આસામની એક અદ્વિતીય શાળા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો શિક્ષણ માટેના શુલ્કના બદલામાં સ્વીકારે છે!
પામોહી – આસામના જંગલમાં છુપાઈને બેઠેલી શાળા – અક્ષરની મુલાકાત લો તો ઉપરનું દ્રશ્ય જોવા મળે જ્યાં વિદ્યાર્થીઓ પોલિથિન બેગમાં પ્લાસ્ટિકનો કચરો ભરીને લાવે. એ શાળા માત્ર આ કચરાને જ શાળાના શુલ્ક તરીકે સ્વીકારે છે!
“અમે બધાં બાળકો માટે નિ:શુલ્ક સેવા આપતી શાળા શરૂ કરવા માગતા હતા, પરંતુ આ વિસ્તારમાં પ્રવર્તતા સામાજિક અને પર્યાવરણને સ્પર્શતી મોટી સમસ્યાઓએ અમને તેમ કરતા રોક્યા. મને બરાબર યાદ છે, શાળાની નજીક જ્યારે પણ કોઈ પ્લાસ્ટિકનો કચરો બાળતું ત્યારે એ ઝેરી ગેસથી અમારા વર્ગખંડો કેવા ભરાઈ જતા. અહીં શરીરને ગરમી આપવા પ્લાસ્ટિક બાળવું એ જાણે સામાન્ય ધોરણ બની ગયું હતું. અમારે આ પરિસ્થિતિ બદલવી હતી તેથી અમારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો કચરો શાળાનાં શુલ્ક તરીકે લાવવા માટે પ્રોત્સાહિત કર્યા.” આ વિધાન પારમિતા શર્માનું છે, જેમણે મઝિન મુખ્તાર સાથે મળીને જૂન 2016માં આ શાળાની સ્થાપના કરી હતી.
અક્ષર શાળાની કહાણી કઇંક આવી છે:
2013ની સાલમાં મઝિન ન્યૂયોર્કથી ભારત કોઈ એક પ્રકલ્પ પર કામ કરવા આવ્યા. તેના કામ અંગે તેને પારમિતા સાથે મેળાપ થયો, કે જેણે ટાટા સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સિસમાં સોશ્યલ વર્કમાં માસ્ટર્સની ઉપાધિ મેળવેલી. ઇત્તફાક એવો કે તે પણ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવા ચાહતી હતી.
મૂળે આસામની હોવાને કારણે પારમિતાએ મઝિનને એ વિસ્તારના સામાજિક તાણાવાણાઓથી પરિચિત કર્યા, ત્યાંના પડકારો કેવા હશે તે કહ્યું અને કાગળ પરના આંકડાઓ અને વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કર્યા. છેવટ તેનું પરિણામ સામાન્ય શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ વચ્ચેની ખાઈ પૂરી કરી શકે તેવી આ ‘અક્ષર’ શાળાની સ્થાપનામાં આવ્યું.
મઝિને કહ્યું, “અમને પ્રતીત થયું કે અહીંના બાળકો માટે શિક્ષણ એક સામાજિક, આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુબંધ ધરાવનારું હોવું જોઈએ. સહુથી મોટો પડકાર હતો, આસપાસનાં ગામડાંના લોકોને પોતાનાં બાળકોને શાળાએ મોકલવા માટે કબૂલ કરાવવા. મોટાં ભાગનાં બાળકો નજીકની પથ્થરની ખાણમાં મજૂરી કરતાં હતાં. આથી બીજા મુદ્દાઓ ઉપરાંત અમારે એ પણ ધ્યાનમાં લેવાનું હતું કે શાળાનું શિક્ષણ મેળવ્યા બાદ એ બાળકોને રોજગારી અપાવી શકે તેવો અભ્યાસક્રમ ઘડવાનો હતો.”
બીજું પગલું ભરવાનું હતું, શાળા વિદ્યાર્થીઓ પાસેથી શુલ્ક કેટલું અને કયા સ્વરૂપમાં લેવું અને બદલામાં બાળકોને શું આપવું. પારમિતાએ કહ્યું, “અમારી પાસે એક વિકલ્પ હતો, એક એવું ચલણ આપી શકાય જેનાથી નજીકની દુકાનમાંથી બાળકો નાસ્તો, નાનાં રમકડાં કે ચોકલેટ જેવી વસ્તુઓ ખરીદી શકે. અથવા વિદ્યાર્થીઓ પોતે એકઠી કરેલી ચીજો લઈને આવે અને અમે તેને નાણામાં ફેરવી આપીએ અને એ રકમમાંથી એમેઝોનમાંથી તેમને જરૂરી વસ્તુઓ અપાવી દઈએ.” પરંતુ એ બધા વિકલ્પો અમલમાં ન મૂકતાં એક નવીન વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે એ સમાજના લોકોને પણ પ્લાસિટિકના કચરાને બાળવાની તેમની રસમના જોખમ વિષે સમજણ કેળવવાની પણ એક ફરજ બની રહેતી હતી. પારમિતાએ કહ્યું તેમ શિયાળાની ઋતુમાં બધા પરિવારો પ્લાસ્ટિકના કચરાનું તાપણું કરીને એક બીજાની નજદીક બેસીને ઠંડીનો સામનો કરે એ સર્વ સાધારણ બાબત હતી.
‘અક્ષર’ શાળાના સ્થાપકોએ તેમનો અભ્યાસક્રમ એવી રીતે ઘડ્યો કે જેથી વિદ્યાર્થીઓ પર્યાવરણ અને સ્વાસ્થ્યના મુદ્દાઓ વિષે જાગૃત થાય, માહિતગાર બને અને તેને સુધારવા માટે સક્રિય બને. ત્યાર બાદ ભરવાનું પગલું એ હતું કે ગામના લોકોને પ્લાસ્ટિકનો તમામ કચરો એકઠો કરીને રિસાઇકલ કરવાની સમજ કેળવવા કબૂલ કરવા, જેથી તેઓ પોતાના સમાજમાં આ પ્રકારનું પરિવર્તન લાવવા માટેના પ્રચારક બની શકે. પારમિતાએ જણાવ્યું, એ લોકોને આ ટહેલનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો. જે પરિવારોએ આ યોજનામાં ભાગ લીધેલો તેઓએ પોતાનાં ઘર અને દુકાનો પર આ યોજના વિશેના પોસ્ટર મુકવા કબૂલ થયા. આ કાર્યનો અમલ મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોની સહાયથી કર્યો. એ જ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોની મદદથી એ કેમ્પસના માળખામાં વિવિધ કામમાં ઉપયોગમાં લઇ શકાય તેવાં સાધનો પણ એ નકામા પ્લાસ્ટિકમાંથી બનાવવા શરૂ કર્યાં. માત્ર 20 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં હાલમાં ચારથી પંદર વર્ષની આયુના 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પોતાના સમાજ અને પર્યાવરણ પ્રત્યે ફરજ બજાવવા દરેક બાળક અઠવાડિયામાં ઓછામાં ઓછી પ્લાસ્ટિકની 25 વસ્તુઓ લાવે છે.
‘અક્ષર’ શાળામાં વૈકલ્પિક અને છતાં સ્થાનિક લોકો માટે અત્યંત પ્રસ્તુત શિક્ષણ અપાઈ રહ્યું છે, જે આ નીચેની તસ્વીરમાં જોઈ શકાય.
જયારે પારમિતા અને મઝિને શાળાની સ્થાપના કરી ત્યારે તેમનો હેતુ સ્થાનિક બાળકોની આકાંક્ષાઓને બંધબેસે તેવો અભ્યાસક્રમ બનાવવાનો હતો જેથી કરીને તેઓ અને તેમના માતા-પિતા સાથે મળીને ઉજ્વળ ભાવિનું નિર્માણ કરી શકે. આથી જ તો અન્ય પારંપરિક શાળાઓની માફક અક્ષર શાળામાં ઉંમર પ્રમાણે વર્ગ વ્યવસ્થાને બદલે બાળકનાં જ્ઞાન અને શક્તિ આધારિત વર્ગ ગોઠવાય છે. બાળકોનું જ્ઞાન તેમના પ્રવેશ સમયે ચકાસવામાં આવે. જે તે વિદ્યાર્થી આગલા વર્ગમાં પહોંચવા માંગતો હોય તો તેણે તે માટે મહેનત કરવાની રહે. પારમિતા કહે છે તેમ આ પદ્ધતિને કારણે શિક્ષણનું સ્તર સતત સુધરતું રહે છે. જો કે આ વિચારો પણ કેટલીક સમસ્યાઓમાંથી જ સ્ફુરેલા. મઝિનનું કહેવું છે કે સહુથી મોટો સવાલ આ ક્ષેત્રમાં છે, શિક્ષણની સુસંગતતા. આ બાળકોને પુસ્તકમાંના સિદ્ધાંતો અને વ્યવહારના મિશ્રણ યુક્ત અભ્યસક્રમની જરૂરત છે, જેથી તેમને ભવિષ્યમાં રોજગારી મેળવવા આવશ્યક કુશળતા ખીલવી શકે. પરિણામે આ શાળામાં વ્યવસાયિક અભ્યાસક્રમ જેવાં કે ગાયન, નર્તન, સૂર્ય પેનલ બનાવવી, ભરતકામ, બાગકામ, સજીવ ખેતી, ઇલેક્ટ્રોનિક્સ, રિસાઇકલિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રીતે ઉદ્યોગોને જરૂરી કુશળતા અને વિદ્યાર્થીઓની પસંદગી તથા શક્તિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ગોઠવાય જેથી ભણનારાઓ અને રોજગારી પૂરી પાડનારાઓને લાભ થાય.
મઝિનના કહેવા પ્રમાણે એ લોકોને તાજેતરમાં વિદ્યાર્થીઓમાં બાગકામ તરફ વધુ ઝોક જોવા મળ્યો, જેથી હવે તેઓ ટકાઉ બાગકામ(sustainable landscaping)નો એક અલાયદો કોર્સ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થતાં તરત તેને યોગ્ય વ્યવસાય મેળવી શકે.
મઝિન અને પારમિતા 2018માં લગ્નગ્રંથિથી જોડાયાં. ‘અક્ષર’ની સફળતા અનુભવ્યા બાદ તેમની ઇચ્છા આવતાં પાંચ વર્ષોમાં આખા દેશમાં આવી સો એક શાળાઓ શરૂ કરવાની છે. એ માટે તેમને સર્વ રીતે અનુકૂળતાઓ મળી રહે અને આ પ્રકલ્પમાં જ્વલંત સફતા મળે તેવી શુભેચ્છાઓ.
(મૂળ લેખક: અનન્યા બરુઆ. મુંબઈ સર્વોદય મંડળ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનમાં પ્રકાશિત લેખ; તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત)
e.mail : 71abuch@gmail.com