કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ અને રિયલિટી વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો
એક ઘરમાં બે ભાઈઓ રહે છે. એકનું નામ નરેન્દ્રભાઈ અને બીજાનું નામ મોહનભાઈ. આમાં મોહનભાઈ મોટા છે અને પરિવારના મોભી છે. અત્યાર સુધી પરિવારમાં મોટા ભાઈ એટલે કે પરિવારના મોભી કહે એમ થતું આવ્યું છે. હવે પરિવારના મોભી મોહનભાઈ કહે છે કે આ ઘરમાં રહેવું હોય તો આમ-આમ કરવું પડશે અને આ રીતે જ જીવવું પડશે. નાના નરેન્દ્રભાઈ કહે છે કે ચિંતા કરીશ નહીં, મારા ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જા, તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં; મોહનભાઈ અને બીજા ભાઈઓ શું કહે છે એના તરફ ધ્યાન આપવાની જરૂર નથી. હવે તમે કહો કે હું જો મોહનભાઈની માગણી સાથે સંમત ન થતો હોઉં તો મારે નરેન્દ્રભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું જોઈએ ખરું? તમે હો તો શું કરો? બીજી બાજુ તમે મોહનભાઈની માગણી સાથે સંમત હો તો તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જવામાં નરેન્દ્રભાઈનો ડર લાગે ખરો? તમને પાક્કી જાણ છે કે નરેન્દ્રભાઈના હાથમાં સત્તાનો દંડો છે અને આખું તંત્ર તેમના હાથમાં છે, પણ એમ છતાં તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં ડર લાગે? વિચારી જુઓ કોણ કોના ખોળામાં સુરક્ષિત છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ (છાપ) અને રિયલિટી (વાસ્તવિકતા) વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો. એ સમયે તો બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયા (પ્રા. રાજેન્દ્રસિંહ) જેવા સંઘના દિગ્ગજો હજી હયાત હતા. એવું નથી કે સંઘ ત્યારે પાછલે બારણેથી સંઘનો એજન્ડા લાગુ નહોતો કરતો. ડૉ. મુરલી મનોહર જોશીને શિક્ષણ ખાતું સોંપી દીધું હતું અને તેઓ સંઘ સાથે મળીને પાઠuપુસ્તકો અને શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ કરતા હતા. એમાં કોઈ શંકા નથી કે આ દેશના સાંસ્કૃિતક-સામાજિક પોતને ચીરનારી એ ગંભીર રમત હતી અને અમે એનો વિરોધ પણ કરતા હતા, પરંતુ સંઘને આનાથી આગળ શાસનમાં ચંચુપાત કરવાની મનાઈ હતી. કહો કે એવી સમજૂતી હતી.
એ સમયે રજ્જુભૈયા અને કે. સુદર્શન ઘરના મોટા ભાઈ અને મોભી હોવા છતાં વાજપેયીના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં આ લખનાર જેવા સેક્યુલરને કે કોઈ ગેરહિન્દુને ડર નહોતો લાગતો. બહુ-બહુ તો આપણા છોકરાને સાવરકર હતા એના કરતાં વધારે મહાન અને ઔરંગઝેબ હતો એના કરતાં પણ વધારે ખરાબ હતો એટલું ભણવું પડશે. મુસલમાનો વિશે એકાદ-બે ઇશારતો હશે. સંઘની વિચારધારાના વિરોધીઓએ પણ એટલું સ્વીકારી લીધું હતું કે લોકતંત્રમાં અલગ-અલગ વિચારધારાની સરકારો આવે ત્યારે આવું થતું હોય છે જે પાછળથી સુધારી શકાય છે.
ખૂબી જુઓ. ડૉ. મુરલી મનોહર જોષીએ લખાવેલો ઇતિહાસ ભણવા છતાં કન્હૈયાકુમારો અને રોહિત વેમુલાઓ યુનિવર્સિટીઓમાં જઈને આજે સરકારને હંફાવે છે. આ એટલા માટે બની શક્યું છે કે કન્હૈયાકુમારોનું માથું અટલ બિહારી વાજપેયીના ખોળામાં સુરક્ષિત હતું. બહુ-બહુ તો તેમનું માથું ચોક્કસ સંસ્કારો દ્વારા દૂષિત કરાયું હશે જે તેમણે સુધારી લીધું છે. ત્યારે કોઈ તમારા ઘરમાં ઘૂસીને ફ્રિજ ખોલીને માંસ ગાયનું છે એવું જાહેર કરીને હત્યાઓ નહોતું કરતું. ત્યારે કોઈ ડોકું કાપવાનાં અને જીભ કાપવાનાં ઇનામો જાહેર નહોતું કરતું. ત્યારે વિરોધીઓ પર સીધા દેશદ્રોહના આરોપ મૂકવામાં નહોતા આવતા. ત્યારે ચૂંટણી જીતવા સેંકડોની સંખ્યામાં કોમી છમકલાં કરવામાં નહોતાં આવતાં. ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી કોમી રંગ અપનાવતી હતી, પરંતુ ઠેકઠેકાણે હોળી પ્રગટાવવામાં નહોતી આવતી. અટલ બિહારી વાજપેયીને રાજધર્મની જાણ હતી અને રાજા તરીકે તેઓ પોતાની મર્યાદા જાણતા હતા. એટલે તો પોતાને સેક્યુલર ફન્ડામેન્ટલિસ્ટ તરીકે ઓળખાવનારા કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે લખ્યું હતું કે અત્યારે તેઓ વાજપેયીને મિસ કરી રહ્યા છે.
તો સરકારની ઇમેજ અને રિયલિટી વચ્ચે અંતરની જે ટ્રૅજેડી પેદા થઈ છે એને માટે સરકાર પોતે જવાબદાર છે. ખરું પૂછો તો ટ્રૅજેડી અંતરની નથી, અંતર મટી રહ્યું છે એની છે. જે રિયલિટી છે એ જ ઇમેજ છે અને જે ઇમેજ છે એ જ રિયલિટી છે. કલ્પના કરો કે અનેક અનુપમ ખેરો બચાવમાં ઊતરતા હોવા છતાં સરકાર વિશેની ઇમેજ બદલાતી નથી. કેટલીક ટીવી-ચૅનલો સરકારની તરફેણમાં પ્રચાર કરતી હોવા છતાં ઇમેજ બદલાતી નથી. અનેક ભક્તો દિવસરાત સરકારના બચાવમાં ટ્વીટ કરતા હોવા છતાં ઇમેજ બદલાતી નથી. આ ટ્રૅજેડી નથી, જોખમનું રેડ સિગ્નલ છે. નીતિન ગડકરીએ ભ્રમમાં રહેવાની જગ્યાએ રિયલિટી ચેક કરવાની જરૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં વર્લ્ડ સૂફી ફોરમના અધિવેશનમાં સરસ ભાષણ આપ્યું હતું. આ દેશની પ્રજાને જોડવાનું કામ સંતોએ અને સૂફીઓએ કર્યું છે, સંગઠિત ધર્મોએ નથી કર્યું. સંગઠિત ધર્મોનું તો પ્રજા વચ્ચે અંતર વધારનારું નેગેટિવ યોગદાન છે. વડા પ્રધાને આધુનિક ભારતના નિર્માણમાં સૂફીઓના યોગદાનનો સ્વીકાર કર્યો છે. તેમણે આતંકવાદને ઇસ્લામ સાથે સીધો સંબંધ નથી એમ પણ કહ્યું છે. વડા પ્રધાને તમામ ધર્માનુયાયીઓને અને નાસ્તિકોને સુધ્ધાં અભયવચન આપ્યું છે કે દેશ તેમનો પણ છે અને આપણા બધાનો સહિયારો છે. બસ, આજથી આ વાત કેન્દ્ર સરકારનો ધ્રુવમંત્ર બનવી જોઈએ. તેમણે દિલ્હીમાં જે કહ્યું એ સરકારની ઘંટીનો ખીલો બનવો જોઈએ. જુઓ પછી આવતા એક વર્ષમાં ઇમેજ બદલાય છે કે નહીં. જો દિલ્હીનું વક્તવ્ય પ્રસંગોચિત દેખાવ પૂરતું હશે તો નીતિન ગડકરીને જે વાત સતાવે છે એ ટ્રૅજેડીમાં વધારો જ થવાનો છે, ઘટવાની નથી.
ઇતિહાસ બેધારી તલવાર જેવો છે. એનો જો વિવેકપૂર્ણ માફકસર ઉપયોગ કરવામાં આવે તો એમાંથી ધડો લઈને મીઠી ઊંઘ આવે. જો એનો ઝનૂનપૂવર્ક ઉપયોગ કરવામાં આવે તો નથી તમે સૂઈ શકવાના નથી કે નથી તમે બીજાને સૂવા દેવાના. સૂફીઓની જ વાત કરીએ તો સૂફી ઇતિહાસની નેગેટિવ સાઇડ પણ છે. સૂફીઓના સિલસિલા વિકસ્યા હતા જેમાંથી આગળ જતા ગાદીઓ બની ગઈ હતી અને એમાંથી વારસદારી જન્મી હતી. બધા જ ગાદીધારી સૂફીઓ મહાન હતા એવું નથી. મૅગ્નિફાઇંગ ગ્લાસ લઈને નીકળી પડો તો એવા સૂફીઓ પણ મળી આવશે જે ધર્મઝનૂની બેવકૂફો હતા. આને કહેવાય ઇતિહાસનો વિવેકરહિત ધર્મઝનૂની ઉપયોગ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/truth-behind-bjp-government-image-and-reality-2