કાળચક્રની ફેરીએ
“આપે મને કીમતી મણીમાલા મોકલી હોત તો તે એક સુંદર ભેટ ગણાત, પણ તેથી કંઈ મારી જાતને, મારા આત્માને લાભ થાત નહિ. પણ આપે મને કિંમતી શબ્દોની જે મણીમાલા મોકલી છે તેનાથી મને, મારા આત્મનને લાભ થયો છે. અને તેથી હું આપની ભેટને મણીમાલા કરતાં ઘણી વધુ કીમતી ભેટ ગણું છું. હા, આ જિંદગીમાં આપણે ક્યારેય એકબીજાને મળવાના નથી, પણ આપણો આધ્યાત્મિક સમાગમ આ રીતે થયો તેથી મને આનંદ થયો છે.”
આ શબ્દો લખાયા હતા ૧૮૮૪ના ડિસેમ્બરની પાંચમી તારીખે લખાયેલા એક પત્રમાં. પત્ર લખનાર હતા સંસ્કૃત અને ઇન્ડોલોજીના પ્રકાંડ પંડિત મેક્સમૂલર. અને આ પત્ર લખાયો હતો શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, દીવાન, ભાવનગર રાજ્યને. અગાઉ મનહરપદ પુસ્તક વિષે લખતાં જેમની વાત કરેલી તે જ ગગાભાઈ ઉર્ફે ગૌરીશંકર ઓઝાએ પોતાનું પુસ્તક મેક્સમૂલરને ભેટ મોકલ્યું હતું તેના જવાબમાં મેક્સમૂલરે આ પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યા પ્રમાણે મેક્સમૂલર અને ગગાભાઈ એકબીજાને ક્યારે ય મળ્યા નહોતા, મળે તેવો સંભવ પણ નહોતો. એટલે આ શબ્દો માત્ર વિવેક ખાતર લખાયા ન હોય. જો કે મેક્સમૂલર જેવા વિદ્વાન એમ કોઈને વિવેક ખાતર લખે પણ નહિ.
તો મેક્સમૂલરને પણ જે કિંમતી ભેટ જેવું લાગ્યું તે પુસ્તક કયું હતું? ગગાભાઈના એ પુસ્તકનું નામ સ્વરૂપાનુંસંધાન, જે મુંબઈના નિર્ણયસાગર છાપખાનામાં છપાઈને ૧૮૮૪માં પ્રગટ થયું હતું. દેવનાગરી લિપિમાં છપાયેલા ટાઈટલ પેજ પર પુસ્તક વિષે આ પ્રમાણે લખ્યું છે: “બ્રહ્મ આત્માના એકત્વનો સાત પ્રક્રિયાયે કરીને વિચાર, વેદાન્ત વિષયનો ગ્રંથ.” શંકાશીલને પહેલો વહેમ એ આવે કે કોઈ બીજા પાસે લખાવીને દીવાનસાહેબે પુસ્તક પોતાને નામે તો નહિ છપાવ્યું હોય ને? રાજા-રજવાડા ઓ માટે આમ કરવાની નવાઈ નહોતી, તો દીવાનસાહેબ પણ એ રસ્તે ચાલ્યા નહિ હોય ને? ના, જી. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ લખેલ અત્યંત વિસ્તૃત જીવનચરિત્ર કહે છે કે ધર્મ અને શાસ્ત્રોમાં ગગાભાઈને પહેલેથી જ રસ હતો. ‘સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર’ પુસ્તકમાં વિજયરાય વૈદ્ય એ વાતને ટેકો આપે છે. અંગ્રેજીમાં લખાયેલ જીવનચરિત્રમાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક પણ તેમ જ કહે છે. કિશોરવયે ગગાભાઈએ ધર્મશાસ્ત્રોનો થોડો અભ્યાસ પણ કરેલો. સેવકરામ રાજારામ દેસાઈ પાસેથી શિવપુરાણ, વિષ્ણુભાગવત, દેવીભાગવત, ભારતસાર વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. પછી મનોહરસ્વામીનો સંગ મળ્યો, તેમનો રંગ લાગ્યો. તેમની પાસે પણ ગીતા અને ઉપનિષદોનું અધ્યયન કરેલું. દીવાન તરીકે રાજકાજ ઉપરાંત તેઓ સાધુસંતોનો સમાગમ કરતા રહેતા હતા. રાજના કાજે બહારગામ જાય ત્યારે ત્યાંના જ્ઞાની વિદ્વાનોને અને સાધુસંતોને મળતા. તેમને ભાવનગરમાં આવવા આમંત્રણ આપતા. દીવાનપદેથી નિવૃત્ત થયા પછી તેમણે ફરીથી શાસ્ત્રાભ્યાસમાં વધુ રસ લીધો એટલું જ નહિ, રોજ સાંજે પોતાને ઘરે કેટલાક આમંત્રિત મહેમાનો સાથે શાસ્ત્ર-ચર્ચા પણ કરવા લાગ્યા. તેમના બહુશ્રુતપણાની પ્રતીતિ થતાં તેમાંના કેટલાકે ગગાભાઈને પુસ્તક લખવાની વિનંતી કરી, જેથી તેમની શાસ્ત્રચર્ચા વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શકે. આથી ગગાભાઈએ સ્વરૂપાનુસંધાન ગ્રંથ તૈયાર કર્યો. તેમાં ઉપનિષદો, સ્મૃતિઓ, ગીતા, યોગવાસિષ્ઠ, પંચદશી, સ્વારાજ્યસિદ્ધિ, શંકરાચાર્યના પ્રકરણગ્રંથો, વગેરેને અનુસરીને વેદાન્તશાસ્ત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.
લેખકે પુસ્તકને સાત ‘પ્રતિક્રિયા’(પ્રકરણ)માં વહેંચ્યું છે. પહેલી પ્રતિક્રિયામાં બ્રહ્મનાં લક્ષણ, જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ, આત્મા અને દેહ, વગેરેની ચર્ચા કરી છે. દૃષ્ટા અને દૃશ્ય, સાક્ષી અને સાક્ષ્ય, કારણ અને કાર્ય વચ્ચેના વિવેકની વાત બીજા પ્રકરણમાં મળે છે. તો ત્યાર પછીના પ્રકરણમાં મુખ્યત્વે આત્મા, કર્તૃત્વ, ભોક્તૃત્વ, વગેરેની ચર્ચા કરી છે. ચોથી પ્રક્રિયામાં જાગૃત વગેરે અવસ્થા, પારમાર્થિક, વ્યાવહારિક, અને પ્રાતિભાસિક એ ત્રિવિધ સત્તાઓની છણાવટ કરી છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રક્રિયામાં શ્રુતિપ્રસ્થાનનાં ભાષ્ય, સૂત્રભાષ્ય તથા સ્મૃતિપ્રસ્થાનનાં ભાષ્યોને આધારે વેદાન્ત સિદ્ધાંતોનું, સાધનોનું, અને ફળનું પ્રતિપાદન કરી ગ્રંથનો ઉપસંહાર કર્યો છે. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે સર્વસાધારણ વાચકને જેમાં ગમ પડે એવું આ પુસ્તક નથી, એવા વાચક માટે એ લખાયું જ નથી. હકીકતમાં આપણી પરંપરાગત શાસ્ત્રાર્થની ભાષ્ય પદ્ધતિને અનુસરીને તે લખાયું છે.
પુસ્તકની નકલો દેશની અને પરદેશની અનેક જાણીતી વ્યક્તિઓને ભેટ મોકલાઈ હતી. તેમાંના લગભગ બધાએ ગ્રંથની એક યા બીજી રીતે પ્રશંસા કરી હતી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખ્યું હતું: “આપના જેવા રાજ્યપ્રસંગમાં એક સર્વોપરી પ્રધાન, અનેક ઉપાધિ છતાં શ્રદ્ધાપૂર્વક આત્મજ્ઞાન સંપાદન કરવા પૂર્વાવસ્થામાંથી જ પ્રયત્ન કરે એ જ પ્રથમ તો વિરલતા છે … આપ જેવા ઉત્તમોત્તમ વિદ્યાના ઉપાસક જોઈ દેશાભિમાનીઓને સંતોષાનંદ થવાનું કારણ છે.” તો ‘ગુજરાત શાળાપત્ર’માં નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ લખ્યું હતું: “ભાવનગરના માજી દીવાન, અને મુંબઈ ઇલાકા ખાતે હિન્દુસ્તાનના આ એક મોટા રાજનીતિજ્ઞ પુરુષે ગ્રંથકાર રૂપે દેખાવ આપી આખી પ્રજામાં સાનન્દાશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે … રાજ્યશ્રી ગગાભાઈનું નામ યૂરોપમાં પણ અજાણ્યું નથી. પાર્લામેન્ટમાં પ્રસંગોપાત એમની રાજ્યપ્રકરણી બુદ્ધિનાં હર્ષભેર વખાણ થયેલાં છે. પણ હાલ ‘સ્વરૂપાનુસંધાન’ એ નામનું એક સમર્થ પુસ્તક વેદાન્ત જેવા ગહન વિષય ઉપર લખી એ ગૃહસ્થે પોતાનો પારમાર્થિક અભ્યાસ, અદ્ભુત સ્મરણશક્તિ, તથા વૃદ્ધાવસ્થામાં પણ અખંડિત ઉદ્યોગ એ નિર્વિવાદપણે જાહેર કર્યા છે.”
એક જમાનામાં દેશ અને વિદેશમાં જેમનું નામ જાણીતું થયું હતું તે ગગાભાઈ(ગૌરીશંકર ઉદયશંકર ઓઝા)નો જન્મ ભાવનગર નજીકના ઘોઘા ગામે (જે એ વખતે બ્રિટિશ સરકારની હકૂમત નીચે હતું) ૧૮૦૫ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેમની દોઢ વર્ષની ઉંમરે માતા અજબબાનું અવસાન થયું. તેથી ગગાભાઈ તેમનાં મોટાં બહેન અચીબા અને બનેવી સેવકરામ રાજારામ દેસાઈ પાસે ઉછર્યા હતા. એ વખતે હજી અંગ્રેજી પદ્ધતિની સ્કૂલો શરૂ થઇ નહોતી. ગામઠી નિશાળમાં થોડુંઘણું ભણ્યા, પણ તેમાં ગાડું ખાસ ચાલ્યું નહિ. પણ કુટુંબીનાં વડીલો પાસેથી ધર્મ, કાવ્ય, અને મુત્સદ્દીગીરીના પાઠ શીખ્યા. ત્યારબાદ તેઓ સ્વામી મનોહરદાસના પરિચયમાં આવ્યા તેની વિગતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. શરૂઆતમાં ગગાભાઈએ કાપડનો વેપાર કરી જોયો, પણ તેમાં ઝાઝી ફાવટ આવી નહિ. તેમના બનેવી સેવકરામ દેસાઈ ભાવનગર રાજ્યની નોકરીમાં હતા. તેમના દ્વારા ગગાભાઈ પણ તે રાજ્યની નોકરીમાં મહિને સવા છ રૂપિયાના પગારે ૧૫-૧૬ વર્ષની ઉંમરે જોડાયા, અને સેવકરામના કારકૂન તરીકે કામ શરૂ કર્યું. તેમની કૂનેહથી પ્રભાવિત થઇ રાજાએ ગગાભાઈની નિમણૂક કુંડલા પરગણાના ડેપ્યુટી વહીવટદાર તરીકે કરી. કુંડલા પર થયેલા બહારવટિયાઓના હુમલાને તેમણે કૂનેહ અને બહાદુરીથી નિષ્ફળ બનાવ્યો. પછી બહારવટિયાઓની બીકે નાસી ગયેલા ખેડૂતો, કારીગર, વસવાયાં, વગેરેને રક્ષણની ખાતરી આપી ફરી વસાવ્યાં, અને તેમના ધંધા-રોજગાર ફરી શરૂ કરવામાં મદદ કરી. એક કુશળ વહીવટકર્તા તરીકે તેઓ રાજાના મનમાં વસી ગયા, અને તેથી જુદી જુદી જવાબદારીઓ સંભાળ્યા પછી વખત જતાં ગગાભાઈ રાજયના દીવાનપદે પહોંચ્યા. દીવાન તરીકે તેમણે રાજ્યના વેપાર-રોજગારને પ્રોત્સાહન આપ્યું, બંદરનો વિકાસ કર્યો, ભાવનગર શહેર સુધરાઈની સ્થાપના કરી, પાણી, રસ્તાઓ, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરી. તેમણે ભાવનગરમાં પહેલી કન્યાશાળા શરૂ કરી, પણ દીકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા બને એવા વહેમને કારણે લોકો પોતાની દીકરીઓને તેમાં ભણવા મોકલતા નહિ, તેથી ગગાભાઈએ પોતાના કુટુંબની દીકરીઓને તેમાં ભણવા મોકલી અને દાખલો બેસાડ્યો. સ્થાનિક લોકો અને કેટલાક અંગ્રેજ અમલદારોનો પણ વિરોધ હોવા છતાં ભાવનગર-ગોંડલ રેલવેની યોજના કરી ને તેને પર પાડી. ભાવનગરને કાઠિયાવાડનું એક આગળ પડતું રાજ્ય બનાવ્યા પછી ૭૪ વર્ષની ઉંમરે ૧૮૭૯માં ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૮૮૬માં સન્યસ્ત લઇ સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી બન્યા. ૧૮૯૧ના ડિસેમ્બરની પહેલી તારીખે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી મેક્સમૂલરે લખ્યું: “મિ. ગ્લેડસ્ટન(બ્રિટનના વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન, ૧૮૦૮-૧૮૯૮)ની જેમ ગૌરીશંકર હિન્દુસ્તાનમાં મહાન વૃદ્ધ પુરુષ તરીકે, અથવા તો તેથી પણ વધુ તો એક ઉત્તમ સુજ્ઞ પુરુષ રૂપે વિખ્યાત થયા, અને મિ. ગ્લેડસ્ટનની જેમ તેમના ચરિતમાં તત્ત્વવિચારક અને વ્યવહાર નિપુણ, ધ્યાની અને કર્મી એ બંનેનું મનોહર મિશ્રણ જોવામાં આવે છે.” અલબત્ત, આજે વિદ્વાન દીવાન ગગાભાઈ અને તેમના પાંડિત્યપૂર્ણ પુસ્તક સ્વરૂપાનુંસંધાન સાથે અનુસંધાન ધરાવનાર બહુ ઓછા જોવા મળે.
સંદર્ભ:
૧. શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી.એસ.આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદસરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર/કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા. મુંબઈ, ૧૯૦૩
૨. Gaorishankar Udayashankar, C.S.I., Ex-Minister of Bhavnagar, Now in retirement as a Sanyasi/Javerilal Umiashankar Yajnik. Bombay, Pref. 1889
૩. સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર: ગગા ઓઝા/વિજયરાય ક. વૈદ્ય. ભાવનગર, ૧૯૫૯
xxx xxx xxx
[‘શબ્દસૃષ્ટિ'નાં માર્ચ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]
https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214719651841308