નવી સરકારનું બદલાયેલું વલણ આવકાર્ય છે. ડૉ. અરવિંદ સુબ્રમણ્યન્ નરેન્દ્રમોદીની સરકારમાં કેટલોક વખત આર્થિક સલાહકાર હતા. તેમની નિમણૂક નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪ના ઑક્ટોબરમાં ત્રણ વરસ માટે કરી હતી. ૨૦૧૭માં તેમની મુદ્દત પૂરી થયે મુદ્દત વધારી આપવામાં આવી હતી, પરંતુ તેઓ મુદ્દત પૂરી થાય એ પહેલાં ભારત સરકારના આર્થિક સલાહકારના પદેથી રાજીનામું આપીને અમેરિકન યુનિવર્સિટીમાં ભણાવવા જતા રહ્યા હતા. ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીની સરકાર એક અનોખો વિક્રમ ધરાવે છે. આર્થિક બાબતે મેનેજમેન્ટ કે સલાહ આપવાનું કામ કરતા અને જાગતિક ખ્યાતિ ધરાવતા છ છ ચાવીરૂપ માણસો મુદ્દત પૂરી કર્યા વિના જતા રહ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન મુદ્દત પૂરી થયે જતા રહ્યા હતા. તેઓ વધુ સમય રહેવા માગતા હતા, પરંતુ તેમની પાછળ શ્વાન છોડીને તેમને જતા રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા.
આ બધો નજીકનો ઇતિહાસ છે ત્યારે કેન્દ્ર સરકારનું બદલાયેલું વલણ સુખદ સમાધાન પેદા કરનારું છે. ડૉ. અરવિંદ સુબ્રમણ્યને્ હાર્વર્ડ યુનિવર્સિટીના જર્નલ માટે એક લાંબો લેખ લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ભારતના વિકાસદર વિષે ભારત સરકાર સાત ટકા જી.ડી.પી.ના દાવાઓ કરે છે એ ખોટા છે, ૨૦૧૧થી ૨૦૧૬નાં વર્ષો દરમ્યાન ભારતનો વિકાસદર જી.ડી.પી.ના સાડા ચાર ટકા જેટલો જ રહ્યો છે. સરકારને માફક ન આવે એવા તેમના કથન વિષે પ્રતિક્રિયા આપતા ભારત સરકારના નાણા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે સરકાર આનો અભ્યાસપૂર્ણ પ્રતિવાદ કરશે. જે સુખદ સમાધાન થઈ રહ્યું છે તે આ વાતે.
અર્ણવ ગોસ્વામીઓ અને શ્વાનો છોડી મૂકવાની જગ્યાએ સરકારે કહ્યું છે કે તે અભ્યાસપૂર્ણ પ્રતિવાદ કરશે. માત્ર ડૉ. સુબ્રમણ્યન્ શા માટે? આ ધરતી પર જેટલા પ્રશ્નો છે તેમાં અભ્યાસપૂર્ણ પ્રતિવાદ થઈ શકે છે. થવો જોઈએ અને તેનું નામ જ સભ્યતા છે. સરકારે અરવિંદ સુબ્રમણ્યન્ પાછળ અર્નવો અને શ્વાન છૂટા નહીં મુક્યા એનું એક કારણ કદાચ અરવિંદ સુબ્રમણ્યને્ ગણતરીમાં લીધેલાં વરસો હોઈ શકે છે. તેમણે ૨૦૧૧થી ૨૦૧૬ સુધીનાં છ વરસના ભારતના અર્થતંત્રનો અભ્યાસ કર્યો છે જેમાં પહેલાં ત્રણ વસર યુ.પી.એ. સરકારનાં છે.
મૂળભૂત સમસ્યા જી.ડી.પી. નિર્ધારિત કરવાના માપદંડોની છે. કોઈ પડકારી ન શકે એવા શાસ્ત્રશુદ્ધ માપદંડ જી.ડી.પી. નક્કી કરવા માટેના નથી. જે માપદંડો છે એ એક તો કાચા છે અને ઉપરથી તેની સાથે ઘાલમેલ કરી શકાય છે. નરેન્દ્ર મોદીની સરકારે માપદંડો બદલીને આગલી યુ.પી.એ. સરકારનો જી.ડી.પી. ઘટાડી નાખ્યો હતો. એ પછી વળી પાછા માપદંડો બદલીને પોતાની મુદ્દતનો જી.ડી.પી. વધારી દીધો હતો. એટલું જ નહીં, એ માટે જે સો કંપનીના કામકાજનો (ઉત્પાદન, વેચાણ, નિકાસ, રોજગારી, નફો વગેરે) સેમ્પલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી ત્રીજા ભાગની કંપનીઓ અસ્તિત્વ જ નહોતી ધરાવતી.
એ સમયે કેટલાક અર્થશાસ્ત્રીઓએ ભારત સરકારને ચેતવણી આપી હતી કે એક તો જી.ડી.પી. માપવાના માપદંડો જ અસંદિગ્ધ નથી અને તેમાં જો તેની સાથે ઘાલમેલ કરવામાં આવશે તો દેશને આર્થિક લાભ થવાની જગ્યાએ નુકસાન થશે. આધેડ વયની સ્ત્રી ૪૦ની જગ્યાએ ૩૫ વરસની આસપાસની નજરે પડે અથવા ૪૨ કે ૪૫ વરસની આસપાસની નજરે પડે ત્યાં સુધી ઠીક છે, પરંતુ તેને વીસની બતાવવામાં આવે તો વિશ્વાસાર્હતાના પ્રશ્નો પેદા થાય છે.
વિશ્વદેશો, જાગતિક નાણાસંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ, જાગતિક રોકાણકારો, જે તે દેશોની સેન્ટ્રલ બેંકો (રિઝર્વ બેંકો) વગેરે ભલે ખામીગ્રસ્ત પણ વિશ્વાસાર્હ્ય જી.ડી.પી. પર ભરોસો મૂકીને નિર્ણયો લે છે. જી.ડી.પી.ના આધારે કોર્પોરેટ અને વ્યક્તિગત રોકાણ અને બેન્કોના તેમ જ શરાફી વ્યાજના દર નક્કી થતાં હોય છે. એમાંથી રોજગારી અને સુખાકારી પેદા થતી હોય છે. આમ જી.ડી.પી.ના માપદંડ ખામીગ્રસ્ત ભલે હોય, પણ ભરોસાપાત્ર હોવા જોઈએ. જો તેની સાથે ઘાલમેલ કરવામાં આવે તો ભરોસાનો સવાલ પેદા થાય જેમાં સરવાળે નુકસાન થાય. ચાલીસ વરસની સ્ત્રી વીસ વરસની કન્યા જેવી તો ન જ દેખાય એ સમજવા માટે નિષ્ણાતોની જરૂર નથી પડતી. કલ્પના કરી જુઓ, ખોટા જી.ડી.પી.ના આધારે ખોટા વ્યાજના દર ઠરાવાય તો અર્થતંત્રને કેટલું નુકસાન પહોંચે?
આમ તો જી.ડી.પી.ની માપણીની સમસ્યા એની જગ્યાએ, પણ જો આર્થિક વિકાસ હરણફાળ ભરતો હોય તો તે લોકોના આત્મવિશ્વાસ અને ઉલ્હાસમાં નજરે પડતો હોય છે. ૧૯૯૫-૨૦૦૮નાં વર્ષોમાં ભારતમાં પ્રજાની અંદર ઉલ્હાસ નજરે પડતો હતો. અરવિંદ સુબ્રમણ્યને્ જ એ વરસોમાં ‘ઇન્ડિયાઝ ટર્ન : અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન’ નામનું પુસ્તક લખ્યું હતું. ૨૧મી સદી એશિયાની છે, ખાસ કરીને ચીન અને ભારતની છે એમ આખું જગત કબૂલ કરતું હતું. એમાં ભારત માટે હજુ ઉજ્વળ ભવિષ્ય છે કારણ કે ચીન સામ્યવાદી રાજકારણ અને મૂડીવાદી અર્થકારણની વિસંગત ઢાંચો ધરાવે છે જે આજે ભલે ચીનને ફાયદો કરાવતો હોય, પણ લાંબા ગાળે ચીનને તે ભારે પડવાનો છે. ૧૮૦ ડિગ્રીની વિસંગતિ યુગો સુધી ચાલતી નથી.
આમ હવે ભારતનો વારો છે એવું પુસ્તક અરવિંદ સુબ્રમણ્યને્ લખ્યું હતું, પરંતુ એ પ્રકાશિત થાય એ પહેલાં લેહમન બ્રધર્સ નામની અમેરિકન કંપની કાચી પડી હતી અને ૨૦૦૮ના અંતમાં જગત આખું ખાસ કરીને અમેરિકા અને યુરોપ ઉપર મંદીએ ભરડો લીધો હતો. જગત એક દાયકાથી મંદીનો સામનો કરી રહ્યું છે અને તેમાંથી મુક્તિના કોઈ આસાર હજુ સુધી તો નજરે પડતા નથી. એ સ્થિતિમાં ચીન માટે તેનો વિરોધાભાસી ઢાંચો વધારે લાભકારી સાબિત થયો હતો એ જોઇને ડૉ. સુબ્રમણ્યને્ ૨૦૧૧માં બીજું પુસ્તક લખ્યું હતું; ‘એક્લીપ્સ : લીવીંગ ઇન ધ શેડો ઓફ ચાઈનાઝ ઇકોનોમિક ડોમિનન્સ’. જાગતિક મંદીમાં ચીન પોતે માર ખાઈ રહ્યું છે અને એમાં ચીન સામે ભારત માર ખાઈ રહ્યું છે.
૨૦૦૮ પછીથી ઉલ્હાસ અને ઉત્સાહ મંદ પડવા લાગ્યો. લોકોની અંદર હતાશા વધવા લાગી. લોકો એવા કોઈ જાદુગરની પાછળ દોડે છે જે હતાશાની અંદર આશા પેદા કરી આપે. ૨૦૧૧નું અણ્ણા આંદોલન, ૨૦૧૨નું નિર્ભયા આંદોલન, ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ઉદય વગેરે આનું પરિણામ છે. લોકો આખા જગતને બાથમાં લેવાની જગ્યાએ અને આખા જગતમાં વિહરવાની જગ્યાએ જે છે એને પકડી રાખવા માગે છે. દાયકા પહેલાં જે ભારતીય નાગરિક કોસ્મોપોલિટન ગ્લોબલ હતો એ અત્યારે દેશપ્રેમી રાષ્ટ્રવાદી બની ગયો છે. આખા જગતમાં આવી સ્થિતિ છે, ભારત આવો એકલો દેશ નથી.
ડૉ. સુબ્રમણ્યન્નાં બે પુસ્તકોનાં શિર્ષકનો ઉપયોગ કરીને કહીએ તો ઇન્ડિયાઝ ટર્ન ચાઇનીઝ એક્લીપ્સનો ભોગ બની ગયો. પ્રજા હતાશ થવા લાગી ત્યારે એક બાજુ દેશપ્રેમ તેમ જ રાષ્ટ્રવાદનાં ઈન્જેકશનો અને તેની સાથે સંદિગ્ધ જી.ડી.પી.નો વાયગ્રા તરીકે ઉપયોગ કરવાનું શરૂ થયું. કોનો વિકાસદર વધારે છે? ચીનનો કે ભારતનો? ભગવાન જાણે? ભારતનો ખરેખર વિકાસદર કેટલો છે? ભગવાન જાણે. આપણે એટલું જાણીએ છીએ કે ભારતના યુવાનો પાસે કામ નથી, ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે, નિકાસ ઘટી રહી છે, ખેડૂતો દુઃખી છે અને દેશમાં ઉલ્હાસનો અભાવ છે.
13 જૂન 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જૂન 2019