.”
કવિ મકરંદ દવેનો પ્રવેશ પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિનું એક રૂપ જે તરણા જેવું છે. સુકાયેલું છે. ઊડતું છે. તેને કોઈને પકડ્યું નથી. તેના સૌંદર્યને ૧૯૫૧માં મકરંદભાઈ ‘તરણાં’ રૂપે મૂકે છે –
“સૂકી જમીન પરનાં ઝૂકી રહેલ તરણાં
ક્ષણ એકનાં નિવાસી,
પણ પ્રેમનાં પ્રવાસી,
કોઈ હશે લીલાં, તો કોઈ સોનવરણાં”
કવિની એક ઝંખના વિશ્વના માંગલ્યની રહેલી છે. અને આ વિશ્વનું રૂપ પ્રકૃતિના માંગલ્ય સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એ બીજું કાંઈ નથી, પરિબ્રહ્મની લીલાનું તે માત્ર પ્રત્યક્ષ દર્શન છે. એટલે જ તેમનું સૌંદર્યનું ગાણું પ્રભુના સ્વરૂપની સાથે જોડાયેલું જોવા મળે છે. તેમની એક ઝંખના એ જ રહી છે કે જ્યારે અંતિમ લોચન બિડાય, ત્યારે મારા મુખે ઉલ્લાસનું ગાન હોય અને સૌંદર્યનું ગાણું મુખે હોય.
મકરંદભાઈ મૂળભૂત રીતે તો પ્રકૃતિ અને ગ્રામ્યજીવન સાથે જોડાયેલા છે. એટલે જ એમણે ધૂળિયો મારગ પસંદ કર્યો છે. જેમ કે –
“ખુલ્લાં ખેતર અડખેપડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?”
જ્યારે તેમને મુંબઈનગરીમાં રહેવાનું થયું, ત્યારે ઊંચી બિલ્ડિંગો વચ્ચે, ભૂંગળાંના ઘોંઘાટ વચ્ચે, ઝેરી ધુમાડા વચ્ચે જો “મુંબઈનગરીમાં આંબો મ્હોરે તો એની મંજરીને રામરામ કહેજો ! એનાં મીઠાં ઓવારણાં લેજો.”
અહીં મીઠાં ઓવારણાં કાઠિયાવાડી ધરતીનું પનોતું સંતાન હોવાનું મકરંદની ઓળખ આપી જાય છે.
મકરંદ દવેનાં પ્રકૃતિકાવ્યોનું કલ્પન સ્પર્શી જાય તેવું અનુભવાયું છે.
“ગુલમહોરનાં ઝીણાં-ઝીણાં પાન પરે
જે પ્રભાતનાં મળમળિયાં કિરણો ભરત ભરે,”
તે ભરત કહો તો આપું.”
તળાવનાં લહેરાતાં નીરમાં વૃક્ષોની છાયા લહેરાતી જોઈને ચંદનભીનો અનુભવ થાય છે. ચોગમ હરિયાળી, ખુલ્લું આભ, ફેલાયેલી ખુશ્બૂ ખોળો ભરીને સૌંદર્યનું પાન કરાવી જાય છે. કવિની એક દોટ પ્રકૃતિને ખોળે સમાઈ જવાની રહી છે. એટલે તો એ કહે છે કે –
“હાલ્યને વાલમ, ક્યાંક જતાં રંઈ,
ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ.”
પ્રકૃતિનું વિકરાળ રૂપ પણ હોય છે. મકરંદભાઈ આસોના તડકાનો અનુભવ ઇન્દ્રના ઘોડા સાથે દર્શાવીને તડકાને ઘોડાના રૂપમાં પલટાવી શકે છે.
“આ સૂરજ ડૂબે, ચાંદો ઊગે, આભ ઝરે ઉન્માદો,
તૃણ તૃણમાં તો નિહારિકાના આ સંભળાર્થ નિનાદો,
ઘણી હતી પણ પલકમાં ભૂલ્યા સહુ ફરિયાદો,
સૂતરને તોરણિયે કોઈ
અડી ગયું સુખવાહી.”
સુંદરવરણી ધરતીમાં મકરંદ કહે છે કે તેમાં ધરતી સાથેનો માનવપ્રેમ દર્શાવ્યો છે. તરણાં જમીન પર ઝૂકે છે. તેનો અર્થ એમ પણ થાય કે અહંકારને છોડીને ધરતીના ખોળે નિવાસ કરવાનું સૂચવે છે. આ તરણાં લીલાં હતાં, પણ સુકાઈને અભિમાન ગાળીને સોનવરણાં થઈ ગયાં છે અને તેમાં જ તરણાંની ધરતી સાથેની પ્રીતિ દર્શાવી છે.
મકરંદભાઈનું તરણાં જેવું જ તેમનું બીજું ખેંચાણ પક્ષીના ટહુકા સાથે જોડાયેલું જોવા મળે છે.
“પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ,
ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે ?”
કવિને પ્રકૃતિનાં વિવિધ રૂપ સાથે વહેલી – સવારનું પરોઢ તેમને સ્પર્શી જાય છે. તેની સાથે પંખીનો ટહુકો જાણે કે તોરણ બાંધી જાય છે અને ચારે તરફ ફેલાતું તેજ કોની સવારી સૂચવે છે ? અને આ દર્શન પણ તેમને નાનકડા માળાની અંદરથી પક્ષીના કંઠમાંથી સંભળાયું છે. જાણે કે આકાશ સાથેના સંબંધને સૂરથી બાંધી આપે છે. ભાઈ ! આ તો એવું છે કે આકાશમાંથી એકાદ તારો ખરી પડે, તો જાણે આખું બ્રહ્માંડ ચૂર-ચૂર થઈ જાય, ત્યારે આ પંખીના ટહુકાની પ્યાલી ઊગતાં સૂરજની સાંખે પિતાની સાથે જ અંગે – અંગમાં તેની ખુશાલી, ખુમારી, છવાઈ જાય છે.
આમ કવિ મકરંદ દવેની કવિતા હોય, કથા કે ચિંતનાત્મક ગ્રંથ હોય, પરંતુ તેમનો માયલો પરમ સત્ તરફથી ગતિમાં વિહરતો જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્યમાંથી સરવાળે તો તેમને જવું છે આ પ્રકૃતિના રચયિતાના ધામ સુધી, એટલે જ મકરંદની મૂળ ઓળખ સાંઈ, સાધક અને ભજનના મરમમાં જોવા મળી છે. અને છતાં અંકે કહેવું હોય તો …
“ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.”
સંદર્ભ ગ્રંથો :
૧. ‘તરણાં’ – ૧૯૫૧
૨. ‘અમલપિયાલી’ – સં. સુરેશ દલાલ પ્ર.આ. ૧૯૮૦
૩. ‘ગુલાલ અને ગુંજાર’ – સં. ઇશા કુન્દનિકા પ્ર.આ. ૧૯૯૭
૪. ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ ભાગ ૧થી ૩ પ્ર.આ. ૨૦૦૬ સં. ઇશા કુન્દનિકા
૫. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ડૉ. રમેશ એમ. ત્રિવેદી, પ્ર.આ. ૧૯૯૪
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કેશોદ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 15-16