આચમન (ડાયસ્પોરિક વાર્તા-કવિતા-નિબંધ સંચય) સંપાદક : અનિલ વ્યાસ – રમણભાઈ પટેલ, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ. ૨૦૧૦ મૂલ્ય : ૧૭૫/- રૂ. પૃ. ૨૫૯
બ્રિટનમાં વસતા સર્જકો દ્વારા લખાયેલી વાર્તા-કવિતા અને નિબંધોનો આ સંચય બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ ભદ્રા વડગામા પુસ્તકના નિવેદનમાં લખે છે : ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી તરીકે બ્રિટનમાં તેમણે (શ્રી વિપુલ કલ્યાણી) છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતી ભાષા અને એના સતત વિકાસ માટે જે અજોડ સેવા આપી છે, તેને લક્ષમાં રાખીને તેમના બહુમાનરૂપે આ પુસ્તકનું સંકલન કરાયું છે.
ગુજરાતી સાહિત્ય અકાદમી છેલ્લા ત્રીસ વર્ષથી બ્રિટનનું ગુજરાતી ભાષા અને સાહિત્યને માત્ર જીવંત નહીં પરંતુ ધબકતું રાખવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. ડાયસ્પોરિક સાહિત્યને ઉત્તેજન આપે છે. વિદેશમાં વસતા સર્જકોની સર્જકતાનું પ્રતિબિંબ આ ગ્રંથમાં પડે છે. ‘આચમન’માં તેર જેટલી વાર્તાઓ, ૩૯ જેટલી કવિતાઓ અને આઠ નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત સંપાદનની વાર્તાઓ પ્રમાણમાં વધુ સર્જકો-ઉન્મેષ પ્રગટાવે છે, તેમ કહી શકાય. આનંદરાવની ‘મીનાક્ષીની મૉટેલ’માં વિદેશમાં વસતી નારીના સંઘર્ષની કહાની છે. લંપટ પતિને વિદેશી મિત્રની સહાયથી પાઠ ભણાવતી મીનાક્ષી જાનદાર પાત્ર છે. ‘ત્રણ મોસંબી અને કોબીનો દડો’ વાર્તામાં સમાજમાં વાહ વાહ કરાવતા દાનવીર તરીકેની ખ્યાતિ ધરાવતા ચીનુભાઈની બધિરતાને કળાકીય રીતે વ્યક્ત કરી છે. ડૉ. જયંત મહેતાએ તેમની વાર્તા ‘રૂંધાતા શ્વાસ’માં પોતાની વ્યવસાયિક જાણકારીને ખપમાં લઈ સુંદર વાર્તા રચવા પ્રયત્ન કર્યો છે. બ્રિટનના જાણીતા સર્જક કવિ ડાહ્યાભાઈ પટેલની ‘સંસ્કૃિત ખાતર’ વાર્તામાં ઍડવર્ડ અને રોબર્ટનાં પાત્રો સાથે સંસ્કૃિતનો સંઘર્ષ વ્યક્ત થયો છે. પન્ના નાયકની ‘લેડી વિથ અ ડૉટ’માં વિદેશમાં વસવાટ કરતી અલ્પાને ભારતીય પોષાક(સાડી)ને કારણે પડતી મુશ્કેલી અને અલ્પા દ્વારા કરાતો સામનો વાર્તાનું રૂપ ધરે છે. આ જ રીતે સંચયની અન્ય વાર્તાઓમાં વલ્લભ નાંઢાની ‘ચામડીનો રંગ’, ભ્રૂણ હત્યાના વિષયને લઈ આવતી બળવંત નાયકની ‘છીપનું મોતી’, પત્રશૈલીથી આરંભાતી ભદ્રા વડગામાની ‘મારા અતિ પ્રિય ગૌતમ’ વગેરે નોંધપાત્ર વાર્તાઓ છે.
સંપાદનની કવિતા વિશે વાત કરીએ તો કહેવું પડે કે મોટાભાગની રચનાઓ ‘કવિતા’નો અનુભવ કરાવતી નથી. કેટલીક રચનાઓમાં જ કવિતા માણ્યાનો પરિતોષ અનુભવાય છે. જેમાં અદમ ટંકારવીની ‘ગઝલ’, અહમદ ગુલની ‘સ્લમ ડૉગ’, આદિલ મન્સુરીની ગઝલ, ડાહ્યાભાઈ પટેલની ‘ઇંગ્લૅન્ડની ઓટમ.. થાય વસંત ?’ મોટું આશ્વાસન છે. વિદેશની ધરતી પર કે જ્યાં પોતાની ભાષા બચાવવાના બળકટ પ્રયત્નો કરવા પડતા હોય ત્યાં સર્જન-અભિમુખ રહેવાનો કવિઓનો ઉત્સાહ જરૂર ગમે.
સંપાદનના નિબંધોમાં ખાસ્સુ વિષય વૈવિધ્ય છે. ડૉ. જગદીશ દવેના વિદેશમાં વસવાટ કરીને ગુજરાતી ભાષાશિક્ષણ પરત્વે હૃદયથી ચિંતા અને ચિંતનથી આપણે પરિચિત છીએ. તેમના આ સંચયમાં લેવાયેલા નિબંધમાં વિદેશની ધરતી પર ગુજરાતી ભાષાશિક્ષણ વિશેના વિચારો અત્યંત સહજ રીતે વ્યક્ત થયા છે. દીપક બારડોલીકરનો નિબંધ ‘કરાંચીથી કેલિફોર્નિયા સુધી’માં પાકિસ્તાનમાં થયેલા-થતા ગુજરાતી સાહિત્ય સર્જનનો લઘુ આલેખ મળે છે. મધુ રાયે ‘ઈનવર્ટેડ કારપેટ ઈયાને ઊંઘી જાજમ’માં સર્જન કૃતિના અનુવાદ પર લાક્ષણિક શૈલીમાં પરામર્શ અને પ્રશ્નો રજૂ કર્યા છે. વિપુલ કલ્યાણીના બે નિબંધો જુદી જુદી તાસીર પ્રગટાવે છે. ‘હરખપદુડાની હૈડાપાટુ’માં તેમણે પ્રકાશ શાહ સાથે કરેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસની વાત માંડી છે. તો અન્ય નિબંધાત્મક લખાણમાં અંગ્રેજી-ગુજરાતીનું વાતચીતિયું રૂપ હળવી શૈલીમાં રજૂ કર્યું છે.
સરવાળે જોઈએ તો આ પુસ્તકમાંથી વિદેશમાં વસતા ગુજરાતી સર્જકો અને ચિંતકોનો આંતર સમૃદ્ધિનો આલેખ મળી રહે છે. પોતાની ભાષાને બેહિસાબ ચાહતા આ સર્જકોને સલામ !
માંગરોળ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, 10 જાન્યુઆરી 2016; પૃ. 18-19