આજકાલ ‘સંસ્કૃિત’ શબ્દ અનેક સંદર્ભમાં છૂટથી વપરાતો અને ચર્ચાતો જોવા મળે છે. પોતાના જ દેશમાં જન્મીને ઉછરેલા લોકો પોતાની નવી પેઢીના સંતાનો ‘અમારી સંસ્કૃિત આ નવી પેઢી નથી જાળવતી’ તેવી હૈયા વરાળ કાઢતાં હોય છે, વિદેશમાં જઈને તંબુ તાણીને રહેલી પ્રજા તો સતત ‘હાય અમારી સંસ્કૃિત તો સાવ ભુલાતી જાય છે’ તેવું અરણ્ય રુદન સતત કરતાં સંભળાય છે અને એ બધું જાણે પૂરતું ન હોય તેમ ઘણા દેશોની આંતરિક સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો માટે પણ વિવિધ સંસ્કૃિતઓ વચ્ચેના તફાવત અને વિરોધાભાસોને જવાબદાર ગણવાનું વલણ જોર પકડતું જાય છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી વકરેલ આતંકવાદ ‘અમારી ધાર્મિક માન્યતાઓ, અમારા સામાજિક મૂલ્યો અને સંસ્કૃિત પર આક્રમણ થાય છે, તેના પર ખતરો પેદા થયો છે માટે જેઓ અમારા પંથના નથી તેમનો સર્વનાશ કરો’ એવી વિકૃત વિચારધારા પર ચણાયેલો જોવા મળે છે. અને એ વિફરેલ આતંકવાદને ડામવા કેસરિયા કરી નીકળી પડેલા તેમનાથી વિશેષ જોરથી સાંપ્રદાયિકતનો દંડ લઈને વાર કરે છે. સવાલ એ થાય કે તો આ ‘સંસ્કૃિત’ની વિભાવના શી ચીજ છે?
આ મુદ્દા પર સ્વ. મનુભાઈ પંચોળીએ એક સુંદર નોંધ કરેલી વાંચવામાં આવેલી. તેમણે કહ્યું છે કે વિલાયતના એક વિચારકના મતે અન્ય જીવ સૃષ્ટિ કરતાં માનવી ત્રણ બાબતે વિશિષ્ટતા ધરાવે છે: 1) કાર્યકારણ બુદ્ધિ, 2) સૌન્દર્યાભિમુખતા, અને 3) નીતિ વિષે અંતરનો અવાજ. જગતની કોઈ પ્રાણી સૃષ્ટિ પાસે આ ત્રણ શક્તિઓ નથી જે મનુષ્ય પાસે છે અને તેથી જ તેની પાસે સંસ્કૃિત છે, તે ‘સંસ્કૃત’ છે તેમ કહી શકાય અને આ ત્રણ લાક્ષણિકતાઓથી તે પ્રાણી, પક્ષી, જંતુઓથી અળગો તરી આવે તે સમજાય તેવું છે.
હવે જો આ ત્રણ લાક્ષણિકતાઓને સંસ્કૃત હોવાનું માપદંડ ગણીએ તો ગોરા કે કાળા, ક્રિશ્ચિયન કે મુસ્લિમ, હિંદુ કે સીખ, પશ્ચિમી દેશોના રહીશ કે પૂર્વીય દેશોના રહેવાસીઓ, શહેરી કે આદિવાસીઓ, ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર, ઉત્તર ગોળાર્ધમાં રહેનારા કે દક્ષિણ ગોળાર્ધના રહેવાસીઓ એ બધા જૂથોમાંથી કોણ વધુ કાર્યકારણ બુદ્ધિ, સૌન્દર્યાભિમુખતા અને નીતિ વિષે અંતરનો અવાજ ધરાવે છે અને પરિણામે કોણ વધુ સુસંસ્કૃત છે એ કહી શકાય ખરું? સંસ્કૃત હોવાના આ માપદંડમાં સાક્ષર હોવું, અમુક ધાર્મિક પંથના હોવું કે ભૌતિક સુખના સાધનોના માલિક હોવાનું જરૂરી નથી મનાયું. છતાં દુનિયા કેમ આજે અમુક ધર્મના અનુયાયીઓને, વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પામેલાને અને ધનવાન લોકોને જ ‘સંસ્કૃત’ ગણે છે?
હાથી અને વ્હેલ જેવાં પ્રાણીઓ કદમાં માનવીથી અનેક ગણાં મોટાં છે તો વળી કીડી જેવાં જંતુઓ સામાજિક રચનામાં માનવ સમાજ રચના કરતાં વધુ વ્યવસ્થા ધરાવતા માલુમ પડ્યા છે પરંતુ બુદ્ધિ પૂર્વક કાર્ય-કારણનો વિચાર કરીને નિર્ણય લેવો, સૌન્દર્ય દ્રષ્ટિને મધ્ય નજર રાખી વ્યક્તિગત અને જાહેર જીવનનું આયોજન કરવું અને નૈતિક મૂલ્યોને જીવનમાં વણી લેવા એ માત્ર માનવ જાત માટે જ શક્ય છે. ઈશ્વરદત્ત આ બક્ષિસનો આપણે સદ્દઉપયોગ કરીએ છીએ ખરા? આધુનિક અર્થ વ્યવસ્થાને પરિણામે ઉત્પન્ન થયેલી આર્થિક અને સામાજિક અસમાનતા આપણી કાર્ય-કારણની સમજણની ઉણપ ઉઘાડી પાડે છે. પ્રાકૃતિક સ્રોતોનો કરોડો હાથ વડે થતો ઉપભોગ માનવ જાતની સૌન્દર્ય પીપાસાનું લીલામ થઈ ગયાનું અને જરૂરિયાતોને અતિક્રમી જવાની તેની લોભી વૃત્તિનું પ્રમાણ છે. વિશ્વ ભરમાં ઉઘાડે છોગ અને બંધ બારણે થતા શત વિધ પ્રકારના અન્યાયો અને ફલસ્વરૂપ આચરવામાં આવતી હિંસા સાબિત કરે છે કે મહા મહેનતે મળતો માનવ અવતાર નીતિ અને ધર્મ ભાવનાથી યોજનો દૂર જવાને પરિણામે એળે જતો હોય તેમ ભાસે છે. શું આજે આપણે દાવો કરી શકીએ કે હા, માનવ જાત ઉપરોક્ત ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે અને તે ખરા અર્થમાં સુસંસ્કૃત છે?
પેરિસમાં તાજેતરમાં પર્યાવરણ સમિટ મળી, જે વર્ષોવર્ષ મળે છે, કેટલાક નિર્ણયો લેવાય છે અને નીર્ધારેલ સમયે પ્રદૂષણ ઓછું કરવાના પ્રયત્નોમાં નિષ્ફળ જવાના કારણો માટે પોતાના સિવાયના અન્ય દેશોને જવાબદાર ઠેરવીને રાજકારણીઓ અને તેમના દેશના પ્રજાજનો ફરી એવી જ ભુખાળવી જીવન પદ્ધતિમાં જોતરાઈ જતા જોઈએ છીએ.
‘ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા’ એ કાવ્ય ઝરણાને કિનારે પાણી પીતાં હરણાં ન લખી શકે, એ વરદાન માત્ર માનવીને જ મળ્યું છે, તો એ ઝરણાં વહેતાં રહે એ ફરજ પણ તેની જ છે, નહીં તો તેને સંસ્કૃત કેમ કહેવો? પશુ-પક્ષી પોતાનું ઉદર પોષણ કરવા અને પોતાનાં બચ્ચાંને ઉછેરવા ખોરાક લાવે અને થોડો સંગ્રહે તે જોયું છે પણ તેનામાં પોતાની કે અન્ય જાતિના પશુ-પક્ષીને ભૂખે મરતાં હોય તો પણ ભાગ પાડીને આપવાની ક્ષમતા નથી, એ નૈતિક ભાન તો માનવીને જ હોય છે. એટલે જો માણસ પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ખોરાકના જથ્થાનો સંગ્રહ કરે, વધુ પડતો ભાવ લઈને વેંચે, તેના કાળા બજાર કરે અને પોતાનાં જ ભાંડરૂ ભૂખ્યાં હોય છતાં અનાજનો વ્યય કરે તો તેને સંસ્કારી કેમ ગણવો?
આપણા શાસ્ત્રમાં લખ્યું છે:
આહારનિદ્રાભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્ન્રાણામ
ધર્મો હિ તેષાં અધિકો મતો મે ધર્મેણ હીના: પશુભિ: સમાના
આહાર નિદ્રા અને મૈથુનને અંકુશમાં રાખવાની શક્તિ એ જ માનવીને પશુથી અલગ પાડનારું તત્ત્વ છે, એ જ ધર્મનો બોધ છે અને ધર્મ પાલન વિનાનો મનુષ્ય પશુ સમાન છે. જ્યારે આજે તો વધુ પડતો આહાર આરોગનારો અથવા વ્યય કરનારો, અનિયમિત નિદ્રા લેનારો અને નિરંકુશ મૈથુનમાં રાચનારો, પોતાના અંતરનો અવાજ ન સંભળાય તેટલાં ઉપકરણો વસાવનાર આદમી ઊંચા વર્ગનો, આદરણીય અને સંસ્કૃત ગણાય છે. લોકો સ્થાપિત ધાર્મિક ક્રિયાકાંડથી દૂર જાય તેની એટલી ચિંતા નથી જેટલી એ નૈતિક મૂલ્યોથી વેગળો થઈ રહ્યો છે તેની છે.
આપણા શાણા પૂર્વજોએ એમ પણ કહ્યું છે:
વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ: પરેશાં પરિપીડનાય
ખલસ્ય સાધોર્વિપરીત મેતત જ્ઞાનય દાનાય ચ રક્ષણાય
આપણે સંસ્કૃત છીએ એ સાબિત કરવું હોય તો વિદ્યાવાન બનીને બીજાને જ્ઞાન આપીએ, ધનવાન બનીને ધનનું છુટ્ટે હાથે દાન કરીએ અને બળવાન બનીએ તો નિર્બળનું રક્ષણ કરીએ; અને તો જ રામના સાચા અનુયાયી ઠરીએ નહીં તો રાવણના વંશ જ કહેવાઈએ. જે ઉપરોક્ત શ્લોકનો અમલ કરીને જીવે તે સંસ્કૃત, ન કરે તે લગીરે સંસ્કૃત ન કહેવાય.
આજે જાણે દુનિયાના તમામ દેશો પોતાને આધુનિક, સહિષ્ણુ, ઉદારમતવાદી અને સર્વસમાવેશી ગણાવવાની હોડમાં પડ્યા છે, ત્યારે ભારત પણ કેમ પાછળ રહે? ભારતની પુરાતન સંસ્કૃિત વિષે પુરાતત્વીય શોધને આધારે વ્યવસ્થિત ગ્રથિત માહિતી હજુ જોઈએ તેટલી ઉપલબ્ધ નથી પરંતુ આપણાં શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકલામાં સંસ્કૃિતના દર્શન થાય છે, એ સાહિત્ય, નાટ્ય, સંગીત, નૃત્યમાં ધબકે છે અને લોકકળાઓમાં શ્વસે છે. ભારતની યુવા શક્તિ આજે ટેકનોલોજી ક્ષેત્રે અપરાજિત ભાસે છે તો તેનો સદુપયોગ કરી ગુજરાતની વાત કરીએ તો જેસલ-તોરલની સમાધિ, તાનારીરીનું સ્મારક, નરસિંહ મહેતાનો ચોરો અને કીર્તિમંદિર અને દેશ આખામાં પથરાયેલ તેના જેવાં અસંખ્ય ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો વિષે પૂરતી માહિતી એકઠી કરી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરી, તેની જાળવણી કરી, એવા સ્થળોએ જવાની અને રહેવાની સુવિધાઓ કરી અને તેને અનુલક્ષીને આગવા ઉત્સવો ઉજવીને તેને ચિરંજીવ બનાવવાનું બીડું ઝડપવું જોઈએ. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રવાસન વિભાગે એ દિશામાં પ્રશંસનીય કામ કર્યાનું જાણમાં આવ્યું છે. એક બાજુ મોટા ભાગના ધર્મના પ્રચારકો પરલોકની વાતો કરે, સ્વર્ગમાં સ્થાન મેળવવા પુણ્ય કમાવાના રસ્તા બતાવે છે પણ આ લોકનાં વંદનીય તેમ જ સામાન્ય જન જીવનની તવારીખો ન સચવાય તો સૌને પોતપોતાની અને અન્યની સંસ્કૃિતની મહાનતાનો સાક્ષત્કાર કેવી રીતે થાય?
એક એવી માન્યતા છે કે વેદ સમયના ઋષિઓ માત્ર વેદ રચના કરતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ખેતર ખેડતા અને રાજ્ય કરતા અને એટલે લડતા પણ ખરા પણ સાથે જ પરમ સત્યની શોધ પણ કરતા, જેની ગાથા સુંદર છંદોમાં કરી. ભારતીય સંસ્કૃિત અનેક હાથ વડે ઘડાયેલી છે, કોઈ એક વિરાટ માનવે વામણા અને અજ્ઞાન લોકો માટે બનાવેલ કોઈ યોજના નથી. સનાતન ધર્મના ઉદ્દભવ સમયે કોઈ મંદિર નહોતાં, મૂર્તિઓ નહોતી કે મૂર્તિ પૂજા ય નહોતી. કુદરતના સર્જનહાર અને તેની રચેલી તમામ પ્રકૃતિ એકબીજા સાથે સહયોગ યુક્ત સન્માનથી રહેતી, જરૂર પૂરતું લેતી અને તે બદલ કુદરતનો ઉપકાર માનવા વેદીમાં કુદરતે આપેલ સમિધો ‘ઈદમ ન મમ’ – આ મારું નથી એવા નિ:સ્વાર્થ ભાવે હોમતી.
ચાલો આપણે ફરી એ સમયમાં પાછા જઈએ. ખુલ્લા આકાશ નીચે જીવતા સહુ માનવો પોપોતાના કર્મ રૂપી ધર્મ બજાવી પોતપોતાનો યજ્ઞ કરી લે, કોઈ બ્રાહ્મણ-પુરોહિતની જરૂર નહીં કેમ કે સહુને યજ્ઞ ક્રિયાનું જ્ઞાન હશે. વેદકાળમાં એવી વ્યવસ્થા હતી કે જે ગાયો ચારે તે કાવ્યો પણ રચતાં, કાપડ વણે તે વેદ ઋચાઓ પણ ઉચ્ચારતા. આમ જો સમાજના બધા સભ્યો બધા પ્રકારનું કામ કરે તો એક વિશિષ્ટ સમૂહનો અમુક કાર્યો કરવા પરનો વિશેષાધિકાર ન રહે અને પરિણામે એક સમૂહ દ્વારા બીજા સમૂહના શોષણ થવાનો સવાલ જ ન રહે. પણ એવી સ્થિતિ લાવવા માટે દેશના તમામ નાગરિકોને ઉચ્ચ કક્ષાનું ઉત્તમ શિક્ષણ મળે તેવી સુવિધા કરવી જોઈએ અને દરેક વર્ગને વેઠમાંથી મુક્તિ મળે તેવી અર્થવ્યવસ્થા કરવી રહી. આમ બને તો જ સ્ત્રીઓ પણ સક્ષમ થાય. વેદ-ઉપનિષદ કાળમાં થઈ ગયેલી લોપામુદ્રા અને ગાર્ગી જેવી વિદુષીઓ એકાકી હતાં કે તે જમાનાનો તમામ સ્ત્રી વર્ગ સુશિક્ષિત હતો તેના તો કોઈ પુરાવા આપણી પાસે નથી, પણ આજે કોઈ એક મહિલા પોતાના રાજ્ય કે દેશના વડા બને, અવકાશમાં જાય કે કોઈ કંપનીમાં ઉચ્ચ પદ ભોગવે એવા 4% મહિલાઓની ઉન્નતિથી બાકીની 96% સ્ત્રીઓની દશાનું માપ કેમ નીકળે? જરૂર છે ઊભી દિશામાં થઈ રહેલા વિકાસને પ્રસરાવીને ક્ષિતિજની રેખાઓ સુધી ખેંચી જઈને વધુમાં વધુ માનવ સમૂહને સમાવવાનો, ત્યારે જ માનવ ખરો સંસ્કૃત કહેવાશે.
સમયે સમયે માનવી સ્થળાંતર કરે, રાજાઓ પોતાના રાજ્ય વિસ્તારની પિપાસા છીપાવવા ચડાઈઓ કરે ત્યારે સ્થાનિક પ્રજાને મારીને સ્થાયી થતા તેનો ઇતિહાસ સાક્ષી છે. પણ એવા સામ્રાજ્ય વિસ્તાર માટેની ચડાઈઓ પછી બંને પ્રજાઓ અને રાજા-પ્રજા વચ્ચે સુમેળ અને સમાધાન ન સધાય તો રાજ્ય વહીવટ અને પ્રગતિ સાધવાનું અશક્ય બને તે પણ એટલું જ સાચું છે. આર્યો-અનાર્યો, યુરોપીયનો-નેટિવ અમેરિકાનો અને અંગ્રેજો-માઓરી વગેરે જેવી અનેક પ્રજા કેવી રીતે છેવટ સમાધાન સાધીને સાથે રહી તે તેના જ્વલંત ઉદાહરણો છે. સવાલ એ છે કે નાશવંત જાતિઓની સંસ્કૃિત જાણવાનું, જાળવવાનું અને તેનો પુનરુત્થાન કરવાનું કામ કોણ કરે? બહારથી આવેલી આક્રમક પ્રજાને પોતાની સત્તા ટકાવવા, પોતાની જીવન પદ્ધતિ બીજા પર ઠોકી બેસાડવામાં જ લાભ જણાય અને જે તે પ્રદેશની મૂળ પ્રજાને પોતાની સંસ્કૃિતના હ્રાસ લગીરે માન્ય ન હોય ના એમાંથી સંઘર્ષમય સ્થિતિ પેદા થાય એ સમજાય તેવું છે. અમેરિકામાં શ્વેત અને અશ્વેત લોકો માટે પાણીના નળ જુદા હતા, તો ભારતમાં હજુ આજે પણ કેટલાંક ગામડાં ઓમાં સવર્ણ અને અછૂતો માટે જુદા કૂવા કે નળ પર પાણી ભરવાના સમય જુદા હોય છે. આવા ભેદભાવ દૂર કરવાનું ક્યારે શીખશું? જોવાનું એ છે કે સમયના વહેણ સાથે આર્ય-અનાર્યનું લોહી એક થઇ ગયું, તો હવે ધર્મના અને નાત-જાતના વાડા નડે છે. લોહી કે પાણીનો રંગ એક જ છે, માણસની આંખ અવળું જુએ છે. આપણે કહીએ છે કે ‘મારી સંસ્કૃિત મારા રગમાં – લોહીમાં છે’ સાથે એમ પણ માનીએ છીએ કે બીજાનું લોહી અશુદ્ધ છે, મારું શુદ્ધ છે, માટે મારી સંસ્કૃિત સાચવવા બીજા સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવો એટલું જ નહીં, તેમને નિષ્કાસિત કરવા, જાનથી મારવા નહીં તો અમારી અશુદ્ધિ વધશે અને સંસ્કૃિત નહીં બચે. ગજબ છે આ વિચાર (કે કુવિચાર?) પોતાની સંસ્કૃિત શુદ્ધ રાખવા બીજી સંસ્કૃિતના માનવોને મારવા એ સંસ્કૃત પગલું ગણાય? અરે કરુણતા તો એ વાતની છે કે આજે સામાન્ય માણસને આજે કઈ તારીખ છે કે કાલ શું કામ કરવાનું છે એ યાદ નથી રહેતું, પણ 1500 વર્ષ પહેલાં પોતાના ધર્મમાં થયેલ મતભેદોને આધારે આજે પણ એકબીજાને રહેંસી નાખવાનો ઉપક્રમ યાદ રહે છે, 150 કે 900 વર્ષ પહેલાં થયેલી લડાઈ કે આચરાયેલા દમનનું વેર કોઈ એક પ્રજાની સામૂહિક કતલ કરવાનું યાદ રહે છે. આ વર્તન કરનારને કઈ સંસ્કૃિતના સભ્યો કહીશું?
કેટલીક વાતો સમજવા જેવી છે જે આપણા સંત-મહંતોએ ગાઈ-વગાડીને કહી છે, અને તે એ કે જીવનમાં જન્મ મહત્ત્વનો નથી, કર્મ અને સંસ્કાર મહત્ત્વનાં છે. સંસ્કૃિત એ ખીલવવાની અને શીખવા-શીખવવાની ચીજ છે, બીજાની સંસ્કૃિતનો નાશ કરવાથી પોતાની પણ રસાતાળ જશે. અન્યની જીવન પદ્ધતિ કે વિચારધારાથી દોરાવાને બદલે કે તેનાથી દૂર ભાગવાને બદલે તેને સમજવાની કોશિશ કરીએ, તેમાંથી જેટલું સારું લાગે તે ગ્રહણ કરીએ, બાકીનું તેમને માટે છોડી દઈએ. પોતાની અસ્મિતાનો લોપ કર્યા વિના દિલથી આપવું-લેવું તેનું નામ ‘સમન્વય’. વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સ્તરે જીવન જીવવા માટે શું મહત્ત્વનું, શું ગૌણ, કેટલું અંદરનું, કેટલું ઉપરછલ્લું અને શું શાશ્વત, શું ક્ષણિક છે તે વચ્ચેના ભેદ સમજાય તો ભયો ભયો. આવું જ્ઞાન લાધે તો માનવીય મૂલ્યો મહત્ત્વનાં અને અમુક પોષાક ગૌણ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અંદરની બાબત અને પ્રાર્થના કરવાની રીત બહારની બાબત, સત્યમય જીવન એ શાશ્વત અને ભૌતિક સુખ એ ક્ષણિક છે, એમ સમજાઈ જશે અને તો આ બધા વાદ વિવાદ અને સંઘર્ષો ખત્મ થઈ જશે. આર્ય-અનાર્યના મિલન પછી સમાજમાં વ્યવસ્થા લાવવા ચાર વર્ણ થયા હશે. તે પહેલાંની ત્રીવર્ણીય પ્રથામાં નીચલા વર્ણને પોતાના કર્મને આધારે ઉચ્ચ શિક્ષણ મેળવી ઊંચી દિશામાં આગળ જવાની સગવડ હતી. મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન – વ્યાસ શ્યામ હતા – એક માછી કન્યાના પુત્ર એ શું આપણે નથી જાણતા? રામાયણના કવિ કોળી જાતના અને ધંધે લુંટારા હતા વાલ્મીકિ, પણ તેમની મહાનતા તેમની મહાકાવ્યની રચનાને આભારી છે. આ બધું સૂચવે છે કે તે સમયની વર્ણ વ્યવસ્થા આજે છે તેવી સ્થગિત નહોતી. આજે કહેવાતા ભણેલા લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવા જેવો છે કે વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિ માટે જન્મ મહત્ત્વનો કે સંસ્કાર અને પુરુષાર્થ અગત્યનો?
હિંદુ ધર્મનાં શાસ્ત્રો, સંતોના કવનો અને ઉપદેશો માનવ માત્ર માટે ઉત્તમોત્તમ સંદેશથી ભરપૂર પડ્યાં છે:
“એકમ સત, વિપ્રા બહુધા વદન્તિ”
“એકો દેવ: કેશવો વા શિવો વા”
“ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં, અંતે તો હેમનું હેમ હોયે”
ભારતીય પ્રજાને પોતાના દેશમાં રહેતા હોય કે વિદેશમાં, જો પોતાની જાતને ‘સંસ્કૃત’ કહેવડાવા હોય તો આ અને આવા ઉપદેશોનો શો અર્થ ઘટાવ્યો, તેને કેટલા પચાવ્યા અને તેમાંનું કેટલું અમલમાં મુક્યું એની જાત તપાસ કરવી રહી. જો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, કામના સ્થળે અને જાહેરમાં પોતાના દરેક કાર્યને એ કાર્યકારણ બુદ્ધિથી તર્કથી ચકાસે, એ સૌદર્યની જાળવણી અને વધારો કરનાર છે કે નહીં તે તપાસે અને નીતિમત્તાના ધોરણોને પગલે ચાલનાર છે એવા અંતરના અવાજની અનુમતિથી ચાલે તો પોતે સંસ્કારી બનશે અને તેની આસપાસનો સમાજ આપોઆપ સંસ્કૃત થશે.
e.mail : 71abuch@gmail.com