સદીઓથી, અરે, હજારો વર્ષથી લોકો પોતપોતાના જીવન વ્યવહારમાં ગૂંથાયેલાં રહેતાં. સહુને પોતાની ફરજો હતી, અધિકાર હતા અને ભાગે પડતાં સુખ દુ:ખ માણતાં મોટા ભાગની પ્રજા આરામથી જીવ્યે જતી હતી. આ તમે કયા ધર્મના, તમે કેવા (એટલે કે કઈ જ્ઞાતિના), કયા દેશના નાગરિક, મૂળ ક્યાંથી આવ્યા, તમારો દરજ્જો કયો એવા પ્રશ્નો પહેલાં કોઈએ ક્યાં ય પૂછ્યાનું ઓસાણ નથી.
વસતી ગણતરી થાય કે પાસપોર્ટ જેવા મહત્ત્વના દસ્તાવેજ લેવાના હોય ત્યારે અમુક માહિતીઓ એકઠી કરવી અત્યંત જરૂરી છે અને એની સામે વાંધો નથી. પરંતુ આજે તો ડોક્ટર પાસે સારવાર લેવા જાઓ, હોસ્પિટલમાં દાખલ કરે, કોઈ તાલીમ લેવા કે કોઈ પરિષદમાં હાજરી આપો, સાંસ્કૃિતક કાર્યક્રમ જોવા જાઓ, વિદેશ ફરવા જાઓ, અરે, કાર કે ઘર જેવી મોટી મિલકત ખરીદો કે તરત તમારા હાથમાં એક ‘સર્વે’ પકડાવી દેવામાં આવે છે, જેમાં ઉપર કહી તે તમામ વિગતો પૂછવામાં આવે છે. તે ક્યારેક જે તે કાર્ય માટે સુસંગત નથી હોતી. અને કારણ અપાય છે, ‘સમાન અધિકાર અને તકો મળી રહે તે માટે’. આ સાંભળીને હસવું કે રડવું એમ થાય. જો ડગલે ને પગલે દરેક માણસની બધી વિગતો મેળવી લેવાય છે તો હવે શાની આટલી બધી અસમાનતા, અન્યાય અને અધિકાર વંચના ચાલી રહી છે, કોઈ તો સમજાવે ભલા!
તમે કયા ધર્મના, કઈ જ્ઞાતિના એમ પૂછાય, કહેવાય, એકબીજા પ્રત્યે અણગમો અને નફરત કેળવાય, તેનો વાણી-વર્તનમાં પડઘો પડે. લોકો બુલંદ અવાજે ‘અન્ય’ ગણાતી પ્રજા સામે પોતાનો વિરોધ નોંધાવે, લડાઈ કરે, મારા મારી થાય, ખૂન કરે, આતંક ફેલાવે, સરકાર એ બધું ડામવા તેમની સામે લડાઈ જાહેર કરે. આમ ચારે તરફ બૂમરાણ મચી રહ્યું છે. મારો-કાપો, ભાગો-કાઢી મૂકો, જેલમાં પૂરો, શીરચ્છેદ કરો. આ અને આના જેવાં કેટલાં ય ઘૃણિત કૃત્યો રોજ બરોજ બને છે. પૃથ્વી જાણે લોહીલુહાણ થઈ ગઈ છે. બધી બાજુથી આવા એક નહીં ને બીજી ઓળખ માગતા પ્રશ્નોની ઝડી વરસે અને વચ્ચે પેલો ‘માનવ’ સાત કોઠામાં ખોવાયેલ અભિમન્યુની જેમ મોતના મોમાં ધકેલાઈ જાય છે. હવે તો ભારે ગુંગળામણ થાય છે. આઠેય દિશાઓમાંથી જાણે Religion (ધર્મ) અને Faith(ધર્મનો પર્યાય જ તો વળી)નાં ગાણાં ગવાય છે. દિલ દિમાગ આ બલામાંથી છૂટવા એક શાંત જગ્યાએ જઈને મનન કરવા પ્રેરાયું. તે વિચાર વલોણાંમાંથી જે સાર નીકળ્યો એ વાચકો સાથે વહેંચવા બેઠી છું.
માનવ આમ તો પશુ યોનિનો જ ભાગ છે. દરેક પ્રકારનાં પ્રાણીઓની ફરજ (એટલે કે ધર્મ) શ્વસન કરવું, પોષણ લેવું, ભોજક પ્રાણીઓના આક્રમણથી બચાવ કરવો અને બીજી પેઢીને જન્મ આપવો એ જ છે. માનવ એ યોનિમાં સર્વોચ્ચ સ્થાને છે એટલે તેના ઉત્પત્તિ કાળથી તેનો ધર્મ (એટલે કે ફરજ) અન્ય પ્રાણીઓ કરતાં જુદો હોવાનો કેમ કે તેને સર્જનહાર તરફથી બુદ્ધિ અને ભાષા જેવાં અનોખાં તંત્રો મળ્યાં. આથી જ ઉપલી ચાર ફરજો ઉપરાંત એક માનવીનો ધર્મ સ્વતંત્ર રીતે સારાસારનો વિચાર કરવાનો, પોતાના ઉપરાંત અન્યનો કોઈ પણ પ્રકારના જોખમો સામે બચાવ કરવાનો, પરસ્પરની સ્વતંત્રતા જાળવવાનો, દયા અને કરુણાના ભાવોને વિકસાવીને એક સુગઠિત સમાજ બનાવવાનો રહે છે. કોઈ પણ પ્રકારના સંશોધન અને પ્રગતિ પાછળ તેના મનમાં માનવ હિત સતત જળવાતું હશે. અને તેને જ આપણે માનવ ધર્મ તરીકે ઓળખીએ છીએ. આથી એમ ધારવાનું સુગમ પડે કે માનવની ઉત્ત્પત્તિ સમયે માત્ર આવો એક માનવ ધર્મ જ અસ્તિત્વમાં હશે.
જેમ જેમ માનવોની સંખ્યામાં વધારો થયો અને ધરતીના જુદા જુદા પડો પર નાના સમૂહોમાં રહેવા લાગ્યો તેમ તેમ તેણે આ માનવ ધર્મના સ્થાનક સુધી પહોંચવા જુદા માર્ગ લીધા. એ બે મુખ્ય પથને આપણે જ્યુડાઈઝમ અને સનાતન ધર્મ તરીકે ઓળખતા થયા. સનાતન ધર્મ આગળ જતાં હિંદુ ધર્મ તરીકે પ્રચલિત થયો એમ કહેવાય. હવે એ બે પથ ઉપર ચાલતાં ચાલતાં મારગમાં પથિકો વચ્ચે હું મોટો, તું નાનો, ઈશ્વરને ખુશ કરવા અમુક ક્રિયાકાંડ જરૂરી, તે માટેનું જ્ઞાન હું લઉં, તારે માટે તે નિષિદ્ધ કરું વગેરે વિતંડાવાદ ઊભા થયા. આથી કરીને જુઇશ ધર્મની છાયામાં ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યો અને આગળ જતાં તેના મોટા ભાગના સિદ્ધાંતોને માન્ય રાખી, થોડો ફેરફાર કરીને ઇસ્લામ પેદા થયો. એવી જ રીતે પૂર્વ દેશોમાં હિંદુ પથ પર બેહિસાબ વધેલા રૂઢિગત રિવાજો, ક્રિયાકાંડ અને ભેદાભેદ યુક્ત અન્યાયી વ્યવસ્થાને પરિણામે એ ધોરી રસ્તાને કાંઠેથી બૌદ્ધ, જૈન અને સીખ ધર્મો કાળક્રમે ઉદ્દભવ્યા. પહેલા ત્રણ ધર્મો ‘એબ્રાહમિક ફેઈથ’ તરીકે અને બાકીના ચાર ‘ધાર્મિક ફેઈથ’ તરીકે ઓળખાવા લાગ્યા. હવે મજાની વાત તો એ છે કે પેલા બે મુખ્ય પથ ખરું જોતાં માનવ જાતને તેના માનવ ધર્મ ભણી દોરીને લઈ જવાના હેતુથી જ ઉદ્દભવેલા, પણ કાશીએ જતો સંઘ જેમ વાટમાં આવેલ જંગલ ઝાડીમાં અટવાઈ જાય તેમ આપણે ધાર્મિક પથ પર ચાલીને ઉત્તમ માનવ બનવાને બદલે પરસ્પર કરતાં પોતાને ચડિયાતા અને અન્યને ઉતરતા સાબિત કરવાની હોડમાં પથને જ ગંતવ્ય સ્થાન માનીને આડા અવળા નાના નાના વાડાઓમાં, કહોને કે પેટા ધર્મો કે પંથોમાં વિખેરાઈ ગયા.
એક શહેરથી બીજા શહેર પહોંચવા કોઈ ધોરી માર્ગ પસંદ કરે, કોઈ નાના રસ્તે જાય તો કોઈ સાંકડી કેડીઓ પર પ્રવાસ કરે. એ વિષે કોઈને કોઈ પ્રકારનો વાંધો ન હોઈ શકે. મૂળ વાત પોતાના ધારેલ સ્થળે ભલે વહેલા મોડા પણ પહોંચવાનું છે. માનવીએ ઉત્તમ માનવ બનવા માનવ ધર્મની વિભાવના ઘડી કાઢી, પછી તમે મૂળ જુઇશ અને સનાતન ધર્મ નામના બે મુખ્ય ધોરી માર્ગે ચાલો કે તેમાંથી ફંટાયેલા અન્ય ચાર-છ નાના રસ્તાઓ પકડો કે પછી ભલે તેની ય નાની નાની શાખાઓ સમાન પંથને અનુસરો. જો આખર તમે એક ઉત્તમ માનવ તરીકે જીવો અને બીજાને જીવવા દો તો તમે સ્વીકારેલ રસ્તાઓ વિષે કોઈ તકરાર નથી અને સાથે સાથે જો અમારી સાથે અમારા જ માર્ગ પર ચાલતા હો અને ઉત્તમ માનવી તરીકે વિચારીને વર્તવાની ગુંજાઈશ ન હોય તો બહેતર છે માનવ જમાતનું સભ્યપદ મેળવવા યોગ્ય તાલીમ લેવી. આખર દરેક સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યો એક જ સંદેશ કહો કે ઉપદેશ જે કહો તે આપે છે. તો પછી આ નાહકની જીભાજોડી, તકરાર, સંઘર્ષ, યુદ્ધ અને માનવ સંહાર શાને માટે?
દુનિયા આખીમાં પ્રસરી રહેલ સંકુચિતતા અને અસહિષ્ણુતાની અસર ભારત પર પણ જોરદાર પડી રહી છે. નાની નાની બાબતો પર નાના બાળકોની માફક તકરાર થાય અને MLA હોય કે વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી, પોતાના ધ્યેયને અનુસરવાને બદલે અર્થહીન દલીલબાજીમાં ઉતરી પડીને સમય બરબાદ કરે છે જેની સાથે સમાજનું પોત પણ પાતળું થતું જાય છે. સાંપ્રત રાજ્કારણીઓ અને ધર્મ ગુરુઓએ અકબરની જેમ ધર્મનું આજના સમાજમાં શું કર્તવ્ય-સ્થાન છે તે ચકાસચાનો સમય પાકી ગયો છે. સમ્રાટ અકબરે સેક્યુલર એટલે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય રચવા એવું તારણ કાઢેલું કે કોઈ વ્યક્તિના જીવનમાં ધર્મને નામે દખલગીરી ન કરવી અને દરેક માણસ પોતાને પસંદ પડે, સુખ આપે એ ધર્મમાં શ્રદ્ધા ધરાવે એ માન્ય રાખવું જોઈએ. કેવો ઉદાર મત ધરાવતો એ વિચાર હતો? આજે આ નીતિની પુન:સ્થાપનની તાતી જરૂર છે. ધર્મની બાદબાકી કરવાથી અને સમાજજીવનમાં તેની ગેરહાજરીથી તો પશુતા જન્મી એના પુરાવાઓ સમયાંતરે મળતા રહ્યા. અકબર હંમેશ તર્કની શોધમાં રહેતા, તેઓ રીત-રીવાજોના બંધનમાં ફસાવા નહોતા માંગતા. તેમનો હંમેશ એવો પ્રયત્ન રહ્યો કે નીતિમત્તા પર ધર્મનું પ્રભુત્વ ઘટાડીને વિશ્લેષ્ણાત્મક તાર્કિક કાર્યકારણની દોરવણીથી જીવન અને રાજ્ય કારભાર કરવો નહીં કે માત્ર પરંપરા પાછળ ખેંચાવું.
આજે જયારે માનવી સફેદ, લીલા, ભગવા કે કાળા રંગોના ધ્વજ નીચે ઢંકાઈ રહ્યો છે ત્યારે ધર્મને દરેક વ્યક્તિની પસંદગી પર છોડીને તેને પોતાની રીતે માનવ ધર્મ તરફ ગતિ-પ્રગત્તિ કરવાની મોકળાશ આપવી હિતકારી છે. ધર્મને રાજકારણ, વેપાર, શિક્ષણ વગેરેમાંથી અળગું કરીએ તો કોમી એખલાસ સ્થપાય. ગાંધીજીએ કહેલું: “રાજકારણમાં ધર્મ લાવો ધર્મમાં રાજકારણ નહીં।” ‘ધર્મ’ શબ્દની વ્યખ્યા તેના ઉદ્દભવ સમયે હતી તે એટલે કે માનવ તરીકેની ઉત્તમ માનવ બનવાની ફરજ એ સમજી સ્વીકારીને શીખવવી રહી. દુનિયાના દરેક શાસક વર્ગે એક સૂરે કહેવાની જરૂર છે કે અમારા દેશમાં દરેકને પોપોતાનો ધર્મ પાળવાની છૂટ છે જ્યાં સુધી એ માનવ ધર્મની પરિસીમામાં હોય અને અન્યને પણ માનવ તરીકે જીવવાનો અધિકાર બક્ષતો હોય.
e.mail : 71abuch@gmail.com