વડા પ્રધાનને વિનંતી કહો તો વિનંતી અને સલાહ કહો તો સલાહ એક જ છે કે તેમણે મંગળવારે લોકસભામાં કરેલા ભાષણનું પારાયણ રોજ સવારે કમસેકમ એક વાર કરવું જોઈએ. હું ગેરંટી સાથે કહું છું કે નરેન્દ્ર મોદી ભારતના થઈ ગયેલા અને હવે પછી થનારા અમર વડા પ્રધાનોમાં સ્થાન પામશે. ગેરંટી. ગેરંટી આપવાનું કારણ એ કે અમરત્વનો માર્ગ એ જ છે જે તેમણે શબ્દો દ્વારા કંડારી આપ્યો છે. હવે તેમણે શબ્દો દ્વારા કંડારી આપેલા માર્ગને તેના પર ચાલીને ચરણો દ્વારા કંડારી આપવાનો છે.
વડા પ્રધાને તેમના ભાષણમાં કૉન્ગ્રેસ પર આકરી ટીકા કરી છે. વડા પ્રધાન જ્યારે તેમના ભાષણનું નિત્ય પારાયણ કરે ત્યારે તેમણે તે ટીકાઓનું પણ પારાયણ કરવું જોઈએ, કારણ કે તે પણ હિતકર છે. તેમના માટે, તેમના પક્ષ માટે અને દેશ માટે પણ. જે ભૂલો કૉન્ગ્રેસે કરી એ તેઓ ન કરે એ માટે કૉન્ગ્રેસ પર કરેલા પ્રહારોનું પણ પારાયણ કરતા રહેવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી મુદ્દતમાં આકરી ટીકા કરી હોવા છતાં હું દિલથી ઈચ્છું છું કે તેઓ ભારતના મહાન અને અમર વડા પ્રધાનોમાં સ્થાન પામે. આમાં આપણો સ્વાર્થ છે, આપણાં સંતાનોનો સ્વાર્થ છે અને દેશનો સ્વાર્થ છે. આમાં નરેન્દ્ર મોદી માટે અંગત લાગણી કે દ્વેષનો સવાલ નથી. મૂલ્યો વ્યક્તિનિરપેક્ષ હોય છે અને આપણી પ્રતિબદ્ધતા મૂલ્યો સાથેની છે.
શું કહ્યું હતું વડા પ્રધાને? તેમણે કહ્યું હતું કે આપણે ભારતને સુરક્ષિત, આધુનિક અને બધાનો સહિયારો સર્વસમાવેશક દેશ બનાવવો છે. એને માટે મતદાતાઓએ ગઈ ચૂંટણીમાં વિધાયક મતદાન કરીને સરકારનાં સપનાંને અનુમોદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સાચા સેક્યુલરિઝમ માટેની તક ભૂતકાળમાં ગુમાવી દીધી છે. કૉન્ગ્રેસે ચોક્કસ કોમવિશેષનું તુષ્ટિકરણ કરનારું પક્ષપાતી સેક્યુલરિઝમ અપનાવ્યું હતું. દેશને પક્ષપાત રહિત સાચા સેક્યુલરિઝમની જરૂર છે. તેમણે કહ્યું હતું કે લોકોએ તેમને પક્ષપાત રહિત સાર્વત્રિક કલ્યાણ અને વિકાસ માટે મત આપીને આવો આદેશ આપ્યો છે. તેમણે તેમનાં ભાષણમાં મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને જવાહરલાલ નેહરુને અનેકવાર બે મોઢે ટાંક્યા હતા. તેનાથી ઊલટું તેમણે સાવરકર-હેડગેવાર અને ગોલવલકરનો નામોલ્લેખ સુદ્ધા નહોતો કર્યો. તેમણે એમ પણ કબૂલ્યું હતું કે તેમની પહેલાં જેટલાં વડા પ્રધાનો થઈ ગયાં છે તેમણે દેશના નિર્માણમાં યોગદાન આપ્યું છે. આજે આપણે જ્યાં ઊભા છીએ એ તેમના થકી છે એવી પ્રામાણિક કબૂલાત તેમણે કરી હતી. ઊલટું તેમણે કૉન્ગ્રેસને પડકાર ફેંક્યો હતો કે એવો એક પણ પ્રસંગ બતાવો જ્યારે કૉન્ગ્રેસે નેહરુ-ગાંધી પરિવારના સભ્યોને છોડીને બીજાની કદર કરી હોય.
વડા પ્રધાનના ભાષણમાં માત્ર એક હકીકત દોષ છે એ તરફ ધ્યાન દોરવું જોઈએ. એ દોષ ભૂલમાં છે કે જાણીબૂજીને એ આપણે જાણતા નથી. તેમણે વૈયક્તિક કાયદાઓ (પર્સનલ લોઝ) નહીં હટાવવા માટે કૉન્ગ્રેસને જવાબદાર ઠરાવી છે. આ હકીકત દોષ છે. બંધારણ ઘડનારાઓએ પર્સનલ લોઝને હાથ નહોતો લગાડ્યો અને તેને નિર્દેશક સિદ્ધાંતોમાં મૂકીને ભાવિ પેઢી માટે છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે પર્સનલ લોઝને હાથ નહોતો લગાડ્યો એનું એક કારણ કૉન્ગ્રેસની અંદર રહેલા રૂઢિચુસ્ત હિંદુઓનો અને કૉન્ગ્રેસની બહારના સનાતનીઓ તેમ જ હિન્દુત્વવાદીઓનો વિરોધ હતો. આમ એ સમયે દરેક સમાજ માટે એક સરખા કાયદા સ્થાપિત ન થઈ શક્યા તેમાં નરેન્દ્ર મોદીના કુળનો મોટો હાથ હતો. ઊલટું કૉન્ગ્રેસે તો હિંદુ કોડ બિલ લાવીને હિંદુ સ્ત્રીઓને ન્યાય આપ્યો હતો જેનો પણ સનાતનીઓએ અને હિન્દુત્વવાદીઓએ વિરોધ કર્યો હતો.
બીજી પણ એક બાબત છે જેની સાથે સંમત થવું મુશ્કેલ છે. તેઓ કહે છે કે મતદાતાઓએ સાચા સેક્યુલર ભારતના સપનાંને સાકાર કરવા મત આપીને અનુમોદન આપ્યું છે. મારો અભિપ્રાય એવો છે કે મોટા ભાગના હિંદુ મતદાતાઓએ હિંદુ ભારતને સાકાર કરવા મત આપ્યા છે. આમ છતાં ય વડા પ્રધાન મતદાતાઓના અનુમોદનનું જે અર્થઘટન કરી રહ્યા છે તેના તરફ જો પ્રામાણિક અને પ્રતિબદ્ધ હોય તો આપણે મતદાતાઓના અનુમોદનનું અર્થઘટન બદલવામાં વાંધો ન હોઈ શકે. અરે હું તો હરખે હરખે એ કરવા તૈયાર છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં હું ખોટો પડવા તલસું છું પણ દુર્ભાગ્યે આજ સુધી ખોટો પડ્યો નથી.
તો પર્સનલ લોઝ વિશેના એક કથનને છોડીને વડા પ્રધાનના પ્રત્યેક શબ્દ સાથે હું સંમત છું. કૉન્ગ્રેસની જે વાતે તેમણે ટીકા કરી છે તેની સાથે પણ. હવે એ માર્ગે ચાલવાનું અને કૉન્ગ્રેસના માર્ગે નહીં ચાલવાનું ઉત્તરદાયિત્વ વડા પ્રધાનનું બને છે. એટલે જ પ્રારંભમાં કહ્યું એમ વડા પ્રધાને આનું નિત્ય પારાયણ કરવું જોઈએ. શું કરવું અને શું ન કરવું એ બન્નેનું પાથેય તેમણે બતાવી આપ્યું છે. હવે જ્યારે પથ અને પાથેય બન્ને ગજવામાં છે ત્યારે એક જ કરવાનું બચે છે : ચરૈવેતિ! નીકળી પડો, અમે તમારી સાથે છે. અમને દેશના મહાન વડા પ્રધાનોમાં સ્થાન પામનારા નરેન્દ્ર મોદી જોઈએ છે. અને આગળ કહ્યું તેમ માર્ગ આ જ છે, આ જ છે અને આ જ છે.
અને જો વડા પ્રધાન આ માર્ગે ન ચાલે તો? તો ઇતિહાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કઈ રીતે ન્યાય આપશે એ કહેવાની જરૂર છે? નરેન્દ્ર મોદીના સમર્થકો અને પ્રસંશકોને એક વાત કહેવી રહી. ઇતિહાસ તમે નથી લખવાના. જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે નથી તમે હોવાના કે નથી તમારી તાળીઓ અને ચિચિયારીઓ હોવાની. ઇતિહાસ હંમેશાં સમયના સલામત અંતર પછી લખાતો હોય છે અને લખનારા તેમની એરણે મૂલ્યાંકન કરશે. અર્ણવ ગોસ્વામીઓ દ્વારા વર્તમાનને પ્રભાવિત કરી શકાય, ભવિષ્યમાં લખાનારા ઇતિહાસને પ્રભાવિત નથી કરી શકાતો. એટલે તમે જો નરેન્દ્ર મોદીને સાચો પ્રેમ કરતા હોય, તો તમારે પણ તેમને વિનંતી કરવી જોઈએ કે તેઓ લોકસભાના ભાષણનું નિત્ય પારાયણ કરીને અમર થાય. બાકી બતાવવાના જુદા અને ચાવવાના જુદા એવું હોય તો વાત જુદી છે. જો તમે હિંદુ ભારત માટે વોટ આપ્યો હશે તો તમારે પ્રામાણિકતાપૂર્વક વડા પ્રધાનનો વિરોધ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે અમે તમને આ સારુ મત નહોતા આપ્યા.
ઢંઢોળી જુઓ અંતરાત્માને તમે ક્યાં ઊભા છો?
25 જૂન 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2019