ખોં, ખોં, ખોં, ઉધરસ ખાતાં ખાતાં રમણલાલે પૂછ્યું, ‘કેટલા વાગ્યા?’
કન્ટાળેલાં સરલાબહેને છણકો કર્યો, ‘હજી પાંચ મિનિટ પહેલાં તો પૂછ્યું હતું ! શું કરવું છે તમારે કેટલા વાગ્યા તે જાણીને? કંઈ કામ–કાજ તો છે નહીં !’
રમણલાલની આંખે ઝામરનાં પાણી ઊતરેલાં એટલે લગભગ અન્ધાપો અને સરલાબહેન અસ્થમા અને સન્ધિવાના દુ:ખાવાથી હેરાન પરેશાન. બન્ને એકમેકના ટેકે જીવન ઘસડ્યે જતાં હતાં.
‘જુઓને, આ બે જણની રસોઈ બનાવતાં તો મને શ્વાસ ચડી જાય છે. એવી થાકી જાઉં છું કે, મારાથી નક્કામું જ ખીજાઈ જવાયું. ખરાબ નથી લાગ્યું ને?’
'ના, ના હુંયે સમજું છું. તારી ઉમ્મર થઈ એટલે, બાકી પરાગ હતો ત્યાં સુધી કેવી ફેરફૂદરડી જેવી ફરી વળતી હતી !’
પરાગનું નામ આવતાં જ પગમાંથી બધું જ જોર ઓસરી ગયું હોય એમ સરલાબહેન ધબ્ દઈને ખુરસી પર બેસી પડ્યાં. ‘આજ–કાલ કરતાં દસ વર્ષ થઈ ગયાં. જ્યારે હોય ત્યારે ફોન પર આવું છું, આવું છું કર્યા કરે છે. પણ તમને શું લાગે છે, પરાગ આવશે તો ખરો ને !’
રમણલાલ જવાબ આપે એ પહેલાં એક યુવાન બારણામાં આવીને ઊભો. કદ, કાઠી બધું એ જ. રમણલાલે વિચાર્યું, અચાનક પહોંચી જઈને ડોસા–ડોસીને ખુશ કરી દેવાં એમ કરીને આવ્યો લાગે છે ! ‘કોણ, પરાગ? નહીં ફોન, નહીં કાગળ–પત્તર ને આમ ઓચિન્તો જ !’
‘પરાગ નથી હવે ! શું તમેય તે ! આંખે સરખું દેખાતું તો છે નહીં ને ! આવ ભાઈ, અન્દર આવ !’ સરલાબહેને બારણું પૂરું ખોલીને યુવકને આવકાર્યો.
અન્દર ન આવતાં આગન્તુક ખચકાઈને ત્યાં જ ઊભો. ‘આ વોરાસાહેબનું જ ઘર છે ને?’
‘કોણ વોરાસાહેબ?’ સરલાબહેન હજી પૂછે છે ત્યાં રમણલાલ બોલી ઊઠ્યા, ‘મૂકને માથાકૂટ વોરા ને બોરાની ! ભાઈ, તું તારે અન્દર આવ. બે ઘડી વાતો તો કરીએ ! બોલ્યા વગર મોંમાં જાળાં બાઝી જાય છે.’
યુવાન અન્દર તો આવ્યો; પણ આ બન્નેનું વર્તન એને કંઈક વિચિત્ર લાગ્યું. ડગુમગુ થતાં સરલાબહેન પાણી લાવ્યાં, ‘લે ભાઈ લે, ઠંડુ પાણી પી. ને હા દીકરા, તારું નામ શું?’
‘મારું નામ વિનય. હું ધન્ધુકાથી અહીં કૉલેજમાં ભણવા આવ્યો છું. મારે પેઇન્ગગેસ્ટ તરીકે રહેવું છે. મિ. વોરા સાથે ફોન પર વાતો પણ થઈ છે.’
રમણલાલ અને સરલાબહેન બન્નેની આંખોમાં એકીસાથે ઝબકારો થયો, આ તો બાજુવાળા! વિનયને મુંઝવણ થઈ આવી. શું વાત કરવી? ત્યાં તો રમણલાલ જ બોલ્યા, ‘અમારે તારા જેવડો જ દીકરો છે, પરાગ. ખૂબ હોશિયાર, હં ! દસ વર્શ થયાં એને અમેરિકા ગયાને. બહુ સારું કમાય છે.’
‘તો તો હવે પાછો શેનો આવે?’ વિનયથી બોલાઈ ગયું.
ચા–નાસ્તો લઈને આવેલાં સરલાબહેનને માઠું લાગી ગયું, ‘આવશે જ વળી. નહીં શેનો આવે ! એનેય થતું તો હશે જ ને કે, મારાં ઘરડાં મા–બાપ એકલાં એકલાં શું કરતાં હશે?’
વિનયને થયું, આ આશાભર્યાં માવતર પાસે મારે આવું નહોતું બોલવું જોઈતું. ત્યાં રમણલાલે વાતને ઘક્કો મારતાં કહ્યું, ‘અમને બન્નેને આ ઘર ખાવા દોડે છે. તું આ વોરાને બદલે અહીં જ રહેવા આવી જાય તો !’
વિનય ચોંકી ઊઠ્યો. આ બે મળીને મને સાણસામાં લેવાની કોશિશ તો નથી કરતાં ને ! એ વધુ કંઈ વિચારે તે પહેલાં વળી રમણલાલે આગળ ચલાવ્યું, ‘જો, તને કોઈ વાતે તકલીફ નહીં પડવા દઈએ. ને રહેવા, ખાવા–પીવાનું બધું જ સાવ મફત …’
‘મફત? શા માટે? તમે કેમ મારે ખાતર આ બધું કરવા તૈયાર થાઓ છો? હું તો તમારે માટે સાવ અજાણ્યો છું?’ વિનયે અકળાઈને કહ્યું.
‘કારણ કે, આ બધું કરવાથી અમને થશે કે, ઘડપણમાં અમે બે સાવ એકલાં નથી. અમારી પડખે કોઈ તો છે, એવો સધિયારો રહેશે. અને બીજી વાત, અમારા બેમાંથી એક ઓચિન્તું મરી જાય તો લોકોને ભેગા કરવા કોઈક તો જોઈશે ને?’ સરલાબહેન બોલતાં બોલતાં રડી પડ્યાં.
વિનયને બન્નેની ખૂબ દયા આવી; પણ અચાનક ઊભા થયેલા આ સન્જોગોમાં શું કરવું તે એને સૂઝતું નહોતું. ‘હું જરા વિચાર કરીને જવાબ આપું. અત્યારે તો મારે મોડું થાય છે.’ કહેતાં તે ઊભો થયો.
રમણલાલ દિવાલને ટેકે ટેકે તેની પાછળ ગયા, ‘ઘડીક બેઠો હોત તો સારું લાગત; પણ વાંધો નહીં. હવે તો તું અમારી સાથે જ રહેવા આવી જઈશ. ઘર ભર્યું ભર્યું લાગશે.’
‘ક્યારે જવાબ આપીશ, દીકરા? કાલે કે પરમ દીવસે? ને હા, ફોન નંબર તો લેતો જા. તું એક ફોન કરી દઈશને તો હું તારે માટે બધી તેયારી કરી રાખીશ. આવજે હં, બેટા!’ સરલાબહેનનો અવાજ તરડાઈ ગયો.
બારણું બન્ધ કરી બન્ને અન્દર આવ્યાં. ‘શું લાગે છે, તમને? એ આવશે કે નહીં?’
‘હું કેવી રીતે કહી શકું? આપણાં પોતાના જ લોકોનાં મનમાં શું છે એનીયે ખબર આપણને પડતી નથી; તો વળી પારકાનાં મનની તો કેમ ખબર પડે?’
સરલાબહેને ભીની આંખ પર સાડલાનો છેડો દાબ્યો; પછી રમણલાલ તરફ જોઈને બોલ્યાં, ‘આમ ને આમ આપણે ક્યાં સુધી રાહ જોયા કરીશું …?’
(જયન્ત દળવીની મરાઠી વાર્તાને આધારે) તર્પણ ભાગ 1 પાના 79-80
અનુવાદકનો સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001
ઈ–મેઈલ : avs_50@yahoo.com
‘હરીશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી ‘ભૂમિપુત્ર’ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. આવી 40 વાર્તાઓ યજ્ઞ પ્રકાશને ‘તર્પણ’ના નામે પુસ્તિકાના સ્વરૂપે પ્રસિદ્ધ કરી છે.