સાધુ હોય કે શેતાન, કટ્ટરતા બંનેનો એકસરખો ગુણ હોય છે. અને બંનેના અનુયાયીઓ એ જ કટ્ટરતાને ભક્તિનું નામ આપીને ઉચિત ઠેરવે છે. જેમ બે હોંશિયાર માણસો તેમના બૌદ્ધિક અહંકારનાં કારણે એકબીજાને ગમતા ના બને, તેવી જ રીતે અલગ સંપ્રદાયના બે સાધુઓ પણ હાથમાં હાથ નાખીને પ્રેમનાં ગીત ગાતાં-ગાતાં સડકો પર ના નીકળે. આપણે કટ્ટરતાને ધર્મ સાથે જોડીને ખુદને શ્રેષ્ઠ સાબિત કરીએ છીએ. એ સાચું કે ધર્મ મારફતે કટ્ટરવાદ વધુ સ્પષ્ટ રીતે બહાર આવે છે, પણ એક લેખક, એક પિતા, એક પતિ પણ એના વિચાર કે વ્યવહારમાં એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો કોઈ આતંકવાદી હોય. મૂળમાં તો બધા માણસો જ છે અને પ્રત્યેક માણસ તેના વિચારો, માન્યતાઓ અને લાગણીઓનો ગુલામ હોય છે.
એક સાધુ તેના ગુરુ કે તેના ઈશ્વરને લઈને એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો એક પિતા તેની પુત્રીનાં અફેરને લઈને કટ્ટર હોય. ફરક એટલો છે કે આપણે સાધુના ચરણસ્પર્શ કરીએ છીએ અને પિતાને જેલમાં મોકલીએ છીએ. ધર્મોની કટ્ટરતા આપણને ઉચિત લાગે છે, કારણ કે એમાં પૂરા સમુદાયનું કલ્યાણ દેખાય છે. પુણ્યપ્રકોપ જેવો કોઈ અલગ પ્રકોપ નથી હોતો. તે એક સામાન્ય માણસના ક્રોધ જેવી જે એક બીમારી છે, જેનો ઈલાજ થવો ઘટે.
કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈ પણ પ્રકારની ટીકા કે સવાલથી પરે છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે.
"માત્ર મારો વિચાર અને મારી ભાવના જ સાચી છે અને જે વ્યક્તિના વિચાર મારાથી અલગ છે, તે વ્યક્તિ ગલત છે અને દુનિયામાં જે ગલત છે, તેને દૂર કરવાની આપણી ફરજ છે." એક વ્યક્તિને કે પછી પૂરા સંસારને બહેતર બનાવવા માટે જે વ્યક્તિમાં આ પ્રકારનો વિચાર જડાયેલો હોય, તે કટ્ટર કહેવાય. એક નાસ્તિક કરતાં એક આસ્તિક વધુ કટ્ટર હોય છે તેનું કારણ એ છે કે આસ્તિક એમ માને છે કે તેની પાસે અથવા તેના ઈશ્વર કે ગુરુ પાસે તમામ સવાલોના અસલી જવાબો છે અને તમામ સમસ્યાઓનાં સમાધાન છે અને તેણે હવે બીજું કશું કરવાની જરૂર નથી, માત્ર પાલન જ કરવાનું છે. આમાંથી તેમનો અહંકાર મજબૂત થાય અને કટ્ટરતા જન્માવે. ધાર્મિક લાગણીઓ એટલે જ બહુ આસાનીથી દુભાય છે.
જેની લાગણી દુભાતી હોય, તે વ્યક્તિ કટ્ટર હોય, કારણ કે તેને મન તેની લાગણી સાચી અને સર્વોચ્ચ છે અને તેનો આગ્રહ હોય કે તમામ લોકોએ તે લાગણીને માન આપવાનું, પછી એ લાગણી ધાર્મિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય કે વ્યક્તિગત હોય. મારા ભગવાનને કશું કહેવાનું નહીં, મારા ગુરુ વિશે ઘસાતું બોલવાનું નહીં, મારા પરિવારને કશું કહેવાનું નહીં, મારા ઝંડા માટે ગમેતેમ ના બોલતા, મારા નેતા વિશે કશું બોલતા નહીં, મારી મા સુધી ના જતા, મારા છોકરા માટે એકફેલ ના બોલતા, મારા વિશે સંભાળીને બોલજે …… આ કટ્ટરતા!
અંગ્રેજીમાં બે શબ્દો છે, ફંડામેન્ટાન્લિસ્ટ એટલે કે રૂઢીચુસ્ત અને ફેનાટિક એટલે કે કટ્ટર. આપણે બંનેને એક જ ગણીએ છીએ, પણ બંનેમાં તફાવત છે. રૂઢિચુસ્ત એ છે જે સિદ્ધાંતોનું પાલન કરે છે. એક વૈજ્ઞાનિક, એક ડોક્ટર, એક વકીલ, એક પોલીસ કે એક ધાર્મિક વ્યક્તિ રૂઢિચુસ્ત હોઈ શકે, કારણ કે તે સિદ્ધાંતો, નિયમો કે કાનૂનનું કડક પાલન કરે છે. એક વ્યવસ્થાને કારગત રીતે ચલાવવા માટે પાયાના નિયમો ઘડવા પડે અને તેનું શિસ્તબદ્ધ રીતે અનુસરણ કરવું પડે. તે અર્થમાં રૂઢિચુસ્ત અભિગમ આવકાર્ય ગણાય છે.
ચંદ્ર પર ચંદ્રયાન મોકલનારા ઈસરોના વૈજ્ઞાનિકો રૂઢિચુસ્ત કહેવાય કારણ કે તેઓ અગાઉથી લેખિત એક ગાણિતિક કોમ્પ્યુટર પ્રોગ્રામનું અક્ષરસઃ પાલન કરે છે. એક વકીલ પીનલ કોડ કે બંધારણમાં લખેલી સંહિતાને ચુસ્ત રીતે વળગી રહે છે એટલે તેને રૂઢિચુસ્ત કહેવાય. એક ડોકટર તેના ભણવામાં આવેલી સારવારની પ્રણાલીમાં રૂઢિચુસ્ત હોય, પણ નવી શોધખોળ વિકસે તો તે જૂની પદ્ધતિનો અસ્વીકાર કરીને નવી પદ્ધતિ અપનાવે. ટ્રાફિક પોલીસ તેના નિયમોનું ‘જડતા’થી પાલન કરે છે, કારણ કે તો જ ટ્રાફિક સુચારુ રૂપે ચાલતો રહે. તેવી જ રીતે એક પરિવાર કે એક સમાજ પણ આચાર-વિચારમાં રૂઢિચુસ્ત હોય છે, પણ રિવાજો કે પરમ્પરા બદલાય, તો તે તેમાં ફેરફાર કરીને નવી રસમ અપનાવે છે. દાખલા તરીકે એક સમયે સ્ત્રીના સતી થવાની, બાળ વિવાહની, જ્ઞાતિમાં જ વિવાહ કરવાની રૂઢિચુસ્તતા હતી, આજે નથી. રૂઢિચુસ્તતામાં મતભેદ માટે જગ્યા હોય છે.
કટ્ટર વ્યક્તિ પણ રૂઢિચુસ્ત હોય છે, પણ એની રૂઢિમાં પરિવર્તનની શક્યતા નથી. તેનું સત્ય અંતિમ હોય છે. તેની ટીકા કે વિશ્લેષણ ના થઇ શકે. તેમાં સંદેહને કોઈ સ્થાન ના હોય. તેમાં અસહમતિ કે પ્રતિ-વિચારની સંભાવના ના હોય. કોઈ તેની વિવેચના કરે, તો પણ તે સમર્થનમાં જ હોય. કટ્ટરતામાં મતભેદની જગ્યા નથી હોતી. દાખલા તરીકે જર્મનીમાં નાઝીઓ તેમની આર્યોની શ્રેષ્ઠતાના સિદ્ધાન્તમાં એટલા કટ્ટર હતા કે લાખો યહૂદીઓને ‘ગંદા’ ગણીને મારી નાખ્યા હતા. તેમણે તેમની થિયરીના સમર્થનમાં વિજ્ઞાન પણ વિકસાવ્યું હતું. પશ્ચિમનાં રાષ્ટ્રોએ તેમની માન્યતાનો વિરોધ કર્યો, તો તેમણે યુદ્ધ છેડી દીધું.
“હું જે માનું છું, તે શ્રેષ્ઠ છે અને મારી પાસે તેના (ધાર્મિક અને વૈજ્ઞાનિક) તર્ક પણ છે,” એ કટ્ટરતા કહેવાય. તેને તર્કદોષ કહેવાય. દાખલા તરીકે તમે જેની ભક્તિ કરો છો તે ગુરુ કે નેતા સત્યવક્તા છે. તમને કોઈક આવીને કહે કે ગુરુએ આપણને એક કામ સોંપ્યું છે. તમારે એ કામ કોઈ સવાલ પૂછ્યા વગર કરવાનું, કારણ કે એ સત્ય જ છે. બીજી રીતે આ સમજવું હોય, તો દરેક પક્ષી ઊડે છે, તે સત્ય હકીકત છે. ડોલ્ફિન પક્ષી છે. મતલબ ડોલ્ફિન ઊડી શકે.
એક આશ્રમમાં રોજ સવારે ગુરુ ધ્યાનમાં બેસે. એમની સાથે અનુયાયીઓ પણ આનંદની ખોજ કરે. એમાં એક દિવસ ક્યાંકથી આવેલી બિલાડી જોડાઈ. એ મ્યાવ મ્યાવ કરતી જાય, અને બધાના પગમાં ઘસાતી જાય. અનુયાયીઓને બિલાડીના કારણે ધ્યાનમાં ખલેલ પડવા લાગી. ગુરુએ તેનો વ્યવહારિક રસ્તો કાઢીને, બિલાડીને નજીકમાં થાંભલે બાંધી દીધી. હવે ધ્યાન સરસ થવા લાગ્યું. વર્ષો થઈ ગયાં, આમ જ નિત્યક્રમ ચાલે. અનુયાયીઓ રોજ સવારે ઊઠીને બિલાડીને બાંધે દે, અને પછી ધ્યાન ધરે.
એક દિવસ ગુરુનું અવસાન થયું. એ પછી પણ પેલો બિલાડીને બાંધવાનો અને ધ્યાન ધરવાનો નિત્યક્રમ ચાલતો રહ્યો. થોડો વખત થયો, અને બિલાડી મરી ગઈ. ભક્તો બીજી બિલાડી લઈ આવ્યા, અને એને થાંભલે બાંધીને ધ્યાન કર્મ શરૂ કર્યું.
સદીઓ પછી પંડિત અનુયાયીઓએ શાસ્ત્ર લખ્યું કે, ઇશ્વરપ્રાપ્તિમાં થાંભલે બાંધેલી બિલાડીનું મહત્ત્વ કેટલું છે. ત્યાંથી એક મહાન ધર્મનો પ્રારંભ થયો. બિલાડી પૂજાવા લાગી, વિશેષ થાંભલા બન્યા અને મંદિરો બન્યાં. બિલાડીને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવી અને જે કોઈ તેને હાનિ પહોંચાડે, તેને અપરાધી ગણવાની પ્રથા શરૂ થઈ. જે કોઈ બિલાડીમાં ના માને, તેને વિધર્મી કહેવાનું શરૂ થયું. તેમાં મારામારી અને કાપાકાપી થઈ.
કટ્ટરતા શરબખોરી જેવી હોય છે. શરાબી માણસ જેમ એક્સેલેટર દબાવીને બેફામ વાહન ચલાવે અને રસ્તે જતા લોકોને પાડી દે, તેવી જ રીતે કટ્ટર વ્યક્તિ કે સમુદાય પણ તેની અંધભક્તિ, માન્યતા, શ્રદ્ધા, અભિપ્રાય કે લાગણીના નશા હેઠળ અડફેટે આવે તેને પાડી દે. આ શરાબ ભણેલા અને અભણ બંને પર એકસરખી રીતે જ કામ કરે. પ્રત્યેક માણસ કટ્ટર જ હોય છે. ખાલી વિષયો બદલાતા રહે છે.
https://www.facebook.com/permalink.php?story_fbid=2368058363522209&id=1379939932334062&__tn__=K-R