સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયની આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિજમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી
જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયે બે દિવસ પહેલાં કહ્યું હતું કે મોટા ખેડૂતોની કૃષિની આવક પર આવકવેરો લાગુ કરવો જોઈએ. કેટલીક માગણીઓ વર્ષોથી કરવામાં આવે છે અને જેનો વર્ષોથી તીવ્ર વિરોધ કરવામાં આવે છે એમાંની આ એક માગણી છે. શહેરમાં વસતા લોકોને એમ લાગે છે કે સરકાર મોટા ખડૂતોને લાડ કરી રહી છે અને તેઓ વેરાથી બચી જાય છે. જો નાના શહેરી દુકાનદારને વેરો ભરવો પડતો હોય તો મોટા ખેડૂતોનો અપવાદ શા માટે?
બિબેક દેબરૉયના નિવેદન પછી હજી તો કોઈ પ્રતિક્રિયા પેદા પણ થાય એ પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો કે મોટા ખેડૂતો પર આવકવેરો લાદવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંધારણ કૃષિની આવક પર વેરો લાદવાનો કેન્દ્ર સરકારને અધિકાર નથી આપતું. બીજા દિવસે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે એ વાત સાચી છે કે બંધારણ મુજબ કેન્દ્ર સરકારને વેરો લાદવાનો અધિકાર નથી, પરંતુ રાજ્ય સરકારો ઇચ્છે તો મોટા ખેડૂતોની કૃષિની આવક પર વેરો લાદી શકે છે. તેમણે શબ્દ ચોર્યા વિના રાજ્ય સરકારોને ભલામણ કરી હતી કે તેમણે આ વિશે વિચારવું જોઈએ.
પહેલા બંધારણ ઘડનારાઓએ કેન્દ્ર સરકારને કૃષિની આવક પર વેરો લાદવાનો અધિકાર શા માટે નથી આપ્યો અને નાના શહેરી દુકાનદારમાં અને ખેડૂત (પછી તે નાનો હોય કે મોટો) એમાં શું ફરક છે એ સમજી લઈએ. આવકવેરો એ કેન્દ્ર સરકારનો અખત્યાર છે. રાજ્ય સરકારો આવકવેરો લાદી શકતી નથી. રાજ્ય સરકારોને કેન્દ્રની મહેસૂલી આવકમાંથી મજરે ભાગ મળે છે.
તો પછી કૃષિવ્યવસાય દ્વારા થતી આવકને શા માટે કેન્દ્ર સરકારના અખત્યારથી મુક્ત રાખવામાં આવી છે? નાનો દુકાનદાર મુંબઈનો હોય કે ભુવનેશ્વરનો તેની આવક તેની મહેનત અને આવડત પર નિર્ભર હોય છે. તેના વ્યવસાયને બાહ્ય પરિબળો ભાગ્યે જ પ્રભાવિત કરે છે. ખેડૂતની બાબતમાં આવું નથી. ગુજરાતનો ૧૦ એકર જમીનનો ધણી પંજાબના બે એકર જમીનના માલિક કરતાં ઓછું કમાતો હોય એ બની શકે છે. જમીનની ફળદ્રુપતા ખેતરે-ખેતરે અલગ-અલગ હોય છે. આ ઉપરાંત વરસાદ, કરા પડવા, જીવાત લાગવી, તીડનો હુમલો થવો, બિયારણમાં ખામી જેવાં અનેક પરિબળો એવાં હોય છે જેના પર ખેડૂતનો કોઈ અંકુશ નથી હોતો. આસમાની અને સુલતાની બન્ને કૃષિવ્યવસાયને પ્રભાવિત કરે છે, જ્યારે દુકાનદારને માત્ર સુલતાની પરિબળો પ્રભાવિત કરે છે. માટે કૃષિવ્યવસાયને સુલતાની (રાજ્યકીય) અંકુશોથી મુક્ત રાખવામાં આવ્યો છે. બંધારણ ઘડનારાઓએ આ જોગવાઈ ગાંધીજીના ગ્રામસ્વરાજથી પ્રેરાઈને રોમૅન્ટિક ખયાલોના ભાગરૂપે કરી નથી. બીજી બાજુ રાજ્ય સરકારોને આવકવેરાનો અધિકાર જ નથી તો પછી અરવિંદ સુબ્રમણ્યન કહે છે એમ રાજ્યો આવકવેરો કઈ રીતે લાદી શકે? તેમનું સૂચન અભ્યાસ વિનાનું છે.
મોટી સમસ્યા બીજી છે. શહેરી શ્રીમંતો આવકવેરો ભરવાથી બચવા માટે કૃષિવ્યવસાયનો દુરુપયોગ કરે છે. તેઓ બે ચીજનો દુરુપયોગ કરે છે. એક અવિભક્ત હિન્દુ પરિવાર (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી-HUF) અને બીજો ખેતી. અહીં HUF ચર્ચાનો વિષય નથી એટલે એની વાત જવા દઈએ. બીજું, એનો માત્ર હિન્દુઓ ગેરલાભ ઉઠાવે છે. આવકવેરો છુપાવવા માટે HUF કરતાં પણ વધારે ઉપયોગી સાધન ખેતી છે. શહેરીજનો તેમના ગજા મુજબ મોટી જમીન ખરીદે છે અને વ્યવસાયમાંથી થતી આવકને કૃષિની આવક તરીકે બતાવે છે અને એ રીતે આવકવેરાની ચોરી કરે છે. આ રમત આખું ગામ જાણે છે.
છીંડાંનો ઉપયોગ કરનારાઓ જાણે છે કે કૃષિની આવક પર વેરો લાદવાની બાબતે કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા છે એટલે એક રીતે તેઓ અભય વચન ધરાવે છે.
દેશને આવકવેરાનું નુકસાન થઈ રહ્યું છે તો આ છીંડાને કારણે. આ છીંડું બંધ થવું જોઈએ અને એ કઈ રીતે થઈ શકે એ મુખ્ય સવાલ છે. મોટા ખેડૂતોને ટાર્ગેટ બનાવવાની જરૂર નથી, પ્રત્યક્ષ ખેતી નહીં કરનારા, અંગ્રેજીમાં કહીએ તો ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને ટાર્ગેટ બનાવવાની જરૂર છે. ગામડાંમાં ખેડૂતના ઘરમાં ટીવી અને ફ્રિજ હોય તો એનો અર્થ એવો નથી કે તે મોટો ખેડૂત છે અને કૃષિવ્યસાયમાં ખૂબ ધન એકઠું કરે છે. જો એમ હોત તો શહેરી લોકો જમીન વેચીને શહેરમાં ન આવ્યા હોત. જે લોકો કૃષિની આવક પર કરવેરાની માગણી કરી રહ્યા છે એમાંના ઘણા પૂર્વાશ્રમના ખેડૂત છે. આમ ટાર્ગેટ શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે અને એ કઈ રીતે થઈ શકે?
આને માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ. સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયના આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. તેઓ ખેતીના વ્યવસાયમાં ખોટ બતાવે તો એ ખોટને પણ લક્ષમાં લેવામાં નહીં આવે એટલી હદે પણ કાયદો થઈ શકે છે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિની જમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી. જમીન કમાવીને આપે તો ઠીક છે, અન્યથા આવક છુપાવવા માટે તો એ કામમાં આવે જ છે. ત્રીજું, ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સ કૃષિવ્યવસાયમાંથી હટી જશે તો તેઓ બાગબાની (હૉર્ટિકલ્ચર) અને બીજી રીતે જમીન પર કબજો જાળવી રાખવા જમીન વેડફે છે એનો ઉપયોગ ધાન ઉત્પાદન કરવા માટે થઈ શકે છે.
વિચારી જુઓ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2017