હૈયાને દરબાર
સવાર એટલે તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક. આ સાત્ત્વિકતા સવારના રાગોમાં વિશેષ પ્રતિબિંબિત થાય છે. પ્રાત:કાલીન રાગો આપણા ચિત્તમાં કંઈક એવા ભાવો જગાવે છે કે એ ભાવમાં જ સમાઇ જવાની ઈચ્છા થઈ આવે. પંખીઓનો કલરવ સંભળાતો હોય, ઠંડી તાજી હવા મનને પ્રફુલ્લિત કરી રહી હોય અને ચાની ચૂસકી સાથે સવારના રાગનું ભાવવાહી ભક્તિ ગીત બજી રહ્યું હોય તો ચિત્તની પ્રસન્નતા ચરમસીમાએ પહોંચી જાય.
સૂર્યનાં કિરણો અંધારું છેદીને અજવાસ પાથરી રહ્યાં છે. પૂર્વ દિશામાં લાલિમા છવાઈ રહી છે. પંખીઓનો કલરવ અંતરનાદને પરિષ્કૃત કરી રહ્યો છે. દૂર-સુદૂરના કોઈ મંદિરની આરતીના ઘંટનાદની સાથે ગર્ભદ્વારમાંથી પ્રશાંત સ્વરો સંભળાય છે. તમે કોઈક જુદા જ વિશ્વમાં પહોંચી જાઓ છો. એક એવું વિશ્વ, જ્યાં ફક્ત તમે છો અને છે કોઈ અકળ દિવ્ય શક્તિ. મંગલમય પ્રભાતની સાથે કોમળ રિષભ અને તીવ્ર મધ્યમનું પ્રાધાન્ય ધરાવતા સ્વરો નદીકિનારેના કોઈક પવિત્ર મંદિરમાંથી મનને ઝંકૃત કરી રહ્યા છે. આ સ્વરમાધુરીનું વશીકરણ રાગ તોડી સિવાય અન્ય કોઈ રાગમાં કલ્પી શકાય? રાગ તોડીના સ્વરોમાં એટલી તાકાત છે જે તમને રીતસર કોઈક ગેબી આંતરિક વિશ્વ તરફ ખેંચે છે. પ્રાત:કાલીન રાગોમાં પ્રયોજાતો કોમળ રિષભ હંમેશાં આગવી અસર સર્જે છે. પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લઈને આવે છે. એ ઉજાસની સાથે જ જિંદગીને ઉજાસમય બનાવવાનો સંકલ્પ આપણે જ કરવાનો છે. હર નઈ કિરન કે સાથ મંગલ સંદેશ લાયા, જાગો હે પ્રભાત આયા …! આજનું સુપ્રભાત આપણા સૌ માટે અનેરું-અનોખું છે. નૂતન વર્ષના પ્રથમ અઠવાડિયાની નવલી સવાર. ‘હૈયાને દરબાર’ના વહાલા સંગીતપ્રેમીઓ માટે તો બેશક, સુરીલી સવાર. આપણા ગુજરાતીઓના નવા વર્ષે અંદરના માહ્યલાને સદ્વિચારો, સત્કર્મ, મીઠી વાણી દ્વારા જગાડવાનો છે. સંગીત એ સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા છે. સવારના રાગ તોડીની જ વાત નીકળી છે તો હિન્દી ફિલ્મ સંગીતમાં ગુલઝાર લિખિત અને આર.ડી. બર્મને કમ્પોઝ કરેલું મિયાં કી તોડીમાં સ્વરબદ્ધ થયેલું ભીની ભીની ભોર આઈ, રૂપ રૂપ પર છિડકે સોના, સ્વર્ણ કલશ ચમકાતી આઈ … યાદ આવ્યા વિના રહે જ નહીં. ગીતોમાં ધૂમ-ધડાકા કરનારા આર.ડી. બર્મન અહીં અત્યંત ઋજુતાપૂર્વક રાગ તોડીના સ્વર સંયોજીને અત્યંત કર્ણપ્રિય, અઘરી છતાં લાજવાબ ધૂન સર્જે છે.
એ જ રીતે, ગુજરાતી સુગમ સંગીતમાં નિનુ મઝુમદારે લખેલું-કમ્પોઝ કરેલું ગીત રક્ષા કરો જગદંબા ભવાની રાગ ગુજરી તોડીનું ઉત્તમ ઉદાહરણ છે. સૂરજની સાખે રાગ તોડીના પ્રાત:સ્વરોને જોડી જોજો. એ અનુભૂતિ અવર્ણનીય બની રહેશે. સવાર એટલે તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક. આ સાત્ત્વિકતા સવારના રાગોમાં વિશેષ પ્રતિબિંબિત થાય છે. પ્રાત:કાલીન રાગો આપણા ચિત્તમાં કંઈક એવા ભાવો જગાવે છે કે એ ભાવમાં જ સમાઇ જવાની ઈચ્છા થઈ આવે. પંખીઓનો કલરવ સંભળાતો હોય, ઠંડી તાજી હવા મનને પ્રફુલ્લિત કરી રહી હોય અને ચાની ચૂસકી સાથે સવારના રાગનું ભાવવાહી ભક્તિ ગીત બજી રહ્યું હોય તો ચિત્તની પ્રસન્નતા ચરમસીમાએ પહોંચી જાય. નૂતન વર્ષે મા જગદંબાની ઉપાસના કરી બસ, એટલું જ પ્રાર્થીએ કે, રક્ષા કરો હે મા જગદંબા ભવાની. વૈિશ્વક સ્તરે માહૌલ અસુરક્ષિતતાનો હોય, ડગલે ને પગલે અસલામતીની ભાવના કોરી ખાતી હોય એ સંજોગોમાં અંબામાની આરાધના મનને પરમ શાંતિ આપે. મા આપણાં જીવનમાં જ્ઞાનનો અજવાસ ફેલાવે, નીરક્ષીરનો વિવેક પારખવાની શક્તિ આપે એ જ પ્રાર્થના આપણે કરવાની છે.
રક્ષા કરો જગદંબા … સ્તુિતના રચયિતા અને સ્વરકાર છે સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદાર. ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ મુંબઈ માટે નિનુભાઇએ ૨૦ વર્ષ સુધી લાઈટ મ્યુિઝક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ૧૯૫૪ની આસપાસના સમયગાળામાં રેડિયો પર નવા લોન્ચ થયેલા કાર્યક્રમ ‘વિવિધ ભારતી’ના તેઓ ઇન્ચાર્જ હતા. તેમણે ફિલ્મ અને નાટકમાં અભિનય પણ કર્યો હતો. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉસ્તાદ ઈમામ અલી ખાનના શિષ્ય નિનુ મઝુમદાર વડોદરાના જમીનદાર કુટુંબનું સંતાન. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર. તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નિનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું તથા સુરદાસ તેમ જ અન્ય કવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી હતી. તેઓ બાંસુરી ખૂબ સારી વગાડતા હતા. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં પહેલીવાર સાંભળવા મળ્યો. સરદાર અખ્તર સાથે ફિલ્મ ‘ઉલઝન’માં, અમીરબાઈ કર્ણાટકી સાથે ‘પરિસ્તાન’માં અને મીના કપૂર સાથે ફિલ્મ ‘ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજ કપૂરની સૌપ્રથમ ફિલ્મો ‘જેલયાત્રા’ અને ‘ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ ‘ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત આઈ ગોરી રાધિકા.. શબ્દોમાં ફેરફાર કરીને એ જ ટ્યુન સાથે ફિલ્મ ‘સત્યમ્ શિવમ સુન્દરમ’માં યશોમતી મૈયા સે બોલે નંદલાલા તરીકે લેવામાં આવ્યું હતું. તેમણે કેટલાં ય સંગીતરૂપકો અને સંગીતનાટિકાઓ માટે ગીતો લખ્યાં છે. ટેલિવિઝન માટે તૈયાર કરેલા બાલનાટક ‘જલપરી’માં આજના જાણીતાં કલાકારો દર્શન જરીવાલા અને સુજાતા મહેતાએ અભિનય કર્યો હતો. આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું અનોખું સંયોજન નિનુ મઝુમદારમાં હતું.
તેમનાં સૌથી મોટાં દીકરી રાજુલબહેન ખૂબ સરસ ગાતાં હતાં. ખાસ એમના માટે જ નિનુભાઈ કેટલાંક ગીતો તૈયાર કરતા. આ ગીતોમાંનું એક એટલે રક્ષા કરો જગદંબા ભવાની. રાજુલ મહેતા માટે પિતા નિનુભાઈ હંમેશાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહ્યા હતા. રાજુલ મહેતા કહેતાં કે મારા પિતા શ્રી નિનુ મઝુમદાર સુધારાવાદી હતા. એમનામાં ધાર્મિકતા ક્યાં ય નહીં છતાં, સાહિત્ય-સંશોધનની દૃષ્ટિએ એમણે કેટલા ય ધર્મગ્રંથો વાંચ્યા હતા અને ભજનો પણ લખ્યાં. રાજુલબહેનના અવાજમાં રક્ષા કરો સાંભળવું એ અનેરો લ્હાવો છે. શિવાંગી નીરવે પણ આ ગીત ખૂબ સરસ ગાયું છે. પરંતુ, ગીતનાં મૂળ ગાયિકા રાજુલ મહેતા. રાજુલબહેનનો કંઠ એટલે બુલંદ સાહજિક અને હૃદયસ્પર્શી. કેટલાક લોકો રાજુલબહેનને તેમની ગાવાની આગવી શૈલી અને તેમણે ગાયેલા અપ્રતિમ ગીતો રક્ષા કરો જગદંબા ભવાની તથા મેં તો રંગ્યો હતો … નાં ગાયિકા તરીકે જ ઓળખે છે, કારણ કે પ્રકૃતિએ તેઓ થોડા શરમાળ અને પ્રસિદ્ધિથી દૂર રહેનારાં હતાં.
અગ્રગણ્ય સંગીતકારોનાં ગીતો ગાનાર રાજુલ મહેતા રાસ ગરબાના કાર્યક્રમો કરતાં, કચ્છ-સૌરાષ્ટ્ર, રાજસ્થાનનાં લોકગીતો ખૂબ તળપદી લહેકા સાથે ગાતાં તેમ જ ગંગા સતી, ઓખાહરણ જેવી કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કંઠ પણ આપ્યો હતો. દસેક વર્ષ પહેલાં અવસાન પામેલાં રાજુલબહેને તેમની સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે આપણે ત્યાં બાળગીતો, યુવાન કન્યાનાં ગીતો લખાય છે પણ કિશોર અવસ્થાનાં ગીતો ભાગ્યે જ લખાય છે. હું કિશોર અવસ્થામાં હતી ત્યારે પપ્પાને લાગ્યું કે મુગ્ધ વયની છોકરીના મનોગતને વ્યક્ત કરતાં ગીતો પણ લખાવા જોઈએ અને એમણે એક સુંદર ગીત લખ્યું હતું, આ મોજું ફરી વળ્યું સુંવાળપનું, મને આવ્યું છે રેશમી સપનું. રાજુલ મહેતાનો અવાજ ઘૂંટાયેલો અને લો પીચનો હતો. પશ્ચિમના સંગીતમાં સ્ત્રી-પુરુષના અવાજને અમુક ચોક્કસ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે સ્ત્રીઓના અવાજમાં કોન્ટ્રાલ્ટો એટલે એવો અવાજ કે જેમાં પીચ નોર્મલ હોય અને કલાકાર એક પણ સ્વર ઊંચો ના ગાય. રાજુલ મહેતાનો અવાજ આ પ્રકારનો હતો. લતાજીનો અવાજ સોપ્રાનો પ્રકારનો કહેવાય, જેની રેન્જ ખૂબ ઊંચી હોય અને અવાજ પાતળો હોય. પહેલાંના સમયમાં પાતળા અવાજની જ બોલબાલા હતી ત્યારે રાજુલબહેનનો અવાજ જુદી જ તાજગી લઈને આવ્યો હતો.
વાગ્ગેયકાર પિતા નિનુ મઝુમદાર વિશે વાત કરતાં જાણીતાં અભિનેત્રી મીનળ પટેલ આ ગીત સાથેની સ્મૃિતઓ વાગોળતાં કહે છે કે મારા પિતા ધાર્મિક વૃત્તિ ધરાવતા નહોતા કે વિધિ-વિધાનમાં માનતા ન હતા, પરંતુ નાગર પરંપરામાં ઊછર્યા હોવાને કારણે એમણે માતાજી અને શિવની કેટલીક સુંદર સ્તુિતઓ રચી છે, જેમાં રક્ષા કરો જગદંબા ભવાની ખૂબ લોકચાહના પામી છે. નિનુભાઈનાં દીકરી સોનલ શુક્લએ આ ગીતના સંદર્ભમાં જણાવ્યું કે, "રાજુલ બહેન શાસ્ત્રીય સંગીત શીખતાં હતાં ત્યારે પપ્પાને જુદા જુદા રાગ સંભળાવતાં. એમાં પપ્પાને ગુજરી તોડી રાગ અસર કરી ગયો ને આ ગીત સર્જાઇ ગયું. રાગ તોડી ઉદાસ ભાવ વ્યક્ત કરતો હોવાથી શરૂ શરૂમાં તો આ ગીત સાંભળીને મને રડવું જ આવતું હતું.
સોનલબહેનની વાત બિલકુલ સાચી છે. રાગ તોડી આધારિત મોટા ભાગનાં ગીતોમાં વિષાદ ભાવ પ્રગટ થાય છે. જેમ કે, જગજિત-ચિત્રાની એક સુંદર ગઝલ મિલકર જુદા હુએ તો ન રોયા કરેંગે હમ, મુકેશજીનું મૈં તો એક ખ્વાબ હૂં અને આશાજીનું ગીત જૂઠે નૈના બોલે, સાંચી બતિયાં … ઉદાસીન ભાવ વ્યક્ત કરતાં ગીતો છે. જગજિત સિંહને તો આ રાગ એટલો પ્રિય છે કે એમણે અડધો ડઝન ગઝલ રાગ તોડીમાં સ્વરબદ્ધ કરી છે, જે સાંભળીને આંખમાંથી આંસુ ન વહે તો જ નવાઈ. કવિ કનુભાઈ સૂચકે લખેલું અને સંગીતકાર સ્વ. મોહન બલસારાએ સંગીતબદ્ધ કરેલું રાગ તોડી પર આધારિત એક ગીત, એકવાર ગોકુળ છોડી ગયા ને, પાછા ન આવ્યા ઘનશ્યામ …માં પણ વિષાદભાવ પ્રગટે છે. રાગ તોડીમાં અપવાદરૂપ ગીત એક જ છે ભીની ભીની ભોર, ભોર આઈ …! જેની વાત આપણે ઉપર કરી. સ્વરોની અદ્ભુત ગૂંથણીને લીધે એ ગીત ઊર્જાસભર લાગે છે. સંગીતકારો-ગાયકો માટે આ રાગ પડકારજનક રહ્યો હોવા છતાં ગાન સરસ્વતી કિશોરી આમોનકરે થોડાં વર્ષો પહેલાં દિવાળી મોર્નિંગ કોન્સર્ટમાં આ રાગ ગાઈને શ્રોતાઓને દૈવી અનુભવ કરાવ્યો હતો. સ્વર યોગિની ડૉ. પ્રભા અત્રે તથા ઉસ્તાદ અમીરખાં સાહેબનો ગાયેલો તોડી અવર્ણનીય છે, તો ગુજરાતી ભાષાનાં સર્વાંગસુંદર ગીતોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતું રક્ષા કરો … ગીત પણ પ્રાત:કાલીન રાગોનાં સદાબહાર ગીતોમાં હકપૂર્વક બેસી શકે એવું સુમધુર છે. નવા વર્ષે આ કર્ણમંજુલ સ્તુિત રક્ષા કરો જગદંબા … આપણાં સૌનાં જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સુરક્ષિતતા લાવે એવી ‘હૈયાને દરબાર’ના વહાલા વાચકોને સુરીલી શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. આ ગીત આજે જ સાંભળી લેજો, સવાર સુધરી જશે.
————————–
શરણ્યેે વરણ્યે સુકારણ્યપૂર્ણે હિરણ્યોદરાદ્યૈરગમ્યેતિ પુણ્યે
ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે, નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ
રક્ષા કરો જગદંબા ભવાની
નિશ દિન રટું હું તો અંબા અંબા અંબા
વર્ણ વિવર્ણ વિવિરમે વાણી
ચૌદ ભુવનની હે મહારાણી
નિસદિન રટું હું તો અંબા અંબા અંબા
અંતરમાં તું અંતરયામી
વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી
ખમ્મા તમને માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
રક્ષા કરો જગદંબા ભવાની
• કવિ-સંગીતકાર : નિનુ મઝુમદાર • ગાયિકા : રાજુલ મહેતા
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 નવેમ્બર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=442999