‘સ્વચ્છતાના સમાજશાસ્ત્ર’ વિશે સૌ પ્રથમ ૨૮ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ સુલભ ઇન્ટરનેશનલ સેન્ટર ન્યૂ દિલ્હી, દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળામાં દેશ-વિદેશના ૧૦૬ જેટલા સમાજશાસ્ત્રીઓ, સમાજસુધારકો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ બે દિવસીય કાર્યશાળામાં ‘સ્વચ્છતા, સામાજિક વંચિતતા, પાણી, જનસ્વાસ્થ્ય, સ્વાસ્થ્યવિજ્ઞાન, ગરીબી, બાળકલ્યાણ, લિંગ સમાનતા, વિકાસ, સ્ત્રી સશક્તીકરણ વગેરે જેવી સામાજિક સમસ્યાઓ પર સંશોધન પેપરો રજૂ થયાં, ચર્ચાવિચારણાઓ થઈ અને તેની ફળશ્રુતિ રૂપે એક નવા વિજ્ઞાન તરીકે ‘સ્વચ્છતાના સમાજશાસ્ત્ર’ની આવશ્યકતા અનિવાર્ય છે એવું ફલિત થયું. જેમાં પ્રસ્તુત લેખના લેખક પણ નિમંત્રિત હતા. તેમાં જુદા-જુદા સમાજવિજ્ઞાનીઓએ આ શાસ્ત્રને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. તેમાં આ શાસ્ત્રના પાયાના સમાજશાસ્ત્રી ડૉ. બિંદેશ્વર પાઠક જણાવે છે કે ‘સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એક વૈજ્ઞાનિક શિક્ષણ છે. જેનાથી સમાજની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય જે સતત વિકાસ માટે સ્વચ્છતા, સામાજિક ભેદભાવ, પાણી, સામુદાયિક સ્વાસ્થ્ય, પર્યાવરણ, ગરીબી, લિંગસમાનતા, બાળકોના કલ્યાણ તેમ જ આધ્યાત્મિક જ્ઞાન-પ્રાપ્તિથી સંબંધિત હોય તેનાથી એક ખુશનુમા જીવન જીવી શકાય અને અન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય.’
આજે આ સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર ભારતની અનેકવિધ યુનિવર્સિટીઓ તેના વિનયન શાખાના અભ્યાસક્રમોમાં સ્થાન આપી રહી છે. જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ એમ.કે. ભાવનગર યુનિવર્સિટીએ આ પહેલ કરી છે. બાદમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવતા વર્ષે આ વિષય ચાલુ કરવા જઈ રહી છે. બિહારની મિથિલા યુનિવર્સિટી પણ નવા વર્ષે ‘સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર’ શરૂ કરે છે. આ બાબત જ આ વિષયની પ્રસ્તુતતા દર્શાવે છે. આજે સમગ્ર વિશ્વ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થયું છે ત્યારે તેની સૈદ્ધાંતિક અને વ્યવહારુ ઉપયોગિતાની સમજ ફેલાવવામાં શિક્ષણ એક ઉમદા માધ્યમ છે ત્યારે ભારતમાં સૌ પ્રથમ સમાજશાસ્ત્રની એક શાખા તરીકે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર નવી શાખા સામાજિક વિજ્ઞાનોમાં અનિવાર્ય બને છે. સમાજની પ્રસ્તુતતા બદલાય તેમ શિક્ષણનું માળખું અને અભ્યાસક્રમોમાં પરિવર્તનો પણ પ્રસ્તુત બને છે,
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એટલે વ્યક્તિ અને સ્વચ્છતા વચ્ચેના પરસ્પર સંબંધોનું સામાજિક વિજ્ઞાન.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સ્વચ્છતા અને સમાજ વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેમાં માનવસમાજની સ્વચ્છતા પરની અને સ્વચ્છતાની માનસસમાજ પર થતી અસરોનું અધ્યયન કરવામાં આવે છે.
સ્વચ્છતા એ સમાજ અને સંસ્કૃિત સાથે સંકળાયેલી બાબત છે કારણ કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં તેના સમાજ અને સંસ્કૃિત સ્વચ્છતાના આગ્રહી હશે. લોકોના જીવનમાં સ્વચ્છતાની સંસ્કૃિતનાં તત્ત્વો વણાયેલાં હશે. લોકો સ્વચ્છતાના આગ્રહી હશે ત્યાંના બાળકોના સામાજિકરણમાં સ્વચ્છતાનું શિક્ષણ આપવું હશે અને આવાં મૂલ્યોના લોકોએ આત્મસાત કર્યો હોય છે, આથી સ્વચ્છતા જાળવવી એ તેઓના માટે સહજ હશે.
સ્વચ્છતા અંગે ગાંધીજીનો અભિપ્રાય ‘હું કદાચ ફરી નહિ જન્મું, પરંતુ જો આમ થયું તો હું સફાઈ કરનારા કુટુંબમાં જન્મવાનું પસંદ કરીશ જેથી હું તેને અમાનુષી, બિનઆરોગ્યપ્રદ અને મેલું ઉપાડનારી પ્રજા અને ધૃણાસ્પદ વ્યવહારમાંથી બહાર લાવી શકું’.
ભારત સરકાર શહેરી વિકાસ મંત્રાલય શહેરી સ્વચ્છતાની વ્યવસ્થા પર તેમનો મુખ્ય વિકાસ આ મુજબ છે. દરેક ભારતીય નગર સંપૂર્ણપણે સ્વચ્છ, સ્વસ્થ અને રહેવાલાયક બને અને પોતાના દરેક નાગરિકો માટે સારું લોક સ્વાસ્થ્ય અને પર્યાવરણીય પરિણામ સુનિશ્ચિત તેમજ સુસ્થિર કરે અને શહેરી ગરીબો તથા મહિલાઓ માટે સ્વાસ્થ્યકર અને વાજબી સ્વચ્છતા સુવિધાઓ પર વધુ ધ્યાન આપે.
‘સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર’ એ સમાજશાસ્ત્રની એક નવી ઉદ્ભવ પામેલી શાખા છે. જેના પ્રેરણાસ્રોત ડૉ. બિંદેશ્વર પાઠક રહ્યા છે. ૨૧ની સદીમાં જ્યારે સમાજશાસ્ત્રનો માર્ગ વ્યવહાર્ય બન્યો ત્યારે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એ સમાજના મહત્તમ ક્ષેત્રોને આવરી લેતું એક શાસ્ત્ર છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજીવનને સ્વચ્છ, સુખી અને સમૃદ્ધ બનાવવાનો છે. માનવસમાજને સ્વચ્છતા સંબંધી અસર કરતી અનેક પરિસ્થિતિઓનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી પ્રાપ્ત સિદ્ધાંતોને લોકકલ્યાણ માટે ઉપયોગમાં લેતી વિજ્ઞાન શાખા એટલે ‘સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર’. આ શાખાનો વિકાસ એ સમગ્ર માનવજાતને વિષમ પરિસ્થિતિમાંથી બહાર લાવી વિકાસની તકો પૂરી પડતો માર્ગ છે.
લગભગ ૧૬મી સદીમાં આકાર પામેલું અને પોતાની તર્કબદ્ધ દલીલોના આધાર પર માનવીના માનસ પર સત્તા ધરાવતું શાસ્ત્ર એટલે દર્શનશાસ્ત્ર. જે સત્તા માનવીની વૈચારિક શક્તિના વિકાસ સાથે લુપ્ત થઈ ગઈ અને જગતના સામાજિક અને ભૌતિક પાસાંઓને વૈજ્ઞાનિક ઢબે તપાસવા અનેક વિજ્ઞાનશાખાઓ અસ્તિત્વમાં આવી જેને પોતાના અલગ-અલગ અભ્યાસક્ષેત્રો કે કાર્યક્ષેત્રો છે.
એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ઈ.સ. ૧૯૩૮માં થયો જેમાં અનેક સિદ્ધાંતોને સ્થાન મળ્યું. સિદ્ધાંતોના વધવાની સાથે સમાજશાસ્ત્રીની પેટા શાખાઓ ઊભી કરવાની જરૂરિયાત ઊભી થવા લાગી. આજે સમાજશાસ્ત્રમાં અનેક પેટા શાખાઓ છે. પોતાના અલગ અને વિશિષ્ટ કાર્યક્ષેત્રોમાં કામ કરી રહી છે. સ્વચ્છતા અને સમાજ એકબીજાના પૂરક છે. સ્વચ્છતા સમાજમાં જોવા મળે છે અને સમાજ વિકાસની પારાશીશી સ્વચ્છતા છે. જેમાં જેવી સંસ્કૃિત હોય તેવો સમાજ હોય અને વિવિધ સમાજની સંસ્કૃિતની અસર સમાજના લોકો ઉપર હોય છે એમ સ્વચ્છતા પણ એવી જ રીતે સમાજ સાથે જોડાયેલી બાબત છે. જો સ્વચ્છ અને તંદુરસ્ત સમાજ હશે તો સમાજ સાર્વત્રિક રીતે તંદુરસ્ત અને વિકસિત હશે અને સમાજ જેટલો સ્વચ્છતા અંગે જાગૃત હશે તેટલી તેને વિકાસની વધુ તકો લભ્ય બનશે.
સ્વચ્છતાના સમાજશાસ્ત્રની પ્રસ્તુતતા
કોઈ પણ શાસ્ત્ર હોય સૈદ્ધાંતિક કે વ્યવહારુ પરંતુ તે ત્યારે જ મહત્ત્વનું બને છે જ્યારે કાં તો તે ઉચ્ચ કોટિની સૈદ્ધાંતિક ક્ષમતા ધરાવતું હોય અથવા તો તેનું વ્યવહારિક પાસું મજબૂત હોય. જ્યારે કોઈ વ્યવહારિક શાસ્ત્ર આકાર પામતું હોય ત્યારે તેને મહત્તમ પ્રતિસાદ ત્યારે જ મળે છે જ્યારે તે સમાજના મહત્તમ ક્ષેત્રોને લાભદાયી બને. સમાજશાસ્ત્રની પેટા શાખા રૂપ નવું આકાર પામી રહેલું સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર કે જે વ્યક્તિને, કુટુંબને, સમાજને, દેશને અને સમગ્ર વિશ્વને ઉપયોગી બનતું એવું શાસ્ત્ર છે. જે ઘણી બધી ઉપયોગિતા ધરાવે છે. જેને આ પ્રમાણે વર્ણવી શકાય :
સ્વચ્છતાના સમાજશાસ્ત્રના અભ્યાસથી વ્યક્તિને વૈજ્ઞાનિક જાણકારી મળે છે. સમાજમાં પ્રદૂષણ જેવી બનતી ઘટનાને સમજી શકે છે કે કેમ ? તે અંગેની સમજણ આ શાસ્ત્રના માધ્યમથી વિસ્તારી શકાશે. એટલું જ નહિ પરંતુ બીજા લોકોની સ્વચ્છતા અંગેની વર્તન પ્રણાલીને સમજવાની શક્તિ પણ પ્રાપ્ત કરી શકાય છે. સ્વચ્છતા અંગે પોતાનો સમુદાય બીજા સમુદાયના સાથેના મૂલ્યાંકનમાં આ શાસ્ત્રનું જ્ઞાન વ્યક્તિને ઉપયોગી બને છે. આ શાસ્ત્રના જ્ઞાન દ્વારા વ્યક્તિ પોતાના સામાજિકરણ અને વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે. વ્યક્તિમાં રહેલી કુટેવો, મર્યાદાઓ અને અણઆવડતોની જાણકારી મેળવી તેના ઉકેલો મેળવવા માટે આ શાસ્ત્ર વ્યક્તિગત જીવનમાં મહત્ત્વનું બની રહે છે. તેમ જ પોતાના ભવિષ્યને વધુ સારું બનાવી શકે છે.
દરેક સમાજે પોતાના વિકાસ માટે કેટલાક ધ્યેયો કર્યા હોય છે. તેમાં સ્વચ્છતાનું ધ્યેય દરેક સમાજ કે દેશનું હોઈ શકે છે. તેને સિદ્ધ કરવા આ શાસ્ત્રની જાણકારી જરૂરી બને છે. સ્વચ્છતાની નીતિ અને તે અંગેના ધ્યેયો નક્કી કરવા તેમ જ તે દ્વારા વિકાસના ધ્યેયો સિદ્ધ કરવામાં કયા પ્રકારની સ્વચ્છતાની નીતિઓ ઘડીને અમલમાં મુકાવી તે અંગેનું જ્ઞાન આ શાસ્ત્ર આપે છે એટલે કે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એક સાધન ઉપયોગી બની શકે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો સ્વચ્છતા ક્યાં સમુદાયમાં વધુ જરૂરી છે તે અંગેના કાર્યક્રમો નીતિ અને નાણાંની ફાળવણી કેવી રીતે કરાવી એ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ શાસ્ત્ર દિશાનિર્દેશ કરે છે. ઉપરાંત અમલી કાર્યક્રમોમાં રહેલી ક્ષતિઓ કે મર્યાદાઓ પણ જણાવે છે કે જેથી ભાવિ પરિણામો ચોક્કસ દિશામાં અને વધુ સારા પ્રમાણમાં મેળવી શકાય.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સ્વચ્છતા અંગે સમાજમાં બનતી ઘટનાઓના અભ્યાસ કરી સિદ્ધાંતો આપે છે તેમ જ ભવિષ્યના અભ્યાસો માટે માર્ગદર્શન આપે છે. આ શાસ્ત્ર કોઈ પણ બાબત કે ઘટનાનો અભ્યાસ કરે છે ત્યારે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે કે તેનાં પરિણામો કે અસરો થઈ શકે તેની આગાહી કરી શકે છે. એક ઉદાહરણ આધારે જોઈએ તો જેમ મોટા ઉદ્યોગો વધતા જશે તેમ સમાજ અને વ્યક્તિ પર તેની અસરો પડશે ? તેના વિષે આ શાસ્ત્ર દ્વારા ભવિષ્યનું અનુમાન થઈ શકશે. જેમ કે ઉદ્યોગો વધવાથી શહેરીકરણ વધશે, સ્થળાંતર વધશે, ગંદા વસવાટો વધશે એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્વચ્છતા સંબંધી વિવિધ પ્રશ્નો ઊભા થશે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સંચયાત્મક, સિદ્ધાંતલક્ષી અને વ્યવહારલક્ષી છે તેથી તેના જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. આ જ્ઞાન અને સિદ્ધાંતોના આધારે ભૂતકાળમાં થયેલા અભ્યાસોના ભાવિ અનુમાનોની ચકાસણી પણ કરે છે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સ્વચ્છતાની સમાજ ઉપર અને સમાજની સ્વચ્છતા ઉપર કેવી અસરો થાય છે તે તપાસે છે. તેમજ સ્વચ્છતા વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર કેવી અસર કરે છે અને વ્યક્તિની સ્વચ્છતા ઉપર કેવી અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. જો સામાજિકીકરણ દ્વારા સ્વચ્છતાનું શિક્ષણ આમસમાજ સુધી પહોંચાડવામાં આવશે તો સમગ્ર સમાજ અને તેનું સ્વાસ્થ્ય વધુ પ્રભાવશાળી બનશે. એક નાગરિક તરીકેની સ્વચ્છતા અંગેની ભૂમિકા કેવી હોઈ શકે તેનું જ્ઞાન અને સમજ આ શાસ્ત્ર દ્વારા મળતું હોવાથી તે અન્યને શીખવશે, લોકો સ્વચ્છતાનું અનુકરણ કરશે. આ બધી બાબતોથી સામાજિક વ્યવસ્થા જાળવવામાં અને લોકોનું આરોગ્ય વધુ સારું બની શકે તે માટે આ શાસ્ત્ર વધુ ઉપયોગી બની શકે છે.
દા.ત. દરેક કુટુંબમાં બાળકને સ્વચ્છતાના પાઠો શીખવવામાં આવશે તો દરેક નવી પેઢી તેનું પાલન કરશે અને તેના લીધે પેઢીદરપેઢી સ્વચ્છતાના ખ્યાલો જ્ઞાનાંતરિત થતા દૃઢ થશે અને સમગ્ર સમાજવ્યવસ્થામાં સ્વચ્છતાના ખ્યાલો આત્મસાત્ બનશે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વ્યક્તિ, સમાજ અને સ્વચ્છતાનો અભ્યાસ કરીને જે જ્ઞાન અને માહિતી એકત્ર કરે છે તેમાં સિદ્ધાંતો નવા અભ્યાસીઓ કે સંશોધનને માહિતી અને જ્ઞાન પૂરું પડે છે તેમ જ સ્વચ્છતાના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં સ્વચ્છતાની વ્યવસ્થાઓ તેની ઉપયોગિતા વગેરે અંગેની માહિતી પૂરી પડે છે. જેમ કે સ્વચ્છતા સંબંધી વિવિધ ખ્યાલો પર્યાવરણ, ગંદકી, પ્રદૂષણ, શૌચાલય, ગટર વ્યવસ્થા, જળ વ્યવસ્થાપન, આરોગ્ય વગેરે આ બધી માહિતી નવા અભ્યાસો, સંશોધનકર્તાઓને ઉપયોગી બનશે.
આમ, સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર જે નવું જ્ઞાન, માહિતી અને સંશોધનો પૂરાં પડે છે તેનાથી વધુ સારા અભ્યાસો અને સંશોધનો થઈ શકે છે અને અભ્યાસનું કાર્ય સરળ બની શકે છે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એ હજુ તેની બાલ્યાવસ્થામાં છે. સમાજશાસ્ત્રીઓ અને શિક્ષિત-અશિક્ષિત લોકો હજુ આ શાસ્ત્રો વિષે ભૂલભરેલી માન્યતાઓ ધરાવતા હશે. આ શાસ્ત્ર વિશે લોકોની માન્યતા એવી હોઈ શકે કે આ શાસ્ત્રમાં સ્વચ્છતાની જ ચર્ચા કરવામાં આવી હશે. આ શાસ્ત્ર માત્ર ભૌતિક સ્વચ્છતા સાથે જ જોડાયેલું હશે, આ શાસ્ત્ર માત્ર શાળાઓમાં સ્વચ્છતાનાં પાઠો ભણાવતું હશે, આ શાસ્ત્ર એ નિમ્ન નથી જ નથી, અન્ય શાસ્ત્રો કરતાં ઊતરતું અને લોકો હજુ તેને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો, તેની ઉપયોગિતા, સ્વીકૃતિ, માન્યતા અને અભ્યાસોને શંકાની દૃષ્ટિએ જોઈ સ્વીકારવા તૈયાર ન પણ થાય.સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર ઉપરોક્ત ખોટા ખ્યાલો અને ભૂલ ભરેલી માન્યતાઓને દૂર કરે છે. તેથી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પરિચય કરાવે છે. તેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
ક્યાં સ્વરૂપનો છે તે દર્શાવે છે. તેના વિષયવસ્તુની સ્પષ્ટતા કરે છે, તેના વૈજ્ઞાનિક અભ્યાસોના સિદ્ધાંતોની રજૂઆત કરે છે. વિભિન્ન સમાજોમાં જોવા મળતી અસ્વચ્છ પરિસ્થિતિ કે બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ પાછળ જુદાં જુદાં કારણો જવાબદાર હોય છે. ઉપરાંત કારણો જુદા હોવા સાથે સ્વચ્છતાપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ માટે પ્રયુક્તિઓ પણ જુદા જુદા પ્રકારની હોઈ શકે. જે વિશે આ શાસ્ત્ર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પડે છે. આમ, એક સામાજિક વિજ્ઞાન તરીકેની યથાર્થતાનો ખ્યાલ સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સ્પષ્ટ કરે છે. આ શાસ્ત્ર ભલે હજુ નવું રહ્યું પરંતુ વિષયની વ્યાપકતા અને ઉપયોગિતાનો વાસ્તવિક ખ્યાલ સમાજને આપે છે તેથી આ શાસ્ત્રની વધુ ઉપયોગિતા રહેલી છે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર સ્વચ્છતા સંબંધી અનેક બાબતોનો અભ્યાસ કરે છે. ભારતીય સમાજમાં અનેકવિધતા છે. અનેક ધર્મો, જ્ઞાતિ, ભાષાઓ, પ્રાંતો અને સંસ્કૃિતઓનો વસવાટ છે પરંતુ સ્વચ્છતા સંબંધી જ્ઞાન દરેક વિવિધતામાં જરૂરી છે. આ શાસ્ત્ર દ્વારા વિવિધતામાં સ્વચ્છતાનો ખ્યાલ આપી એક રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનો પ્રયાસ થાય છે.
જો સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાની ચેતનાનું આંદોલન પ્રબળ બનશે તો સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના મૂલ્યો પ્રસ્થાપિત થશે. સ્વચ્છતાને લોકો યથાર્થ સ્વરૂપમાં સ્વીકારી તેનો અમલ કરશે અને લોકો સ્વચ્છતાને અને તેના ખ્યાલોને નવી પેઢીમાં હસ્તાંતરિત કરશે. પરિણામે લોકોના સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકશે.
સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. તેમાં વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થતો જોવા મળે છે. આથી તેનાં સંશોધનો વિશ્વસનીય, આધારભૂત અને યથાર્થ હોય છે. આથી સરકાર સંબંધી કાયદાઓ, સરકારી નીતિ, આયોજનો અને બહુવિધ કાર્યક્રમો તૈયાર કરતી વખતે આ શાસ્ત્રનો આધાર લઈ શકે. સરકારે કલ્યાણ રાજ્યનું ધ્યેય સ્વીકાર્ય હોવાથી લોકકલ્યાણ અને સમાજ કલ્યાણ સંબંધી કાર્યક્રમો જેવા કે નિર્મળ ગ્રામ યોજના, સ્વર્ણિમ ગ્રામ યોજના, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન, સાર્વજનિક સ્વચ્છતા, શાળા સ્વચ્છતા, આંગણવાડી, શૌચાલય, પાણી પુરવઠા અને ગટર યોજના વગેરે જેવાં આયોજનોમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવા યોગ્ય છે તે સમજવા સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર ઉપયોગી થઈ પડે. તેમજ સરકારશ્રી દ્વારા કેટલીક યોજનાઓના સર્વેક્ષણ, કેટલાક પ્રોજેક્ટોના અભ્યાસો હાથ ધરવાના હોય ત્યારે આ શાસ્ત્રના અભ્યાસુઓ સહભાગી થઈ શકે.
આમ, સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એક એવું સામાજિક વિજ્ઞાન છે કે જે દ્વારા વ્યક્તિને, સમાજને, રાષ્ટ્રને અનેકવિધ રીતે ઉપયોગી બને છે. આ શાસ્ત્ર અન્ય શાસ્ત્રોની તુલનામાં નવું વિજ્ઞાન છે.
વિશ્વ આરોગ્ય સંઘ (WHO) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વમાં સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થિત જળવાય તેની ચિંતા કરે છે. અનેક દેશોમાં સ્વચ્છતા સંબંધી સેમિનાર, કોન્ફરન્સ, આયોજનો, કાર્યક્રમો આ સંસ્થા દ્વારા યોજાતા હોય છે. તેમાં નિષ્ણાતો અને વિદ્વાનોના મતો કે અભિપ્રાયો લેવાતા હોય છે. આ સંસ્થાના કાર્યને વધુ સક્ષમ બનાવવા માટે વૈજ્ઞાનિક સંશોધનો મારફતે સ્વચ્છતા અને તેને આનુષાંગિક બાબતોને યોગ્ય ઢબે લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ શાસ્ત્ર કરી શકશે અને વિશ્વ આરોગ્ય સંઘનું કાર્ય સરળ બનાવી શકાશે.
વિશ્વના દેશોમાં સ્વચ્છતાનો ખ્યાલ અને તેનું સ્વરૂપ વૈવિધ્યસભર રહેલું છે. આમાં એકરૂપતા લાવવાનું કાર્ય આ શાસ્ત્ર દ્વારા લાવી શકશે.
આમ, ઉપરોક્ત સમગ્ર ચર્ચાના આધાર પર એ બાબત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર ઉદ્ભવની દૃષ્ટિએ અન્ય સામાજિક વિજ્ઞાન કરતા ઘણું પાછળ છે. આમ છતાં તે સમાજ માટે ઘણું ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. આ શાસ્ત્રની વિભિન્ન સૈદ્ધાંતિક દલીલો જે તે સમાજની સુધારણા માટે અને તેને સમૃદ્ધિને માર્ગે લઈ જવા માટે ઉપયોગી બની રહેશે. તેનું મહત્ત્વ સમાજના એક એકમ તરીકે ‘વ્યક્તિ’થી માંડી સંપૂર્ણ સમાજ સુધી વ્યાપ્ત હોવાથી તેને એક મહત્ત્વપૂર્ણ શાસ્ત્ર ગણાવી શકાય.
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી, શામળદાસ આટ્ર્સ કૉલેજ, ભાવનગર
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, 10 જાન્યુઆરી 2016; પૃ. 11-15