તપસ્વીઓ સામસામા મળે ત્યારે પૂછે, नमो नम: | किं वर्धते तप: | આવા વધી રહેલાં તપયુક્ત તપસ્વીનું નામાભિધાન 'તાપોવૃધ' થાય. વિદ્વદ્દવર્યને 'જ્ઞાનવૃદ્ધ' કહીએ. જીવનના સંઘર્ષો અને અવરોધોનો સામનો કરીને પક્વ થયેલા, અનુભવ અને જ્ઞાનસહિત વયના સોપાનો વટાવી ગયા તે ‘વયોવૃદ્ધ’! પર્યાય રૂપે ‘અનુભવવૃદ્ધ’ પણ કહી શકીએ. વયની સમાંતર અનુભવની વૃદ્ધિ થતી જ રહે છે. વ્યક્તિએ વ્યક્તિએ પોતાના અનુભવનો અંગત ખજાનો સ્મૃતિમંજૂષામાં સંગોપાઈને પડ્યો હોય છે. નિત્ય નવીન રંગપૂર્તિથી અનુપમ સ્વરૂપ ધારણ કરતી ઢળતા સૂરજની સંધ્યા સમાન વૃદ્ધોની વયની, અનુભવસમૃદ્ધિની રંગોળીની-સાંધ્યતેજની વાત કરવી છે.
સંસાર સાગરના નાનાવિધ તરંગો, ભરતી અને ઓટ જેવા પ્રસંગોની ભરમારમાં વહેતા રહ્યા. આડે અવરોધોને અતિક્રમીને કે ક્યારેક તેને આધીન થઈને, સુખદુખ, આનંદ-વિષાદનાં દ્વંદ્વને અનુભવતાં અનુભવતાં કિનારાની સમીપની સ્થિતિએ તો પહીંચી ગયા. વયાનુસાર શૈથિલ્ય અને કાર્યક્ષમતામાં ક્ષીણતા તો સહજ જ આવે. અનેક કાર્યો એકસાથે કરી શકતા, હવે એ વિષે વિચાર કરતા ય જાણે શ્રમ પડે છે. પરંતુ નિષ્ક્રિયતા તો ન જ પાલવે. નિષ્ક્રિયતા આરામ નહીં પરંતુ અનેક તકલીફોનું કારણ બની શકે. આપણે અનુભવોનાં સ્મરણોનો પટારો ખોલીએ. આપણે જ આપણા માર્ગદર્શક બનીએ. ઊંધું માથું ઘાલીને કામકાજની ચુંગાલમાં સપડાઈને કેટકેટલી મનીષાને ધરબી દીધી હતી ? આવડત હોવા છતાં સમયાભાવે કેટકેટલી મનગમતી પ્રવૃત્તિથી દૂર રહ્યા છીએ અથવા તો ક્યાં ક્યાં પ્રવાસે નહોતા જઈ શક્યા? મનસા, વાચા કર્મણાથી સમાજમાં અભાવયુક્ત અને યાતનાગ્રસ્ત માણસોને જોઈ દ્રવિત તો થવાયું અને તેના માટે કંઈક કરવાની ઈચ્છા માત્ર ‘મનસા’થી જ અટકી જવાયું. ફંફોસતા ફંફોસતા તો કંઈક કેટલું ય જડશે. એક કહેવત અનુસાર “મોતી સર્વે વેરાઈ ગયા ને હીરલો લાગ્યો છે હાથ” આવી હીરા જેવી એક પ્રવૃત્તિ મળી જાય તો ય અતિ ઉત્તમ ! હીરલાને જેમ પાડીએ કે પડાવીએ તો જીવન શણગારાઈ જાય, ભર્યું ભર્યું થઇ જાય.
સર્વસામાન્ય રીતે કેટલીક વાતો એવી છે કે જે દરેકના અનુભવમાં બની હોય. કૌટુંબિક જીવનમાં બાળકો ભણીગણી વ્યવસાયે વળગ્યા હોય અને પોતાના ગૃહસ્થાશ્રમમાં વ્યસ્ત હોય ત્યારે દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવથી કેળવી શબ્દકોષ બની જવું. અર્થાર્થી બાળકોને સામેથી પ્રશ્ન લઇ આવે તો આવવા દેવા. બાળકો દૂર હોય કે સાથે વસતા હોય, બન્ને સ્થિતિમાં સમભાવ કેળવી શકીએ તો સાર્થક. પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રી સાથે સ્નેહસેતુ વધુ પ્રબળ રીતે બંધાતો હોય છે. આપણા બાળકોને સમય ન આપી શકવાનું સાટુ એમના બાળકોને સાચવી લેવામાં વળી જાય. આપણને પણ બાળક બની જઈ આનંદ મળે એ વધારામાં. જેમ અન્ય સંબંધોમાં એક લક્ષ્મણરેખા હોય તેમ અહીં પણ ખરી જ. માબાપ અને દાદાદાદીની રીતિ-નીતિમાં એક સૂક્ષ્મ અંતરપટનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. એની ઋજુતાને જરા ય ઠેસ ન પહોંચે તો ભયોભયો !
જીવનમાં મૈત્રી એ અગત્યનું અને અનિવાર્ય પાસુ છે. બાલ્યાવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા પર્યંત જુદાજુદા તબક્કે મિત્રતા અને મિત્રોમાં પણ વિવિધતા પ્રવર્તતી હોય. શાળાના, કોલેજકાળના, વ્યાવસાયિક સમયના, વૈવાહિક જીવનકાળના સર્વ કાળખંડોમાં મિત્રોનું વૈવિધ્ય સ્વાભાવિક હોય છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીના આ વિવિધ સ્તરોની મિત્રતા જીવનભર ટકી રહે તેવું જવલ્લે જ કોઈ વિરલાના જીવનમાં જ બનતું હશે. અકારણ, સકારણ કે ગેરસમજને લીધે મિત્રતામાં તડ પડતા વાર લાગતી નથી. ક્યારેક સમજની કે બૌદ્ધિક સ્તરની અસમાનતા વગેરેથી પણ મિત્ર કે મિત્રતા સીમિત બની જતી હોય છે. મિત્રતા એ વૃદ્ધાવસ્થાની મોટી મૂડી છે. આપણી ક્ષમતાની, ક્ષતિઓની, અતીત વાગોળતી અને ક્યારેક ગાંડી ઘેલી વાતોને સાંભળવા આ વ્યસ્ત સમાજમાં મિત્ર સિવાય કોણ નવરું હોય ? ખોટું કરતાં વારનાર પણ મિત્ર જ ! મિત્રની વ્યાખ્યા કરતું સુંદર સુભાષિત છે.
पापान्निवारयति योजयते हिताय
गुह्यं च गुहति गुणान्प्रकटी करोति |
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति संत: |
પાપમાંથી છોડાવે, હિતાર્થ કાર્ય કરે, ખાનગી વાતોને ગુપ્ત રાખે, દુ:ખ સમયે છોડી ન દે, જરૂર પડ્યે સહાય કરે એને સત્પુરુષો સન્મિત્ર કહે છે. સૌને આવા સન્મિત્ર મળે એવી શુભ ભાવના રાખીએ.
अतिपरिचयात अवज्ञा | એ ન્યાયની વાત કરીએ. આ પરિસ્થિતમાં ઘરમાં જ ઉપેક્ષા થતી અનુભવાય એ અતિ દુખ:દ હોય છે સહન કરવું સહેલું નથી. અહીં આંતરખોજ કરતાં રહેવું જોઈએ. ઘરની વ્યક્તિઓનો પ્રેમ અને આપણી અપેક્ષા એ બેમાં આપણી અપેક્ષાનું પલડું ભારી તો નથી થઇ જતું ને ? આવા અવરોધના ઉંબરા ધીરે ધીરે પર્વત થઇ જતા પ્રશ્નો માટે ચાલશે, ફાવશે, ગમશે આ ત્રણ જડીબુટ્ટીનો પ્રયોગ અકસીર ઈલાજ છે. શ્રીમદ્દ ગીતામાં દર્શાવેલ ઉદાસીનવૃતિ કે સ્થિતપ્રજ્ઞતા કેળવવી એ જ પ્રાજ્ઞ લોકોનું કામ છે.
વળી, નિરામય રહેવા પણ પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. મીતાહાર, ક્ષમતાનુસાર ચાલવું, વ્યાયામ, યોગાસનોને અપનાવીએ. આમ છતાં લાંબી મજલ કાપી ચૂકેલું દેહયંત્ર મોટી કે લાંબી માંદગીમાં પટકાય તો અવગણનાનો ખાસ અવકાશ રહે. આ સમયે સમતા વૃતિ જ સાથ આપે. सदा मे समत्वं | ‘जातस्य हि ध्रुवो मृत्यु’ પ્રમાણે જીવનસંધ્યા સમયે બેમાંથી એક તારલો ખરી પડે ત્યારે એકલતાનો ખાલીપો સહ્ય થઇ શકે તે માટે આપણી કોઈ ગમતી પ્રવૃતિમાં પરોવાવાની પહેલેથી તૈયારી આવશ્યક છે. ધ્રુવ તારો આકાશમાં એકલપંથી હોવા છતાં સ્વયં પ્રકાશના બળે અન્યનો પણ પથદર્શક બની રહે છે ને !
આદિ શંકરાચાર્ય કહે છે ને કે काल:क्रीडति गच्छति आयु, तदपि न मुञ॒चति आशावायु | વળી એમ પણ કહેવાયું છે કે कालो न याति वयमेव याता | કાળ સરતો નથી પરંતુ આપણે જ અંત તરફ ગતિમાન હોઈએ છીએ. કાળની ક્રીડાના પ્રવાહમાં આયુ વહી જાય છે. જીવન અને આશાનો અવિનાભાવિ સંબંધ છે. પરંતુ આશાને ય પોતાના અનેકવિધ રંગો છે. જેમ સૂર્ય સંધ્યા સમયે પોતાના રંગોની ઝોળી ખાલી કરી, આકાશને રંગથી ભર્યું ભર્યું બનાવી દે છે તેમ અને ધરતી પરથી તેને જોનારના હૃદયને પણ રંગમય બનાવી દે છે. એવી જ રીતે વૃદ્ધાવસ્થાની ઝોળીમાં સાચવીને રાખેલાં રંગોને લૂંટાવી, ગમતાનો ગુલાલ કરી, નિર્ભાર થઇ, એય … ને હાલતા થવું.
એ રામ રામ ……
તા.૧૨.૦૨.૨૦૧૬
e.mail : Sushila.suchak@gmail.com