ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 8
કોઈ પણ યુગમાં પેદા થયેલ આર્ષદ્રષ્ટાના જીવન સંદેશની ક્યાં, ક્યારે અને કેવી અસર નીપજ્શે એ કળવું અત્યંત કઠિન છે. જયારે ભારતીય પ્રજા ગાંધી મૂલ્યોને તદ્દન વિસારે પાડીને તેનાથી સાવ વિપરીત દિશામાં પૂરપાટ દોડી રહી છે એવો પાકો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે લંડનમાં ખાદી વિષે વાત કરનાર કોઈ સંસ્થા છે તેમ જાણવા મળ્યું ત્યારે સુખદ આશ્ચર્ય થયું.
નવેમ્બર 2017માં લંડનમાં ખાદી કામ્યુનિટી ઇન્ટરેસ્ટ કંપની નામનું કોઈ એક સંગઠન હોવાની જાણ થઇ. તેના દ્વારા આયોજિત એક ગોષ્ઠિ અને હાથ બનાવટની વિવિધ વસ્તુઓનાં વેચાણ તથા પ્રદર્શનમાં હાજર રહેવાનું બન્યું. તે પછીના એક-દોઢ વર્ષના ગાળામાં કાંતણના ત્રણ તાલીમ વર્ગો, એક વાર્તાલાપ અને ત્રણેક જેટલા ડેમોન્સ્ટ્રેશન વિવિધ કાર્યક્રમોમાં કરવાનું મારે ભાગે આવ્યું.
આજે જે દેશમાં તૈયાર થયેલ કાપડનો સો એક વર્ષ પહેલાં બહિષ્કાર થયેલો તે જ દેશમાં પેટી રેંટિયા પર કાંતણ અને એક નાની હાથશાળ પર વણાટ કરીને લોકોને હસ્ત ઉદ્યોગ અને કુદરતી રેસાઓ દ્વારા બનતાં કાપડનું મહત્ત્વ સમજાવવાનો એક પ્રકલ્પ શરૂ થયો છે. આવો શુભ સંકલ્પ કરનાર અને તેમાં સહભાગીદાર થનાર વ્યક્તિઓ અને સંગઠનો વિષે થોડું જાણીએ.
કિશોરભાઈ અને તેમના પત્ની શ્રીમતી વાસંતીબહેને ખાદી કામ્યુનિટી ઇન્ટરેસ્ટ કંપનીની સ્થાપના કરી. કિશોરભાઈ શાહનો જન્મ કેનિયામાં. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મળતાં વધુ અભ્યાસાર્થે પ્રયાણ કર્યું અને અર્થશાસ્ત્રમાં ઉપાધિ મેળવી. વિયેટનામની લડાઈમાં અમેરિકાએ લીધેલ અગ્રભાગ માટે વિરોધ નોંધાવવામાં કિશોરભાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી. અહીં તેમના જીવનનું સુકાન બદલાયું. પોતાના ભારતીય મૂળ અને જૈન સંસ્કારો વિષે સમજ પૂર્વકનો આદર ભાવ કેળવાયો અને તેમનાં પગલાં વળ્યાં ભારત ભણી. એકાદ વર્ષ રહેવાની ગણતરી હતી. ઇન્દોર પહોંચતાં વિનોબાજી અને સર્વોદય ચળવળ વિષે જાણ થઇ. ગ્રામસ્વરાજ્યનો વિચાર આકર્ષક લાગ્યો કેમ કે અમેરિકાના વિદ્યાર્થીઓએ લોકશાહીમાં ભાગીદારી કરવા પ્રયાસો કરેલા તેની સાથે અને એ ચળવળના આધ્યાત્મિક રૂપ સાથે ગ્રામસ્વરાજ્યના વિચારનો સૂર મળતો હતો. ચાર વર્ષ સુધી ઇન્દોર અને બિહારમાં ગ્રામસ્વરાજ્યને સંલગ્ન હોય તેવા કાર્યો કર્યાં.
કિશોરભાઈએ ત્યાર બાદનાં વર્ષોમાં સામાજિક પરિવર્તન લાવવા એક કર્મશીલ, એક સંવાદદાતા, બિનસરકારી સંગઠનના સંયોજક, એક સંશોધન કરનાર અને વિવિધ એઇડ એજન્સીઓના સલાહકાર તરીકે કાર્યભાર સંભાળ્યો. સાથે જ નૈતિક મૂલ્યો આધારિત વિકાસ, સ્થાનિક સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકો અને કુદરતી સંસાધનોના ઉપયોગ જેવા વિચારો પરની શ્રદ્ધાએ તેમણે ખાદી કામ્યુનિટી ઇન્ટરેસ્ટ કંપની(યુ.કે)ને આકાર આપ્યો. 1968 દરમ્યાન મળેલ ગાંધી વિચારના સંસર્ગથી ખાદી ઉત્પાદનને લગતા મુદ્દાઓ પર વિશેષ વિચાર ને કાર્ય કરવાની કિશોરભાઈની ઈચ્છાના પરિણામે એક કરતાં વધુ સંગઠનોના સહકારી પ્રયાસો થકી આજ લંડનમાં ખાદીનો પ્રસાર કરવાના ચક્રો ગતિમાન થયાં છે, તે સૂચવે છે કે સજીવ કપાસના બીજ ગુજરાત – ભારતથી સફર કરતાં કરતાં છેક યુનાઇટેડ કિંગ્ડમમાં ફલિત થઇ રહ્યાં છે. કિશોરભાઈ શાહના શબ્દો આ સંગઠનના હેતુ વિષે ટૂંકમાં ઘણું કહી જાય છે, “મારા મતે ખાદી કામ્યુનિટી ઇન્ટરેસ્ટ કંપની એ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને આધુનિક બ્રિટનના વિચાર માળખામાં અને જીવનમાં અમલમાં મુકવા માટેનો એક પ્રયાસ છે.”
ભારત અને તેના જેવા બીજા પૂર્વ તથા ભૂમધ્ય પ્રદેશના દેશો ગૌરવ સાથે દાવો માંડી શકે કે તેમના પૂર્વજો ઓઢવા-પાથરવાનાં કાપડથી માંડીને ફર્નિચર માટે બનાવાતાં મજબૂત આવરણોનું ઉત્પાદન કરતા, સાથે સાથે રોજિંદા વપરાશ માટેનાં કપડાં, રેશમી પોશાકો અને થિયેટર કે ચલચિત્રોમાં કામ આવે તેવા પોશાકો બનાવવામાં પણ અત્યંત કુશળ હતા. આ કુશળતા કદાચ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં વધુ પ્રમાણમાં અસ્તિત્વમાં હતી. એક સમયે હાથે કાંતેલાં અને વણેલાં કાપડની પ્રતિષ્ઠા સ્વાતંત્ર્ય સંગ્રામ જોડે સંકળાયેલી હતી, જે આઝાદી મળતાની સાથે કાપડ મિલના ભૂંગળાઓના ધુમાડાઓમાં મહદ્દ અંશે આકાશમાં અદ્રશ્ય થવા લાગેલી. પરંતુ કહે છે ને કે સાચને આંચ નથી આવતી. ખાદી – એક વિચારસરણી અને જીવન પદ્ધતિ તરીકે જીવિત રહી, પ્રસરી અને વિકાસ પામતી રહી. આજે ભારતમાં ખાદીનું ઉત્પાદન લાખો લોકોને રોજી-રોટી પૂરી પાડે છે એ કેટલાને માલુમ હશે? એ ઉદ્યોગમાં જોડાયેલામાંથી 80% મહિલાઓ અને તે પણ ઓછી આવક ધરાવનાર સમૂહોમાંથી આવે છે. સૂર્ય ઉર્જાનો ઉપયોગ અને રોજગારી તથા માનવ અધિકારોના ચુસ્ત નિયમો આવતાની સાથે એ કારીગરોની આવક અને કામ કરવાની સ્થિતમાં ઘણો સુધારો થતો રહ્યો છે.
આજે પર્યાવરણને દૂષિત થતું અટકાવવા અને ગરીબ-તવંગરો વચ્ચેની ખાઈ ઘટાડવા ખાદીને લોકો પર્યાવરણની જાળવણી કરનાર અને નૈતિક મૂલ્યો પર આધારિત ઉદ્યોગ તરીકે સ્વીકારવા લાગ્યા છે. ભારતની આઝાદીની લડતના પ્રતીક તરીકે ખાદી જેટલી પંકાયેલી તેટલી હવે આધુનિક પોષાક તરીકે પણ માન્યતા મેળવતી થઇ છે. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ફેશન ડિઝાઈનર્સને ખાદી લંડન નામનું સંગઠન ભારતના અલગ અલગ વિસ્તારોમાં સમાજ પુનરુત્થાન અર્થે ખાદી ઉત્પાદનનું કામ કરતી સંસ્થાઓ પાસેથી યોગ્ય પ્રકારનું કાપડ પૂરું પાડે છે. આ મધ્યસ્થી કરવાનો હેતુ ધંધાદારી બનીને નફો કરવાનો ન હોઈ ખાદીને વિશ્વના વધુ ને વધુ દેશોમાં પ્રચલિત કરવાનો છે. કંપનીનો ત્રીજા ભાગનો નફો એ કારીગરો માટેની વિકાસ યોજનાઓમાં અપાય છે.
ભારતની સરકાર કાંતનારા અને વણકરોને નિયમાનુસાર વળતર મળે એ નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખે છે. ખાદી લંડન હવે એ નિયમ કપાસ ઉગાડનારા, ખેત મજૂરો, દરજી અને કાપડ ઉદ્યોગની સાંકળમાં પરોવાયેલા બધા કારીગરોને લાગુ પાડવાની કોશિશ કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પ્રજાના નૈતિક અને સામાજિક જીવનમાં પ્રગતિનો પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરનારા અને પર્યાવરણ માટે નિસ્બત ધરાવનારાઓ સામાજિક-આર્થિક ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવાના હેતુથી ખાદીને એક માત્ર કાપડ નહિ પરંતુ એક ચળવળ તરીકે સ્વીકારતા થયા છે. આ મહાયજ્ઞમાં સાથ આપનારી ભારત સ્થિત સંસ્થાઓ ગ્રામ સ્વરાજ મંડળ – ગોપુરી અને સાબરમતી યુનિટના ખાદી એકમો તો વર્ષોથી સમિધ ઉમેરી રહ્યા છે. તે ઉપરાંત શાલિની બહેન ‘મોરલ ફાઈબર ફેબ્રિક્સ’ દ્વારા ગુજરાતથી શરૂ કરીને દુનિયાના 22 દેશોમાં ખાદીની પેદાશોનો નિકાસ કરે છે. તો વળી યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત કેટલીક યુવા શક્તિ આ કાર્યમાં જોડાઈ તેની યાદી જોઈએ.
હેન્રીએટા, જેનો મંત્ર છે, સજીવ પેદાશોનો ઉપયોગ કરવો, લંડનવાસી કુશળ કારીગરોને સહાય કરવી અને ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે કાપડનું ઉત્પાદન કરવું. તેમણે ‘Know your fabric’ નામે એક ડિઝાઈનર શો રૂમ ખોલ્યો છે. પ્રોજેક્ટ પીકો(PICO)નો ઇતિહાસ પણ જાણવા યોગ્ય. ફીબી અને ઇસોબેલ નામની યુવતીઓએ સોશ્યલ અને ક્લચરલ હિસ્ટ્રી અને સિલાઈમાં અનુક્રમે અભ્યાસ પૂરો કર્યા બાદ સ્ત્રી અને પુરુષ માટેના અન્ડરવેર બનાવવા માટે સજીવ કપાસથી માંડીને બધી પ્રક્રિયાઓ જોવાનો જાત અનુભવ લેવા ભારતનો પ્રવાસ ખેડ્યો. ગાંધી, ગ્લોબલાઇઝેશન એન્ડ ગ્રોસ હેપીનેસ વિશેના દસ દિવસના શિબિરમાં હાજરી આપ્યા બાદ તેમને ગાંધી વિચાર આટલા દાયકાઓ બાદ પણ કેવી રીતે પુન: જાગૃત થઇ રહ્યો છે તે અનુભવવા મળ્યું. ગોપુરી ખાદી યુનિટમાં કપાસથી કાપડ સુધીની ઉત્પાદન યાત્રાથી સ્થાનિક લોકોના મશીન અને ઉદ્યમને બચાવીને તેમને આર્થિક ટેકો આપવાથી રોજગારીની તકો મળે છે તે જાતે જોયું. પરિણામ? ગાંધી અને ખાદી એ તેમના કાર્યનું કેન્દ્ર બન્યું અને તે દિશામાં આ બંને યુવતીઓ આગળ કામ કરે છે.
ખાદી લંડનના બીજા જોડીદાર, તે યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત Jo દ્વારા સંચાલિત Where Does It Come From સંગઠન અને તેના ભારત મધ્યેના ભાગીદાર મોરલ ફાઇબર્સ. તેઓ બંને સાથે મળીને કપાસની પેદાશથી શરૂ કરીને કાંતણ, વણાટ, છાપકામ અને કાપડ બનાવવાની તમામ પ્રક્રિયાઓ માત્ર 100 માઈલની ત્રિજ્યાના પરિસરમાં થાય તે માટે સતત કાર્યશીલ રહે છે. અહીં ગાંધીજીના સ્થાનિક પરિસરમાં ઊગતા કાચા માલ દ્વારા ગ્રામોદ્યોગને જીવિત રાખવાની જ નેમ છે.
એક ત્રીજી શક્તિ આ ખાદી અને હસ્તોદ્યોગના યજ્ઞમાં જોડાઈ તે છે ફ્રી વીવર સાઓરી સ્ટુડિયો (Freewearver Saori Studio). એર્ના જનીન 2017ની સાલથી લંડનમાં જાપાનીસ પદ્ધતિથી હાથ વણાટનો સ્ટુડિયો ચલાવે છે. જન્મે ડચ, બે દયાકા સુધી આઈસલૅન્ડમાં પારંપરિક હસ્તકલાનો અભ્યાસ કરી ચુકેલી આ યુવતી જપાનમાં સાઓરી વણાટ શીખવા પહોંચી ગઈ અને હવે ખાદીના ઉત્પાદનમાં ઊંડો રસ ધરાવતી હોવાથી પોતાના વણાટકામના વર્કશોપ કરવા ઉપરાંત હાથ કાંતણ સાથે અનેક પ્રદર્શન અને વર્કશોપ કરી રહ્યાં છે.
સો એક વર્ષ પહેલાં ગાંધીજીએ ખાદીને પુનર્જીવિત કરી અને ત્યારે એ સાદગી, આઝાદી અને શાંતિનું પ્રતીક ગણાવા લાગી. પરંતુ એ કહાની અહીં ખતમ નથી થતી. આજે અતિઆધુનિક ટેક્નોલોજીના જમાનામાં ખાદી હવે નવા સંદર્ભો લઈને પુન: પ્રવેશ પામી રહી છે. તેને નીતિમત્તા અને પર્યાવરણના રખેવાળ તરીકે જોવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે ધીરે પગલે કાપડ ઉદ્યોગમાં સ્વાયત્તતાનો વિચાર ફરી વેગ પકડી રહ્યો છે. ખાદી સામાજિક અને આર્થિક વિકાસની તરાહમાં પોતાનું યોગ્ય સ્થાન મેળવવા લાગી છે. સૂર્ય ઉર્જાથી ચાલતા ચરખા અને વણાટની શાળોના પ્રયોગો સફળતાને વરવા લાગ્યા છે. સજીવ ખાદી એ આજનું નવું સૂત્ર બની રહ્યું છે. જો કે તેની ખરી કસોટી દુનિયાના ખૂણે ખૂણે ખાદી કેન્દ્રો શરૂ થાય અને એ સાદગીનું પ્રતીક બની રહે તેમાં છે.
ગાંધી 150ના સંદર્ભમાં જોઈએ તો એ હકીકત જાણીને આનંદ થાય કે યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત ખાદી કમ્યુનિટી ઇંટ્રેસ્ટ કંપની, મોરલ ફાઈબર ફેબ્રિક્સ, વ્હેર ડઝ ઈટ કમ ફ્રોમ? એક્શન વિલેજ ઇન્ડિયા અને ફ્રેશ આઈઝ : પીપલ ટુ પીપલ ટ્રાવેલ આ સમાન વિચારો અને મૂલ્યો ધરાવતા પાંચ સંગઠનો યુનાઇટેડ કિંગ્ડમમાં ખાદી ઇનિશિએટિવના શ્રી ગણેશ કરવામાં સફળ થયા છે.
તેઓ સહુ સાથે મળીને ફેશન અને તેને લગતા ઉદ્યોગો સમાજમાં પરિવર્તન લાવવા માટે એક સબળ સાધન બની રહે તે માટે સક્રિય પગલાં ભરે છે. કાંતણ અને વણાટના વર્કશોપ કરવાથી લોકો પોતે હાથે કાંતીને અને હાથ વણાટનું જ કાપડ પહેરવાનું શરૂ નહીં કરે તે સ્વીકાર્ય છે. આ બધા સંગઠનોનો હેતુ છે, લોકો પોતાના વસ્ત્રોની ખરીદી અને ઉપયોગ કરતી વખતે એ ક્યાં બનેલું છે, શાનાથી અને કેવી રીતે બન્યું છે, કારીગરોને પૂરતી રોજી આપવામાં આવે છે કે નહીં તે વિષે વિચારતા થાય.
જ્યારે ઉપરોક્ત સંગઠનોનો કાર્યભાર સંભાળતા કર્મશીલો, પ્રદર્શનો જોવા આવનારાઓ, વાર્તાલાપોના શ્રોતાઓ અને રેંટિયો શીખવા આવનારાઓના પરિચયમાં આવવાનું થયું ત્યારે પ્રતીત થયું કે ખાદી એક વસ્ત્ર જ માત્ર નહીં, એક વિચારધારા અને જીવન પદ્ધતિ છે એમ મનાય છે એ સાચું જ છે. અને એટલે જ તો કદાચ ભારતથી યોજનો દૂર અલગ અલગ કાર્યક્ષેત્રમાંથી આવેલ યુવાનો-યુવતીઓ ખાદી વિચારનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. તેમાં યતકિંચિત ફાળો આપીને ધન્યતા અનુભવું છું.
e.mail : 71abuch@gmail.com