વિકલાંગતાના પ્રકાર સાતથી વધારીને એકવીસ કરવામાં આવ્યા છે, પણ તેમના અસરકારક અમલનો પ્રશ્ન ઊભો છે
સંસદના હંગામેદાર શિયાળુ સત્રની મહત્ત્વની લબ્ધિ 2014નું વિકલાંગ અધિકાર બિલ પસાર થવું તે છે. આર.પી.ડી. કહેતાં ‘રાઇટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ’ બિલ 2014 પર હવે તો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને વિકલાંગોના અધિકારો સ્થાપિત કરતો કાયદો અમલી બન્યો છે.
1995ના દાંત-નહોર વગરના વિકલાંગ ધારાના સ્થાને આ જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગોના અધિકારોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. 1995ના કાયદામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. જ્યારે હાલના કાનૂનમાં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી છે. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક–સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી છે.
જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક, અવસર અને માનવીય ગરિમા મળે, તે તો આ કાયદાનો ઉદ્દેશ છે જ, પરંતુ જે વ્યક્તિ 40 ટકા વિકલાંગતા ધરાવતી હોય તેને શિક્ષણ અને રોજગારમાં 4 ટકા અનામત આપવાની જોગવાઈ છે. વિકલાંગો માટે જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનનિર્માણની જોગવાઈ છે. વિકલાંગો સાથે ભેદભાવ આચરનારને જેલથી દંડ સુધીની સજા, સમાજ સુરક્ષાની અનેક યોજનાઓના લાભની બાંહેધરી ઉપરાંત મહિલા અને બાળકો માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.
લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા કહેવાતા જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતો મોટો ઉપેક્ષિત માનવસમૂહ દેશમાં છે. તેની ઓળખ બદલાતી રહે છે, પણ સ્થિતિ ઝાઝી બદલાતી નથી. પહેલાં તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, તો વડાપ્રધાને તેમને દિવ્યાંગ કીધા. માધ્યમોએ દિવ્યાંગ નામ જાણીતું કર્યું, પણ નવા કાયદામાં આ ઓળખ નથી! જેવાં ગુજરાતી કે પ્રાદેશિક તેમ અંગ્રેજી ભાષામાં પણ તેમના નામ-ઓળખ બદલાતાં રહ્યાં છે. હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જ્ડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેિશયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે.
દેશમાં વિકલાંગો કે દિવ્યાંગોની કેવી હાલત છે અને સમાન તક અને અવસર તેમના માટે કેવા જોજનો દૂર છે તે 2010માં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં 60 ટકા વિકલાંગતા છતાં ઉત્તીર્ણ થયેલા ઇરા સિંઘલને નિમણૂક ન મળી ત્યારે ઉજાગર થયું હતું. કુલ ઉમેદવારોમાંથી 0.30 ટકા જ ઉત્તીર્ણ થાય છે તેવી સિવિલ સર્વિસ એક્ઝામ તે વરસે નવ વિકલાંગોએ પાસ કરી, પણ તેમની વિકલાંગતા તેમની નિમણૂકમાં આડે આવી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ અને તત્કાલીન વડાપ્રધાન સમક્ષ ધા નાખ્યા બાદ જ નવમાંથી સાતને નિમણૂક મળી હતી.
યાદ રહે કે અથાક મહેનત અને બુલંદ લગનથી ઇરા સિંઘલ 2014માં યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં. જો દેશની સર્વોચ્ચ નોકરીમાં વિકલાંગોની આ હાલત હોય તો સામાન્ય નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ હશે? હજુ પણ દેશના ઘણાં રાજ્યોના પંચાયત કાયદાઓમાં અમુક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો પંચાયતના સભ્ય ન થઈ શકે તેવી જોગવાઈ છે. આવું ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારમાં પણ છે. તેના પરથી વિકલાંગોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાય માટે લડવાનું બાકી છે તે સમજાય છે.
આરંભે વિકલાંગ ધારો પસાર થઈ શક્યો તેને સંસદના શિયાળુ સત્રની મોટી ઉપલબ્ધિ ગણાવી, તેમાં પણ અર્ધસત્ય છે. આઝાદીના લગભગ પાંચ દાયકા પછી દેશના નીતિનિર્ધારકોનું ધ્યાન વિકલાંગોની સ્થિતિ તરફ ગયું હતું અને છેક 1995માં વિકલાંગ ધારો આવ્યો. તેની નબળી જોગવાઈઓ અને અમલમાં અખાડાને લીધે જ હવે તેના સ્થાને નવો કાનૂન લાવવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના સંયુક્ત સંમેલને 13મી ડિસેમ્બર, 2006માં વિકલાંગોના અધિકારો માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
ભારતે 1લી ઓકટોબર, 2007માં તેનું અનુમોદન કર્યું હતું. હાલના વિકલાંગ અધિકાર ધારાનાં મૂળ અહીં રહેલાં છે. ભારત સરકારે 2010માં વર્તમાન આર.પી.ડી. વિધેયક તૈયાર કરવા માટે સુધા કૌલ સમિતિની રચના કરી હતી. સમિતિએ 2011માં તેનો અહેવાલ સરકારને આપ્યો. 7મી ફેબ્રુઆરી, 2014માં યુ.પી.એ.-2 સરકારે હાલનું બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાર્લામેન્ટરી સ્ટેિન્ડગ કમિટીને આ બિલ સોંપવામાં આવ્યું હતું. સમિતિની બેઠકો અને અનેક સુધારાઓ પછી તે લાંબા સમયથી સંસદની મંજૂરીની રાહ જોતું અટક્યું હતું. આખરે 2016ની 14મી ડિસેમ્બરે રાજ્યસભાએ અને 16મી ડિસેમ્બરે લોકસભાએ તે પસાર કર્યુ હતું. એ રીતે કાયદો ઘણા વિલંબથી આવ્યો છે.
દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થયેલો વિકલાંગ અધિકાર ધારો સર્વાંગસંપૂર્ણ તો નથી જ. 2011ની વસ્તી ગણતરી મુજબ 1995ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની વસ્તી દેશમાં 2.68 કરોડ (ગુજરાતમાં 10.92 લાખ) હતી. નવા કાયદામાં વિકલાંગતાના પ્રકારો ત્રણ ગણા વધારીને 21 કરવામાં આવ્યા છે તે સ્વાગતાર્હ છે, પરંતુ તેને કારણે વિકલાંગોની વસ્તીમાં જે વધારો થવાનો છે તે મુજબની જોગવાઈઓ આ કાયદામાં નથી. 1995ના ધારામાં વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારમાં 3 ટકા અનામતની જોગવાઈ હતી.
આરંભના બિલમાં 5 ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ સરકારે માત્ર એક ટકો જ અનામત વધારીને 4 ટકા કરી છે. વિકલાંગોની કેટેગરીમાં ત્રણ ગણો અને અનામતમાં માત્ર એક જ ટકાનો વધારો ન્યાયસંગત નથી. શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત પર્યાપ્ત નથી. ખુદ સરકારે તેના એક અહેવાલમાં કબૂલ્યું છેકે 2011ની વસ્તી ગણતરી મુજબના 2.68 કરોડ વિકલાંગોમાંથી તે 49.5 ટકાને જ શોધી શકી છે અને તબીબી પ્રમાણપત્ર આપી શકી છે. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટીસ’ના સર્વે અનુસાર 58 ટકા વિકલાંગ દલિત આદિવાસી બાળકો શાળાનું પગથિયું ચડ્યાં નથી. જાહેર સંસ્થાઓનાં મકાનો વિકલાંગોના ઉપયોગ માટે સરળ બને તેવી સુવિધાઓનો દેશમાં મોટો અભાવ છે. લાખો એ.ટી.એમ.ને વિકલાંગોના ઉપયોગલાયક બનાવવાનો પડકાર ઊભો જ છે.
જુલાઈ 2016માં આધુનિક ગણાતા જાપાનમાં એક ક્રૂર ઘટના બની હતી. પાટનગર ટોકિયો નજીકના એક વિકલાંગ ગૃહ પર 26 વર્ષીય યુવકેે હુમલો કરી, 19 વિકલાંગોને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા. આ યુવાન કોઈ હત્યારો નહોતો, પણ વિકલાંગોને મારી નાખવા જોઈએ તેવું માનનારો હતો. આ માટે તેણે જાપાનની સંસદને પણ પત્રો લખ્યા હતા. વિકલાંગોની હત્યા એ જેમ તેમની મુક્તિનો માર્ગ નથી, તેમ કોરી સહાનુભૂતિ કે દયા પણ માર્ગ નથી. વિકલાંગો પણ નાગરિક તરીકે સમતા, ન્યાય, અને ભાગીદારીના હકદાર છે. તે દિશાના નક્કર પ્રયાસો જરૂરી છે.
સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 12 જાન્યુઆરી 2017