ફાંસીના માંચડે ચડતાં પૂર્વે ભગતસિંઘે જેલના સફાઈ કામદારના હાથે રાંધેલું ભોજન ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી!
ભારતના સ્વતંત્રતા સંગ્રામની ગાંધી-નહેરુ-સરદારની સ્વરાજ ત્રિપુટીની જેમ જ ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુની શહાદત ત્રિપુટી લોકમાનસમાં બરાબર અંકાઈ ગઈ છે. આ ૨૩મી માર્ચે ભગતસિંઘ અને સાથીઓની શહાદતને ૮૫ વરસ પૂરાં થયાં તો ય પેલા ભોજપુરી લોકગીતની પંક્તિની જેમ, ‘ભગતસિંઘ કી યાદમેં અંચરિયા ભીગ જાતી હૈ’
ભગતસિંઘને કુટુંબ તરફથી દેશપ્રેમનો વારસો તો મળ્યો જ હતો. શાળા-કોલેજનો શૈક્ષણિક માહોલ અને જલિયાંવાલા બાગકાંડ એમને આઝાદીની લડતમાં ખેંચી જવા પર્યાપ્ત હતાં. આમ તો ભારતના આમ આદમી માટે ભગતસિંઘ ‘શહીદે આઝમ’ના રૂપમાં લોકનાયક તરીકે વધુ જાણીતા છે પરંતુ એ બૌદ્ધિક નેતા પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું.
સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન ભગતસિંઘે અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લો કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્કસથી ગાંધી અને ગોર્કીથી રવિન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનું વાચન કર્યું અને મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષય પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હૂં’ પુસ્તિકા લખી હતી.
આરંભે રશિયન અરાજકતાવાદી બાકુનિનથી પ્રભાવિત ભગતસિંઘ અભ્યાસ અને અનુભવથી સમાજવાદ તરફ ખેંચાયા. એ સમયના સશસ્ત્ર ક્રાંતિવીરો ઈશ્વર, ધર્મ અને રહસ્યવાદમાં રત હતા ત્યારે ભગતસિંઘે નવી દિશા પકડી. એ રીતે ક્રાંતિકારી આંદોલનનો દિશાદોર નક્કી કરવામાં તેમનો સિંહફાળો હતો. ૧૯૨૫માં ‘નૌજવાન ભારત સભા’ મારફતે દેશના યુવાનોને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા પ્રેરનાર ભગતસિંઘના વિચાર અને પ્રયત્નોને કારણે જ ‘હિંદુસ્તાન રિપબ્લિક એસોસિએશન’નું “હિદુસ્તાન સોશ્યલિસ્ટ ડેમોક્રેટિક એસોસિએશન’માં રૂપાંતર થઈ શક્યું.
લોકનાયક અને ક્રાંતિવીર ભગતસિંઘ તો લોકનજરમાં અંગ્રેજ અફસરની હત્યા કરનાર કે એસેમ્બલી પર બોંબ ફેંકનાર તરીકે જ જાણીતા છે. પરંતુ તે પાછળનાં કારણોથી લોકો પૂરતા વાકેફ નથી. સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લેનાર લાલ લજપતરાય પર બેસુમાર લાઠીમાર કરી તેમને મોતને ઘાટ ઉતારવાને લીધે અંગ્રેજ અફસરની તેમણે હત્યા કરી હતી.
કામદાર આંદોલનને કચડી નાંખતા પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલ વિપક્ષ, લોકો અને પત્રકારોના વિરોધની અવગણના કરીને અંગ્રેજ સરકારે પસાર કર્યા. એ જ ક્ષણે સરકારની આ મનમાની ન સાંખી લેવા ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તે, ૮મી એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યો હતો. એટલે આ હિંસા અંગ્રેજોના અન્યાયની વિરુધ્ધમાં હતી.
ક્રાંતિ એ ભગતસિંઘ માટે ન તો કોરો આદર્શવાદ હતો કે ન તો હિંસક ઉદ્વેગ. ‘જીવતાં ભગતસિંઘ કરતાં મૃત ભગતસિંઘ અધિક બળવાન છે’ એમ કહેનાર ભગતસિંઘ માટે ‘ક્રાંતિ એટલે અન્યાય પર આધારિત વર્તમાન સમાજવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન.’ ક્રાંતિકારીઓએ ૧૯૧૩માં સ્થાપેલી ગદ્દર પાર્ટીના એજન્ડામાં જાતિગત ભેદભાવ સ્થાન પામ્યો હતો. ધર્મનિરપેક્ષતાની જેમ અસ્પૃશ્યતા નિર્મૂલન પણ ગદ્દર પાર્ટીનો સંકલ્પ હતો. એટલે ૧૬ વરસના ભગતસિંઘ ‘અછૂત સમસ્યા’ લખે તો આશ્ચર્ય થતું નથી. ૨૫ વરસના ભીમરાવ આંબેડકરે અમેરિકામાં રજૂ કરેલા ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ શોધ નિબંધમાં જે વિદ્વતા, પાકટતા અને અભ્યાસ દેખાય છે તેનો અહીં અભાવ છે.
પરંતુ એક ક્રાંતિકારી કિશોરની પ્રબળ ભાવનાશીલતાની રીતે એ બહુ અસરકારક છે. આ લેખમાં ભગતસિંઘે અછૂતોને સલાહ આપતાં કહ્યું હતું કે, ‘તુમ દૂસરોં કી ખૂરાક મત બનો, દૂસરોંકી મુખકી ઔર ન તાકો.’ તેમણે મૂડીવાદી બાબુશાહીના સકંજામાં ન આવવા, સંગઠિત બની વર્તમાન વ્યવસ્થા વિરુધ્ધ બગાવત કરવા, સામાજિક આંદોલનથી ક્રાંતિ પેદા કરવા અને રાજકીય-આર્થિક ક્રાંતિ પેદા કરવા માટે કમર કસવા આહ્વાન કર્યું હતું.
ભગતસિંઘ અને ડો. આંબેડકરના મિલનના કોઈ પુરાવા તો મળતા નથી, પણ માર્કસવાદી દૃષ્ટિકોણથી આંબેડકરના વિચારોનું મૂલ્યાંકન કરતા જાણીતા આંબેડકરવિદ આનંદ તેલતુંબડેનું ‘આંબેડકર ઓન ભગતસિંઘ’ લખાણ હાલ ઇન્ટરનેટ પર જોવા મળે છે, તેમાં જણાવ્યા મુજબ ડૉ. આંબેડકરે ‘જનતા’ સામયિકના ૧૩મી એપ્રિલ ૧૯૩૧ના અંકના અગ્રલેખમાં ભગતસિંઘની શહાદતની વિગતો આપી બ્રિટિશ સરકારની ન્યાય પ્રણાલીની ઝાટકણી કાઢી હતી. ૧૪ વરસના ભગતસિંઘે ૧૪મી નવેમ્બર ૧૯૨૧ના રોજ દાદા અર્જુનસિંઘને લખેલા પત્રમાં જણાવ્યું હતું,‘મંગૂ ચમાર અભી તક તો નહીં આયા.’ જાણે કે એનું જ અનુસંધાન એમની અંતિમ ઈચ્છામાં જોવા મળે છે.
પત્રકાર સાથી જિજ્ઞેશ મેવાણીએ ચંદીગઢના એડવોકેટ મલવિન્દર જિતસિંઘ બડૈચના પુસ્તક ‘ભગતસિંઘ – ધી ઇટર્નલ રેબેલ’ ના આધારે લખ્યું હતું કે ફાંસીના માંચડે ચડતા પૂર્વે અંતિમ ઈચ્છામાં ભગતસિંઘે જેલના દલિત સફાઈ કામદાર બોઘાના હાથે રાંધેલું ભોજન ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી! ભગતસિંઘની દલિત પ્રતિબદ્ધતા આમ અમલ સુધી પહોંચનારી હતી.
આજે તો ડો. આંબેડકરની જેમ ભગતસિંઘની પણ રાજકીય ગીધડાંઓ ઝૂંટાઝૂંટ કરવા માંડ્યા છે. નાસ્તિક ભગતસિંઘે લાંબા વાળ અને પાઘડીનો ત્યાગ કરી દીધો હતો, પણ આજે લાલ-કેસરી-વાદળી પાઘડીવાળા ભગતસિંઘ રાજકીય પક્ષો દેખાડી રહ્યા છે. ખરા ભગતસિંઘ અને તેમના વિચારોને ભૂલાવામાં નાંખી માત્ર દેશભક્ત ભગતસિંઘની જ પૂજા થયા કરે છે. ‘ભગતસિંઘ ઈસબાર ન લેના કાયા ભારતવાસીકી/ દેશભક્તિકે લિયે આજ ભી સજા મિલેગી ફાંસીકી’ એ શંકર શૈલેન્દ્રના ગીત ‘ભગતસિંઘ સે’ પર આઝાદી બાદ તુરત જ પ્રતિબંધ મુકાઈ ગયો હતો.
હજુ ૨૦૧૩માં ભાજપાશાસિત દક્ષિણ દિલ્હીની મહાનગરપાલિકા સમક્ષ ડો. આંબેડકર, રાજગુરુ અને સુખદેવના નામો જાહેર સ્થળો સાથે જોડવાની દરખાસ્ત આવી તો નિર્લજ્જ વહીવટી તંત્રે પૂછાવ્યું, ‘તેમણે એવા ક્યા કાર્યો કર્યા હતા કે જેને કારણે તેમનાં નામો આ જાહેર સ્થળો સાથે જોડવામાં આવે.’ આના કરતાં પણ વધુ નફ્ફટ એવી એક ઘટના થોડાં જ વરસ પહેલાં બની હતી. લખનૌના શહીદ મેળામાં એક રેસ્ટોરન્ટ લાહોર જેલની પ્રતિકૃતિ હતી.
તેના વેઈટરોને ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુના જેલકેદીના ડ્રેસ પહેરાવવામાં આવ્યા હતા અને રેસ્ટોરન્ટમાં સ્વરાજ ચિકન, કાકોરી કબાબ અને કાલા પાની પીરસવામાં આવતા હતા! ભગતસિંઘે કહેલું કે પ્યારા દેશવાસીઓ ત્યારે તમને મારી યાદ આવશે. યાદ ત્યારે એટલે ક્યારે અને કેવી એ વૈશ્વિકીકરણના વાયરે વ્યસ્ત અને મસ્ત ભારતના ભદ્રવર્ગને જેટલું ઝટ સમજાય એટલી ભગતસિંઘની શહાદત સાર્થક!
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘સમાનતાનો આતશ’, “દિવ્ય ભાસ્કર”, 24 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-shaheed-bhagatasingh-away-beyond-politics-5282482-NOR.html