ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ. પ્રકાશન – પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય પરિષદ, નદી તટે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ – 380 009.
લગભગ આઠેક જેટલા સંપાદકોમાંથી અડધાથી વધારે સંખ્યાના મિત્રો વિવિધ સામયિક-ગ્રંથ સંપાદનનો અનુભવ ધરાવતા પ્રખ્યાત નામો છે. જેમ કે પ્રકાશ ન. શાહ (નિરીક્ષક), રમણ સોની (પ્રત્યક્ષ), વિપુલ કલ્યાણી (ઓપિનિયન), યોગેશ જોષી (પરબ), વગેરે. પૃષ્ઠ સંખ્યા ૮+૫૫૪ છે. કિંમત રૂપિયા ૫૨૫=૦૦. ત્રણસો પ્રત જ આ કર્મશીલને ઓળખવા માટે ગુજરાતમાં પૂરતી છે, તેવું અનુભવ આધારે વિચાર્યું હશે !
૨૦૧૧ની ભોગીભાઈની જન્મ શતાબ્દી વેળા ભોગીભાઈના ગ્રંથોમાંથી ઉત્તમ લેખો સંચિત કરીને તેમના વિશે અન્ય અભ્યાસીના લેખો મેળવી ગ્રંથ પ્રગટ કરવા ધારેલું. અડધા દશકામાં તો લગભગ દસેક લેખ નવા મેળવી પણ લીધા. તેમાનાં પાંચેક તો પરિવારની સ્મરણાંજલિ રૂપ છે. કદાચ ૨૦૧૧નો રાજેન્દ્ર પટેલનો શતાબ્દી વંદના પ્રકારનો અને ૨૦૧૩નો લેખ ગુલામ મહમ્મદ શેખના નવાં લખાણો કહી શકાય. બાકીનામાં – ૧૯૬૯માં લખાયેલ આશરે ૪૭ પાનાંનો સુમન શાહનો લેખ ૨૦૦૬માં પ્રગટ થયેલો (લખાણો ક્યારે હશે?) પ્રકાશ ન. શાહનો લેખ. જયંત પંડ્યાનું ૧૯૯૮માં પુનઃમુદ્રિત થયેલ તે લખાણ અન્ય ૨૦૧૧ના પ્રાસંગિક કે તારીખ વગરના જૂના માનવા કારણ પ્રેરે તેવાં લખાણો અત્રે પ્રસ્તુત કરાયાં છે.
‘વિશ્વ માનવ’નો સંપાદક આ રીતે કામ કરતો હોત તો ? લેખોની ગુણવત્તા કે મહત્ત્વ ઓછા આંકવાનો પ્રયત્ન નથી, પરંતુ કોઈ સંસ્થા દ્વારા આવડી મોટી ફોજથી સાહિત્ય-સંસ્કૃિતની બોલાવતી હોય ત્યારે પુનઃવિચાર, પુનઃમૂલ્યાંકન શતાબ્દી વરસમાં ન થાય તો ક્યારે થાય ?
ભોગીલાલ ગાંધીની જિંદગીની સાલવારી પ્રમાણેનાં કાર્યો, (ભલે અંદાજે) તેમનાં લખાણોની સૂચિ, તેમના વિશેનાં લખાણોની સૂચિ (નેમ એન્ટ્રી) આ બધાનો અભાવ આઠમાંથી એકેય સંપાદકને ન નડ્યો ? ખેર, ગ્રંથમાં જે ન હોય તેની વાત ન કરાય એ પરંપરાને આત્મસાત્ કરીને જે સારું લાગ્યું તેનો ઉલ્લેખ કરીએ.
પ્રથમ તો ખુદ ભોગીલાલ ગાંધીનાં લખાણો આશરે ૪૦૬ પાના સુધી મળે છે. ગાંધી, માર્ક્સ, હર્બટરીડ, તોલ્સતોય, શરદબાબુ વગેરે વિશે ભોગીલાલ ગાંધીની વિચારણા ઉપલબ્ધ થાય છે. પરિષદને આ કામ બદલ અભિનંદન.
આપણે ત્યાં આજકાલ માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન કે ગુજરાતી વિવેચન સાહિત્યમાં માર્ક્સવાદની અસર ઝીલતી પ્રવૃત્તિ ઓછી દેખાય છે. તે વલણ ભોગીલાલ ગાંધીમાં કઈ પ્રગતિશીલ રીતે પ્રગટ થતું રહેલું એ પ્રગટ કર્યું છે. સાથોસાથ ભોગીલાલ ગાંધીનું લખાણ ભક્તિ પ્રણાલીની અવિરત ધારા પણ અપાયું છે. આમ વિવિધ પાસાં વ્યક્તિનો આંતરવિરોધ નથી દર્શાવતા પણ વ્યક્તિત્વની અખિલાઈ માટેના પૂરક પાસાં દર્શાવે છે.
બીજા વિભાગમાં ભોગીલાલ ગાંધી અને એમનાં પુસ્તકો વિશેનાં લખાણો દ્વારા તેમની કલા અને વિદ્યા-પ્રીતિ દર્શાવી છે.
રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર પટેલ, ડંકેશ ઓઝા, યોગેશ જોષી, હરિકૃષ્ણ પાઠક, જયંત પંડ્યા વગેરે પરિષદના આંગણમાંથી જ પ્રાપ્ત થતા લખનારા હોય તેનો રાજીપો સર્વને હોય જ. પણ આ નિમિત્તે કેટલાક મુદ્દા નવા સંદર્ભમાં ચર્ચી શકાત. દા.ત. કોઈ વિચારધારા-આદર્શને વરેલ કર્મશીલનું તેનું વૈચારિક સંગઠન દા.ત. આર.એસ.એસ., સામ્યવાદીપક્ષ, ધર્મ-સંપ્રદાય કઈ રીતે શોષણ સામગ્રીમાં તબદીલ કરે છે ? વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાનો ખપ જે-તે સંગઠન માટે પૂરો થાય ત્યારે સામાજિક સલામતી માટે તેમના અંગે શું વિચારે છે ? વિચારધારા બદલાઈ તો રુચિ પ્રમાણે કામ કરવાની તક જે-તે પૂર્વ સંગઠન તેની સારપમાં વિશ્વાસ રાખીને સુવિધા આપશે ? ભોગીલાલ ગાંધીના સમાન કેટલા ય કર્મશીલોએ ગુજરાતી પ્રજાના ઘડતર માટે કામ કર્યું છે. તેવી વ્યક્તિ અંગે સમૂહ (સંગઠન) કઈ રીતે વર્તે છે ? અન્ય ક્ષેત્રના કર્મશીલો સ્વાન્ત સુખાય કે સેવા ભાવનાથી અથવા બહેતર સમાજ રચના માટે કામ કરે તો તેમની માત્ર ફરજ કે તેમના પક્ષનો હરખ માનતા સમાજની ચર્ચા અંગે આવા ગ્રંથમાં સ્થાન હોય કે ન હોય તે સંપાદકોની પસંદગીનો મામલો છે. પણ આવા ઘણા મુદ્દા ભોગીલાલ ગાંધી શતાબ્દીગ્રંથ નિમિત્તે ચર્ચવાની તક હતી.
ત્રીજા વિભાગમાં સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, દશરથ ગાંધી, વીરેન્દ્ર ગાંધી, કમલેશ ગાંધી, કૃષ્ણવદન હ. ગાંધી, નંદિની ગાંધી, અમિતાભ ગાંધીનાં લખાણોમાં કુટુંબગત ભોગીલાલ ગાંધી સંકળાયેલા પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેમના દાર્શનિક-વ્યવહારિક વલણો પણ પ્રગટ થાય છે. અહીં બિનજરૂરી પ્રશંસા ટાળી વ્યક્તિની મહત્તા ઉપસાવવામાં આ લખાણો ઉપકારક છે. ભલે પાંચ વરસ મોડું આ પુસ્તક આવ્યું પણ યોગ્ય વ્યક્તિ અંગેનું તેમનાં લખાણોનું પ્રતિનિધિત્વ ધરાવતું આ પુસ્તક આવકારદાયક છે. ભોગીલાલ જેવા કર્મશીલથી ગુજરાત ગુણવંતી અને રળિયાત છે.
(ગુજરાતીના નિવૃત્ત પ્રોફેસર, ઉપલેટા)
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક : 110; વર્ષ : 11; જાન્યુઆરી 2017; પૃ. 16- 17