મૂડીવાદના સાચા સ્વરૂપને ન સમજવાથી અનેક અનર્થોના ભોગ બનવાનો વખત આવે છે. તેનું સ્વરૂપ છેતરામણી મયાજાળને લીધે આસાનીથી જોઈ શકાય તેમ નથી. વળી, અમેરિકન મૂડીવાદીઓ અહીંના રૂઢિચુસ્ત પક્ષો તથા ક્રિશ્ચિયન ચર્ચના સહકારથી ભાતભાતના ભ્રામક દાવાઓ અને દલીલો રજૂ કર્યે રાખે છે, તે ખોટી સાબિત થયા પછી પણ, સત્યનું મોં સુવર્ણના પાત્રથી ઢંકાયેલું જ રહે છે. આ લેખકે પોતે મૂડીવાદનાં ફળો ચાખ્યાં છે, તેથી મૂડીવાદનો આંધળો વિરોધ તો તે ન કરે. આ ટચૂકડા લેખમાં હું આજનો મૂડીવાદ તેના મૂળ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે, તે ખુદ અમેરિકાના હિતમાં પણ નથી, અને વિશ્વભરમાં તેની નિકાસ કરવાથી તે આખી દુનિયાને તેની ગુલામ બનાવી દઈ શકે તેમ છે, એ ત્રણ મુદ્દાઓનું પ્રતિપાદન કરવા પ્રયત્ન કરીશ.
ફ્યૂડલ અર્થવ્યવસ્થાના રક્ષણ માટે અસ્તિત્વમાં આવેલ કૅપિટાલિસ્ટ પદ્ધતિ અમેરિકાના જમીનદાર સ્થાપકોએ સ્વાભાવિક રીતે જ અપનાવી લીધી. સ્વાતંત્ર્યનાં ઘોષણાપત્રમાંથી ગુલામી નાબૂદ કરવાની વાત ઉડાવી દઈને કાળી પ્રજાનાં શોષણ અને ભવિષ્યનાં આંતરવિગ્રહનાં બીજ રોપ્યાં, અમેરિકાના ઉત્તરનાં રાજ્યોએ મશીનો અપનાવ્યાં, જ્યારે દક્ષિણનાં રાજ્યોએ કાળી પ્રજાના લોહી ઉપર સમૃદ્ધિનું ચણતર કર્યું. જે મશીનોએ ગુલામોની મુક્તિનો માર્ગ સરળ કરી આપ્યો, તે જ મશીનો આગળ જતાં બેકારીનું કારણ બન્યાં. મુક્તિના ફિરસ્તાઓ તરીકે પ્રવેશેલાં મશીનોએ પ્રજાના અતિ નાના ખંડ માટે મુક્તિ અને પ્રચંડ બહુમતી માટે એ લઘુમતીની કદમબોસી સરજી આપી.
આજે અમેરિકાની વસ્તીના એક ટકા લોકો પાસે અર્ધા ઉપરની સંપત્તિ છે. એ લોકો પૈસા વેરીને તેમને અનુકૂળ કાયદાઓ પસાર કરાવી શકે છે. ચૂંટણીમાં બંને પક્ષોને લાખો ડૉલર્સ આપીને મન ફાવતાં પરિણામ લાવી શકે છે. બેમાંથી ગમે તે જીતે પણ તે ભલું તો મૂડીવાદીઓનું જ કરે, તમારું કે મારું નહીં. આપણું કામ તો તેમનાં અઘટિત કૃત્યો ઉપર સમર્થનની મહોર મારી આપવાનું જ. કેટલા ય મતદારોએ પોતાના મત આપવાનું બંધ કરી દીધું છે. અહીંના ૯૯ ટકા લોકો તેમની માંગણી રજૂ કરવા માટે મોરચો કાઢે છે, અને નિષ્ફળ ચળવળો કરે છે, અને એક ટકાવાળાઓની પોલીસ તેમની ધરપકડ કરે છે. આ લોકશાહી છે કે લોકોના મોં ઉપર ચોપડેલી કાળી શ્યાહી છે? અમેરિકા લોકશાહીની અને મુક્ત અર્થતંત્રની નિકાસ કરવાની વાતો કરે છે, પણ હકીકતમાં તો તેને દેશનિકાલ કરવા બરોબર જ છે.
યંત્રયુગને પરિણામે ઉત્પાદન વધ્યું, તેથી કાચા માલની અને નવાં બજારોની શોધમાં ઇંગ્લૅન્ડ વગેરેએ સંસ્થાનો સ્થાપ્યાં. ભારતને તો તેનાં ફળ યાદ હોવાં જ જોઈએ. જે મહાકાય કંપનીઓને કાઢવા માટે આપણે આઝાદીની ચળવળ કરી, તેમને પાછા બોલાવવા આપણે આજે મથી રહ્યા છીએ. અલબત્ત, પ્રગતિ જરૂર થાય છે, પણ તે આપણી નહીં, કંપનીઓની જ. એ કંપનીઓ અમેરિકાની શક્તિશાળી સરકારને પણ વશ રહેતી નથી, એટલું જ નહીં પણ તેને ખિસ્સામાં રાખે છે, તે કંપનીઓ ભારતની સરકારને બદલશે? એક-એક કંપનીનું અંદાજપત્ર ભારતના અંદાજપત્ર કરતાં મોટું છે. અમેરિકાની કૉંગ્રેસ અને સેનેટ ખરીદી લેનારને ભારતની સંસદ ખરીદતા શું તકલીફ પડશે? આ સંસ્થાનવાદનો આર્થિક પુનર્જન્મ છે.
અમેરિકાના મુઠ્ઠીભર મૂડીવાદીઓએ બાકીના ૯૯ ટકા અમેરિકાને તેમનું સંસ્થાન બનાવી દીધું છે અને હવે સમસ્ત વિશ્વ તરફ ડોળો માંડ્યો છે. આ છટકામાં તેમને અમેરિકાની સરકારનો પણ સાથ છે. વિશ્વબૅંક, ઇત્યાદિ તેમનાં હથિયારો છે. મધ્યપૂર્વમાં અમેરિકાએ સરમુખત્યારશાહીની જ તરફેણ કરી છે, લોકશાહીની નહીં જ. કઠપૂતળી જેવા સરમુખત્યારો પાસેથી ગમે તે કરાવી લેવાય, લોકોના વિરોધની પરવા કર્યા વિના. લોકશાહી સરકારો સાથે બિરાદરીનો દેખાવ કરીને તેમને પણ ધૂંસરીએ જોતરી શકાય. જોહુકમીથી આ સરકારો પાસેથી કરમુક્તિ, પર્યાવરણ કાયદાઓમાંથી બાકાતી, સસ્તા કે મફતના ભાવે કાચો માલ વગેરે મેળવી શકાય અને મોંઘાદાટ તથા બિનજરૂરી માલ માથે મારી શકાય. ખેડૂતોની જમીનો પાણીના ભાવે પડાવી લેવાય કે પૂરા ભાવે લેવાય, પણ ત્યાં કામ કરતાં ખેતમજૂરોનું શું થાય તે જોવાની જવાબદારી કોઈની નહીં. આપઘાત સિવાય કોઈ ઉપાય તેમના માટે બાકી ન જ રહે.
શિક્ષણ પણ ખાનગી કરી નખાય, જેથી સસ્તી કે મફતની શાળાઓમાં બાળકોને ન મોકલી શકતાં માબાપ, પોતાનાં બાળકોને મોંઘીદાટ, વિદેશી માધ્યમની શાળાઓમાં મોકલી શકે. ભલેને બાળક, માબાપ કે શિક્ષક કોઈને અંગ્રેજી આવડતું ન હોય. કૉપીરાઇટના અને એવા બીજા કાયદાઓ દ્વારા રોજબરોજની વસ્તુઓ, જેવી કે લીમડો, અને અરડૂશી પણ કબજે કરી દેવાય. વળી, બહારનું કાપડ આવતું હોય, તો તેનો માર્ગ ખુલ્લો રાખવા માટે સ્થાનિક ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂકાવી શકાય. જો કે દેખીતી પ્રગતિ તો અપાર થાય.
મૂડીવાદ (કૅપિટાલિસ્ટ) વ્યવસ્થા ‘અમેરિકન છે, સર્વશ્રેષ્ઠ છે, લોકશાહી પદ્ધતિ છે, સૌના ઉદ્ધારની તેમાં તક રહેલી છે, ઇત્યાદિ બણગાં ફૂંકાય છે. તેની વિરુદ્ધ જે કંઈ છે તે બધું ‘સામ્યવાદી’ છે કે ‘સમાજવાદી’ છે, તેવી ઘોષણા કરાય છે. ‘ગાંધીજી વગેરેના વિચારો જુનવાણી અને પ્રગતિવિરોધી છે,’ તેમ એ વિચારોના અભ્યાસ વિના પણ કહી શકાય છે. મૂડીવાદ અમેરિકાને પણ સંસ્થાન બનાવે છે, તેની લોકશાહીને ઘોળીને પી જાય છે, માત્ર ગણતરીના થોડા લોકોનું તેમાં ભલું થાય છે, તે આપણે જોયું, છતાં ય એની એ જ વાતો જોરશોરથી થાય છે. તેમ કરવાથી કીટભ્રમર ન્યાયે અસત્ય પણ સત્ય બની જાય છે.
મૂડીવાદી વ્યવસ્થા લોકશાહી નથી, એટલું જ નહીં, તે સદંતર લોકદ્રોહી વ્યવસ્થા છે, તે અમેરિકામાં પણ કોઈને સમજાતું નથી, કારણ કે સૌએ માલેતુજાર થવું છે, અને તેથી જ કદાચ, તે ‘અમેરિકન વ્યવસ્થા છે’, તેમ છાતી ફુલાવીને તેઓ કહેતા ફરે છે. લોકો સાથે તેને શોષણ કરવા સિવાય કંઈ જ સંબંધ નથી. લોકોની સરકાર પરત્વે તેને અપાર ઘૃણા છે. મૂડીવાદી સિદ્ધાંત છે કે બજારોમાં મુક્ત રીતે હરીફાઈ થવી જોઈએ, અને સરકારે તેમાં જરા પણ દખલ ન કરવી જોઈએ. સગવડભરી રીતે એ ભૂલી જવાય છે કે મોટીમસ કંપનીઓ ઇજારાશાહી જ ભોગવે છે, અને ઇજારાશાહીને હરીફાઈ સાથે ડાંગે માર્યા વેર સિવાય બીજો કોઈ સંબંધ નથી. સરકારના અવરોધોનો અસ્વીકાર કરીને તો મૂડીવાદ સાર્વભૌમત્વનો જ છેદ ઉડાવી દે છે. સરકાર વિના કાયદાનું પાલન કોણ કરાવશે? કાયદો અને વ્યવસ્થા સિવાય મૂડીવાદ પોતે પણ કેટલી ક્ષણ ટકી શકશે? કાયદાનું રક્ષણ કરવાની સરકારને છુટ્ટી છે, એટલું જ નહીં, તેની ફરજ છે.
‘સરકાર પૈસાનો દુર્વ્યય કરે છે, નિરર્થક નોકરીની જગ્યાઓ ઊભી કરે છે, ગરીબોને વેલફેરના પૈસા આપી તેમને આળસુ બનાવે છે, નફાકારક કામો તો ખાનગી ક્ષેત્ર કરતાં બિનઅસરકારક રીતે કરે છે,’ ઇત્યાદિ કાગારોળ તો ચાલુ જ હોય છે. સરકારને કરવેરા વધારવા દેવા સામે તેને વિરોધ છે, પૈસાદાર ઉપર તો નહીં જ. ગરીબોને રાહત આપવા સામે તેને એથી પણ વધારે મોટો વાંધો છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સરકારનાં બધાં કામો નફાકારક નથી હોતાં, જે કામ બીજું કોઈ ન કરે કે ન કરી શકે તે બધાં કામ સરકાર કરે છે. રાહતનાં, દયાનાં, આપદ્ગ્રસ્તોને સહાયનાં, જાહેર સુખાકારીનાં, સુધરાઈનાં, લશ્કરને લગતાં, આ સૌ કામ કરવાં એ તો ખોટનો જ ધંધો છે.
મૂડીવાદીઓ નફાકારક કામો સરકાર પાસેથી પડાવી લેવા માંગે છે, ખોટનાં કામોમાં તેને રસ ન હોય તે સમજી શકાય. પણ એ કામો કોઈએ તો કરવાં જોઈએ એ વાત તેના મગજમાં તે ઉતારવા માંગતા નથી. પોસ્ટઑફિસ પાસેથી પાર્સલનો ધંધો ખાનગી કંપનીને અપાવી દીધો, પણ દેશના ખૂણે ને ખાંચરે પહોંચાડવામાં તેમને રસ નથી. વીમાકંપનીઓ પૈસા ચૂકવતી હોય તેવા દર્દીઓને ખાનગી હૉસ્પિટલોમાં ડૉક્ટરો, ઑપરેશન થિયેટર, ફાર્મસી, લૅબોરેટરી, બધાં અગલ-અલગ બિલ કરે, જ્યારે સરકારી હૉસ્પિટલમાં એ બધો ય ખર્ચ એક જ, અને પ્રમાણમાં ઘણા નાના બિલમાંથી નીકળે, સરકારી નોકરો કંગાળ હાલતમાં કામ કરે અને ઉપરથી વગોવાય.
ધંધાના વિકાસનો આધાર નવાં બજારો, નવી-નવી પેદાશો, અને સર્જનાત્મક તરકીબો ઉપર આધાર રાખે છે. હવેની કંપનીઓને આમાંથી કશાયની પડી નથી. તે તો અર્ધા કર્મચારીઓને છૂટા કરી નાખી, બાકીના પાસેથી ડબલ કામ કરાવવામાં માને છે. આમ, થોડા કર્મચારીઓ વડે એટલું જ કામ લેવાથી તેમની ઉત્પાદનક્ષમતામાં ૧૦૦ ટકા વધારો થાય છે, તેના શૅરના ભાવો વધે છે, શૅરહૉલ્ડરો રાજી થાય છે, અને આ સિદ્ધિ બદલ તેના વડા અફસરને જબ્બર પગારવધારો અને બોનસ મળે છે, ધંધામાં કશોય ફરક પડ્યા વિના. બાકી રહેલા કર્મચારીઓ જો ચૂં કે ચાં કરે તો તેમને તેમનું કામકાજ ભારતમાં કે બીજે ક્યાંક મોકલી દેવાની ધમકી અપાય છે. બીજી બાજુ, ‘ભારત આપણી ભૌગોલિક કામગીરી પચાવી પાડે છે.’ તેવી પોક મુકાય છે.
જેમની નોકરી જાય છે, તે ઘેર જઈને તેના માળી, ઘાટી, ધોબી, વગેરેને રજા આપી દે છે. જેઓની નોકરી બચી ગઈ છે, તે પણ ડરીને ખર્ચો ઓછો કરે છે. એક જણની નોકરી જવાથી દસ જણ બજારમાં ખરીદી કરતાં બંધ થઈ જાય છે. દસ ટકા બેકારી થાય ત્યારે સોએ સો ટકા ઘરાકો અદૃશ્ય થઈ જાય છે, એટલે પછી, ‘લોકો પૈસા ખરચતા નથી.’ એવાં રોદણાં શરૂ થાય છે. મૂડીવાદીઓ પોતાને ‘નોકરી આપનારા’ કહેવરાવે છે, પણ ખપતના અભાવથી કોઈને નોકરી આપવાની પોતાની લાચારી દર્શાવે છે. સરકાર નોકરીઓ ઊભી કરે, તો તેને ખમાતું નથી. તદુપરાંત પ્રજાના પૈસા બચાવવા માટે એ લોકો બેકારીભથ્થું બંધ કરવાની હિમાયત કરે છે. બેકાર માણસને મરવા સિવાય બીજો રસ્તો જ રહેતો નથી. ગરીબી નાબૂદ કરવાનો અફલાતૂન ઉપાય છે, ગરીબોને મારી નાખવાનો.
ન કરે નારાયણ અને જો કોઈ બૅન્ક કે વીમાકંપની મુશ્કેલીમાં આવી પડે, તો સરકારે ખડાપગે તેમને ઉગારી લેવા તત્પર રહેવું જોઈએ. જો બેકાર લોકો ઘરની લોનના હપતા ન ભરી શકે અને બૅન્ક નાદાર થવાનો વારો આવે તો સરકારે ઘરમાલિકને મદદ ન કરાય પણ બૅન્કને તો બચાવવી જ પડે. સરકારને ખાધ પડે તો પૈસાદારો ઉપર કર વધારો ન લદાય, પણ માતા-બાળકેન્દ્રો બંધ કરવાં જોઈએ. વળી, તમાકુથી દર વર્ષે ૨,૫૦,૦૦૦ લોકો મરી જતા હોય તો પણ તમાકુના ઉત્પાદકોને રાહત આપવી જ પડે.
આ છે આધુનિક મૂડીવાદ અને તેની માયાજાળ. એ નિર્દય અને પાશવી છે. તેને પોતાના સિવાય કોઈની પડી નથી. એ નથી અમેરિકાના હિતમાં કે નથી દુનિયાના ભલામાં, એને બધા જ હકો જોઈએ છે, પણ એકેય જવાબદારી સ્વીકારવામાં તેને રસ નથી. તેને નથી પડી પર્યાવરણની કે લોકોના અધિકારોની કે લોકશાહીની.આર્થિક સંસ્થાનવાદનું એ છડીદાર છે.
ન્યૂયોર્ક
e.mail : bhrtshah@yahoo.com
(મૂડીવાદ ઉપર લેખકના બે પુસ્તકો બહાર પડ્યાં છે, Capitalsim and Colonization of America અને Slave Ship Earth : The Ultimate Triumph of Capitalism. બંને પુસ્તકો
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 02-03