એક્યાસી વરસનું સમૃદ્ધ એવું સહસ્રચંદ્રદર્શન પૂર્ણાયુષ ભોગવી એ ગયા. હમણે માંદા ચાલતા હતા – ગયા સપ્ટેમ્બરમાં ગૌરી લંકેશને ગયે વરસ થયું ત્યારે ‘મી ટુ અર્બન નક્સલ’ના હાંસડીપાટિયા સાથે એ હૉસ્પિટલમાંથી પરબારા હાજર થયા હતા. એટલે જવું અણચિંતવ્યું નહોતું. પણ ‘જબ તક સાંસ તબ તક આસ’ એ રીતે જોતાં જવું ખટકે તો ખરું; કેમ કે ન ઓલવાવા જેવા જે થોડાએક અવાજો, ગિરીશ કર્નાડ તે પૈકી હતા.
જો કે જે ઢબછબે એમના જવાના સમાચાર પ્રસર્યા અને ઉછળ્યા એ પણ હતું તો ખટકે એવું જ. ‘ઇન્ડિયા ટુ’એ શરૂશરૂમાં જે ટીઝર (શું કહીશું, સળવળ સળવળ વલૂર વલૂર?) વેબડાવ્યું એ એવું હતું કે ‘ટાઈગર ઝિંદા હૈ’ના અભિનેતા કર્નાડ ગયા. એક સમૃદ્ધ જિંદગીને આમ ઓળખાવાતી હશે? હશે ભાઈ, આ તો આજનું હિંદ છે જ્યાં આવી ખતવણી એ કદાચ રાબેતો છે. મે ૨૦૧૪ પછી તરતના ગાળામાં અનંતમૂર્તિ ગયા, અને મે ૨૦૧૯ પછી તરતના ગાળામાં કર્નાડ ગયા. નકરા નવલકથાકાર કે નકરા નાટ્યકાર – કલાકારમાં એમને ખતવાય તો માસ મીડિયા અને માસિઝ બેઉને સવાલિયા દાયરામાં મૂકવાં રહે.
અનંતમૂર્તિ અને કર્નાડ, સવિશેષ કદાચ કર્નાડ વિષમ સંજોગોમાં પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે બહાર આવ્યા અને એમણે પોતપોતાના કલાહુન્નરને કોઈ ચંદન મહેલ(આઈવરી ટાવર)માં નહીં ગોંધવતા લોકમોઝાર ‘નો સર’થી લઈ ‘ઈટ્સ નૉટ ડન’ની અકુતોભય ભૂમિકા લીધી. પ્રતિભાશાળી કર્નાડ ઇંદિરા ગાંધીના વારામાં પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા, પણ કટોકટીનું સમર્થન કરતી ફિલ્મ ઉતારવાની ‘વરધી’ આવી કે એમણે ચહીને ઊતરી જવું પસંદ કર્યું હતું. એ જ તરજ પરના પણ વધુ આકરા હોઈ શકતા વર્તમાન સંજોગોમાંયે એમની આ ભૂમિકા બરકરાર રહી.
મેધાવી એ અલબત્ત હતા. તેવીસ-ચોવીસના હશે અને ઑક્સ્ફર્ડ યુનિયનના અધ્યક્ષ ચુંટાયેલા ત્યારે સર્જનાત્મક આવિષ્કારો ઉપરાંત ર્હોડ્ઝ સ્કૉલરને નાતે ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિષયોના તેજસ્વી છાત્ર તરીકે સુપ્રતિષ્ઠ હતા. જે નાટક કે ફિલ્મમાં એમનું સુવાંગ સર્જન રહ્યું કે સિંહપહેલ રહી એમાં એક સમગ્ર દર્શનનો સૌને સાક્ષાત્કાર થતો. એમના ગુજરાત કનેક્શનને અમૂલખ્યાત ‘મંથન’થી વાજબી રીતે જે સંભારાય છે. પણ ૨૦૦૨થી વ્યથિત હોવું એ આ જોડાણને કંઈક ઓર જ ધાર, રિપીટ, ધાર અને આધાર સંપડાવે છે. નમોએ ટિ્વટ તો મોકાસર ને મજબૂત કીધું કે કર્નાડ પોતાને જે વિચારો યોગ્ય લાગે તે વિશે જિદ્દથી, રાગાવેશથી, પૅશનેટલી, બોલતા. અલબત્ત, આ માટે નિમિત્ત પૂરાં પાડતી રાજનીતિ અને મંડળી વિશે મોદીએ મલાજો પાળ્યો એ સમજી શકાય એવું છે.
દાયકાઓ પર ‘હયવદન’ નાટક જોયું ત્યારે એ થોમસ માનની લઘુનવલ પરથી ભારતીય સંદર્ભમાં સરજાયાનું જાણ્યું હતું. પછી ખયાલ આવ્યો કે માને લખ્યું એનાં મૂળિયાં કથાસરિત્ સાગરમાં પડેલાં છે. ‘સંસ્કાર’, ‘વંશવૃક્ષ’ અંગ્રેજી સબટાઈટલો સાથે જોવા મળી. એક પટ પર આ બધું જોતી વેળાએ સમજાયું કે આપણો સહૃદય એટલો જ સ્વાધ્યાયપુત કળાકાર બૌદ્ધિક છે, સેક્યુલર છે, પણ એને સારું સંસ્કૃતિનિષેધ એ પોતે કરીને કોઈ મજહબ નથી. એ સંસ્કૃતિ સાથે સાતત્યપૂર્વક વળગી રહેનાર જીર્ણમતિ અલબત્ત નથી. એને રસ શોધનમાં છે, નવ્ય અર્થઘટનમાં છે. એટલે નાયપોલ જેવો મુસ્લિમદ્વેષ એને વાસ્તે અગરાજ છે. રાજાજીનાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ વાંચેલાં … એથી કેળવાયેલ સંસ્કાર!
‘તુઘલક’ નાટકમાં આદર્શવાદી નેહરુ માટેના સહજ ખેંચાણ અને આશાવાદથી માંડી આગળ ચાલતાં અનુભવાયેલ નિરાશાનું એક સમીક્ષાચિત્ર અતીત નિમિત્તે વર્તમાન ટિપ્પણી રૂપ વરતાશે. દૂરદર્શનના પ્રસાર સાથે આર.કે. નારાયણના ‘માલગુડી ડેઝ’ના એક પાત્ર તરીકે એમની વ્યાપક ઓળખ બની. પણ ઉલ્લેખ કરવો જોઈએ યશપાલની સરળરોચક માંડણી સાથેની વિજ્ઞાનચર્ચા ‘ટર્નિંગ પોઈન્ટ’નો; એની પરિકલ્પના અને પ્રાયોજના કેવળ કર્નાડને જ સૂઝે. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનપરિચયપોથી લખતા રવીન્દ્રનાથ કે રસળતી એવી જ અભ્યાસનીતરતી ભૂગોળ લખતા નાનાલાલ સાંભરે તમને. દર્શક આવી કામગીરીને કરુણાનું સાધારણીકરણ કહેતા. (એમનું એક પ્રિય ઉદાહરણ આનંદશંકરે ‘હિન્દુધર્મની બાળપોથી’ લખી એ હતું.)
કર્નાડ વિશે એક ટિપ્પણીમાં કહેવાયું કે આ એક મોટા સર્જક-કળાકાર છેલ્લા બે દાયકામાં કર્મશીલ તરીકે વધુ પંકાયા. અંદરબહારનો કોઈક ધક્કો જ એમાં કામ કરી ગયો હશે ને. આ ધક્કો પરિવારે પણ પ્રીછ્યો હોવો જોઈએ કેમ કે કર્ણાટક સરકારે રાજ્યસન્માન સાથે અંતિમવિધિનો જે વિવેક દાખવ્યો તે સાભાર – સવિનય નકારી એમણે સ્વજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કર્યા. અલબત્ત, ભીંત ફાડીને ઉગેલ જે પીપળો – અને અશ્વત્થ તો એની વિભૂતિ – કદી વિનષ્ટ થયો જાણ્યો નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 16