છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં હજારેક કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો સરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું જ છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે
વડા પ્રધાન અમેરિકામાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને ભારતની ગ્રોથ-સ્ટોરી વેચી રહ્યા હતા ત્યારે ઘરઆંગણે દિલ્હીની ભાગોળે દાદરી નજીક બિસાહડા નામના ગામમાં એક મુસલમાનને જીવતો મારી નાખવાની તૈયારી ચાલતી હતી. વડા પ્રધાને રજૂ કરેલી ભારતની ભવ્ય ગ્રોથ-સ્ટોરી વાગોળતાં-વાગોળતાં કંપનીના સંચાલકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બિસાહડા ગામના મંદિરના પૂજારીએ ગામના લોકોને એકઠા કરીને કહ્યું હતું કે ‘મેં પોતે સગી આંખે ઇખલાકના ફળિયામાં મારેલી ગાયના અવશેષ જોયા છે. તે ગોમાંસ ખાય છે અને વેચે છે. અત્યારે જો તમે તેના ઘરે જશો તો તેના ફ્રિજમાં ગોમાંસ મળી આવશે.’ હિન્દુઓનું ઉત્તેજિત ટોળું ઇખલાકના ઘરે ગયું હતું અને તેને ઢોરમાર મારીને મારી નાખ્યો હતો. ઇખલાકના દીકરાને પણ મારવામાં આવ્યો હતો જે અત્યારે મૃત્યુ સામે સંઘર્ષ કરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીની ભવ્ય ગ્રોથ-સ્ટોરી અને દાદરીની ઘટના વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ નથી અને છે પણ. સંબંધ એટલા માટે કે વડા પ્રધાન નાટકની ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ ગ્રોથ-સ્ટોરી વેચે છે અને તેમના પ્રધાનો હિન્દુત્વ વેચે છે. આ ઉપરાંત સંઘપરિવારને મોસાળમાં જમણ અને મા પીરસનારી એમ પૂરી મોકળાશ છે. ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ વડા પ્રધાન મોઢું ખોલતા નથી અને પ્રધાનો અને પ્રવક્તાઓ જે વાતો કરે છે એને જો સિલિકૉન વૅલીમાં કહેવામાં આવે તો ભારતને મોઢું બતાવવા જેવું ન રહે. વડા પ્રધાન કદાચ ભ્રમમાં છે કે વિશ્વસમાજ તેમનો બીજો અને તેઓ જે વિચારધારામાંથી આવે છે એ પરિવારનો સાચો ચહેરો જાણતો નથી. હવે સમય આવી ગયો છે જ્યારે વડા પ્રધાને અને કેન્દ્ર સરકારે વિકાસ અને હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ. ક્યાંક બાવાના બેઉ ન બગડે એવું ન બને એ માટે આ જરૂરી છે.
બે સંભાવના છે. એક સંભાવના એવી છે કે સંઘપરિવાર સાથે પાછલે બારણેથી હિન્દુત્વની પ્રવૃત્તિ કરવાની ગોઠવણ થઈ છે અને એમાં કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય સરકારોની અને પરિવારની ભાગીદારી છે. બીજી સંભાવના એવી છે કે પરિવારનાં સંગઠનો અને સ્વયંસેવક ગાંઠતાં નથી. મને પહેલી સંભાવના વધુ નજરે પડે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પરિવારને હાંસિયામાં ધકેલી શકે અને વડા પ્રધાન તરીકે સ્પષ્ટ બહુમતી હોવા છતાં લાચાર હોય એ શક્ય નથી. એવું બને કે દિલ્હી સુધી પહોંચવા માટે પરિવારને હાંસિયામાં ધકેલી દીધો હોય અને પરિવારે હાંસિયામાં રહેવાનું મંજૂર કર્યું હોય. એ પણ કદાચ એક સમજૂતી હશે.
આવો ઇશારો કરવો પડે છે એનું કારણ વડા પ્રધાન પરત્વેનો પૂર્વગ્રહ નથી; પરંતુ કેન્દ્ર સરકારના પ્રધાનો, પક્ષના પ્રવક્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શેષાદ્રિ ચારીનાં કથનો છે. જેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જોઈએ એનો બચાવ કઈ રીતે થઈ શકે? મહેશ શર્મા નામના કેન્દ્રના પ્રધાને કહ્યું હતું કે હુમલાખોરો એટલા સંસ્કારી હતા કે તેમણે ઇખલાકની જુવાન છોકરીને હાથ પણ નહોતો લગાડ્યો. બાકી એ ઘટના ઉશ્કેરાટના કારણે બની હતી. આ એ બત્રીસલક્ષણા ભાઈ છે જેમણે હજી ગયા અઠવાડિયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. કલામનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ મુસલમાન હોવા છતાં દેશભક્ત હતા. શેષાદ્રિ ચારીએ મુસલમાનોને સલાહ આપી હતી કે તેમણે હિન્દુઓની ગાય માટેની ભાવનાનો આદર કરવો જોઈએ, મુસલમાનોએ ગુડ મુસલમાન બનવું જોઈએ. ડાહી સાસરે જાય અને ઘેલી શિખામણ આપે એમ બૅડ હિન્દુઓ મુસલમાનોને ગુડ મુસલમાન બનવાની સલાહ આપે છે. જો કોઈ પણ પ્રકારના બચાવ વિના ઘટનાની નિંદા કરવામાં આવી હોત તો ભાગીદારીની શંકા કરવા માટે કોઈ કારણ ન રહેત.
હવે રવિવારના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જે સ્ટોરી પ્રગટ થઈ છે એ જોઈને છેડા મળી રહ્યા છે કે નિર્વિવાદ નિંદનીય ઘટનાનો બચાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. મંદિરના પૂજારીએ કબૂલ કર્યું છે કે તેણે નહોતો ઇખલાકને ગાયને મારતા જોયો કે નહોતા તેના ફળિયામાં ગાયના મૃતદેહના કોઈ અવશેષ જોયા. તેને તો આ રીતે કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખોટું બોલવાની ના પાડી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. છેવટે દબાણ હેઠળ આવીને તેણે ગામના લોકોને એકઠા કર્યા હતા અને જૂઠી કહાની સંભળાવી હતી. એ પછી લોકોને ઉશ્કેરવાનું કામ એ લોકોએ કર્યું હતું જેમણે પૂજારીને જૂઠું બોલવાની ફરજ પાડી હતી. જે ત્રણ યુવકો સામે આરોપ છે એમાંનો એક ભારતીય જનતા પાર્ટીના દાદરીના ભૂતપૂર્વ વિધાનસભ્યનો પુત્ર છે અને બીજો હોમગાર્ડનો જવાન છે. હોમગાર્ડનો જવાન પૂજારીને ધમકાવવા અને ફરજ પાડવા ખાસ યુનિફૉર્મ પહેરીને રાતે મંદિરે ગયો હતો.
ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારથી કોમી હુલ્લડો થાય છે અને એમાં ગાયનો અને વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં એકાદ હજાર કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો એકસરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. કાં તો કોઈ મુસલમાને ગાયને મારી હોવાની અફવા ઉડાડવામાં આવે છે, કાં મંદિરમાં માંસના લોચા ફેંકવાની ઘટના બને છે જે ગાયના હોવાનું અને મુસલમાનોએ ફેંક્યા હોવાનું કહેવામાં આવે છે, કાં નમાજના સમયે મસ્જિદની બહાર વાજિંત્રો સાથે જુલૂસ કાઢવાની ઘટના બને છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની એકાદ હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને ઉશ્કેરાઈ જાય છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/2015-10-05-05-28-19